Categories
વાચન સમૃદ્ધિ

રમેશ પારેખ

જ. ૨૭ નવેમ્બર, ૧૯૪૦ અ. ૧૭ મે, ૨૦૦૬

ગુજરાતી સાહિત્યના અગ્રણી ગીતકવિ, વાર્તાકાર અને બાળસાહિત્યકાર રમેશ પારેખનો જન્મ અમરેલીમાં મોહનલાલ અને નર્મદાબહેનને ત્યાં થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વતન અમરેલીમાં જ લીધેલું. ૧૯૫૮માં મૅટ્રિક થયા. ૧૯૬૦થી જિલ્લા પંચાયત,  અમરેલી સાથે સંલગ્ન. માતા અને જન્મભૂમિ માટેનો પ્રેમ તેમની સર્જકતાનાં પ્રેરક બળો રહ્યાં છે. નાનપણથી જ સંગીતનો શોખ. એમણે ‘મૉરલ મ્યુઝિક ક્લબ’ પણ સ્થાપેલી. તેમને ચિત્રકલા, જ્યોતિષ અને હિપ્નૉટિઝમમાં પણ રસ હતો. કવિ અનિલ જોશીની મૈત્રીએ તેમને પ્રેરણા આપેલી. એ રીતે એમની આધુનિકતાની સમજણ પણ ઘડાતી રહી. ૧૯૭૭થી તેઓ રાજકોટમાં રહેતા હતા. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ક્યાં ? ૧૯૭૦માં પ્રગટ થતાં તેમની એક અગ્રણી કવિ તરીકેની ગણના થવા માંડી. તેમની પાસેથી ‘ખડિંગ’, ‘ત્વ’, ‘સંનનન’, ‘ખમ્મા આલા બાપુને’, ‘મીરા સામે પાર’ ‘વિતાન સુદ બીજ’, ‘છાતીમાં બારસાખ’, ‘સ્વાગત પર્વ’ વગેરે મળી ૧૨ જેટલા કાવ્યસંગ્રહો મળ્યા છે. આ કવિની કવિતામાં ભાવ, ભાષા અને અભિવ્યક્તિની તાજગી, નવીનતા અને વૈવિધ્ય પ્રાપ્ત થાય છે. ‘છ અક્ષરનું નામ’ (૧૯૯૨) તેમની સમગ્ર કવિતાનો સંગ્રહ છે. તેમણે અનેક કાવ્યરૂપોમાં સર્જન કર્યું છે, પણ ગીત અને ગઝલ પર વિશેષ પ્રભુત્વ છે. એમનાં અનેક ગીતો લોકકંઠે સચવાયાં છે.

‘સ્તનપૂર્વક’ એમનો વાર્તાસંગ્રહ છે અને ‘સગપણ  એક ઉખાણું’ તેમનું ત્રિઅંકી નાટક છે.

ગુજરાતી બાળસાહિત્યક્ષેત્રે તેમનું પ્રદાન ચિરસ્મરણીય છે. ‘હાઉક’, ‘ચીં’, ‘હસીએ ખુલ્લમ્-ખુલ્લા’, ‘ચપટી વગાડતાં આવડી ગઈ’ – એ તેમના બાળકાવ્યસંગ્રહો છે. બાળભોગ્ય ધિંગામસ્તીનું વિષયવસ્તુ તેમજ ગેયતાને કારણે તેમનાં બાળકાવ્યો બાળપ્રિય બન્યાં છે. ‘હું ને ચંદુ છાનામાના’, ‘એકડો સાવ સળેકડો’ વગેરે કાવ્યો  ખૂબ લોકપ્રિય થયાં છે. તેમની પાસેથી પાંચેક બાળવાર્તાસંગ્રહો મળ્યા છે. ‘કોનું કોનું જાંબુ ?’ તેમની ખૂબ જાણીતી વાર્તા છે. તેમને વિવિધ સંસ્થાઓ તરફથી અનેક પુરસ્કારો પ્રાપ્ત થયા છે. તેમાં કુમાર ચંદ્રક, નર્મદચંદ્રક, ૧૯૮૬નો રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૮૮નો ગિજુભાઈ બધેકા સુવર્ણચંદ્રક, ૧૯૯૪નો દિલ્હી સાહિત્ય  અકાદેમી પુરસ્કાર, ૨૦૦૪માં નરિંસહ મહેતા ઍવૉર્ડ તથા ૨૦૧૧નો દિલ્હી સાહિત્ય અકાદેમીનો ‘બાળ સાહિત્ય પુરસ્કાર’નો સમાવેશ થાય છે.

શ્રદ્ધા ત્રિવેદી

Categories
વાચન સમૃદ્ધિ

જળધોધ-જળપ્રપાત

નદીમાર્ગમાં વહી જતો જળજથ્થો ઉપરથી નીચે તરફ, લંબદિશામાં એકાએક નીચે પડે એવી જલપાતસ્થિતિ. લંબદિશાને બદલે વધુ ઢોળાવની સ્થિતિ રચાય ત્યારે ઘણી ઝડપથી પરંતુ તૂટક તૂટક રીતે જલપાત થવાની ક્રિયાને જળપ્રપાત કહે છે. જળધોધ કે જળપ્રપાતની સ્થિતિ ઉત્પન્ન થવા માટે ઘણા જુદા જુદા ભૂપૃષ્ઠરચનાત્મક કે ભૂસ્તરીય સંજોગો કારણભૂત હોય છે. નદીના જળવહનમાર્ગમાં ઓછીવત્તી દૃઢતાવાળા જુદા જુદા ખડકસ્તરોનાં પડ વારાફરતી (ઉપર દૃઢ અને નીચે પોચાં) આવેલાં હોય ત્યારે તેમાં થતા ભિન્ન ભિન્ન ઘસારાપ્રમાણને કારણે જળધોધ કે જળપ્રપાત રચાય છે. વધુ જાડાઈવાળા ઉપરના દૃઢ સ્તરો ઓછા ઘસાવાથી અને વધુ જાડાઈવાળા નીચેના પોચા સ્તરો વધુ પડતા ઊર્ધ્વ દિશામાં ઘસાવાથી જળધોધ, તથા આવાં જ લક્ષણોવાળા પણ ઓછી જાડાઈવાળા સ્તરોના ત્રાંસા ઢોળાવમાં ઘસાવાથી જળપ્રપાત તૈયાર થાય છે. જળધોધમાં જોવા મળતી ઊભી ખડક-દીવાલ, ઉપરથી નીચે તરફ, ઘસાતી જાય તો ઊંચાઈ ઘટતી જાય અને ધોધમાંથી પ્રપાત બની જવાની સ્થિતિ રચાય છે. અમેરિકા-કૅનેડાની સરહદ નજીકના જગપ્રખ્યાત નાયગરાના જળધોધની હેઠવાસમાં જળપ્રપાત તૈયાર થયેલા જોવા મળે છે. કૉલોરેડોનાં ભવ્ય કોતરોમાં શ્રેણીબદ્ધ જળપ્રપાત રચાયેલા છે. કૅનેડાના મૉન્ટ્રિયલ પાસે સેન્ટ લૉરેન્સ નદીમાં જળપ્રપાત આવેલા છે.

નદીના વહનમાર્ગમાં આડો સ્તરભંગ પસાર થતો હોય, ઉપરવાસ તરફ સ્તરભંગની ઊર્ધ્વપાત બાજુ હોય તો ભેખડ(કરાડ)ની રચના થાય છે અને તેથી જળજથ્થો એકાએક નીચે પડે છે – જળધોધ બને છે.

ઘણા ઉચ્ચસપાટ પ્રદેશો (plateaus) લાવાના ખડકોના ઉપરાઉપરી થરોથી બનેલા હોય, ઉપરનીચેના થરોનું બંધારણ જુદું જુદું હોય, તો ભિન્ન ભિન્ન ઘસારાપ્રમાણથી, ત્યાં વહેતી નદી જળધોધ કે જળપ્રપાતની સ્થિતિ સર્જે છે. એ જ પ્રકારના ખડકથરોમાં ઊભા સાંધા (joints) પડેલા હોય, હેઠવાસનો વિભાગ સાંધામાંથી તૂટી પડતાં, નદીમાર્ગમાં ઊંચાઈનો ફેરફાર લાવી મૂકે છે અને ધોધ કે જળપ્રપાતની રચના થાય છે. યુ.એસ.એ.ના ઇડાહો રાજ્યમાં સ્નેક નદીના શોશોન, ટિવન અને અમેરિકન ધોધ; તથા દક્ષિણ આફ્રિકાની ઝામ્બેસી નદીનો વિક્ટોરિયા ધોધ આ પ્રકારના છે.

સામાન્ય રીતે મુખ્ય નદીઓ ઊંડી ખીણો બનાવતી હોય છે, જ્યારે શાખાનદીઓ છીછરી તેમજ ઊંચાઈએ રહેલી ખીણો બનાવે છે. ઊંચાઈએ રહેલી શાખાનદીઓની ખીણો ‘ઝૂલતી ખીણ’ તરીકે ઓળખાય છે. ઝૂલતી ખીણમાંનું ઊંચાઈએથી મુખ્ય નદીમાં પડતું પાણી જળધોધની સ્થિતિ રચે છે.

જળધોધની ઊંચાઈ, સ્વરૂપ અને પડતા પાણીનો જથ્થો સ્થાન અને સંજોગભેદે જુદાં જુદાં હોઈ શકે છે. જળધોધ દુનિયાના બધા જ દેશોની નદીઓમાં, મોટે ભાગે પર્વતપ્રદેશોમાં, ઉચ્ચસપાટ પ્રદેશોમાં જોવા મળે છે. જળપ્રપાત સામાન્ય રીતે જળધોધના ઉપરવાસમાં અને હેઠવાસમાં મળતા હોય છે, તેમ છતાં જળધોધ ન હોય એવી નદીઓમાં પણ જળપ્રપાત હોઈ શકે છે. ભારતમાં જોગનો ધોધ પ્રપાત તરીકે ઓળખાય છે.

જળધોધ અને જળપ્રપાત વહાણવટા માટે બાધારૂપ નીવડે છે. આવી સ્થિતિ હોવા છતાં વહાણવટા માટે કે હોડીઓની હેરફેર માટે ઉપયોગમાં લેવાતા જળમાર્ગો માટે નહેરોના બાંધકામનું આયોજન, લૉકગેટની વ્યવસ્થા સહિત કર્યું હોય તો જ બંને બાજુના જળસ્તર સમાન કરી શકાય અને હેરફેર શક્ય બને.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

ગિરીશભાઈ પંડ્યા

Categories
વાચન સમૃદ્ધિ

યશ પાલ

જ. ૨૬ નવેમ્બર, ૧૯૨૬ અ. ૨૪ જુલાઈ, ૨૦૧૭

ભારતના ખ્યાતનામ ભૌતિકવિજ્ઞાની અને કેળવણીકાર. તેમનો જન્મ ઝંગ(હાલ પાકિસ્તાન)માં થયો હતો.

પંજાબ યુનિવર્સિટીમાંથી ૧૯૪૮માં બી.એસસી. અને ૧૯૪૯માં એમ.એસસી. થયા બાદ યશ પાલે ૧૯૫૦માં તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફન્ડામેન્ટલ રિસર્ચ, મુંબઈ ખાતે કૉસ્મિક કિરણો અને ઉચ્ચ-ઊર્જા ભૌતિકી ઉપર સંશોધનકાર્ય શરૂ કર્યું. ૧૯૫૮માં તેમણે મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. ૧૯૮૩ સુધી તેઓ તાતા ઇન્સ્ટિટ્યૂટમાં પ્રાધ્યાપક હતા તે દરમિયાન ઘણી સંસ્થાઓના તેઓ મુલાકાતી અધ્યાપક હતા. મૂળભૂત કણોના ક્ષેત્રે તેમણે પાયાનું સંશોધનકાર્ય કર્યું છે. ઉચ્ચ-ઊર્જા આંતરક્રિયાનું પાયોનાઇઝેશન-વિખંડન પરિરૂપ તેમણે તૈયાર કર્યું હતું. ૧૯૭૩માં તેઓ ટૅકનૉલૉજી, સંદેશાવ્યવહાર, શિક્ષણ અને વિકાસ સાથે સંકળાયેલાં ક્ષેત્રો તરફ વળ્યા અને અમદાવાદ ખાતે આવેલ સ્પેસ ઍપ્લિકેશન સેન્ટરના પ્રથમ નિયામક તરીકે ૧૯૭૩થી ૧૯૮૧ સુધી સંચાલન કરેલું. અહીં તેમની જવાબદારી ભારતના સૌથી પછાત એવાં કેટલાંક હજાર ગામોમાં શિક્ષણ અને વિકાસ માટે ઉપગ્રહ આધારિત સીધા ટેલિવિઝન પ્રસારણનો ઉપયોગ થઈ શકે કે કેમ તે ચકાસવા માટેનો એક સામાજિક ટૅકનિકલ પ્રયોગ કરવાની હતી. ૧૯૮૬થી ૧૯૯૧ દરમિયાન તેમને અનેક પ્રકારની જવાબદારી સોંપવામાં આવી હતી. આ દરમિયાન તેમણે શાળાનાં બાળકો માટે ‘ભાર વિનાના ભણતર’નો વ્યાવહારિક ખ્યાલ આપ્યો હતો. ૧૯૯૫માં ભારત સરકારે તેમને નૅશનલ રિસર્ચ પ્રોફેસર તરીકે નીમ્યા હતા.

તેમણે ભારતની ઘણી વિજ્ઞાનસંસ્થાઓના અધ્યક્ષ કે પ્રમુખ તરીકે કાર્ય કર્યું હતું. ૧૯૭૭માં તેઓ ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમીના ફેલો તરીકે ચૂંટાયેલા. આ ઉપરાંત પણ તેઓ અનેક સંસ્થાઓના માનાર્હ ફેલો હતા. તેમણે અનેક યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલર તરીકે પણ સેવાઓ આપેલી. તેમને તેમના પ્રદાનના સંદર્ભમાં અનેક ઍવૉર્ડ્સ મળ્યા હતા; જેમ કે, ૧૯૮૦માં માર્કોની ઇન્ટરનેશનલ ફેલોશિપ ઍવૉર્ડ, ૧૯૯૨માં લૉર્ડ પેરી ઍવૉર્ડ ફોર એક્સેલન્સ ઇન ડિસ્ટંટ એજ્યુકેશન, ૧૯૯૮માં ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસ ઍસોસિયેશનનો સર આશુતોષ મુકરજી સુવર્ણચંદ્રક વગેરે. ભારત સરકાર તરફથી તેમને ૧૯૭૬માં ‘પદ્મભૂષણ’, ૨૦૧૩માં ‘પદ્મવિભૂષણ’થી પણ સન્માનિત કરવામાં આવેલા. ૨૦૦૬માં મેઘનાદ સહા ઍવૉર્ડ પણ મળેલો. તેમનું મૃત્યુ નોઇડા(ઉત્તરપ્રદેશ)માં આંતરડાની માંદગીને કારણે થયું હતું.

અનિલ રાવલ