Categories
વાચન સમૃદ્ધિ

દુર્ગા ભાગવત

જ. ૧૦ ફેબ્રુઆરી, ૧૯૧૦ અ. ૭ મે, ૨૦૦૨

મરાઠી ભાષાનાં જાણીતાં લેખિકા અને લોકસાહિત્યનાં અભ્યાસી દુર્ગા નારાયણ ભાગવતનો જન્મ ઇંદોરમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં અને માધ્યમિક શિક્ષણ નાશિક, પુણેમાં લીધું અને ઉચ્ચશિક્ષણ મુંબઈમાં લીધું. ૧૯૩૨માં સંસ્કૃત અને અંગ્રેજી વિષયો સાથે બી.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરી. ૧૯૩૫માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. ૧૯૩૯માં તેમનો મહાનિબંધ પ્રકાશિત થયો. ત્યાર બાદ તેઓએ ગાંધીજીથી પ્રભાવિત થઈ સ્વાતંત્ર્યસંગ્રામમાં ભાગ લેવા માંડ્યો અને અભ્યાસ છોડી દીધો. ૧૯૭૬માં કરાડ ખાતે આયોજિત ૫૧મા મરાઠી સાહિત્ય સંમેલનનાં અધ્યક્ષ તરીકે તેમની વરણી થઈ. તેમનાં લખાણોમાં સર્જનાત્મક કલ્પનાશીલતા જોવા મળે છે. તેમણે શરૂઆતમાં અંગ્રેજીમાં કેટલાંક લખાણો લખ્યાં હતાં. તેમના ઉત્તમ સર્જનમાં ‘ઋતુચક્ર’ (૧૯૪૮), ‘ભાવમુદ્રા’ (૧૯૬૦), ‘વ્યાસપર્વ’ (૧૯૬૨), ‘રૂપરંગ’ (૧૯૬૭) તથા ‘પૈસ’(૧૯૭૦)નો સમાવેશ થાય છે. ‘કેતકરી કાદંબરી’ અને ‘સત્યમ્ શિવમ્ સુંદરમ્’ તેમનાં સાહિત્યિક તત્ત્વવિષયક વ્યાખ્યાનો છે. તેમણે જુદા જુદા પ્રદેશોની લોકકથાઓ અતિ સરળ અને સુગમ શૈલીમાં લખી છે. તેઓએ નિબંધલેખનમાં પણ સારું કામ કર્યું છે. તેમનાં લખાણોમાં વિષયવૈવિધ્ય, ઊર્મિસભરતા તથા માનવમનની ઇચ્છાઓ વિશે જાણવા મળે છે. તેમનું ‘ઋતુચક્ર’ મરાઠી ભાષાનાં ઉત્તમ પુસ્તકોમાં સ્થાન ધરાવે છે. તેમાં પ્રકૃતિના બદલાવો વિશે લખવામાં આવ્યું છે. તેમાં ભારતની બધી મોસમો અને તેની ખાસિયત વિશેનું નિરૂપણ છે.  તેમનું ‘ધર્મ આણિ લોકસાહિત્ય’ (૧૯૭૫) પુસ્તક પણ ખૂબ જાણીતું થયું છે. તેમણે સંસ્કૃત, અંગ્રેજી તથા અમેરિકન કૃતિઓનાં પણ સુંદર ભાષાંતરો કર્યાં છે. તદ્ઉપરાંત તેમની કેટલીક ઉત્તમ કૃતિઓનો ભારતીય ભાષાઓમાં અનુવાદ થયો છે. દુર્ગા ભાગવતે કદી લગ્ન કર્યાં નહીં. જીવનભર ગૌતમ બુદ્ધ, વ્યાસ, આદિશંકરાચાર્ય, અમેરિકન દાર્શનિક હેનરી ડેવિડ થોરો અને ભારતીય લેખક શ્રીધર વેંકટેશ કેતકર તેમના આદર્શ હતા. ૧૯૭૧માં તેમના પુસ્તક ‘પૈસ’ માટે તેમને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. તેઓ ‘મરાઠી સરસ્વતીચી સરસ્વતી’થી નામના પામ્યાં હતાં.

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

અડગ કાર્યનિષ્ઠા

નોબેલ પારિતોષિક વિજેતા, સાપેક્ષતા(રિલેટિવિટી)ના સિદ્ધાંતના સ્થાપક એવા ભૌતિકશાસ્ત્રી અને ગણિતજ્ઞ આલ્બર્ટ આઇન્સ્ટાઇન (૧૮૭૯-૧૯૫૫) પોતાના સાથી મદદનીશ સાથે એક સંશોધનપત્ર તૈયાર કરી રહ્યા હતા. એક પછી એક કાગળો લખતા ગયા અને અંતે સંશોધનલેખ પૂરો થયો ત્યારે એમણે એ કાગળોને એક સાથે રાખવા માટે મોટી યૂ-પિનની જરૂર પડી. પુસ્તકો અને કાગળોના ઢગ વચ્ચે આ મહાન વિજ્ઞાનીએ મોટી યૂ-પિનની શોધ ચલાવી, પણ મળતી નહોતી. આખરે રૂમમાં બધું ફેંદી વળતાં એકમાત્ર યૂ-પિન મળી અને તે પણ સાવ વળી ગયેલી ! આઇન્સ્ટાઇને એ પિનને સીધી કરવાનું વિચાર્યું. એને બરાબર ટીપવા માટે કોઈ સાધન શોધતા હતા, ત્યાં તો યૂ-પિનનું આખું બૉક્સ મળી આવ્યું. મદદનીશે વિચાર્યું કે આખું બૉક્સ મળતાં આઇન્સ્ટાઇનને નિરાંત થઈ હશે, પરંતુ આઇન્સ્ટાઇને તો એ યૂ-પિન સીધી કરવાનું કામ ચાલુ રાખ્યું. એમનો મદદનીશ આ જોઈને બોલી ઊઠ્યો. ‘અરે, હવે નવી યૂ-પિનનું આખું બૉક્સ મળી ગયું છે, પછી આ વાંકી વળી ગયેલી પિનને સીધી કરવાની શી જરૂર ? એની પાછળ શાને સમય વેડફો છો?’ આઇન્સ્ટાઇને કહ્યું, ‘જુઓ, એક વાર હું જે કામ કરવાનું નક્કી કરું છું, એમાંથી ચલિત થવાનું ક્યારેય પસંદ કરતો નથી.’ અને આઇન્સ્ટાઇને વાંકી વળેલી પિન બરાબર કરીને એને કાગળોમાં બરાબર ભરાવી. પ્રિન્સ્ટન યુનિવર્સિટીના અધ્યાપક આઇન્સ્ટાઇનને એમની યુનિવર્સિટીના એક અધ્યાપકે એમના જીવનમંત્ર વિશે પૂછ્યું, ત્યારે આઇન્સ્ટાઇને આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

પ્રતાપરાય મોહનલાલ મોદી

જ. ૯ ફેબ્રુઆરી, ૧૮૯૬ અ. ૧૧ ઑગસ્ટ, ૧૯૮૬

સંસ્કૃતના પ્રખર વિદ્વાન, વિવેચક અને અનુવાદક પ્રતાપરાય મોદીનો જન્મ ભાવનગરમાં થયો હતો. પિતા મોહનલાલ અને માતા સૂરજબહેન મોદી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં લીધું. ભણવામાં ખૂબ તેજસ્વી હતા. મૅટ્રિકમાં ભાવનગર રાજ્યની તમામ શાળાઓમાં પ્રથમ સ્થાને આવ્યા અને શ્રી જશવંતસિંહજી સ્કૉલરશિપ પ્રાપ્ત કરી. ગુજરાત કૉલેજમાંથી બી.એ. થયા તથા દક્ષિણા ફેલોશિપ મેળવી. એમ.એ.ની ઉપાધિ ૧૯૨૬માં કાશીની બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી મેળવી. ૧૯૨૮માં જર્મનીની કિલ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. ત્યારબાદ ૧૯૨૬થી ૧૯૫૩ સુધી ભાવનગરની શામળદાસ કૉલેજમાં સંસ્કૃતના અધ્યાપક તરીકે સેવા આપી. તે પછી જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાં સંસ્કૃતના પ્રાધ્યાપક બન્યા અને પછી આચાર્ય તરીકે કામગીરી કરી નિવૃત્ત થયા. ૧૯૬૧થી તેમણે એમ.એસ.યુનિવર્સિટી, વડોદરા ખાતે માનાર્હ અધ્યાપક તરીકે કામ કર્યું. તેમણે આજીવન સંસ્કૃત ભાષા અને સાહિત્યની નિ:સ્વાર્થપણે સેવા બજાવી હતી. તેમણે ૧૩થી વધુ ગ્રંથો અને ૫૩ જેટલા સંશોધનલેખો આપ્યા છે. તેમાં હિંદુ ધર્મનાં મૂળ તત્ત્વો, ‘રામાનુજાચાર્ય’, ‘એ ક્રિટિક ઑવ્ ધ બ્રહ્મસૂત્ર’, ‘શ્રી મધુસૂદન શાસ્ત્રીનું સિદ્ધાંતબિંદુ’ (અંગ્રેજી અનુવાદ),  ‘શ્રીમદ્ ભગવદગીતા – એક અભિનવ દૃષ્ટિબિંદુ’, ‘ધ ભગવદગીતા – એ ફ્રેશ અપ્રોચ’, ‘શ્રીમદ્ ભગવદગીતા – એક સરળ ભાષાંતર’, ‘શુદ્ધાદ્વૈત લેક્ચર્સ’ અને ‘શ્રીમદ્ અણુભાષ્ય’ (અંગ્રેજી ભાષાંતર) વગેરે મુખ્ય છે. તેમને અનેક પારિતોષિકોથી સન્માનવામાં આવ્યા હતા. તેમાં સુજ્ઞ શ્રી ગોકુળજી ઝાલા વેદાંત પ્રાઇઝ, શેઠ ટોડરમલ શુદ્ધાદ્વૈત વેદાંત પ્રાઇઝ મુખ્ય છે. તેમની કૃતિ ‘શ્રીમદ્ ભગવદગીતા – એક અભિનવ દૃષ્ટિબિંદુ’ને ગુજરાત યુનિવર્સિટી તરફથી ડૉ. કે. જી. નાયક સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો. ઓરિયેન્ટલ કૉન્ફરન્સની અનેક બેઠકોમાં તેમણે ભાગ લીધો હતો. ૧૯૬૭માં ભારત સરકાર તરફથી ‘પ્રેસિડન્ટ ઍવૉર્ડથી વિભૂષિત થનારા તેઓ ગુજરાતના સંસ્કૃત પ્રાધ્યાપકોમાં પ્રથમ હતા. ડૉ. રાધાકૃષ્ણન, ડૉ. ઝાયરમૅન, ડૉ. સુબ્રીંગ, પ્રો. હરમાન માસેલી, ડૉ. લક્ષ્મણ સ્વરૂપ, મહામહોપાધ્યાય પી. વી. કાણે જેવા લબ્ધપ્રતિષ્ઠિત વિદ્વાનોએ તેમની વિદ્વત્તાની કદર કરી છે.

અમલા પરીખ