Categories
વાચન સમૃદ્ધિ

ડરે તે બીજા

અમેરિકાના 28મા પ્રમુખ વૂડ્રો વિલ્સનને એમના સલાહકારે કહ્યું કે ‘અમેરિકાના નૌકાદળે ભવ્ય પરાક્રમ કરીને યશસ્વી વિજય મેળવ્યો છે.’ વિખ્યાત બંદર ધરાવતા મેક્સિકોના શહેર વેરા ક્રૂઝ પર અમેરિકાના નૌકાદળે યશસ્વી વિજય મેળવ્યો છે. હવે અમેરિકાના લશ્કરને માટે મેક્સિકો શહેરને નિશાન બનાવીને ધ્વંસ કરવાનું સરળ બન્યું હતું. ચોતરફ અમેરિકાના વિજયની પ્રશંસા થતી હતી.

ઘણા સૈનિકોની કુરબાનીની ઈંટ પર વિજયની ઇમારત રચાય છે, એ રીતે અમેરિકાના નૌકાદળના ઘણા યુવાન સૈનિક આ યુદ્ધમાં માર્યા ગયા અને એમના મૃતદેહોને ન્યૂયૉર્ક લાવવામાં આવતા હતા. ન્યૂયૉર્કમાં એમની રાષ્ટ્રસન્માન સાથે મોટા પાયે અંતિમ યાત્રા યોજી હતી.

અમેરિકાના પ્રમુખ વૂડ્રો વિલ્સને આમાં મુખ્ય શોક પ્રદર્શક તરીકે ભાગ લેવાનું નક્કી કર્યું. પ્રમુખના સલાહકારે એમ કહ્યું કે ચોતરફ વિજયનું વાતાવરણ છે, ત્યારે તમે શા માટે અંતિમ વિધિ શોકગ્રસ્ત કાર્યક્રમમાં જાવ છો ?

અમેરિકાના પ્રમુખ વૂડ્રો વિલ્સને જણાવ્યું, ‘‘આ કોઈ શોકગ્રસ્ત કાર્ય નથી. બલ્કે પ્રજાની ચેતના અને રાષ્ટ્રભક્તિની પરાકાષ્ઠા દર્શાવનારો કાર્યક્રમ છે.’’

પ્રમુખના સલાહકારે મુખ્ય વાત પર આવતાં કહ્યું કે અમેરિકા અને મેક્સિકો વચ્ચે ઘણા લાંબા વખતથી યુદ્ધ ચાલે છે ! એ બંને પક્ષોને ખૂબ થકવનારું બન્યું છે. એમાં એવી પણ વાતો ચાલે છે કે અમેરિકન પ્રમુખની હત્યા કરવા માટે ઘણાં કાવતરાંઓ યોજાયાં છે.

આ સાંભળીને વૂડ્રો વિલ્સને કહ્યું કે મારી સામે કાવતરાંઓ ઘડાય છે એ માત્ર અફવા પણ હોઈ શકે.

એક વ્યક્તિએ કહ્યું, ‘‘શ્રીમાન પ્રમુખશ્રી, તમે વૉશિંગ્ટન ડી.સી. ન જાઓ તો સારું.’’ બીજાએ કહ્યું, ‘‘હવે ન્યૂયૉર્ક સલામત રહ્યું નથી.’’ જ્યારે પત્રકાર તરીકે આવેલી ત્રીજી વ્યક્તિએ કહ્યું, ‘‘અમેરિકા એના પ્રમુખને ગુમાવે તે પોસાય
તેમ નથી.’’

પ્રમુખ વૂડ્રો વિલ્સને જવાબ આપ્યો, ‘‘અમેરિકાને પ્રમુખ વગર ચાલશે, પણ બીકણ કે બાયલો પ્રમુખ નહીં પોસાય.’’

અને વૂડ્રો વિલ્સને હકીકતમાં ન્યૂયૉર્ક જઈને પ્રમુખ તરીકે સૈનિકોની અંતિમ વિધિમાં આગેવાની સંભાળી.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

શારદા મુખરજી

શારદા મુખરજીનો જન્મ તા. ૨૪ ફેબ્રુઆરી, ૧૯૧૯ના રોજ થયો અને તેમનું અવસાન તારીખ ૬ જુલાઈ, ૨૦૦૭ના રોજ થયું હતું.

તેઓ એક સામાજિક કાર્યકર, લોકસભાના પૂર્વ સદસ્ય તથા આંધ્રપ્રદેશ અને ગુજરાતના પૂર્વ રાજ્યપાલ રહી ચૂક્યા છે. તેમના પિતા પ્રતાપ સીતારામ પંડિત અને માતા સરસ્વતી. તેમણે શરૂઆતનું શિક્ષણ રાજકોટમાં લીધું અને ત્યારબાદ ઉચ્ચશિક્ષણ મુંબઈમાં લીધું હતું. મુંબઈ યુનિવર્સિટીમાંથી
અર્થશાસ્ત્રના વિષય સાથે સ્નાતકની ઉપાધિ મેળવી અને કાયદાશાસ્ત્રની કૉલેજમાં દાખલ થયા.

૧૯૩૯માં તેમનાં લગ્ન ભારતીય હવાઈદળના અધિકારી સુબ્રતો મુખરજી સાથે થયાં. થોડા સમય બાદ સુબ્રતો મુખરજી ઍર ચીફ માર્શલ બન્યા. ૧૯૫૫થી ૭૫ દરમિયાન શારદા મુખરજી ભારતનાં સશસ્ત્ર દળોની મહિલા કલ્યાણ સમિતિનાં પ્રમુખ રહ્યાં હતાં. ૧૯૬૦માં સુબ્રતો મુખરજીના આકસ્મિક મૃત્યુ પછી શારદા મુખરજી રાજકારણમાં પ્રવેશ્યાં.

તેઓ ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ તરફથી ૩જી લોકસભા (૧૯૬૨થી ૬૭) માટેની ચૂંટણીમાં મહારાષ્ટ્રના રત્નાગિરિ મતદાર મંડળમાંથી ઉમેદવાર તરીકે ચૂંટાયાં હતાં. ફરી વાર ચોથી લોકસભામાં પણ એ જ મતદાર મંડળમાંથી ૧૯૬૭થી ૭૧ની ચૂંટણીમાં પણ જીત હાંસલ કરી હતી. ત્યારબાદ ૧૯૭૭-૭૮ દરમિયાન આંધ્રપ્રદેશના રાજ્યપાલ અને ૧૯૭૮-૮૩ દરમિયાન ગુજરાતના રાજ્યપાલ તરીકે કાર્યભાર સંભાળ્યો. બંને રાજ્યોમાં પ્રથમ મહિલા રાજ્યપાલ અને
કુશળ વહીવટ માટે તેમણે ખૂબ લોકપ્રિયતા સંપાદન કરી.

તેઓ જ્યારે લોકસભાના સભ્યપદે હતાં ત્યારે પશ્ચિમ જર્મની, ઇંગ્લૅન્ડ અને સેનેગલમાં ભારતીય સંસદીય પ્રતિનિધિ મંડળના નેતા તરીકે મુલાકાતો લીધી હતી. તેમણે નૅશનલ શિપિંગ બોર્ડ, રાષ્ટ્રીય નાની બચત યોજનાના સલાહકાર મંડળ તથા ભારતીય હવાઈ દળની કલ્યાણ સમિતિની કારોબારીના સદસ્ય તરીકે તેમજ ‘ચેતનાનાં પ્રમુખ તરીકે પણ સેવાઓ આપી હતી.

રાજશ્રી મહાદેવિયા

Categories
સાંપ્રત કાર્યક્રમો

લલિતકલાકેન્દ્ર વિભાગ

18 ઑક્ટોબર 2019, ગુરુવારના રોજ વિશ્વકોશ લલિતકલાકેન્દ્ર અંતર્ગત કાવ્યસંગીતશ્રેણીમાં શ્રી માધવ રામાનુજે પોતાની કવિતાઓનું કાવ્યપઠન કર્યું હતું અને શ્રી અમર ભટ્ટે તેમની કવિતાઓની ગાન અને સંગીત દ્વારા પ્રસ્તુતિ કરી હતી.