Categories
વાચન સમૃદ્ધિ

ઝાંઝીબાર

આફ્રિકાના પૂર્વ કિનારે આવેલ તાન્ઝાનિયા પ્રજાસત્તાકનો એક પ્રદેશ. ઝાંઝીબાર, પેમ્બા અને કેટલાક નાના ટાપુઓનો બનેલો છે. ઝાંઝીબારનો ટાપુ આફ્રિકાની મુખ્ય ભૂમિથી 32 કિમી. દૂર 6° દ. અ. અને 40° પૂ. રે. ઉપર દક્ષિણ ગોળાર્ધમાં આવેલો છે. ઝાંઝીબાર અને પેમ્બા ટાપુનું ક્ષેત્રફળ 2643 ચોકિમી. છે. પેમ્બા ટાપુ ઈશાન ખૂણે 40 કિમી. દૂર છે. તેનું ક્ષેત્રફળ 984 કિમી. છે. વસ્તી 18,89,000 (2022 આશરે). પરવાળાંના આ ટાપુઓ સમુદ્રમાંથી ઊપસી આવેલા છે. તેની ફરતો સમુદ્ર છીછરો અને બાધક ખડકોની શૃંખલાવાળો હોઈ વહાણવટા માટે ભયજનક છે. માત્ર ઝાંઝીબાર ટાપુના પશ્ચિમ કિનારે આવેલ બારા નજીકનો સમુદ્ર ઊંડો છે. આ કુદરતી બારું છે. આ ટાપુઓ વિષુવવૃત્ત નજીક હોવાથી તેની આબોહવા ગરમ અને ભેજવાળી છે. ચારે તરફ સમુદ્રને કારણે ગરમીનું પ્રમાણ ઓછું રહે છે અને ઉનાળા અને શિયાળાના તથા રાત્રિ અને દિવસના તાપમાન વચ્ચે ભાગ્યે જ 5થી 6 અંશનો તફાવત રહે છે. સરેરાશ તાપમાન 24° થી 30° સે. રહે છે. ડિસેમ્બરથી માર્ચ દરમિયાન અહીં ગરમી પડે છે અને હવામાન પ્રમાણમાં સૂકું રહે છે. એપ્રિલ અને મે માસમાં નૈર્ઋત્યના મોસમી પવનોને લીધે ભારે વરસાદ પડે છે, જ્યારે જૂનથી ઑક્ટોબરમાં શીતળ અને સૂકું હવામાન રહે છે. આ પ્રદેશ દક્ષિણ ગોળાર્ધમાં હોવાથી ઉત્તર ગોળાર્ધ કરતાં ઋતુઓનો ક્રમ ઊલટો રહે છે. નવેમ્બર અને ડિસેમ્બરમાં હળવો વરસાદ પડે છે. ઝાંઝીબારમાં સરેરાશ 1470 મિમી. અને પેમ્બામાં 1850 મિમી. વરસાદ પડે છે.

લવિંગ

ઝાંઝીબાર ટાપુનો પૂર્વ તરફનો ભાગ ખડકાળ તથા જંગલ અને કળણવાળો છે. ઝાંઝીબાર અને પેમ્બા ટાપુઓની મોટા ભાગની જમીન ફળદ્રૂપ છે અને વિવિધતા ધરાવે છે. આ ટાપુનો મુખ્ય પાક લવિંગ છે. લવિંગના વિશ્વ-ઉત્પાદનમાં તેનો 80% હિસ્સો અને પ્રથમ સ્થાન છે. ઇન્ડોનેશિયા અને ભારતમાં તેની મોટા પ્રમાણમાં નિકાસ થાય છે. 1964 પૂર્વે તેનો વેપાર ભારતીયોના હાથમાં હતો. આ વેપાર ખૂંચવવા યુરોપિયન વેપારીઓ દ્વારા પ્રયત્ન કરાતાં ભારતે 1938માં તેની આયાત બંધ કરી તેનો બહિષ્કાર કર્યો હતો. બીજો મહત્વનો પાક નારિયેળનો છે. આ બે પાકની નિકાસ ઉપર સમગ્ર પ્રદેશના અર્થતંત્રનો આધાર છે. લોકોનો મુખ્ય ધંધો ખેતી છે. તે સિવાય મચ્છીમારી અન્ય વ્યવસાય છે. ખેતીની પેદાશ પર આધારિત ઉદ્યોગો ઉપરાંત પગરખાં બનાવવાના; છીપ, હાથીદાંત અને અબનૂસનાં ઘરેણાં, ધાતુકામ, કાથી, દોરડાં તેમજ સાબુ બનાવવાના ગૃહઉદ્યોગો છે. ઇતિહાસ : 1964 સુધી આરબો જમીનમાલિકો હતા અને ભારતીયો વેપાર ખેડતા હતા, જ્યારે યુરોપિયનો સરકારી નોકરીમાં હતા. ઝાંઝીબાર સ્વતંત્ર થતાં યુરોપિયનો આ દેશ છોડી ગયા હતા.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, ઝાંઝીબાર, પૃ. 139)

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

અપેક્ષા એ અન્યના સ્વાતંત્ર્ય પર તરાપ છે !

ઇચ્છા અને અપેક્ષાઓના યુદ્ધમાં વ્યક્તિ ખુવાર થઈ જાય છે. એ સતત પોતાના સ્વજનો પાસે અમુક અપેક્ષાઓ રાખે છે. પુત્ર, પત્ની, મિત્ર કે સહયોગી પર એણે પોતાની અપાર અપેક્ષાઓ ટેકવી હોય છે અને તેઓએ એ મુજબ જ વર્તન કરવું જોઈએ તેમ માને છે. પત્ની અપેક્ષા મુજબ વર્તન કરે નહીં તો પતિને દુ:ખ થાય છે. મિષ્ટાન્ન ખાવાની પતિની ઇચ્છા સંતૃપ્ત ન થાય તો એની અપેક્ષાઓ ઘવાતાં ભારે દુ:ખ પહોંચે છે. દરેક પિતા તેજસ્વી અને પ્રભાવશાળી પુત્ર હોય એમ ઇચ્છે છે, પરંતુ સાથોસાથ એ પરમ આજ્ઞાંકિત હોય તેવી અપેક્ષા રાખે છે. પ્રતિભાશાળી અને આજ્ઞાંકિત વચ્ચે વિરોધ પણ જાગે છે, કારણ કે જે પ્રતિભાશાળી હોય છે, એ નિશ્ચિત ચોકઠામાં રહી શકતો નથી. લાદેલાં બંધનો કે દોરેલી લક્ષ્મણરેખામાં કાર્ય કરવું એને માટે મુશ્કેલ હોય છે. એટલે એક બાજુ પુત્ર નવાં નવાં શિખરો સર કરે એવી અપેક્ષા રાખે છે બીજી બાજુ એ પુત્ર આપણી સાથે આપણને ગમતું જ વર્તન કરે એમ ઇચ્છીએ છીએ. અપેક્ષા એ અન્યના સ્વાતંત્ર્ય પર સૂક્ષ્મ રીતે લગાવાતી તરાપ છે. માગણી એ અપેક્ષાની જીવાદોરી છે. માગણીની લાગણી સંતોષાય તો અપેક્ષાને સાતા વળે છે. પણ જો માગણીની લાગણી સંતોષાય નહીં તો અપેક્ષા બૂમરેંગ થાય છે અને આઘાત અનુભવેલું હૃદય પ્રત્યાઘાતોથી શીર્ણ-વિશીર્ણ થઈ જાય છે. અપેક્ષાને મનમાં રાખવી જોઈએ, પરંતુ એને હૃદયના સિંહાસન પર બેસાડવી જોઈએ નહીં. મનમાં રહેલી અપેક્ષાનું વિસ્મરણ થઈ શકે, પરંતુ હૃદયના સિંહાસને બઠેલી અપેક્ષા તો સતત સ્મરણથી નિરાશા, કટુતા અને નિ:સાસાને જ નિમંત્રે છે.

Categories
વાચન સમૃદ્ધિ

માલિક કે ગ્રાહક

વિશ્વના અગ્રણી મોટર-ઉત્પાદક અને ઔદ્યોગિક ક્રાંતિના પ્રણેતા હેન્રી ફૉર્ડ પોતાના વ્યવસાય અર્થે ઇંગ્લૅન્ડ ગયા. ઔદ્યોગિક ક્રાંતિના પ્રણેતા હેન્રી ફૉર્ડે ખાણ, સ્ટીલ-પ્લાન્ટ, રબર-ઉત્પાદન તેમજ લડાઈના માલસામાનના ઉત્પાદનમાં રસ લીધો, પરંતુ એમણે મોટર-કારના જથ્થાબંધ ઉત્પાદનથી ક્રાંતિ કરી.  વિશ્વના બધા દેશોમાં ફૉર્ડ કારના મૉડલ ‘T’ ઉપરાંત બીજાં અનેક મૉડલો પ્રચલિત બન્યાં હતાં અને મોટરકારના ઉત્પાદનમાં ક્રાંતિ સર્જાતાં અમેરિકાના આર્થિક અને સામાજિક જીવન પર પણ ઘણો પ્રભાવ પડ્યો. વિશ્વપ્રસિદ્ધ હેન્રી ફૉર્ડ પોતાના અંગત કામ માટે લંડન શહેરમાં આવ્યા અને બ્રિટનના લોકોને એ જાણીને આશ્ર્ચર્ય થયું કે વિશ્વપ્રસિદ્ધ ફૉર્ડ-કારના નિર્માતા સ્વયં રૉલ્સ રોયસ કારમાં ફરી રહ્યા છે. કોઈએ આ અંગે એમને પૂછ્યું નહીં, પરંતુ જ્યારે તેઓ ઇંગ્લૅન્ડના સમ્રાટ જ્યોર્જ પાંચમાને મળવા ગયા, ત્યારે એમણે સવાલ કર્યો, ‘મિ. ફૉર્ડ, તમારી કારના વિજ્ઞાપનમાં તમે લખો છો કે ફૉર્ડ એ જગતની સૌથી સારામાં સારી મોટરકાર છે, તેમ છતાં ઇંગ્લૅન્ડમાં તમે તમારી કંપનીની કારને બદલે બીજી કંપનીની કારમાં કેમ ફરો છો ? આ બાબત ભારે અટપટી લાગે છે.’ ફૉર્ડે કહ્યું, ‘સમ્રાટ, એ વાત તો હું ચોક્કસ કહીશ કે મારી કાર એ વિશ્વની સૌથી ઉત્તમ કાર છે. મારા એ મતમાં કોઈ ફેરફાર થયો નથી. પરંતુ તમને શું કહું ? હું મારા મૅનેજરને વારંવાર કહી ચૂક્યો છું કે મારે લંડનમાં ઘૂમવા માટે ફૉર્ડ કારની જરૂર છે, પણ એ કહે છે કે મોટર તૈયાર થતાં જ એ તરત વેચાઈ જાય છે. તેથી મારે માટે સવાલ એ છે કે ફૉર્ડ કાર ગ્રાહકને આપું કે માલિકને આપું ? આને પરિણામે હું ફૉર્ડમાં ફરી શકતો નથી અને તેથી સેકન્ડ બેસ્ટ કાર રૉલ્સ રોયસનો ઉપયોગ કરું છું.’ ફૉર્ડનો આ ઉત્તર સાંભળીને સમ્રાટ ચકિત થઈ ગયા અને લોકોને આ પ્રસંગની જ્યારે જાણ થઈ, ત્યારે ખ્યાલ આવ્યો કે ફૉર્ડની અપ્રતિમ સફળતાનું રહસ્ય શું છે.