Categories
સાંપ્રત કાર્યક્રમો

પરિભાષાકોશ ગ્રંથ વિમોચન

વિખ્યાત કૅન્સર નિષ્ણાત અને ભાષાવિદ ડૉ. શિલીન શુક્લ દ્વારા તૈયાર થયેલા પરિભાષાકોશનું બે ભાગમાં પ્રાગટ્ય

તારીખ : 1 ઑક્ટોબર 2024 સમય : સાંજના 5.30

સ્થળ : ગુજરાત વિશ્વકોશ ભવન, શ્રી હીરાલાલ ભગવતી સભાગૃહ, રમેશપાર્કની બાજુમાં, વિશ્વકોશ માર્ગ, ઉસ્માનપુરા, અમદાવાદ

અતિથિ વિશેષ : ડૉ. પંકજ શાહ અને ડૉ. ઉર્વીશ વસાવડા

પરિભાષાકોશ વિશે : તબીબી વિદ્યાશાખા સાથે જોડાયેલા શબ્દોનો આ કોશ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ પ્રકાશિત કરી રહ્યું છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ આ પ્રકારની પ્રવૃત્તિમાં વર્ષોથી કાર્યરત છે અને તેણે આ પ્રકારનાં નોંધપાત્ર પ્રકાશનો કરેલ છે. સ્વ. ડૉ. શિલીન શુક્લ વિશ્વકોશ સાથે ઘણા વખતથી જોડાયેલા હતા અને તેમનું એક સ્વપ્ન હતું તે આ તબીબી વિદ્યાશાખાના શબ્દોનો પરિભાષાકોશ. આ કાર્ય માટે તેમણે અકલ્પનીય મહેનત કરીને આખો પરિભાષાકોશ તૈયાર કર્યો, પણ કમનસીબે છેલ્લું થોડું કામ બાકી હતું ત્યાં તેમણે અણધારી વિદાય લીધી. હવે તેમની એક ઇચ્છાની પૂર્તિ તરીકે આ પ્રકાશન થવા જઈ રહ્યું છે એ આનંદની વાત છે. આ પરિભાષાકોશ એ માત્ર શબ્દોનું ભાષાંતર જ નથી, પણ તે વિશે વિગતે માહિતી પણ આપે છે.આ કોશમાંથી પસાર થનાર દરેકને શિલીનભાઈના સંસ્કૃતના જ્ઞાન અને આ કોશ માટેની તેમની પ્રતિબદ્ધતાની અનુભૂતિ જરૂર થશે. આમાંથી પસાર થનાર એ જોઈ શકશે કે એમણે માત્ર અર્થ અને વિવરણ જ નથી આપ્યાં, પણ એ વિશે ખૂબ જ વિગતથી સમજણ આપી છે. મોટા ભાગે જે શબ્દ હોયતેના પર્યાયવાચી શબ્દોની પણ વિશદ છણાવટ કરી છે. આમ, સાચા અર્થમાં પરિભાષાકોશ એન્સાઇક્લોપીડિયા બની રહે તેમ છે.

Categories
વાચન સમૃદ્ધિ

ઉંમર એ અવસ્થાનો પુરાવો નથી

ચહેરા પર ગમે તેટલી કરચલીઓ પડી હોય તોપણ માનશો નહીં કે તમે વૃદ્ધ થયા છો ! ચિંતા એટલી જ કરવાની છે કે આપણા આત્મા પર તો કરચલીઓ પડી નથી ને ! માણસ જ્યારે જિંદગી જીવવાનો હેતુ, ઉત્સાહ અને ધગશ ગુમાવે છે, ત્યારે એની પાસે માત્ર શ્વાસ લેતું શરીર બાકી રહે છે, પણ એની ઝળહળતી આતમજ્યોત બુઝાઈ જાય છે. આવી વ્યક્તિ અકાળે વૃદ્ધ થઈ જાય છે.

ઉંમર એ ઘડપણનો પુરાવો નથી. વ્યક્તિનાં વિચાર અને વલણો એ ઘડપણનું ઓળખપત્ર છે. એના વિચારો સ્થગિત થઈ જાય અને એનું વલણ નકારાત્મક બની જાય, જૂની ઘરેડમાં ચાલવાનું વિચારે ત્યારે માનવું કે એણે જીવનનો હેતુ ગુમાવ્યો છે. રૂઢ પરંપરાના ચીલે ચાલનાર માર્ગ ચાતરવાની નવા માર્ગે ચાલવાની શક્તિ ખોઈ બેસે છે. એના વિચાર સમય જતાં ઠૂંઠવાઈ જાય છે.

હેતુ ગુમાવનારી વ્યક્તિ ક્રમશ: જીવનરસ ગુમાવે છે. એના મન પર નિરાશા અને હૃદયમાં હતાશા પલાંઠી જમાવીને બેઠી હોય છે, આથી કોઈ પણ કાર્ય કરતી વખતે એને કંટાળો આવશે. ગમે તેવો સારો વિચાર એને વ્યર્થ અને અર્થહીન લાગશે અને નિષ્ક્રિય રહેવું એ જ એનું નિશ્ચિત વલણ બનશે.

આવા માનવીનો આત્મા ઘરડો થઈ જાય છે અને એના પર કરચલીઓ ઊપસી આવે છે. પોતાના કામ પ્રત્યે એણે લગાવ કેળવવો જોઈએ. જો લગાવ નહીં હોય તો કામ એને માટે બોજરૂપ બનશે. ખરેખર તો વ્યક્તિએ પોતાના જીવનનો હેતુ વિચારવો જોઈએ. પોતે કોણ છે ? શું પામ્યો છે ? અને શું મેળવવા ચાહે છે ? એ ત્રણ પ્રશ્નો એણે એની જાતને સતત પૂછવા જોઈએ.

આ પ્રશ્નો સાચો ઉત્તર જ એને જીવનનું પ્રયોજન આપશે અને આ જીવનને હેતુપૂર્વક જીવવાનો ઉત્સાહ બક્ષશે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

ઉછરંગરાય નવલશંકર ઢેબર

જ. ૨૧ સપ્ટેમ્બર, ૧૯૦૫ અ. ૧૧ માર્ચ, ૧૯૭૭ ગુજરાતના અગ્રગણ્ય સ્વાતંત્ર્યસેનાની, સમાજસેવક અને સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ઢેબરભાઈનો જન્મ ગંગાજળા(જામનગર)માં નાગર જ્ઞાતિમાં થયો હતો. માતાપિતા તરફથી તેમને સેવાભાવ અને કર્મઠતાનો વારસો મળ્યો હતો. શરૂઆતનું શિક્ષણ રાજકોટમાં લીધું અને ઉચ્ચશિક્ષણ મુંબઈમાં લીધું.

૧૯૨૮માં વકીલાત શરૂ કરી. અત્યંત ટૂંક સમયમાં બાહોશ વકીલ તરીકે પ્રસિદ્ધિ મેળવી, પરંતુ તે સમયે ગાંધીજીના પ્રભાવ હેઠળ ૧૯૩૬માં ધીકતી વકીલાત છોડીને દેશસેવાના કાર્યમાં જોડાઈ ગયા. તેમણે રાજકોટ પાસેના થુરાલા ગામે ગ્રામોદ્ધારની પ્રવૃત્તિ શરૂ કરી. ૧૯૩૬માં રેલસંકટમાં સપડાયેલા લોકોની સેવા કરી. રાજકોટ મિલમજૂર સંઘની સ્થાપના કરી. મજૂરોના વેતન તથા હકો માટે રાજકોટ રાજ્ય સામે લડત ચલાવી. તેઓ કાઠિયાવાડ રાજકીય પરિષદના મંત્રી બન્યા. તેમણે અનેક વિરોધો વચ્ચે રાજકોટમાં અધિવેશન યોજ્યું જેમાં સરદાર પટેલ અને ગોપાલદાસે પણ હાજરી આપી હતી. ઢેબરભાઈએ ૧૯૩૮ના રાજકોટ સત્યાગ્રહમાં મહત્ત્વનો ફાળો આપ્યો. આ અંગે અનેક વાર જેલવાસ ભોગવ્યો. આ લડતને અંતે તેઓ રાષ્ટ્રીય નેતા તરીકેની ખ્યાતિ પામ્યા. ૧૯૪૦માં તેમણે વ્યક્તિગત સત્યાગ્રહમાં ભાગ લીધો અને જેલવાસ ભોગવ્યો. ૧૯૪૨માં ‘ભારત છોડો’ આંદોલનમાં ભાગ લઈ ફરી જેલવાસ ભોગવ્યો.

૧૯૪૭માં સ્વતંત્રતા બાદ કાઠિયાવાડનાં દેશી રાજ્યોનું એકીકરણ થયું અને તે ‘સૌરાષ્ટ્ર’ કહેવાયું. આ માટે તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી અને તેમને સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્ય પ્રધાન બનવાનું શ્રેય પ્રાપ્ત થયું. ઢેબરભાઈએ સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે અનેક સુધારાઓ કર્યા. ગ્રામપંચાયતોનું ગઠબંધન થયું, શિક્ષણની સુવિધાઓ વધી, ગામડાંઓમાં પીવાનું પાણી ઉપલબ્ધ થયું, ખાદી અને ગ્રામોદ્યોગને ઉત્તેજન મળ્યું, કુટિર ઉદ્યોગનો વિકાસ થયો, અસ્પૃશ્યતાનિવારણ તથા સ્ત્રીવિકાસગૃહ સંસ્થાનો વિકાસ થયો. ૧૯૫૧માં જાગીરદાર પ્રથા નાબૂદ કરી ખેડૂતોને વેઠિયા તરીકેની કામગીરીમાંથી મુક્તિ અપાવી જમીનમાલિક બનાવ્યા. ૧૯૫૫માં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના અધ્યક્ષ બન્યા. ૧૯૬૨માં લોકસભાના સદસ્ય બન્યા અને ૧૯૬૩માં ખાદી ગ્રામોદ્યોગ કમિશનનું અધ્યક્ષપદ સંભાળ્યું. તેમણે ગાંધીવિચારસરણી, સમાજસેવા, શિક્ષણ વગેરે પર હિંદી, ગુજરાતી અને અંગ્રેજીમાં લેખો લખ્યા છે. ૧૯૭૩માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મવિભૂષણથી સન્માનવામાં આવ્યા હતા.

શુભ્રા દેસાઈ