જ. 2 ફેબ્રુઆરી, 1884 અ. 10 એપ્રિલ, 1937

ઇતિહાસકાર, નવલકથાકાર અને મહારાષ્ટ્ર જ્ઞાનકોશના સર્જક શ્રીધર કેતકરનો જન્મ મધ્યપ્રદેશના રાયપુરમાં થયો હતો. મૂળ વતન કોંકણનું અંજનવેલ, પરંતુ કુટુંબ અમરાવતીમાં આવીને વસ્યું. માતાપિતાનું અવસાન થવાથી કાકાના આશ્રયે ઉછેર થયો. તેઓ મૅટ્રિક સુધીનું શિક્ષણ અમરાવતીમાં મેળવી મુંબઈની વિલ્સન કૉલેજમાં દાખલ થયા. કૉલેજનો અભ્યાસ અધૂરો રાખી 1906માં અમેરિકા ગયા. ત્યાં કાર્નેલ યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતક થયા, પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. ભારત પાછા આવી કૉલકાતા યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા. વિદેશથી આવી ‘કેસરી’માં લખવાનું શરૂ કર્યું. તેમણે ‘વિદ્યાસેવક’ નામનું સામયિક શરૂ કર્યું. તેમાં ‘અજ્ઞાત’, ‘સહૃદય’ અને ‘ગોવિંદપૌત્ર’ જેવાં તખલ્લુસથી લેખો, વાર્તાઓ અને નવલકથાઓ લખી. તેમણે આંધ્રપ્રદેશમાં ‘રાષ્ટ્રધર્મ પ્રચારક સંઘ’ અને નાગપુરમાં ‘મહારાષ્ટ્રીય જ્ઞાનકોશ મંડળ લિ.’ની સ્થાપના કરી. તેમણે શારદોપાસક સંમેલન અને મહારાષ્ટ્ર સાહિત્ય સંમેલન – એમ બે મરાઠી સાહિત્ય સંમેલનોમાં પ્રમુખ તરીકે કાર્ય કર્યું. ‘ધ હિસ્ટ્રી ઑફ કાસ્ટ ઇન ઇન્ડિયા’ (વૉલ્યુમ-I) (1990), ‘એન એસે ઑન હિન્દુઇઝમ ઇટ્સ ફોર્મેશન ઍન્ડ ફ્યૂચર’ (1911), ‘એન એસે ઑન ઇન્ડિયન ઇકૉનૉમિક્સ’ (1914), ‘હિન્દુ લૉ ઍન્ડ ધ મૅથડ્સ ઍન્ડ પ્રિન્સિપલ્સ ઑફ ધ હિસ્ટોરિકલ સ્ટડી ઑફ ધેર ઑફ’ (1914), ‘નિઃશસ્ત્રાંચે રાજકારણ’ (1926), ‘વિક્ટોરિયન ઇન્ડિયા’ (1937), ‘પ્રાચીન મહારાષ્ટ્ર શાતવાહન વર્ષ’ (1935) વગેરે તેમના સંશોધનાત્મક કાર્યનો પરિચય આપે છે. તેમણે મરાઠીમાં સાત નવલકથાઓ લખી છે, જેમાં ‘ગોંડવનાતીલા પ્રિયંવદા’, ‘બ્રાહ્મણકન્યા’ અને ‘વિચક્ષણ’ મુખ્ય છે. તેમણે મહારાષ્ટ્ર જ્ઞાનકોશના ચાર ખંડો અને 23 ભાગ આપ્યા છે. તેમણે ગુજરાતી જ્ઞાનકોશ તૈયાર કરવાની યોજના બનાવી હતી. ગુજરાતી જ્ઞાનકોશનો પ્રથમ ગ્રંથ 1929માં પ્રકાશિત થયો, પરંતુ તે પછી આગળ કામ થયું નહિ. તેમણે એનસાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં પણ સહયોગ આપ્યો હતો.
અનિલ રાવલ
