Categories
વાચન સમૃદ્ધિ

સાગ

ભારતમાં મોટે પાયે ઊગતી, ઇમારતી લાકડું આપતી એક વનસ્પતિ. સાગનાં ઝાડ ભારત ઉપરાંત અગ્નિ-એશિયાના બીજા દેશોમાં પણ થાય છે. ભારતમાં સાગ મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઓરિસા તથા દક્ષિણ ઉત્તરપ્રદેશમાં થાય છે. કેરળ, તમિળનાડુ અને કર્ણાટકનાં વનોમાં ઘણી જગ્યાએ સાગનાં વિશાળ કદનાં વૃક્ષો જોવા મળે છે. સ્વરૂપ અને બાહ્ય લક્ષણો : સાગનું થડ નળાકાર અને મોટા ઘેરાવાવાળું હોય છે. તેનાં પર્ણો સાદાં, સામસામાં ગોઠવાયેલાં, ૩૦થી ૬૦ સેમી. લાંબાં અને ૨૦થી ૩૦ સેમી. પહોળાં હોય છે. તેઓ તળિયેથી લાલાશ પડતાં હોય છે. તેનાં પુષ્પો નાનાં, સફેદ, મીઠી સુવાસવાળાં અને ઝૂમખામાં ઊગે છે. તેને ફળો ખૂબ જૂજ બેસે છે. ફળો નાનાં, સખત, કાષ્ઠમય, અનિયમિત ગોળાકાર અને ઉપરથી રુવાંટીવાળાં હોય છે. બીજ સફેદ રંગનાં હોય છે.

સાગનાં પર્ણો શુષ્ક ૠતુઓમાં નવેમ્બરથી જાન્યુઆરીમાં ખરી પડે છે. ભેજવાળાં સ્થળોએ પર્ણો માર્ચ કે તેથી પણ વધુ સમય ટકે છે. સાગનાં વૃક્ષો ગરમ ૠતુના મોટા ભાગના સમય દરમિયાન પર્ણો વિનાનાં હોય છે. નવાં પર્ણો એપ્રિલથી જૂન દરમિયાન ઊગે છે. વૃક્ષ પર જૂનથી સપ્ટેમ્બર દરમિયાન પુષ્પો ફૂટે છે. અસાધારણ ભેજવાળી પરિસ્થિતિમાં એપ્રિલમાં પુષ્પનિર્માણ થાય છે. નવેમ્બરથી જાન્યુઆરીમાં ફળ પરિપક્વ બને છે. સાગ ઝડપથી વિકાસ પામતું વૃક્ષ છે. તે પૂરતી ભેજવાળી, ઉષ્ણ અને ઉષ્ણકટિબંધીય આબોહવામાં સૌથી સારી રીતે થાય છે. તેને ફળદ્રૂપ અને ભેજવાળી જમીન વધુ માફક આવે છે. કાષ્ઠ : સાગનું લાકડું સૌથી ટકાઉ ગણાતાં લાકડાં પૈકીનું એક છે. તે પાણીમાં કોહવાતું નથી અને કડવું હોવાથી તેમાં કીડા લાગતા નથી. સૌથી ચડિયાતો સાગ મલબારનો હોય છે. તેનાથી ઊતરતો જાવામાં અને તેથી ઊતરતો બ્રહ્મદેશમાં થાય છે. સાગમાં ઘણાબધા સારા ગુણો હોવાથી તે લાકડાનો રાજા ગણાય છે. સાગનું વૃક્ષ ઉત્તમ અને કીમતી ઇમારતી લાકડું આપે છે. તે આકાર-જાળવણી અને ટકાઉપણાનો ગુણ ધરાવે છે. તે રંગ, રૂપ, ઘાટ-ઘડતર માટેની ક્ષમતા અને આંતરિક રેસાગુંફનની દૃષ્ટિએ બહુ જ ઉચ્ચ પ્રકારનું કાષ્ઠ ગણાય છે. તેનો બહારનો ભાગ સફેદથી આછા પીળાશ પડતા રંગનો અને મધ્ય ભાગ સોનેરી પીળો હોય છે. તેમાં ઘેરા લિસોટા હોય છે. તેનું કાષ્ઠ સખત, બરછટ, જાડું, અનિયમિત બંધારણ ધરાવતું અને તીવ્ર વાસવાળું હોય છે. સાગનો મધ્ય ભાગ સૌથી ટકાઉ હોય છે. કાષ્ઠમાં રહેલા વાયુના શોષણની દૃષ્ટિએ સાગનું કાષ્ઠ ઉત્તમ ગણાય છે. તે ભેજમાં થતા ફેરફારો સારી રીતે સહન કરી શકે છે. તેને સહેલાઈથી વહેરી શકાય છે અને તેમાંથી કોઈ પણ ઘાટ સરળતાથી ઉતારી શકાય છે. ઉપયોગો : સાગ દુનિયાની મોંઘી ઇમારતી જાતોમાં સ્થાન ધરાવે છે. તેનું કાષ્ઠ રાચરચીલું, ઇમારતો, પુલ, રેલવેના સ્લીપરો, પ્લાયવૂડ-ઉદ્યોગ અને સંગીતનાં વાદ્યો બનાવવાના ઉદ્યોગો માટે; ખેતીનાં ઓજારો, હળ અને ઇજનેરીનાં સાધનો બનાવવા માટે ઉપયોગી છે. વળી તે કોતરકામ અને નિર્ધારિત નમૂનાઓ (મૉડલ) માટે; ટેલિગ્રાફ, ટેલિફોન અને વિદ્યુતના થાંભલાઓ માટે ઉપયોગી છે. તે વહાણવટાના ઉદ્યોગમાં પણ ખૂબ ઉપયોગી છે. સાગ પ્રયોગશાળાઓમાં મેજના ઉપરના તખ્તા જડવામાં મોટે પાયે વપરાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સાગ, પૃ. ૯૭)

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

ચંદુલાલ શાહ

જ. ૧૩ એપ્રિલ, ૧૮૯૮ અ. ૨૫ નવેમ્બર, ૧૯૭૫

‘સરદાર’ તરીકે મુંબઈની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સુપ્રસિદ્ધ થયેલા ચંદુલાલ શાહનો જન્મ જામનગરમાં થયો હતો. સિડનહેમ કૉલેજમાં અભ્યાસ બાદ તેમણે મુંબઈ સ્ટૉક એક્સચેન્જમાં નોકરી કરી હતી. તેમનો મુખ્ય વ્યવસાય શૅરબજારનો હતો. છતાં ફિલ્મઉદ્યોગમાં તેમણે એવી રીતે પ્રવેશ  કર્યો કે થોડા જ સમયમાં તેઓ જાણીતા, સુપ્રસિદ્ધ દિગ્દર્શક, નિર્માતા, સ્ક્રીનરાઇટર બની ગયા. લક્ષ્મી ફિલ્મ્સના દિગ્દર્શક મણિલાલ જોશી ‘વિમલા’ ફિલ્મ બનાવતાં અચાનક બીમાર પડી ગયા અને કોઈ અનુભવ વિના તેમના મિત્ર ચંદુલાલને ભાગે ‘વિમલા’નું દિગ્દર્શન કરવાની જવાબદારી આવી પડી. નસીબજોગે ફિલ્મને ખૂબ સફળતા મળી. ચંદુલાલે બીજી બે ફિલ્મોનું દિગ્દર્શન પણ સફળતાપૂર્વક કર્યું. લક્ષ્મી ફિલ્મ્સ છોડીને કોહિનૂર ફિલ્મ્સમાંથી તેમણે ‘ટાઇપિસ્ટ ગર્લ’નું દિગ્દર્શન કર્યું. આમ શૅરબજારમાં શૅરોની ઊથલપાથલ કરતા ચંદુલાલ શાહ ફિલ્મી દુનિયામાં અચાનક આવી ગયા. અલબત્ત શૅરબજાર સાથેનો નાતો તો છેવટ સુધી ચાલુ રહ્યો. ઈ. સ. ૧૯૩૧માં બોલતી ફિલ્મ આવતાં સુધી ચંદુલાલે ત્રીસેક જેટલી મૂંગી ફિલ્મો બનાવી. મૂંગી ફિલ્મોની પ્રસિદ્ધ અભિનેત્રી ગોહરબાનુ સાથે ભાગીદારીમાં તેમણે પહેલાં ‘રણજિત ફિલ્મ કંપની’ અને ત્યારબાદ ‘રણજિત મૂવીટોન’ નામે ફિલ્મ કંપની શરૂ કરી. આ ભાગીદારી ખૂબ વર્ષો સુધી સફળતાપૂર્વક ચાલી.  તે સમયે રણજિત મૂવીટોન કંપનીના સ્ટુડિયોમાં ચાર સાઉન્ડ સ્ટેજ, પોતાની લૅબોરેટરી અને પે રોલ ઉપર ૬૦૦ જેટલા કલાકારો અને ટૅકનિશિયનોનો સ્ટાફ હતો. સ્ટુડિયોમાં ખૂબ જ પદ્ધતિસરનું કામકાજ થતું હતું. રણજિત મૂવીટોને તેના સમકાલીનોની સરખામણીએ સ્થિરતાપૂર્વક ખૂબ જ લાંબા સમય સુધી પ્રજાને સારી ફિલ્મો આપી. ચંદુલાલે પોતાના સ્ટુડિયો અને ફિલ્મનિર્માણ પૂરતી પોતાની જવાબદારી સીમિત ન રાખતાં સમગ્ર સિને ઉદ્યોગના પ્રશ્નો પરત્વે પણ ચિંતા સેવી, જેથી તેઓ સિનેજગતમાં ‘સરદાર’ ચંદુલાલ નામે ઓળખાવા લાગ્યા. બીજા વિશ્વયુદ્ધ (૧૯૩૯-૪૫) દરમિયાન રણજિત મૂવીટોન ઉપર માઠી દશા બેઠી. ચંદુલાલે શૅરબજાર અને જુગારમાં અઢળક રૂપિયા ગુમાવ્યા. અચાનક આગ ફાટી નીકળવાથી સ્ટુડિયો બળીને ખાખ થઈ ગયો. ૧૯૬૩માં આ કંપની સંપૂર્ણ રીતે સમેટી લેવામાં આવી.

Categories
વાચન સમૃદ્ધિ

અધીરાઈ એ આજના યુગનો અભિશાપ છે.

જમાનો ‘ઇન્સ્ટન્ટ’નો આવ્યો છે ! નિરાંતે જમવાનું છોડીને વ્યક્તિ ફાસ્ટ ફૂડ પાછળ દોડે છે. આજે વેપાર શરૂ કરે છે અને આવતીકાલે અબજોપતિ થવાનું ખ્વાબ સેવે છે. આજે કર્મ કરે છે અને આવતીકાલે ફળ-પ્રાપ્તિની રાહ જુએ છે. માણસના જીવનમાંથી નવરાશ નામશેષ થઈ ગઈ છે અને નિરાંતને દેશવટો મળ્યો છે. આને કારણે વ્યક્તિ પરિણામ પર નજર માંડીને બેઠી છે. પ્રેરણા, પ્રક્રિયા કે પુરુષાર્થની બહુ પંચાત કરવામાં માનતો નથી. આજે ગોટલી વાવે છે અને આવતીકાલે આંબાની આશા રાખે છે. એની પાસે ધીરજ ધારણા કરવાની શક્તિ નથી. અધીરાઈ એ એનો મુદ્રાલેખ છે. સવારે એ પોતાના ઉદ્યાનમાં નાનકડો છોડ વાવે છે અને સાંજે એના પર ખીલેલાં પુષ્પો જોવા નજર ઠેરવે છે. એની પાસે એ ધૈર્ય નથી કે છોડ ધરતી સાથે બરાબર ચોંટે, ખાતર-પાણી પામે, બરાબર ઊગે અને પછી એના પર મિષ્ટ ફળો આવે. એના વિચારની આ અધીરાઈ વ્યવહારમાં પ્રતિબિંબિત થાય છે અને વ્યવહારની અધીરાઈ તોછડાઈ કે ઉપેક્ષામાં પરિણમે છે. શૉર્ટકટ એ એના જીવનનો માર્ગ બની જાય છે અને તેથી એના જીવનમાં તત્કાળનો મહિમા થઈ ગયો છે. રેસ્ટોરન્ટમાં જાય અને તત્કાળ વાનગી મળે, વ્યવસાય માટે જાય અને તત્કાળ પ્રમોશન મળે, ‘તત્કાળ’ને કારણે એ એની વિચારશક્તિ ગુમાવી બેઠો છે અને કામને ઉતાવળે કરવા જતાં અવળું પરિણામ આવે છે. પોતાના અંગત જીવનમાં પ્રશ્નો કે સામાજિક સમસ્યાઓ ઉકેલવા માટે એની પાસે સહેજે રાહ જોવાની વૃત્તિ કે  ખામોશી નથી, કારણ કે પ્રતીક્ષાને એ નિષ્ક્રિયતા કે નિષ્ફળતા લેખે છે અને એને કારણે આયુષ્યની લાંબી દોડ દોડનારને જીવનસાર્થક્ય કે જીવનસાફલ્ય મળે, તેવું કશું પ્રાપ્ત થતું નથી.