Categories
વાચન સમૃદ્ધિ

પોતે પરમ શ્રેષ્ઠ અને અન્ય સાવ

સામાન્ય ========================

કેટલા બધા બેવડા માપદંડથી માનવી વિચારે છે ! એ પોતાની જાત વિશે વિચારે, ત્યારે પ્રશંસા કે અહોભાવથી ભરપૂર દૃષ્ટિએ વિચારે છે. પોતાના જીવનની પ્રત્યેક ક્રિયાને એ યોગ્ય ઠેરવે છે. પોતાની કાર્યપદ્ધતિને એ ઉત્તમ માને છે અને પોતાની વિચારશૈલીને સર્વશ્રેષ્ઠ ગણે છે. એ જ વ્યક્તિ અન્યના જીવન વિશે વિચારે છે, ત્યારે એને વિશે ટીકા કે નિંદાપૂર્ણ નકારાત્મક દૃષ્ટિકોણ રાખે છે. એની પ્રત્યેક ક્રિયામાંથી ક્ષતિ શોધે છે. એની કાર્યપદ્ધતિને સાવ ઢંગધડા વિનાની માને છે અને એના વિચારમાં કોઈ તથ્ય હોવાનો સદા ઇન્કાર કરે છે. આ રીતે વ્યક્તિ પોતાના કાર્યને યથાર્થ ઠેરવવા માટે તમામ શક્તિ કામે લગાડતી હોય છે. જો અન્ય વ્યક્તિ કાર્ય સિદ્ધ કરવામાં નિષ્ફળ જાય, તો તે એને બિનકાર્યક્ષમ માને છે. એની અણ-આવડતની ટીકા કરે છે અને એની નિષ્ફળતાને એની ઘોર આળસનું પરિણામ બતાવે છે, જ્યારે વ્યક્તિ પોતે નિષ્ફળ જાય ત્યારે પોતાની અણઆવડતને બદલે સંજોગો કે પરિસ્થિતિને દોષ આપે છે. પોતાની આળસ કે પ્રમાદને બદલે બીજાએ નાખેલા અવરોધોની વાત કરે છે અને આ રીતે પોતાની નિષ્ફળતાને સફળતા જેવી બતાવવા માટે રાત-દિવસ કોશિશ કરે છે. એ બીજી વ્યક્તિ પાસે શિષ્ટાચારની અપેક્ષા રાખે છે, આદર અને માન મેળવવા ઇચ્છે છે. આમાં કોઈ વ્યક્તિ નિષ્ફળ જાય તો એને શિષ્ટાચારની સમજવિહોણી કહે છે, વખત આવે અસભ્ય ઠેરવે છે; જ્યારે પોતાની અસભ્યતાને એ પોતાના આગવાપણામાં ઠેરવવા કોશિશ કરે છે. એની ઉચ્છ્રંખલતાને એ એની આધુનિક છટા તરીકે ઓળખાવવા પ્રયાસ કરે છે. વ્યક્તિની પોતાને માટે જુદી ફૂટપટ્ટી હોય છે અને બીજાને માટે એનાથી સાવ અવળો માપદંડ હોય છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

અલવર આલ્ટો

જ. ૩ ફેબ્રુઆરી, ૧૮૯૮ અ. ૧૧ મે, ૧૯૭૬

હ્યુગો અલવર હેનરિક આલ્ટો ફિનિશ આર્કિટૅક્ટ અને ડિઝાઇનર હતા. તેમના પિતા જ્હૉન હેનરિક આલ્ટો ફિનિશભાષી જમીન સર્વેયર હતા અને તેમનાં માતા સેલમા માટિલ્ડા ‘સેમી’ સ્વીડિશભાષી પોસ્ટમિસ્ટ્રેસ હતાં. તેમણે હેલસિંકી યુનિવર્સિટી ઑફ ટૅકનૉલૉજીમાંથી આર્કિટૅક્ચરનો અભ્યાસ કર્યો હતો. તેમની પ્રારંભિક કારકિર્દી ૨૦મી સદીના પહેલા ભાગમાં ફિનલૅન્ડના ઝડપી, આર્થિક વિકાસ અને ઔદ્યોગિકીકરણ સાથે સમાંતર ચાલી હતી. ૧૯૨૧માં સ્નાતક થયા બાદ ૧૯૨૨માં તેમણે લશ્કરની સેવા શરૂ કરી અને ૧૯૨૩માં તેમને સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે બઢતી આપવામાં આવી હતી. તેમણે ‘અલવર આલ્ટો આર્કિટૅક્ટ અને મોન્યુમેન્ટલ આર્ટિસ્ટ’ નામની એક આર્કિટૅક્ચરલ ઑફિસ ખોલી હતી. આ સિવાય તેમણે રીમસ ઉપનામ રાખીને ‘જયવસ્કીલા’ અખબાર માટે લેખો લખ્યા હતા. સાથોસાથ સંખ્યાબંધ નાના સિંગલ-ફૅમિલી હાઉસ ડિઝાઇન કર્યા હતા. અલવર આલ્ટોએ ફિનલૅન્ડ અને વિદેશમાં પ્રતિષ્ઠિત રાજ્યની જાહેર ઇમારતો માટે અનેક સ્થાપત્ય સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. વ્યાવસાયિક જર્નલોમાં લખાયેલા લેખ ઉપરાંત તેમના સૌથી જાણીતા નિબંધોમાં ‘અર્બન કલ્ચર’ (૧૯૨૪), ‘જેવાસ્કીલા રિજ પર મંદિર સ્નાન’ (૧૯૨૫), ‘એબ્બે કોઈનાર્ડનો ઉપદેશ’ (૧૯૨૫) અને ‘દરવાજાથી લિવિંગ રૂમ સુધી’(૧૯૨૬)નો સમાવેશ થાય છે. તેમનાં લખાણોમાં માનવતાવાદી અભિગમ જોવા મળે છે. ૧૯૩૮માં ન્યૂયૉર્કમાં MOMA ખાતે તેમની કૃતિઓનું પ્રદર્શન યોજવાના આમંત્રણને પગલે અમેરિકામાં તેમની પ્રતિષ્ઠા ખૂબ વધી હતી. જેના લીધે પાછળથી ૧૨ શહેરોમાં તેમનું પ્રદર્શન યોજાયું હતું. ૧૯૪૧માં તેમને અમેરિકામાં મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅકનૉલૉજીમાં મુલાકાતી અધ્યાપક તરીકે આમંત્રણ મળ્યું હતું. ૧૯૫૦ના દાયકામાં તેઓ શિલ્પ બનાવવા માટે લાકડાં, કાંસ્ય, આરસ અને મિશ્ર માધ્યમોની શોધખોળમાં વ્યસ્ત રહ્યા હતા. આ સમયગાળાની નોંધપાત્ર કૃતિઓમાં તેમનું ૧૯૬૦નું સુઓમુસ્સલમી યુદ્ધનું સ્મારક છે. આલ્ટોને મળેલા પુરસ્કારોમાં ૧૯૫૪માં પ્રિન્સ યુજેન મેડલ, ૧૯૫૭માં રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ બ્રિટિશ આર્કિટૅક્ટ્સ તરફથી રૉયલ ગોલ્ડ મેડલ મોખરે છે. ૧૯૬૦માં તેમણે નૉર્વેજિયન યુનિવર્સિટી ઑફ સાયન્સ ઍન્ડ ટૅકનૉલૉજી (NTNU) ખાતે માનદ ડૉક્ટરેટ પણ પ્રાપ્ત કર્યું હતું.

અશ્વિન આણદાણી

Categories
વાચન સમૃદ્ધિ

જિબ્રાલ્ટર

સ્પેનના એન્ડેલુશિયા પ્રાંતની દક્ષિણ દિશામાં સ્થિત ભૂશિર તથા સ્વાયત્ત બ્રિટિશ વસાહત. ભૌગોલિક સ્થાન : ૩૬° ૦૭´ ઉ. અ. અને ૫° ૨૧´ પ. રે.. ભૂમધ્ય સાગર તથા આટલાંટિક મહાસાગર વચ્ચેના પ્રવેશદ્વાર તરીકે તેનું લશ્કરી દૃષ્ટિએ વિશિષ્ટ મહત્ત્વ રહ્યું છે. ૭૧૧માં તારિક નામના મુસ્લિમ મૂર નેતાએ સ્પેન પર વિજય મેળવવાના હેતુથી ઉત્તર આફ્રિકા તરફથી સ્પેન તરફ કરેલી કૂચના માર્ગમાં આવેલા આ સ્થાનના ખડક પર એક મજબૂત દુર્ગ બાંધેલો. આ ઉપરથી આ સ્થળનું ‘જેબલ અલ્ તારિક’ (The Hill of Tariq) નામ પડેલું, જેના અપભ્રંશ તરીકે પાછળથી આ ભૂશિરનું નામ ‘જિબ્રાલ્ટર’ પડ્યું છે. ૪.૮ કિમી. લંબાઈ તથા ૧.૨ કિમી. પહોળાઈ ધરાવતી અહીંની વસાહત કુલ ૬.૫ ચોકિમી. વિસ્તાર ધરાવે છે. તેની વસ્તી ૩૨,૬૮૮ (૨૦૨૩) જેટલી છે, જેમાંથી મોટા ભાગના નાગરિકો સ્પૅનિશ તથા ઇટાલિયન મૂળના છે. આ લોકો રોમન કૅથલિક ધર્મના અનુયાયીઓ છે. ત્યાંની આબોહવા ખુશનુમા હોય છે. તાપમાન ઉનાળાના સમયે ૧૬°થી ૨૭° સે. રહે છે. ડિસેમ્બરથી મે વચ્ચેના ગાળામાં આશરે સરેરાશ ૭૨૨ મિમી. વરસાદ પડે છે. સંગ્રહ કરેલ મીઠા પાણીનો જથ્થો ખૂટે ત્યારે પીવાના પાણીની યુરોપમાંથી આયાત કરવી પડે છે. યુરોપની વાનરોની એકમાત્ર જાતિ બર્બર વાનર અહીં વસે છે.

જિબ્રાલ્ટર

બર્બર વાનર

જિબ્રાલ્ટરની સામુદ્રધુનીની ઈશાને ૪૨૫ મી. ઊંચાઈ ધરાવતો ‘ધ રૉક’ નામનો ખડક છે જેના પર હાલ બ્રિટિશ કબજા હેઠળનો દુર્ગ છે. આ ખડકની તળેટીમાં જ નાગરિકોની વસાહત છે. સામુદ્રધુનીની બીજી તરફ, સામેના કાંઠા પર ૨૨ કિમી. અંતરે સ્પૅનિશ મોરોક્કોમાં ‘જેબેલ સૂસા’ નામનો ૧૯૪ મી. ઊંચાઈ ધરાવતો બીજો ખડક છે. ભૂમધ્ય સમુદ્રના પશ્ચિમ છેડાની નાકાબંધી કરવા માટે આ સ્થળ મોખરાનું હોવાથી ફિનિશિયન, કાર્થેજિયન, રોમન તથા વિસિગૉથ લોકોએ વારાફરતી તેના પર કબજો કરેલો. અહીં હળવા ઉદ્યોગોનો વિકાસ થયો છે, પરંતુ લશ્કર સાથે સંકળાયેલા માણસોની નાગરિક જરૂરિયાતો પૂરી કરવા માટેની આર્થિક પ્રવૃત્તિ સિવાય ત્યાં અન્ય કોઈ આર્થિક પ્રવૃત્તિ થતી નથી. અમુક અંશે પર્યટકો માટે આ સ્થળ શિયાળાની ઋતુમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. નૈસર્ગિક, પુરાણી તથા યુદ્ધમાં વપરાતી વસ્તુઓનાં ત્યાં સંગ્રહાલયો છે. ઇતિહાસ : ૧૪૬૨માં સ્પેનના શાસકોએ જિબ્રાલ્ટર પર કબજો મેળવ્યો. સ્પેનના વારસાયુદ્ધ દરમિયાન ૧૭૦૪માં બ્રિટિશ સૈનિકોએ તે પોતાને હસ્તક લીધું. ૧૭૧૩માં યુટ્રેક્ટ સંધિ (Treaty of Utrecht) હેઠળ તેના પરની બ્રિટિશ હકૂમતને અધિકૃત માન્યતા આપવામાં આવી. ૧૭૨૬માં સ્પેને તેના પર ફરી કબજો મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમાં તેને સફળતા સાંપડી નહિ. નૌકાદળના મથક તરીકે ઓગણીસમી સદીથી અત્યાર સુધી તેનું મહત્ત્વ અકબંધ રહ્યું છે. ૧૮૬૯માં સુએઝ નહેર ખુલ્લી મુકાતાં ઇંગ્લૅન્ડ તથા ભારત વચ્ચેના ભૂમધ્ય સાગર મારફતના લશ્કરી તથા નાગરિક પુરવઠા માર્ગ તરીકે જિબ્રાલ્ટરનું મહત્ત્વ વધ્યું. વીસમી સદીની શરૂઆતમાં આ સ્થળે બંદર બાંધવામાં આવ્યું. પાછળથી આધુનિક ઢબે બંદરનો વિસ્તાર કરવામાં આવ્યો. બ્રિટિશ હકૂમત હેઠળના આ નૌકામથકનો બીજા વિશ્વયુદ્ધ (૧૯૩૯–૪૫) દરમિયાન હવાઈ મથક તરીકે પણ ઉપયોગ થયો. આજે પણ નૌકાદળની કવાયતો માટે ‘નાટો’ (NATO) લશ્કરી સંગઠન તેનો ઉપયોગ કરે છે. ૧૯૬૪માં આ વસાહતને આંતરિક સ્વાયત્તતા પ્રદાન કરવામાં આવી. ત્યાંના ગવર્નરની નિમણૂક બ્રિટિશ સરકાર દ્વારા કરવામાં આવે છે. ૨૦૦૨માં જિબ્રાલ્ટર-વાસીઓએ સંયુક્ત (સ્પેન સાથેના) સાર્વભૌમત્વની દરખાસ્તોનો સામનો કરી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવવાનું પસંદ કર્યું.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

બાળકૃષ્ણ માધવરાવ મૂળે