Categories
વાચન સમૃદ્ધિ

દુલારી

જ. ૧૮ એપ્રિલ, ૧૯૨૮ અ. ૧૮ જાન્યુઆરી, ૨૦૧૩

હિંદી સિનેમાનાં જાણીતાં ચરિત્ર અભિનેત્રી દુલારીનો જન્મ નાગપુર, મહારાષ્ટ્રમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમનું મૂળ નામ અંબિકા ગૌતમ હતું. તેમનું ઉપનામ રાજદુલારી હતું, પરંતુ પાછળથી તેઓ દુલારી નામથી પ્રસિદ્ધિ પામ્યાં. તેમના પિતાને એક સમયે મોટી માંદગી આવી જતાં કુટુંબના ભરણપોષણ માટે દુલારીને નાની વયથી જ કામ કરવું પડ્યું. તેમને સૌપ્રથમ બૉમ્બે ટૉકીઝ દ્વારા નિર્મિત ‘બહન’ (૧૯૪૧) અને ‘હમારી બાત’ (૧૯૪૩) જેવી ફિલ્મોમાં અભિનય કરવાની તક મળી અને તેમની ફિલ્મી કારકિર્દીનો આરંભ થયો. તેમની સૌથી વધુ નોંધપાત્ર ફિલ્મ ‘જીવનજ્યોતિ’ (૧૯૫૩) હતી. તે ઉપરાંત કેટલીક મહત્ત્વપૂર્ણ ફિલ્મો ‘પતિ સેવા’ અને ‘રંગીન કહાની’ ગણાય છે. અન્ય હિંદી ફિલ્મોમાં ‘આંખ કા તારા’, ‘આખિરી ડાકૂ’, ‘દરિંદા’, ‘આહુતિ’, ‘નાસ્તિક’, ‘દિલ્લગી વગેરેનો સમાવેશ થાય છે. તેમણે ગુજરાતી ફિલ્મો ‘ચૂંદડી અને ચોખા’, ‘ગુણસુંદરી’, ‘મંગળફેરા’ વગેરેમાં અભિનયનાં અજવાળાં પાથર્યાં છે. ૧૯૬૦ના દશકથી માંડીને ૧૯૭૦ના દશક સુધી તેમણે રૂઢિવાદી માની ભૂમિકા નિભાવી. ‘જબ પ્યાર કિસીસે હોતા હૈ’ (૧૯૬૧), ‘મુઝે જીને દો’ (૧૯૬૩), ‘જોની મેરા નામ’, ‘દીવાર’ (૧૯૭૫) વગેરે ફિલ્મોમાં તેમનો અભિનય યાદગાર બની રહ્યો. તેમની આખરી ફિલ્મ ગુડ્ડૂ ધનોઆનિર્દેશિત ‘જિદ્દી’ (૧૯૯૭) હતી. તેમણે ૧૯૫૨માં સાઉન્ડ રેકૉર્ડિસ્ટ જે. બી. સાથે લગ્ન કર્યાં હતાં. તેમણે વ્યવસાય અને સાંસારિક ફરજો પ્રત્યેનું સંતુલન કુશળતાપૂર્વક જાળવી રાખ્યું. તેમણે કુલ મળીને ૧૩૫ ફિલ્મોમાં કામ કર્યું. ત્યાર બાદ અભિનયક્ષેત્રે નિવૃત્તિ લઈ લીધી. બાકીનું જીવન ફિલ્મોથી દૂર શાંતિપૂર્વક વ્યતીત કર્યું. મહારાષ્ટ્રના પુણેમાં એક વૃદ્ધાશ્રમમાં તેમણે અંતિમ શ્વાસ લીધા.

Categories
વાચન સમૃદ્ધિ

સાઇબીરિયા

ઉત્તર એશિયાનો રશિયાના તાબા હેઠળનો ભૂમિવિસ્તાર.

તે આશરે ૪૨° ઉ. અ.થી ૮૦° ઉ. અ. અને આશરે ૬૪ પૂ. રે.થી ૧૭૦° ૫. રે. વચ્ચે આવેલો છે. તેના ઉત્તર ભાગમાંથી ઉ.ધ્રુવવૃત્ત (૬૬ ૧/૨૦ ઉ. અક્ષાંશવૃત્ત) પસાર થાય છે. તેના પૂર્વ છેડાના ભાગોને ૧૮૦ રેખાંશવૃત્ત સ્પર્શે છે. પશ્ચિમે યુરલ પર્વતમાળાથી પૂર્વે પ્રશાંત મહાસાગરના કાંઠા સુધી સાઇબીરિયાનો પ્રદેશ આશરે ૧૩ કરોડ ચોકિમી. વિસ્તારને આવરે છે. સાઇબીરિયા પૃથ્વીનો લગભગ 10 % ભૂમિવિસ્તાર તથા રશિયાનો આશરે ૭૭% વિસ્તાર આવરી લે છે. ઉત્તરમાં મહાસાગરથી દક્ષિણ તરફ જતાં તે કઝાખસ્તાનની ટેકરીઓ તથા ચીન અને મૉંગોલિયાની સરહદને સ્પર્શે છે. આર્કટિકના ભાગ રૂપે કારા સમુદ્ર, લેપ્ટેવ સમુદ્ર, પૂર્વ સાઇબીરિયાનો સમુદ્ર, ચુકચી વગેરે સમુદ્રો આવેલા છે. તેમાં સેવેરનાયા ઝેમલ્યા, ન્યૂ સાઇબીરિયન, રેન્ગેલ (Wrangel) વગેરે ટાપુઓ આવેલા છે. બેરિંગ તથા ઓખોટ્સ્ક સમુદ્ર પૅસિફિક મહાસાગરના ઉપસમુદ્રો છે. તેના દરિયાકાંઠાના ભાગોમાં કામચત્કા તથા ચુકચી દ્વીપકલ્પો તેમ જ સખાલીન, ક્યુરાઇલ (Kuril) વગેરે દ્વીપો આવેલા છે. સાઈબીરિયાની વસ્તી ૩ કરોડ ૬૮ લાખ જેટલી છે (૨૦૨૩).

નૉવોસીબિસ્ક રેલવે-સ્ટેશન, સાઇબીરિયા

આ પ્રદેશના નામનો શબ્દ ‘સાઇબીરિયા’ પ્રાચીન ટર્કિક (Turkic) શબ્દ છે. ‘સ્લીપિંગ લૅન્ડ’ અથવા ‘બ્યૂટીફુલ’ અર્થવાળા શબ્દ ઉપરથી તે નામ પાડવામાં આવ્યું હોય એવું મનાય છે; જ્યારે અમુક લોકોના મત પ્રમાણે આ નામ ત્યાં વસવાટ કરતી પ્રાચીન વિચરતી જાતિ ‘સાબિર’ (Sabir) પરથી પડ્યું છે. આ સાબિર જાતિ પછીથી ‘સાઇબીરિયન તાર્તાર’ નામે જાણીતી બની હતી. પ્રાકૃતિક દૃષ્ટિએ સાઇબીરિયાને મુખ્યત્વે ચાર વિભાગોમાં વહેંચી શકાય : (૧) પશ્ચિમ સાઇબીરિયાનાં મેદાનો, જેમની રચના ઑબ- યેનિસી નદીઓ તથા તેમની ઉપનદીઓએ કરી છે. આ મેદાનો કાદવકીચડ અને જંગલવાળાં છે. (૨) મધ્ય સાઈબીરિયાનો ઉચ્ચપ્રદેશ ઓબ-યેનિસી નદીઓનાં મેદાનોથી પૂર્વ બાજુએ છેક લીના(Lena) નદીની ખીણ સુધી વિસ્તરેલો છે. તે સમુદ્રસપાટીથી લગભગ ૨૦૦થી ૨,૦૦૦ મી.ની ઊંચાઈ ધરાવે છે. (૩) સાઇબીરિયાની દક્ષિણમાં તથા પૂર્વમાં પર્વતીય હારમાળાઓ આવેલી છે, જેમાં અનેક સક્રિય તથા નિષ્ક્રિય જવાળામુખીઓ છે. છેક દક્ષિણમાં અલ્તાઈ(Altai)ની ગિરિમાળા આવેલી છે. તેનું સૌથી ઊંચામાં ઊંચું શિખર બેલુખા ૪,૫૦૬ મી.ની ઊંચાઈએ આવેલું છે. તેની પૂર્વ તરફ સાયન ગિરિમાળા આવેલી છે. તેની પડોશમાં દુનિયાનું સૌથી ઊંડું સરોવર બૈકલ, ધનુષાકારે લગભગ ૩૧,૦૮૦ ચોકિમી.ના વિસ્તારમાં પથરાયેલું છે. સાઇબીરિયાના ઉત્તરના ટુન્ડ્ર પ્રદેશમાં ધ્રુવીય શિયાળ અને રીંછ, લેમિન્ગ્ઝલ, રૅન્ડિયર વગેરે પ્રાણીઓ જોવા મળે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સાઇબીરિયા, પૃ. ૯0)

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

મણિરામ દત્તા બરુઆ

જ. ૧૭ એપ્રિલ, ૧૮૦૬ અ. ૨૬ ફેબ્રુઆરી, ૧૮૫૮

આસામમાં ચાના બગીચા સ્થાપનારા પ્રથમ લોકોમાંના એક મણિરામ દત્તાનો જન્મ આસામના ઉમરાવ પરિવારમાં થયો હતો. તેમના પૈતૃક પૂર્વજો અહોમ કોર્ટમાં ઉચ્ચ હોદ્દા પર હતા. તેઓ મણિરામ ‘દીવાન’ તરીકે પણ જાણીતા હતા. ઉચ્ચ આસામના લોકોમાં તેઓ ‘કલિતા રાજા’ (કલિતા જાતિના રાજા) તરીકે જાણીતા હતા. તેમની કારકિર્દીની શરૂઆતમાં તેઓ ઉત્તર-પૂર્વ ભારતના ગવર્નર જનરલના એજન્ટ ડેવિડ સ્કોટ હેઠળ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વહીવટમાં વફાદાર સહયોગી બન્યા હતા. ૧૮૨૮માં ૨૨ વર્ષીય મણિરામને સ્કોટના નાયબ કેપ્ટન જોન બ્રાયન ન્યુફવિલે હેઠળ રંગપુરના તહસીલદાર અને શેરીસ્તાદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પાછળથી ૧૮૩૩-૩૮ દરમિયાન આસામના નામાંકિત શાસક પુરંદરિંસઘ દ્વારા મણિરામને બોરભંડાર (વડાપ્રધાન) બનાવવામાં આવ્યા હતા. મણિરામે અંગ્રેજોને સિંગફો લોકો દ્વારા ઉગાડવામાં આવતી આસામની ચા વિશે માહિતી આપી હતી, જે અત્યાર સુધીના બાકીના વિશ્વ માટે અજાણ હતી. ૧૮૩૩માં ચાઇનીઝ ચાના વેપાર પરનો એકાધિકાર સમાપ્ત થયા પછી  ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં ચાનાં મોટાં વાવેતરો સ્થાપવાનું નક્કી કર્યું, જેમાં ચાની ખેતી માટે યોગ્ય સ્થાન માટે આસામનું નામ સૂચવવામાં આવ્યું. પુરંદરિંસઘના પ્રતિનિધિ તરીકે મણિરામ ડૉ. વાલિચને મળ્યા અને ચાની ખેતી માટે પ્રદેશની સંભાવનાઓ પર પ્રકાશ પાડ્યો. ૧૮૩૯માં મણિરામ નાઝીરા ખાતે આસામ ટી. કંપનીમાં દીવાન બન્યા. દર મહિને ૨૦૦ રૂ.નો પગાર મેળવતા હતા. ૧૮૪૦માં અધિકારીઓ સાથેના મતભેદોને કારણે તેમણે નોકરી છોડી દીધી. આટલા સમયમાં મણિરામે ચાની ખેતીની કુશળતા મેળવી લીધી હતી. તેમણે જોરહાટમાં સિન્નામારા ખાતે પોતાનો ચાનો બગીચો બનાવ્યો. આમ આસામમાં વ્યાપક રીતે ચા ઉગાડનાર પ્રથમ ભારતીય ચા પ્લાન્ટર બન્યા. ચા ઉપરાંત મણિરામે આયર્ન સ્મેલ્ટિંગ, સોનાની પ્રાપ્તિ અને મીઠાના ઉત્પાદનમાં પણ સાહસ કર્યું. તેમની અન્ય વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં હૅન્ડલૂમ, બોટ મેકિંગ, હોઝિયરી, કટલરી, ડાઇંગ, હાથીદાંતનું કામ, સિરામિક, કૃષિ ઉત્પાદનો, હાથીનો વેપાર વગેરેનો સમાવેશ થાય છે. ૧૮૫૭ના બળવા દરમિયાન અંગ્રેજો વિરુદ્ધ કાવતરું ઘડવા બદલ તેમને ફાંસી આપવામાં આવી હતી. ગુવાહાટીનું મણિરામ દીવાન ટ્રેડ સેન્ટર અને દિબ્રુગઢ યુનિવર્સિટીની બોય્ઝ હોસ્ટેલને મણિરામ દીવાન બૉય્ઝ હૉસ્ટેલ નામ આપવામાં આવ્યું છે.