Categories
વાચન સમૃદ્ધિ

સોળ વર્ષનું સરવૈયું

અબ્રાહમ લિંકને સ્પ્રિંગફિલ્ડમાં પચીસ વર્ષ સુધી વકીલાત કરી. પાંચ વર્ષ સુધી મેજર સ્ટુઅર્ટ સાથે, ત્રણ વર્ષ સુધી લોગન સાથે વકીલાતમાં ભાગીદારી કરી. એ પછી ૧૮૪૩માં વિલિયમ હર્નડન સાથે વકીલાતમાં ભાગીદારી રાખી. વકીલ તરીકે નામના પ્રાપ્ત કરવાની સાથે રાજકીય ક્ષેત્રે પણ પ્રગતિ કરી અને એમણે અમેરિકાનું પ્રમુખપદ પ્રાપ્ત કર્યું. વકીલાતને અને સ્પ્રિંગફિલ્ડને છોડવાની પૂર્વરાત્રિએ અબ્રાહમ લિંકન વિદાય લેવા માટે ઑફિસમાં ગયા. એમનો વર્ષો જૂનો ભાગીદાર વિલિયમ હર્નડન એમની સાથે હતો. અબ્રાહમ લિંકને પોતાનું બાકીનું કામ પૂર્ણ કર્યું. હિસાબ પતાવ્યો અને પછી ઑફિસની સૌથી પુરાણી ખુરશી પર બેસીને હર્નડન સાથે વાતે વળગ્યા.

વિદાય પ્રસંગે બંનેનાં હૃદય ગળગળાં થઈ ગયાં. બંને થોડી વાર મૌન રહ્યા, પછી લિંકને કહ્યું, ‘આપણે સાથે કામ કર્યાંને કેટલાં વર્ષો થઈ ગયાં ?’

‘આશરે સોળ વર્ષથી વધુ.’

‘અને છતાં કોઈ દિવસ આપણે એકબીજા સાથે ઊંચા સાદે બોલ્યા નથી.’

હર્નડને કહ્યું, ‘કદાપિ નહીં.’ અને પછી બંને મિત્રોએ વીતેલાં વર્ષોના અનુભવોનું આનંદપૂર્વક સ્મરણ કર્યું. લિંકન પોતાને ઉપયોગી પુસ્તકો લઈને હર્નડન સાથે નીચે ઊતરતા હતા, ત્યારે ઑફિસની બહાર લટકાવેલા જૂના પાટિયા પર નજર કરીને લિંકને કહ્યું, ‘દોસ્ત, આપણા નામનું આ પાટિયું ક્યારેય કાઢી નાખતો નહીં. હું દેશનો પ્રમુખ થયો, તેથી આપણી ઑફિસમાં કોઈ ફેર પડતો નથી. જો મારે ફરી અહીં પાછા આવવાનું બનશે, તો આપણે જિંદગીમાં જાણે કશું બન્યું નથી તેમ, ફરી પાછું આપણું વકીલાતનું કામકાજ સાથે ચાલુ કરી દઈશું.’

દાદરો ઊતરતાં પહેલાં લિંકને પોતાની ઑફિસ પર છેલ્લી નજર કરી. એક ઊંડો નિશ્વાસ નાખ્યો. પરસ્પરની વિદાય લીધી અને વિદાય વેળાએ બંને મિત્રોની આંખોમાં આંસુ ઊભરાઈ રહ્યાં !

Categories
વાચન સમૃદ્ધિ

ડૉ. ધનંજય રામચંદ્ર ગાડગીલ

જ. ૧૦ એપ્રિલ, ૧૯૦૧ અ. ૩ મે, ૧૯૭૧

ભારતના અગ્રગણ્ય અર્થશાસ્ત્રી, પુણેના ગોખલે ઇન્સ્ટિટ્યૂટના સંસ્થાપક-નિયામક તથા આયોજન પંચના પૂર્વ ઉપાધ્યક્ષ. તેમનો જન્મ મધ્યમવર્ગીય કુટુંબમાં થયો હતો. બાળપણ નાગપુરમાં વીત્યું. તેમણે ૧૯૧૪માં સિનિયર કેમ્બ્રિજની પરીક્ષા પાસ કરી અને ૧૯૧૮માં ઉચ્ચશિક્ષણ માટે ઇંગ્લૅન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ઇતિહાસ અને  અર્થશાસ્ત્ર વિષયમાં પદવી પ્રાપ્ત કરી. તેમણે ‘ઇન્ડસ્ટ્રિયલ ઇવૉલૂશન ઇન ઇન્ડિયા ઇન રિસન્ટ ટાઇમ્સ’ શીર્ષક નીચે શોધપ્રબંધ લખ્યો એ પુસ્તક રૂપે વર્ષો સુધી ભારતના આર્થિક ઇતિહાસનું પ્રમાણભૂત પાઠ્યપુસ્તક રહ્યું હતું.

૧૯૨૩માં તેઓ ભારત પાછા ફર્યા. તેમણે સૂરતની એમ.ટી.બી. કૉલેજના આચાર્ય તરીકે કારકિર્દીનો આરંભ કર્યો.

તેઓ ગોખલે ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ પોલિટિક્સ ઍન્ડ ઇકૉનૉમિક્સના પ્રથમ નિયામક થયા. ગાડગીલ સંખ્યાબંધ સહકારી સંગઠનો સાથે સભ્ય કે અધ્યક્ષ તરીકે ગાઢ રીતે સંકળાયેલા હતા. તેમણે સહકારી ધોરણે ખાંડનું સર્વપ્રથમ કારખાનું સ્થાપ્યું. ભારતના આયોજન પંચના ઉપાધ્યક્ષ તરીકે તેમણે યાદગાર ભૂમિકા ભજવી. તેમના અંગત જીવનમાં તે સાદા અને શિસ્તબદ્ધ હતા અને નીતિ તથા ધર્મની બાબતમાં ભારે ઉદામવાદી વિચારો ધરાવતા હતા. તેમના અવસાન પછી 1972માં નાગપુરમાં ધનંજયરાવ ગાડગીલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કો-ઑપરેટિવ મૅનેજમેન્ટ (DGICM) શરૂ કરવામાં આવી. ભારત સરકારે તેમના સન્માનમાં એક ટપાલટિકિટ બહાર પાડી હતી. કોઈ અર્થશાસ્ત્રીના નામની ટિકિટ બહાર પડી હોય તેવો ભારતમાં આ પહેલો બનાવ છે.

Categories
વાચન સમૃદ્ધિ

સાતપુડાપર્વતમાળા

ભારતના મધ્ય ભાગમાં પૂર્વ-પશ્ચિમ પથરાયેલી પર્વતમાળા.

તે 22 27’ ઉ. અ. અને 76 22´ પૂ. રેખાંશની આજુબાજુ વિસ્તરેલી છે. ‘સાતપુડા’ શબ્દનો અર્થ ‘સાત ગેડ’ (seven folds) થાય છે, જે આ હારમાળામાં રહેલી અનેક સમાંતર ડુંગરધારોનો ઉલ્લેખ કરે છે. પૂર્વમાં અમરકંટકથી તેનો આરંભ થાય છે. પશ્ચિમે દક્ષિણ ગુજરાતમાં તે પ્રવેશે છે. તે નર્મદા ખીણની દક્ષિણે અને તાપી ખીણની ઉત્તરે પથરાયેલી છે. તે આ બંને નદીઓ વચ્ચે જળવિભાજક બની રહે છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં તેનો પ્રસ્તાર છે. પશ્ચિમે રાજપીપળાની ટેકરીઓ સ્વરૂપે તે પશ્ચિમ ઘાટ (સહ્યાદ્રિ) સુધી લંબાઈ છે. અહીં અસીરગઢનો પહાડી કિલ્લો આવેલો છે.

સાતપુડા પર્વતમાળા

સાતપુડા પર્વતમાળાની લંબાઈ આશરે 900 કિમી. છે. તેની સરાસરી ઊંચાઈ 750 મી. જેટલી છે. 1200 મી.ની ઊંચાઈવાળાં શિખરો ધરાવતી આ હારમાળામાં મહાદેવ-ટેકરીઓ, મૈકલ ટેકરીઓ તથા છોટાનાગપુરના ઉચ્ચપ્રદેશનો સમાવેશ થાય છે. આ ટેકરીઓ સાતપુડા હારમાળાની પૂર્વ તરફ વિસ્તરેલી છે. તેની ઉત્તર તરફ આવેલી વિંધ્ય હારમાળાનો કેટલોક ભાગ પણ ક્યારેક તેમાં ગણાય છે. મધ્યપ્રદેશમાં આવેલું પચમઢી એ ‘સાતપુડાની રાણી’ તરીકે જાણીતું બનેલું ગિરિમથક છે.

સાતપુડા ટેકરીઓનો પૂર્વ તેમ જ પશ્ચિમ બાજુનો મોટો ભાગ સ્તરબદ્ધ લાવા પ્રવાહોવાળા બેસાલ્ટ ખડકોથી બનેલો છે. આ લાવાપ્રવાહોથી બનેલા ખડકોનાં આવરણ ઉપરાંત તેનો મધ્ય ભાગ ગ્રૅનાઇટના જેવાં લક્ષણોવાળા ખડકોથી તથા રૂપાંતરિત ખડકોથી બનેલો છે. તેમની ઉપર ગોંડવાના રચનાના રેતીખડકો રહેલા છે. સાતપુડાના કેટલાક ભાગો ગેડીકરણ તેમ જ ઊર્ધ્વગમનના પુરાવા રજૂ કરે છે. આર્થિક દૃષ્ટિએ તો આ હારમાળાનો ભાગ સમૃદ્ધ નથી, પરંતુ તેના અગ્નિભાગમાં મૅંગેનીઝ અને ખનિજકોલસાના જથ્થાનું ખનનકાર્ય થાય છે. ઉચ્ચપ્રદેશીય વિભાગ જંગલોથી છવાયેલો છે. પશ્ચિમ ભાગમાં સાગનાં મૂલ્યવાન વૃક્ષો આવેલાં છે. મહાદેવ-ટેકરીઓમાંથી વહેતી વૈનગંગા અને પેંચ નદીખીણોમાં થોડા પ્રમાણમાં ખેતી થાય છે. ઊંચી ટેકરીઓવાળા ગોંડ ટેકરી વિભાગમાંની આદિવાસી પ્રજા ઝૂમ (સ્થળાંતરિત) ખેતી કરે છે. અહીંની ખીણોમાં થઈને જબલપુર-મુંબઈ સડક અને રેલમાર્ગ જાય છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-૯-માંથી