Categories
વાચન સમૃદ્ધિ

જિરાફ

સસ્તન વર્ગનાં ઑર્ટિયોડેક્ટિલા (સમખુરવાળી) શ્રેણીના જિરાફિડી કુળનું પ્રાણી. શાસ્ત્રીય નામ Giraffa camelopardalis. જિરાફને જમીન પરના સૌથી ઊંચા પ્રાણી તરીકે વર્ણવી શકાય. તેની ઊંચાઈ મુખ્યત્વે તેની ડોકને આભારી છે અને તે ૫.૫ મી. કરતાં વધારે હોય છે. આગલા પગ સહેજ લાંબા હોવાને કારણે તેની પીઠ પાછળના ભાગ તરફ ઢળતી હોય છે. જોકે આ પ્રકારની રચના શરીરની સમતુલા જાળવવા અગત્યની છે. આમ તો શરીરની સમતુલા જાળવવા માટે પાણી પીવાનું હોય ત્યારે તે આગલા પગને પાર્શ્વ બાજુએથી એકબીજાથી દૂર ખસેડે છે. લાંબી ડોક ઊંચાં વૃક્ષોની ડાળી પરથી પાંદડાં ખાવા ટેવાયેલી હોય છે. જૂજ વૃક્ષો હોય તેવા ઘાસવાળા સપાટ પ્રદેશમાં મુખ્યત્વે ઊગતા બાવળનાં પાન ખાઈને જીવન ગુજારે છે. તેની પૂંછડી રુવાંટીવાળી હોય છે જ્યારે ડોકના આગળના ભાગમાં યાળ જેવા કેશ ધરાવે છે. જિરાફના માથાની ટોચે ચામડી વડે ઢંકાયેલાં બે નાનાં શિંગડાં છે, જ્યારે ત્રીજું શિંગડું આંખોની વચ્ચેના ભાગમાં આવેલું છે. જિરાફની ચામડી પીળાશ પડતી હોય છે. તેની ઉપર લીલાશ પડતાં બદામી રંગનાં ટપકાં અને ભૌમિતિક આકૃતિઓ જોવા મળે છે.

જિરાફ ટોળામાં રહે છે, જેમાં માદાની સંખ્યા વધારે હોય છે. એકાદ પુખ્ત નર અને નર બચ્ચાં આ ટોળામાં રહેતાં હોય છે. વૃદ્ધ નર સાવ એકલો રહે છે. જિરાફ મુખ્યત્વે પૂર્વ આફ્રિકાના કેન્યાના સવાના ઘાસનાં મેદાનોમાં જોવા મળે છે. ઉત્તરમાં તે સહરાના દક્ષિણ ભાગ સુધી વિસ્તરેલા હોય છે. દક્ષિણનાં જિરાફ દેખાવમાં ઉત્તરનાં જિરાફ કરતાં સહેજ ભિન્ન હોય છે. માનવના પર્યાવરણિક હસ્તક્ષેપને લીધે જિરાફની સંખ્યા સાવ ઘટી ગઈ છે. જિરાફ વાગોળનારું (ruminant) પ્રાણી છે. તેના લાંબા હોઠ અને લાંબી કમાન જેવી વળતી જીભ ઊંચા ઝાડ પર આવેલાં પાંદડાંને કરડી ખાવાની ક્ષમતા ધરાવે છે. જિરાફની નજર, ઘ્રાણસંવેદના અને શ્રવણશક્તિ તેજ હોય છે. હિંસક પ્રાણીઓમાં માત્ર સિંહ જિરાફનો શિકાર કરી શકે છે. તે લાત મારીને રક્ષણાત્મક પદ્ધતિ અપનાવે છે અને આશરે ૫૦ કિમી.ની ઝડપથી દોડી શકે છે. નર જિરાફ સામસામા લડે છે અને માથાં ભટકાવે છે. જિરાફનો અવાજ ભાગ્યે જ સંભળાય છે. તે ધીમો ઊંડો આહ જેવો અવાજ કાઢી શકે છે. માદા ૧૪થી ૧૫ માસની સગર્ભાવસ્થા બાદ એક બચ્ચાને જન્મ આપે છે. નવજાત શિશુ ૨ મી. ઊંચું હોય છે. જિરાફ આશરે ૨૦ વર્ષ સુધી જીવે છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

રા. ય. ગુપ્તે

Categories
વાચન સમૃદ્ધિ

કવિ પ્રદીપજી

જ. ૬ ફેબ્રુઆરી, ૧૯૧૫ અ. ૧૧ ડિસેમ્બર, ૧૯૯૮

હિંદીના કવિ અને ચલચિત્રજગતના વિખ્યાત ગીતકાર. મૂળ નામ રામચંદ્ર નારાયણજી દ્વિવેદી, પણ પ્રદીપ નામથી વધુ જાણીતા થયા. તેમનું શાળાકીય શિક્ષણ ઇંદોરમાં અને ઉચ્ચશિક્ષણ અલાહાબાદ તથા લખનઉમાં સંપન્ન થયું. ‘ટીચર્સ ટ્રેનિંગ કોર્સ સંપૂર્ણ કરી શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી. એક વાર ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવળ સાથે મથુરામાં આકસ્મિક મુલાકાત થતાં તેમની સાથે અમદાવાદ આવ્યા અને ૧૯૩૮માં ‘કુમાર’ કાર્યાલયે એમની ‘ગીતમંજરી’ શીર્ષક હેઠળ બાર જેટલાં હિંદી કાવ્યોવાળી લઘુપુસ્તિકા પ્રગટ કરેલી. મુંબઈમાં કાવ્યપઠનના જાહેર કાર્યક્રમમાં તેમની કાવ્યરચનાથી અને ગાનથી પ્રભાવિત થયેલા એન. આર. આચાર્યે પ્રદીપજીની મુલાકાત હિમાંશુ રૉય સાથે કરાવી અને તેમણે પ્રદીપજીને ‘કંગન’ (૧૯૩૯) ચલચિત્રનાં ચાર ગીતો લખવાની જવાબદારી સોંપી. તેમની ફિલ્મી અને અન્ય રચનાઓની સંખ્યા ૧૫૦૦થી ૧૭૦૦ જેટલી થાય છે. તેમને લોકપ્રિયતા બક્ષી હોય તેવાં ચલચિત્રોમાં ‘પુનર્મિલન’, ‘બંધન’, ‘કિસ્મત’, ‘ચલ ચલ રે નૌજવાન’ એમ લાંબી યાદી છે. પણ ‘આંખ કા તારા’ તેમનું અંતિમ ચલચિત્ર સાબિત થયું. તેમણે ગીતરચનાઓમાં સાદી શબ્દાવલી પ્રયોજી લોકોનાં દિલ જીતી લીધાં હતાં. તેમાં પણ ‘આઓ બચ્ચો તુમ્હેં દિખાયેં ઝાંકી હિન્દુસ્તાન કી’, ‘હમ લાયે હૈ તૂફાન સે કશ્તી નિકાલકે’, ‘ઇન્સાફકી ડગર પે’, ‘દે દી હમેં આઝાદી બિના ખડગ…’ જેવી રચનાઓ લગભગ દરેક પરિવારમાં નાનાથી મોટા પણ ગાતાં હોય છે. તેમની મોટા ભાગની રચનાઓમાં દેશભક્તિ અને ઈશ્વરભક્તિ જોવા મળે, પણ તેમણે શૃંગારરસ ધરાવતાં ગીતોની પણ રચના કરેલી. જોકે સૌથી વધુ પ્રસિદ્ધિ તેમને ભારત-ચીન વચ્ચેના યુદ્ધમાં શહીદ થયેલા ભારતના વીર સૈનિકોને અંજલિ આપવા લખેલ અને લતા મંગેશકરે દિલ્હીના લાલ કિલ્લા પરના કાર્યક્રમમાં ગાયેલ ‘અય મેરે વતન કે લોગો’ ગીતથી મળી. પ્રદીપજીએ આ ગીતની રૉયલ્ટી ‘વૉર વિડોઝ ફંડ’ને અર્પણ કરેલી. તેમના વિશિષ્ટ પ્રદાન માટે તેમને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવેલા; જેમાં ‘સંગીત નાટક અકાદમી ઍવૉર્ડ’ (૧૯૬૧), ‘બૅંગાલ ફિલ્મ જર્નાલિસ્ટ્સ ઍસોસિયેશન શ્રેષ્ઠ ગીતકાર ઍવૉર્ડ’ (૧૯૭૫) તથા ૧૯૯૭-૯૮ના વર્ષના ‘દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ’નો સમાવેશ થાય છે. ૨૦૧૧માં ભારત સરકારે તેમના સન્માનમાં રૂ. પાંચની ટપાલટિકિટ બહાર પાડેલી.

રાજશ્રી મહાદેવિયા

Categories
વાચન સમૃદ્ધિ

પુરુષાર્થને પડકાર

મોટરની એક ફૅક્ટરીમાં મોરિસ કારીગર તરીકે કામ કરતો હતો. મોટરના પ્રત્યેક ભાગની એને ઝીણવટભરી જાણકારી હતી. બધા મિકૅનિકોમાં એ સહુથી વધુ કુશળ મિકૅનિક ગણાતો હતો. મોટરના એન્જિનની ખામી કોઈને જડતી ન હોય, તો એની તપાસ મોરિસને સોંપવામાં આવતી. આ બાહોશ મિકૅનિક મહેનત કરીને એ ક્ષતિ ખોળી કાઢતો અને એને રિપૅર કરીને મોટરને ફરી ચાલુ કરી દેતો. એક વાર મોરિસ કારખાનામાં નિર્ધારિત સમય કરતાં મોડો પહોંચ્યો. નસીબજોગે એ દિવસે જ કંપનીના માલિક કારખાનાની મુલાકાતે આવ્યા હતા. એમણે હાજરીપત્રક મંગાવીને બધા કારીગરોના આગમનનો સમય જોયો. એટલામાં મોરિસ આવી પહોંચ્યો. ફૅક્ટરીના માલિકે એને ઠપકો આપ્યો. મોરિસે નમ્રતાથી વિલંબનાં કારણો આપ્યાં અને કહ્યું, ‘અત્યંત અનિવાર્ય પરિસ્થિતિ હોવાને કારણે જ આવો વિલંબ થયો છે.’ ફૅક્ટરીના માલિકે રુઆબ છાંટતા હોય તે રીતે કહ્યું, ‘જો આ રીતે મોડા જ આવવું હોય તો ફૅક્ટરીના કારીગર નહીં, પણ ફૅક્ટરીના માલિક બનો. બાકી દરેક કારીગરે પોતાનો સમય સાચવવો જોઈએ.’ માલિકનું આ મહેણું મોરિસને હાડોહાડ લાગી ગયું અને એણે રાજીનામું ધરી દીધું. સાથી કારીગરો તો સ્તબ્ધ બની ગયા. માલિકે પણ સખ્તાઈ દાખવવા માટે એ રાજીનામું સ્વીકારી લીધું. સાથી કારીગરોએ મોરિસને સલાહ આપી કે માલિકનાં આવાં વચનોથી અકળાઈ જવાય નહીં. હવે માફી માગીને રાજીનામું પાછું ખેંચી લે. મોરિસ અડગ રહ્યો. એણે બીજે દિવસે પોતાની ફૅક્ટરી બનાવવાનો પ્રયત્ન આરંભ્યો. સમય જતાં મોરિસે પોતાની ફૅક્ટરી ઊભી કરી અને પોતાની સઘળી કુશળતા કામે લગાડી અને સમય જતાં એણે જગવિખ્યાત બનેલી નાની મોરિસ મોટરનું ઉત્પાદન કર્યું.

કુમારપાળ દેસાઈ