સુભદ્રાબહેન શ્રોફ


જ. 9 ફેબ્રુઆરી, 1915, અ. 26 માર્ચ, 2006

ગુજરાતનાં સ્વાતંત્ર્યસેનાની અને કન્યાકેળવણીના પાયાનાં કાર્યકર સુભદ્રાબહેન શ્રોફનો જન્મ સૌરાષ્ટ્રના જેતલસર ગામમાં થયો હતો. પિતા ચીમનલાલ શ્રોફ વડોદરાના કલાભવનના પ્રિન્સિપાલ હતા. સુભદ્રાબહેને મૅટ્રિક સુધીનું શિક્ષણ વડોદરામાં લીધું હતું. 1936માં તેઓ અંગ્રેજી વિષય સાથે એમ.એ. થયાં. એ પછી તેઓ નડિયાદના વિઠ્ઠલ કન્યા-વિદ્યાલયમાં જોડાયાં, પરંતુ રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લેવા માટે સંસ્થામાંથી રાજીનામું આપ્યું અને સ્વાતંત્ર્યસેનાનીઓની ટુકડીમાં જોડાયાં. ખેડા જિલ્લાના નાના ગામમાં ભાષણ આપીને સ્વાતંત્ર્યની લડતનો પ્રચાર કરતાં સુભદ્રાબહેન પકડાયાં. તેમને ત્રણ માસની જેલની સજા થઈ. જેલવાસ દરમિયાન સુભદ્રાબહેનનાં માતુશ્રી બીમાર પડ્યાંના સમાચાર આવ્યા. પોતે પેરોલ પર છૂટી શકે, પરંતુ એ માટે કોઈ પણ ચળવળમાં ભાગ નહીં લેવાની લેખિત બાંયધરી આપવી પડે. એ એમને મંજૂર ન હતું. સુભદ્રાબહેન જેલમાં જ રહ્યાં. તેમનાં માતુશ્રી અવસાન પામ્યાં. દુ:ખદ પ્રસંગે પણ મક્કમતાથી તેમણે જેલવાસ પૂરો કર્યો હતો. ત્યાર પછી તેઓ વડોદરા અને મુંબઈમાં રાષ્ટ્રીય શાળામાં જોડાયાં. દરબાર ગોપાળદાસે, સુભદ્રાબહેન શ્રોફ અને સુમતિબહેન વૈદ્યને રાજકોટમાં કન્યાકેળવણી માટેની સંસ્થા શરૂ કરવાનું આમંત્રણ આપ્યું. 1946ની 9મી જૂને દરબારસાહેબ, ભક્તિબા અને ઢેબરભાઈના પ્રયત્નોથી, નારણદાસભાઈ ગાંધીના સહયોગથી રાષ્ટ્રીય શાળાના મકાનમાં શ્રી વલ્લભ કન્યા વિદ્યાલયની શરૂઆત શ્રી શામળજીભાઈ વિરાણીના પુત્રોની નાણાકીય સહાયથી થઈ. શરૂઆતમાં 11 ધોરણ સુધીની શાળા અને છાત્રાલય શરૂ કરવામાં આવ્યાં હતાં. એ પછી બાળમંદિર, પ્રાથમિક શાળા, પ્રી-પીટીસી, ઉચ્ચતર માધ્યમિક, વ્યક્તિત્વ વિકાસ-કેન્દ્ર અને લોકવિજ્ઞાન-કેન્દ્ર જુદા જુદા સમયે શરૂ કરવામાં આવ્યાં. તેઓએ 1946થી 1966 સુધી સતત 20 વર્ષ આ સંસ્થાના આચાર્યપદે રહી 50 વર્ષની વયે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી. 1964માં સંસ્થાનાં નિયામક બન્યાં તથા 24 વર્ષ કાર્યરત રહ્યાં. 1965માં ગુજરાત રાજ્યનો શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો ઍવૉર્ડ તેમને આપવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્ર, મુંબઈ અને ગુજરાત સરકારના મહિલા ઉદ્યોગ, પાઠ્યપુસ્તક, પ્રૌઢશિક્ષણ સહિત અનેક મહત્ત્વની સમિતિઓમાં વર્ષો સુધી સક્રિય સભ્ય રહ્યાં હતાં.