Categories
વાચન સમૃદ્ધિ

ભનુભાઈ ર. વ્યાસ ‘સ્વપ્નસ્થ’

જ. ૧૩ નવેમ્બર, ૧૯૧૩ અ. ૨૩ ઑક્ટોબર, ૧૯૭૦

કવિ, વાર્તાકાર ભનુભાઈનું બીજું નામ લક્ષ્મીનારાયણ હતું અને ‘મોહન શુક્લ’ તેમનું બીજું ઉપનામ હતું. રાજકોટમાં જન્મેલા આ કવિનું વતન જામનગર હતું. જ્ઞાતિએ પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ રાજકોટમાં લીધેલું. મૅટ્રિક સુધીનો અભ્યાસ કરેલો. ૧૯૩૩થી ૧૯૪૪ સુધી મુંબઈમાં ઝંડુ ફાર્માસ્યૂટિકલ વર્ક્સમાં કામ કરેલું. પછી થોડો સમય ‘વંદેમાતરમ્’ અને ‘સંસ્કાર’ સામયિકોમાં કામ કર્યું. ક્ષયની બીમારીને કારણે જામનગરમાં જઈ કેટલોક સમય આરામ કર્યા બાદ ૧૯૪૮માં પાછા મુંબઈ ગયા અને ત્યાં ‘આસોપાલવ’, ‘નૂતન ગુજરાત’ અને ‘હિંદુસ્તાન પત્રો’માં કાર્ય કર્યું. ૧૯૫૦થી યુ.એસ.એસ.આર.ના પબ્લિસિટી વિભાગ, દિલ્હીમાં ગુજરાતી ભાષાંતરકાર તરીકે કામ કર્યું. ૧૯૩૬માં કવિ કાન્તનાં પુત્રી ડોલર સાથે લગ્ન થયું. ગાંધીયુગીન કવિતાનો થોડોક પ્રભાવ ઝીલવા છતાં ગાંધીવિચારસરણી કરતાં સામ્યવાદી વિચારસરણી તરફ આસ્થાવાળા આ કવિમાં પ્રગતિશીલ સર્જકોનો મિજાજ વિશેષ છે. તેમની પાસેથી કેટલાંક દીર્ઘ કાવ્યો મળ્યાં છે. સૉનેટ, ગીત અને છંદોબદ્ધ કાવ્યોના ‘અજંપાની માધુરી’ સંગ્રહમાં વાસ્તવિકતા અને પ્રકૃતિનાં કાવ્યો વિશેષ જોવા મળે છે. ‘રાવણહથ્થો’ની રચનાઓમાં સમાજમાં પ્રવર્તતાં શોષણ, ગરીબાઈ અને ગુલામી જોઈને અજંપો અનુભવતા કવિનો રોષ અને વેદના વ્યક્ત થયાં છે. ‘લાલ સૂર્ય’ એ કવિની સામ્યવાદી વિચારધારા પરની આસ્થાને વ્યક્ત કરતો કાવ્યસંગ્રહ છે. ‘ચિરવિરહ’ (૧૯૭૩) એ એમનો મરણોત્તર પ્રકાશિત કાવ્યસંગ્રહ છે.

‘દિનરાત’ અને ‘ધૂણીનાં પાન’ એમના ટૂંકી વાર્તાના સંગ્રહો છે. વસ્તુ તરફ જોવાનો કવિનો વાસ્તવવાદૃી અભિગમ અને ઝીણું રેખાંકન આ વાર્તાઓની વિશેષતા છે. ‘જાહનવી’ એ નવલકથા અને ‘શોધ’ એ ‘મોહન શુક્લ’ના નામે લખાયેલી લઘુનવલ છે. આ ઉપરાંત તેમની પાસેથી કેટલુંક અનુવાદ સાહિત્ય પણ મળ્યું છે. તો એમણે અન્ય સાથે મળી કેટલુંક સંપાદનકાર્ય પણ કર્યું છે. ‘યુગપુરુષ ગાંધી’, ‘પૂનમનાં પોયણાં’, ‘પલટાતો જમાનો’ એ એમના અનૂદિત ગ્રંથો છે. તેઓ સોવિયેત પ્રચાર વિભાગમાં ગુજરાતી ભાષાંતરકાર તરીકે રહ્યા હોવાથી ભાષાંતર પર એમની હથોટી સારી હતી.

શ્રદ્ધા ત્રિવેદી

Categories
વાચન સમૃદ્ધિ

શિયાળ

કૂતરાને મળતું આવતું વન્ય સસ્તન પ્રાણી.

ભારતમાં લગભગ બધી જગાએ શિયાળ જોવા મળે છે. ગામના પાદરે, શહેર-વિસ્તારમાં, નિર્જન ઝાડી કે ગીચ જંગલમાં શિયાળ વસે છે. હિમાલયમાં અને ભરતી-ઓટવાળા પ્રદેશમાં પણ શિયાળ જોવા મળે છે. લોંકડી એ શિયાળને મળતું પ્રાણી છે. ગામના પાદરે રાત્રે તેની કિકિયારી (લાળી) ઘણી વાર સંભળાય છે. લોંકડી કે શિયાળ કૂતરાની માફક પાળી શકાતાં નથી.

શિયાળ વરુ અને કૂતરા કરતાં કદમાં નાનું પ્રાણી છે. તેના શરીર પરની રુવાંટી ભૂખરા અને સોનેરી કે બદામી રંગની હોય છે. પેટ, કાન અને પગનો ભાગ બદામી જ્યારે ગળાનો, પીઠનો અને કાનનો બહારનો ભાગ કાળાશ પડતા સફેદ રંગનો હોય છે. શિયાળ માંસાહારી તેમ જ શાકાહારી હોવાથી તેને બંને પ્રકારના દાંત હોય છે. શિયાળને પાતળા પગ અને લાંબી, ગુચ્છાદાર પૂંછડી હોય છે. શિયાળનો મુખ્ય ખોરાક ફળ, કંદમૂળ, કીટકો, નાનાં પ્રાણી કે પક્ષીઓ હોય છે. મોટા પ્રાણીએ જે પ્રાણીનો  શિકાર કર્યો હોય તેના શબના બચેલા ભાગને તે આરોગે છે. ખાતાં વધે તો તે ક્યારેક દાટીને સાચવી રાખે છે અને જરૂર પડે ત્યારે ખોદીને તે આરોગે છે ! ભરતી-ઓટના પ્રદેશમાં રહેતાં શિયાળ માછલી, કરચલા વગેરે ખાય છે. ગામને પાદરે રહેતાં શિયાળ શાકભાજીની વાડીમાંથી શેરડી, તરબૂચ અને કાકડી ખાય છે. રાત્રે ખાઈને સવારે બોડ કે બખોલમાં ભરાઈને સૂઈ જાય છે.

શિયાળ સહેલાઈથી લાંબું અંતર દોડી શકે છે. શિયાળની જોડી જિંદગી પર્યંત સાથે હોય છે. માદા શિયાળ ૩થી ૪ બચ્ચાંને જન્મ આપે છે. નર અને માદા બંને બચ્ચાંની સંભાળ લે છે. બચ્ચાં જન્મે ત્યારે નિ:સહાય, બંધ આંખોવાળાં હોય છે. તેથી શિયાળ-માવતર બચ્ચાંને એકલાં મૂકતાં નથી. માતાનું દૂધ પીને બચ્ચાં મોટાં થાય છે. બાળવાર્તાઓમાં સામાન્ય રીતે શિયાળની ઓળખાણ લુચ્ચા-ખંધા પ્રાણી તરીકે અપાય છે, પણ ખરેખર તે કુટુંબભાવના ધરાવતું, બચ્ચાંની ખૂબ માવજત કરતું માયાળુ પ્રાણી છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

પાંડુરંગ મહાદેવ બાપટ

જ. ૧૨ નવેમ્બર, ૧૮૮૦ અ. ૨૮ નવેમ્બર, ૧૯૬૭

ભારતના અગ્રણી ક્રાંતિવીર, સ્વાતંત્ર્યસેનાની અને સાહિત્યકાર. મુળશી સત્યાગ્રહ દરમિયાન તેમના નેતૃત્વના પરિણામે તેમને લોકો ‘સેનાપતિ બાપટ’ના નામથી સંબોધવા લાગ્યા. તેમનો જન્મ રત્નાગિરિ જિલ્લાના ગુહાગર ગામમાં થયો હતો. નિમ્ન મધ્યમવર્ગમાં જન્મેલા હોવાથી બાળપણ વિકટ આર્થિક પરિસ્થિતિમાં વિતાવ્યું. ૧૮૯૨માં પુણેની ન્યૂ ઇંગ્લિશ શાળામાં પાંચ વર્ષના શિક્ષણ પછી અહમદનગરની હાઈસ્કૂલમાં ૧૮૯૯માં મૅટ્રિકની પરીક્ષા આપી. સારું પરિણામ આવવાથી શંકરશેટ શિષ્યવૃત્તિ મેળવી. ૧૯૦૦માં પુણેની ડેક્કન કૉલેજમાં શિક્ષણ મેળવી ૧૯૦૩માં મુંબઈની યુનિવર્સિટીની સ્નાતકની પરીક્ષા આપી. સારા પરિણામને હિસાબે ‘મંગળદાસ નાથુભાઈ’ શિષ્યવૃત્તિ મેળવી. જુલાઈ, ૧૯૦૪માં સ્કૉટલૅન્ડ એડિનબરોની કૉલેજમાં મિકૅનિકલ એન્જિનિયરિંગના અભ્યાસક્રમમાં જોડાયા. તેઓ એડિનબરોની બેલ કૉલેજમાં પ્રવેશ મેળવનાર પ્રથમ ભારતીય હતા, પરંતુ ભારતમાં બ્રિટિશ શાસનની સખત ટીકા કરવા અને એક ચર્ચાપત્રનું જાહેર સભામાં વાચન કરવા બદલ મુંબઈ યુનિવર્સિટીએ તેમની શિષ્યવૃત્તિ રદ કરી. જોકે ભારતના ક્રાંતિકારીઓને સહાય કરનાર શ્યામજી કૃષ્ણ વર્માએ તેમને આર્થિક સહાય કરી અને ઇન્ડિયા હાઉસમાં રહેવાની સગવડ કરી આપી. ત્યાંના નિવાસ દરમિયાન વીર સાવરકરના સંપર્કમાં આવ્યા. માર્ચ, ૧૯૦૮માં સ્વદેશ પાછા આવતી વખતે સાવરકરની સલાહથી બૉમ્બ બનાવવાની વિગત આપતી પરિચય-પુસ્તિકા લેતા આવ્યા.

૧૯૧૩થી ૧૯૧૫ સુધી વતન પારનેરમાં રહી નગરસફાઈ અભિયાન, અસ્પૃશ્યતા-નિવારણ વગેરે કાર્યક્રમોનું આયોજન કર્યું. ૧૯૧૫થી ૧૯૧૮ દરમિયાન પુણે ખાતે લોકમાન્ય ટિળક દ્વારા સંચાલિત ‘મરાઠા’ અંગ્રેજી વૃત્તપત્રના સહસંપાદકપદે તથા ૧૯૧૮થી ૧૯૨૦ દરમિયાન શ્રીધર વ્યંકટેશ કેતકર સંપાદિત મરાઠી વિશ્વકોશનું કાર્ય કર્યું. મરાઠી, અંગ્રેજી, સંસ્કૃત અને હિંદી – એમ ચારેય ભાષા પર તેમનું પ્રભુત્વ હતું. આથી ભગવદગીતા તથા ૧૩ ઉપનિષદોનું ‘હૉલી સૉંગ’ શીર્ષક હેઠળ અંગ્રેજીમાં, મહર્ષિ અરવિંદના ‘લાઇફ ડિવાઇન’નું મરાઠીમાં ભાષાંતર કર્યું હતું. તેમના સ્મરણાર્થે નાગપુરમાં તેમની પ્રતિમા બનાવવામાં આવી છે અને ૧૯૭૭માં ભારત સરકારે એક ટપાલટિકિટ પણ ચાલુ કરી છે.

રાજશ્રી મહાદેવિયા