Categories
વાચન સમૃદ્ધિ

પ્રશંસાની લાલસા એ આત્મહત્યા છે !

માણસને વળગેલી સૌથી મોટી ગુલામી તે બીજાના મુખે સ્વપ્રશંસા સાંભળવાની એની તીવ્ર ઇચ્છા છે. એ પોતાની સિદ્ધિનો આનંદ ગુમાવી બેઠો છે અને અન્ય વ્યક્તિ એ સિદ્ધિની પ્રશંસા કરે એની રાહ જોઈને ટાંપીને બેઠો છે. પરિણામે સ્વ-જીવનની આનંદ-મસ્તી ગુમાવી દીધી છે. એનું લક્ષ્ય આત્માનંદને બદલે અન્ય દ્વારા થતી પ્રશંસા છે. બીજા લોકો પોતાની પ્રશંસા કરે તે માટે માણસ કેટલો બધો ઉત્સુક રહે છે. એ પોતાની સિદ્ધિનાં ગુણગાન ગાયા કરે છે અને એમ કરીને બીજા પાસેથી બિરદાવલીની અપેક્ષાઓ રાખ્યા કરે છે. પોતાની પ્રાપ્તિની વાત કરે છે અને બીજા પાસેથી પોતાના પુરુષાર્થ માટે શાબાશી મેળવવાની કામના રાખે છે. એ પોતાના વિશે જે કંઈ કહે છે તે બીજાની પ્રશંસાની ભીખ માગવા માટે બોલે છે. વ્યક્તિનું લક્ષ્ય પોતાને બદલે બીજા પર ઠર્યું હોવાથી એ બીજાની નજરે પોતે સુખી, સમૃદ્ધ અને સત્તાવાન દેખાય, તેમને માટે રાત-દિવસ પ્રયત્ન કરે છે. બીજાને એની પ્રચંડ શક્તિનો પરિચય થાય કે પછી બીજાને એની અઢળક સમૃદ્ધિનો ખ્યાલ આવે, તે એનું મુખ્ય લક્ષ્ય બને છે. આથી એની દૃષ્ટિ પરાવલંબી બની જાય છે અને સમય જતાં એનું આખુંય જીવન બીજાને કેવો લાગીશ, દેખાઈશ અને અન્ય પર પોતાનો કેવો રુઆબ પડશે તેમાં સમેટાઈ જાય છે. આમ કરવા જતાં એ પોતીકી રીતે જીવતો નથી. ક્ષણે ક્ષણે એ અન્યને નજર સમક્ષ રાખીને જીવે છે. પ્રશંસા સાથે અહંકાર જોડાઈ જાય છે, સત્તા કે સંપત્તિનો અહંકાર આવી પ્રશંસા માટે સદૈવ આકુળવ્યાકુળ થતો હોય છે. સમય જતાં વૈભવની વાત વીસરાઈ જાય છે. સત્તાના પ્રભાવની ફિકર રહેતી નથી, માત્ર પ્રશંસા એ એકમાત્ર ધ્યેય બની રહે છે.

Categories
વાચન સમૃદ્ધિ

સારંગ બારોટ

જ. ૪ એપ્રિલ, ૧૯૧૯ અ. ૫ ફેબ્રુઆરી, ૧૯૮૮

ગુજરાતી નવલકથાકાર, નાટ્યકાર અને વાર્તાકાર. તેમનો જન્મ વિજાપુરમાં થયો હતો. તેમનું મૂળ નામ ડાહ્યાભાઈ દોલતરામ બારોટ પણ ગુજરાતી સાહિત્યમાં સારંગ બારોટ તરીકે જાણીતા છે. તેમણે મૅટ્રિક સુધી અભ્યાસ કર્યા બાદ વડોદરામાં આવેલી કલાભવન ટૅકનિકલ ઇન્સ્ટિટ્યૂટમાંથી ફોટોગ્રાફી અને બ્લૉકમેકિંગનો ડિપ્લોમા મેળવ્યો હતો. ૧૯૪૧-૧૯૫૦ દરમિયાન મુંબઈ ફિલ્મક્ષેત્રે આસિસ્ટન્ટ કૅમેરામૅન તરીકે અને ત્યારબાદ થોડો સમય પ્રેસ ફોટોગ્રાફર અને રિપોર્ટર તરીકે કાર્ય કર્યું હતું. તેમણે લેખનની શરૂઆત ૧૯૫૦થી કરી અને આશરે ત્રીસેક જેટલી નવલકથાઓ લખી જેમાં કૌટુંબિક પ્રશ્નોની છણાવટ મુખ્ય વિષય રહ્યો. આ ઉપરાંત સામાજિક પ્રશ્નો પણ અગ્રસ્થાને રહેલા છે. તેમની રચનાઓમાં ‘અગનખેલ, ‘રેનબસેરા’ (ભાગ ૧ અને ૨), ‘નંદનવન’, ‘બાદલછાયા, ‘કુર્યાત્ સદા મંગલમ્, ‘નદી, નાવ, સંજોગ, ‘વિલાસવહુ’, ‘સૂર્યમુખી’, ‘શ્યામ સૂરજનાં અજવાળાં’ અને ‘ધીરા સો ગંભીર’ મહત્ત્વની ગણી શકાય. વાર્તાસંગ્રહોમાં ‘અક્ષયપાત્ર’ (૧૯૫૨), ‘મોહનાં આંસુ’ (૧૯૫૨), ‘વિમોચન’ (૧૯૫૩), ‘કોઈ ગોરી, કોઈ સાંવરી’ (૧૯૫૪), ‘મેઘમલ્હાર’ (૧૯૬૩) અને ‘ગુલબંકી’ (૧૯૬૭) નોંધપાત્ર છે. સામયિકોના દીપોત્સવી અંક માટે પણ તેમણે અનેક વાર્તાઓ લખેલ છે. તેમની ‘ઝોબો’, ‘વાડામાંનો વાઘ’, ‘સુખિયો જીવ’ અને ‘કપાતર’ ઘણી પ્રશંસા પામી છે. તેમણે લખેલાં નાટકોમાં ‘પ્રેમસગાઈ’ (૧૯૬૭) અને ‘એક ડાળનાં પંખી’ (૧૯૭૯) ધ્યાનાકર્ષક ગણાય.

Categories
વાચન સમૃદ્ધિ

જોધપુર

રાજસ્થાનના ૩૩ પૈકીનો એક જિલ્લો તથા જિલ્લામથક અને ભૂતપૂર્વ દેશી રાજ્ય. જોધપુર જિલ્લો ૨૬°થી ૨૭° ૩૭´ ઉ. અ. અને ૭૨° ૫૫´થી ૭૩° ૫૨´ પૂ. રે. વચ્ચે આવેલો છે. ઉત્તરે બિકાનેર અને વાયવ્યે જેસલમેર જિલ્લા, દક્ષિણે બારમેર અને પાલી અને પૂર્વમાં નાગોર જિલ્લો છે. ઉત્તરથી દક્ષિણ ૧૯૭ કિમી. લંબાઈ અને પૂર્વથી પશ્ચિમ ૨૦૮ કિમી. પહોળાઈ છે. જિલ્લાનું ક્ષેત્રફળ ૨૨,૮૫૦ ચોકિમી. છે. જોધપુર જિલ્લાનો નીચાણવાળો ભાગ, અરવલ્લી ગિરિમાળા, અગ્નિખૂણે આવેલ રાજસ્થાનના ઉચ્ચ પ્રદેશ અને પશ્ચિમે અને વાયવ્ય ખૂણે થરના રણની વચ્ચે આવેલો છે. અર્ધરણ જેવા સપાટ પ્રદેશ વચ્ચે રેતીના ઢૂવા થાય છે. અરવલ્લીના ફાંટા રૂપે આવેલા ડુંગરો ૬૦થી ૧૫૦ મી. ઊંચા છે અને વનસ્પતિ વિનાના છે. જિલ્લાનો શુષ્ક પ્રદેશ રેતાળ છે પણ અરવલ્લી અને લૂણી નદી વચ્ચેનો પ્રદેશ ખેતીલાયક છે. અહીં પાણી ખૂબ ઊંડાઈએ મળે છે. જોધપુર જિલ્લાની આબોહવા રણ જેવી છે. ઉનાળામાં મે માસમાં વધુમાં વધુ તાપમાન ૪૯° સે. અને શિયાળામાં સરેરાશ તાપમાન ૧૪° સે. હોય છે. ઉનાળામાં સખત લૂ વાય છે. સરેરાશ વરસાદ ૨૫૦થી ૫૦૦ મિમી. પડે છે. જિલ્લાની માટીમાં રેતીનું પ્રમાણ વધારે છે. માટી લાલ તથા ખારાશવાળી છે. ખેતીના પાકોમાં જુવાર, બાજરો, સરસવ, એરંડા, ગુવાર, મગ, મઠ વગેરે મુખ્ય છે. પાણીની સગવડ હોય ત્યાં થોડા પ્રમાણમાં ઘઉં અને ચણા થાય છે.

પશુઓમાં ઘેટાં, બકરાં અને ગાય, બળદ, ઊંટ, ઘોડા વગેરે છે. વન્ય પશુઓમાં વાઘ, રીંછ, સાબર, ચીતળ અને રોઝ મુખ્ય છે. ફલોદી પાસેના ખારા તળાવના પાણીનો મીઠું બનાવવા માટે ઉપયોગ થાય છે. આ સિવાય ચિરોડી, બાંધકામ માટેનો પથ્થર અને મુલતાની માટી વગેરે ખનિજો પણ છે. આછો ગુલાબી પથ્થર અને બલુઆ પથ્થર પ્રસિદ્ધ છે. લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. ઉદ્યોગો મુખ્યત્વે જોધપુર શહેરમાં આવેલા છે. અહીં ગરમ કાપડની મિલ, સિમેન્ટનું કારખાનું, મોટરના પિસ્ટન અને કૂલર, શાફ્ટ વગેરેના છૂટક ભાગો બનાવવાનું કારખાનું; કાચ, લોખંડનું રાચરચીલું, ચામડાની બૅગ, પગરખાં તથા ઍલ્યુમિનિયમની વસ્તુઓ અને વાસણો વગેરેનાં કારખાનાં છે. રંગાટી તથા છાપકામ, ધાબળા, બાંધણી વગેરે ગૃહઉદ્યોગો વિકસ્યા છે. જોધપુરમાં રાજસ્થાન રાજ્યની સંગીત અકાદમી, વિશ્વવિદ્યાલય, ઇજનેરી તથા અન્ય કૉલેજ, સંગ્રહસ્થાન વગેરે આવેલાં છે. જોધપુર જિલ્લાની વસ્તી ૨૦૨૪માં ૪૭,૯૦,૦૦૦ (આશરે) છે. તે ધોરી માર્ગે રેલવે દ્વારા બિકાનેર, જેસલમેર, જયપુર, અમદાવાદ, દિલ્હી, અજમેર તથા રાજસ્થાનનાં મુખ્ય વેપારી કેન્દ્રો તથા જિલ્લામથકો સાથે જોડાયેલું છે. અહીં ઍર ઇન્ડિયાનું વિમાનઘર તથા વાયુસેનાનું મથક છે. જસવંત થડામાં ટકોરા મારવાથી સંગીતના સૂર કાઢતું સંગેમરમરનું સ્ફટિક ભવન છે. જોધપુરની પ્રાચીન રાજધાની મંડોર કે માંડવગઢમાં કિલ્લો, જનાના ઉદ્યાન, દેવતાઓનો સાલ મહેલ અને સંગ્રહાલય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, જોધપુર, પૃ. 27)

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી