આફ્રિકાના પૂર્વ કિનારે આવેલ તાન્ઝાનિયા પ્રજાસત્તાકનો એક પ્રદેશ. ઝાંઝીબાર, પેમ્બા અને કેટલાક નાના ટાપુઓનો બનેલો છે. ઝાંઝીબારનો ટાપુ આફ્રિકાની મુખ્ય ભૂમિથી 32 કિમી. દૂર 6° દ. અ. અને 40° પૂ. રે. ઉપર દક્ષિણ ગોળાર્ધમાં આવેલો છે. ઝાંઝીબાર અને પેમ્બા ટાપુનું ક્ષેત્રફળ 2643 ચોકિમી. છે. પેમ્બા ટાપુ ઈશાન ખૂણે 40 કિમી. દૂર છે. તેનું ક્ષેત્રફળ 984 કિમી. છે. વસ્તી 18,89,000 (2022 આશરે). પરવાળાંના આ ટાપુઓ સમુદ્રમાંથી ઊપસી આવેલા છે. તેની ફરતો સમુદ્ર છીછરો અને બાધક ખડકોની શૃંખલાવાળો હોઈ વહાણવટા માટે ભયજનક છે. માત્ર ઝાંઝીબાર ટાપુના પશ્ચિમ કિનારે આવેલ બારા નજીકનો સમુદ્ર ઊંડો છે. આ કુદરતી બારું છે. આ ટાપુઓ વિષુવવૃત્ત નજીક હોવાથી તેની આબોહવા ગરમ અને ભેજવાળી છે. ચારે તરફ સમુદ્રને કારણે ગરમીનું પ્રમાણ ઓછું રહે છે અને ઉનાળા અને શિયાળાના તથા રાત્રિ અને દિવસના તાપમાન વચ્ચે ભાગ્યે જ 5થી 6 અંશનો તફાવત રહે છે. સરેરાશ તાપમાન 24° થી 30° સે. રહે છે. ડિસેમ્બરથી માર્ચ દરમિયાન અહીં ગરમી પડે છે અને હવામાન પ્રમાણમાં સૂકું રહે છે. એપ્રિલ અને મે માસમાં નૈર્ઋત્યના મોસમી પવનોને લીધે ભારે વરસાદ પડે છે, જ્યારે જૂનથી ઑક્ટોબરમાં શીતળ અને સૂકું હવામાન રહે છે. આ પ્રદેશ દક્ષિણ ગોળાર્ધમાં હોવાથી ઉત્તર ગોળાર્ધ કરતાં ઋતુઓનો ક્રમ ઊલટો રહે છે. નવેમ્બર અને ડિસેમ્બરમાં હળવો વરસાદ પડે છે. ઝાંઝીબારમાં સરેરાશ 1470 મિમી. અને પેમ્બામાં 1850 મિમી. વરસાદ પડે છે.

લવિંગ
ઝાંઝીબાર ટાપુનો પૂર્વ તરફનો ભાગ ખડકાળ તથા જંગલ અને કળણવાળો છે. ઝાંઝીબાર અને પેમ્બા ટાપુઓની મોટા ભાગની જમીન ફળદ્રૂપ છે અને વિવિધતા ધરાવે છે. આ ટાપુનો મુખ્ય પાક લવિંગ છે. લવિંગના વિશ્વ-ઉત્પાદનમાં તેનો 80% હિસ્સો અને પ્રથમ સ્થાન છે. ઇન્ડોનેશિયા અને ભારતમાં તેની મોટા પ્રમાણમાં નિકાસ થાય છે. 1964 પૂર્વે તેનો વેપાર ભારતીયોના હાથમાં હતો. આ વેપાર ખૂંચવવા યુરોપિયન વેપારીઓ દ્વારા પ્રયત્ન કરાતાં ભારતે 1938માં તેની આયાત બંધ કરી તેનો બહિષ્કાર કર્યો હતો. બીજો મહત્વનો પાક નારિયેળનો છે. આ બે પાકની નિકાસ ઉપર સમગ્ર પ્રદેશના અર્થતંત્રનો આધાર છે. લોકોનો મુખ્ય ધંધો ખેતી છે. તે સિવાય મચ્છીમારી અન્ય વ્યવસાય છે. ખેતીની પેદાશ પર આધારિત ઉદ્યોગો ઉપરાંત પગરખાં બનાવવાના; છીપ, હાથીદાંત અને અબનૂસનાં ઘરેણાં, ધાતુકામ, કાથી, દોરડાં તેમજ સાબુ બનાવવાના ગૃહઉદ્યોગો છે. ઇતિહાસ : 1964 સુધી આરબો જમીનમાલિકો હતા અને ભારતીયો વેપાર ખેડતા હતા, જ્યારે યુરોપિયનો સરકારી નોકરીમાં હતા. ઝાંઝીબાર સ્વતંત્ર થતાં યુરોપિયનો આ દેશ છોડી ગયા હતા.
શિવપ્રસાદ રાજગોર
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, ઝાંઝીબાર, પૃ. 139)
ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી