Categories
વાચન સમૃદ્ધિ

નટવરલાલ માળવી

જ. ૩૦ સપ્ટેમ્બર, ૧૯૦૦ અ. ૧૬ એપ્રિલ, ૧૯૭૩. વિદ્વાન, લેખક, અનુવાદક, પત્રકાર, પ્રકાશક અને ‘ગાંડીવ’ બાલપાક્ષિકના તંત્રી નટવરલાલનો જન્મ સૂરતમાં થયો હતો. તેમની શાળા કારકિર્દી પ્રથમ કક્ષાની હતી. તે દરમિયાન તેઓ સતત ઇનામો તથા શિષ્યવૃત્તિઓ મેળવતા હતા. મુંબઈની વિલ્સન, સૂરતની એમ.ટી.બી. અને પુણેની ફર્ગ્યુસન કૉલેજમાં તેઓએ અભ્યાસ કર્યો હતો. ગાંધીજીના પ્રભાવ હેઠળ કૉલેજનો અભ્યાસ અધવચ્ચે છોડીને ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. ઈ. સ. ૧૯૨૨માં બારડોલી સત્યાગ્રહમાં જોડાવા અભ્યાસ છોડ્યો અને પછી સાહિત્યપ્રવૃત્તિમાં જોડાયા. નાનપણથી જ તેઓના મનમાં સાહિત્ય રચવાનાં સપનાં હતાં. ૧૨-૧૩ વર્ષની ઉંમરે લેખનકાર્યનો પ્રારંભ કર્યો હતો અને તેને પરિણામે લેખો, કાવ્યો, ચર્ચાપત્રો તથા વાર્તાઓ લખવાની શરૂઆત કરી હતી. ગાંધીજીના રાજકારણમાં પ્રવેશની સાથે જનતામાં ચેતના જગાડવા તેમના મોટા ભાઈ ઈશ્વરલાલ સાથે ૧૯૨૨માં છાપખાનું શરૂ કર્યું હતું. તેમાં ‘બૉમ્બેયુગનું બંગાળ’ નામનું પુસ્તક તથા ૧૯૨૩માં ‘તોપ’ અને ‘ગાંડીવ’ જેવાં અઠવાડિકો પ્રગટ કરીને ગુજરાતી પત્રકારત્વ અને સાહિત્યને ગજવી મૂક્યાં. બંને ભાઈઓએ સાથે કામ કરીને મરાઠી નવલકથાકાર હરિનારાયણ આપટેની ડિટેક્ટિવ નવલકથાનો અનુવાદ ‘શિરહીન શબ’ને નામે પ્રગટ કર્યો. તેઓએ વિપ્લવી પુસ્તકો ગુજરાતીમાં પ્રગટ કર્યાં. ગાંધીજીનાં કેટલાંક પુસ્તકો પણ સેવાવૃત્તિથી પ્રસિદ્ધ કર્યાં.

તેઓ અંગ્રેજી, બંગાળી, મરાઠી, હિંદી વગેરે ભાષાઓના જાણકાર હતા. તેઓ ‘મુંબઈ સમાચાર’માં નિયમિતપણે લખતા. તેમનો પુસ્તક પ્રત્યે પ્રેમ અનોખો હોવાથી તેમનું ઘર એક સુંદર પુસ્તકાલય બની ગયું હતું. તેમની રહેણીકરણી અને આચાર-વિચારમાં ગાંધીયુગની છાપ હતી.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

સંપૂર્ણતાની ઇચ્છા સાથે …

અપૂર્ણતાને આવકારીએ

સામાન્ય રીતે આપણે આપણી ઇચ્છાઓ પ્રમાણે આપણી આસપાસનું જીવન ગોઠવાય તેવો આગ્રહ રાખીએ છીએ. આ આગ્રહ મોટા ભાગે હઠાગ્રહમાં પરિણમે છે. પત્નીએ આમ જ બોલવું જોઈએ, પુત્રે આમ જ વર્તવું જોઈએ અને કુટુંબીજનોએ આમ જ કરવું જોઈએ એમ માનીએ છીએ. એ જ રીતે આપણા વ્યવસાયમાં પણ આપણે સતત દૃઢાગ્રહ સેવીએ છીએ કે આ કામ તો આ જ રીતે થવું જોઈએ અથવા તો આ કામ આટલા સમયમાં પૂરું થવું જ જોઈએ.

માનવી આસપાસની પરિસ્થિતિને પણ પોતાની ઇચ્છાનુકૂળ કરવા માગે છે. એ નસીબને પણ કહે છે કે તારે મને આટલું આપવું જોઈએ. આમ બધી બાબતમાં એ અન્યને અનુકૂળતા સાધવાનું કહે છે. પોતાનાં બધાં જ વલણો અને અભિપ્રાયોને મનસ્વી રીતે ગોઠવે છે અને આસપાસની દુનિયા એ પ્રમાણે જ વર્તે તેવી કઠપૂતળીનો ખેલ કરનાર સૂત્રધાર જેવી ભાવના રાખે છે, પરંતુ આ સમગ્ર સ્થિતિને જુદી દૃષ્ટિએ જોવાની જરૂર છે. સંપૂર્ણતાના આગ્રહની સાથે અપૂર્ણતાને સ્વીકારતાં શીખવું જોઈએ. પોતાની લાકડીથી જગતને હાંકવા જનારની અંતે લાઠી પણ છીનવાઈ જાય છે.

એકાદ દિવસ વ્યક્તિ પોતે જે પરિસ્થિતિ છે તેને અનુકૂળ થવા કોશિશ કરે તો એને એક જુદો જ અનુભવ થશે. મારી ધારણા પ્રમાણે નહીં, પરંતુ આસપાસની વાસ્તવિકતા અને હકીકતનો સ્વીકાર કરીને એ જો જીવવાનો વિચાર કરે તો એને જુદી જ અનુભૂતિ થશે. જે છે તેની સાથે અનુકૂળતા સાધવાથી એક પ્રકારનો સ્વીકારભાવ કેળવાશે અને એથી સતત અસ્વીકારભાવને કારણે થતી પીડામાંથી મુક્તિ મળશે. ક્યારેક એવી પણ અજમાયશ કરીએ કે કુટુંબ કે વ્યવસાયની જે પરિસ્થિતિ છે, તે સ્વીકારીને એમાંથી શાંત આનંદ પામીએ. અસ્વીકારની સતત ચાલતી આંતરવેદનામાંથી મુક્ત થઈએ.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

ડાહ્યાભાઈ આશાભાઈ પટેલ

જ. ૨૮ સપ્ટેમ્બર, ૧૯૨૦ અ. ૧૪ ઑગસ્ટ, ૨૦૦૮ ગુજરાતી કવિ, સમાજસેવક અને ગાંધીભક્ત ડાહ્યાભાઈનો જન્મ ખેડા જિલ્લાના સુણાવ ગામમાં થયો હતો. ૧૯૪૬માં ઉચ્ચ અભ્યાસ માટે લંડન ગયા અને બૅરિસ્ટર થયા.

તેમણે આફ્રિકા જઈ યુગાન્ડામાં વકીલાત શરૂ કરી. સામાજિક સંસ્થાઓ દ્વારા સમાજસેવા શરૂ કરી, સ્થાનિક પ્રજાના આદર અને વિશ્વાસ પ્રાપ્ત કરવા સાથે સાહિત્યને લગતી પ્રવૃત્તિઓ પણ શરૂ કરી. તેમની સમાજસેવાને પરિણામે તેઓ યુગાન્ડાની પાર્લમેન્ટમાં ચૂંટાઈ આવ્યા. ઇદી-અમીનની જુલ્મી નીતિઓનો વિરોધ કરવાને કારણે તેમને જેલવાસ ભોગવવો પડ્યો. ત્યાંથી ભારતવાસીઓની હિજરત સમયે ૧૯૭૨માં લંડન આવી વસ્યા. લંડનમાં ગુજરાતી સાહિત્ય અકાદમી તથા મહાત્મા ગાંધી ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ સ્થાપી. ગાંધીજીના જીવન પર ‘મોહનગાંધી મહાકાવ્ય’ નામે અનેક કાવ્યગ્રંથોમાં વિસ્તાર પામેલું દીર્ઘપ્રશસ્તિ કાવ્ય લખ્યું. ૧૪ ગ્રંથોમાંથી ૧૧ ગ્રંથો પ્રગટ થયા છે. તેમણે ૧૫ નવલકથાઓ અને ૯ વાર્તાસંગ્રહોનું સર્જન કર્યું છે. તેમનું શ્રીમદ્ ભગવદગીતા વિશેનું ચિંતનાત્મક પુસ્તક નોંધનીય છે. ગુજરાતી ભક્ત કવિઓનાં ભક્તિપદોનું અંગ્રેજી ભાષાંતર પણ તેમણે કર્યું છે. ડાહ્યાભાઈ ભારતીય વિદ્યાભવનના પણ સક્રિય સભ્ય હતા.

ગાંધીજી વિશેના મહાકાવ્યનો કેટલોક ભાગ તેમણે સંસ્કૃતમાં લખલો છે. લંડનમાં રહીને પણ ગાંધી-પ્રશસ્તિનાં અનેક કાવ્યો લખી પ્રગટ કરનાર ગાંધીભક્ત ડાહ્યાભાઈએ જીવનની અંતિમ ઘડી સુધી સાહિત્યસર્જન ચાલુ રાખ્યું હતું. તેમને ૧૯૮૯ના ‘વિશ્વગુર્જરી’ ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

શુભ્રા દેસાઈ