હિરોશિમા-નાગાસાકીનો અણુબૉમ્બ-વિસ્ફોટ


બીજા વિશ્વયુદ્ધના અંતિમ તબક્કામાં યુ.એસે. જાપાનનાં આ બે શહેરો પર કરેલો અણુબૉમ્બનો ધડાકો.

હિરોશિમા : ૧૯૪૫માં ઑગસ્ટની છઠ્ઠી તારીખે સવારે ૮-૪૫ વાગ્યે યુ.એસ.ના લશ્કરી વિમાને પ્રથમ અણુબૉમ્બ જાપાનના મહત્ત્વના મથક હિરોશિમાના મધ્ય ભાગ પર નાખ્યો હતો. તે બૉમ્બને ‘લિટલ બૉય’ તરીકે ઓળખાવાયો હતો. એ અણુબૉમ્બ પડવાથી વિસ્ફોટ થયો. ૧૦.૪ ચોકિમી. વિસ્તારમાં આગ ફાટી નીકળી અને તેની અસર હેઠળ ૧૩ ચોકિમી. જેટલો વિસ્તાર નાશ પામ્યો. તે વખતની હિરોશિમાની ૩,૪૩,૦૦૦ વસ્તીમાંથી ૧,૩૭,૦૦૦ લોકોને તાત્કાલિક અસર પહોંચી. તે પૈકી આશરે અડધા લોકો તુરત અને બીજા પાછળથી મોતને ભેટ્યા. ૧૯૪૫ના વર્ષના અંતે મૃત્યુનો આંકડો ૧,૪૦,૦૦૦ સુધી પહોંચી ગયો. આ બધી તારાજી નિર્દોષ નાગરિકોની જ થયેલી. બચેલા માણસોમાંથી કેટલાક દાઝ્યા, કેટલાક અપંગ બન્યા તો કેટલાક વિકિરણને લીધે લ્યુકેમિયાની – કૅન્સરની માંદગીનો ભોગ બનતા ગયા. હિરોશિમામાં આશરે ૯૦,૦૦૦ મકાનો નાશ પામ્યાં, બાકીનાં રહેવા યોગ્ય ન રહ્યાં. આમ ૧૯૯૫ સુધીમાં વિકિરણની અસરથી મૃતકોની સંખ્યા ૧,૯૨૦૦૦ જેટલી થઈ.

શાંતિ-સ્મૃતિ ઉદ્યાન : સંગ્રહાલય અને સ્મારક, હિરોશિમા

હિરોશિમામાં જે સ્થળે બૉમ્બ-વિસ્ફોટ થયેલો છે ત્યાં શાંતિ-સ્મૃતિ ઉદ્યાન નામથી સંગ્રહાલય અને સ્મારકની સ્થાપના કરવામાં આવી છે. મોતને ભેટેલા લોકોની યાદમાં અહીં દર વર્ષે ૬ઠ્ઠી ઑગસ્ટનો દિવસ પુણ્યતિથિ તરીકે ઊજવાય છે.

નાગાસાકી : ૧૯૪૫ની સાલમાં ઑગસ્ટની નવમી તારીખે નાગાસાકી પર જે અણુબૉમ્બ ફેંકવામાં આવ્યો તેને યુ.એસે. ‘ફૅટ મૅન’ એવું નામ આપેલું. આ બૉમ્બના વિસ્ફોટના કારણે ૪.૫ ચોકિમી. વિસ્તારમાં વિનાશક અસર થઈ. ૪૦,૦૦૦ માણસો મૃત્યુ પામ્યા. ૨૫,૦૦૦ માણસો ઈજાગ્રસ્ત થયા, ૪૦% મકાનો ભસ્મીભૂત થયાં. આ ઘટના પછી જન્મેલાં બાળકો પર વિકિરણની અસર જોવા મળી.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, હિરોશિમા-નાગાસાકીનો અણુબૉમ્બ-વિસ્ફોટ, પૃ. 177)