Categories
વાચન સમૃદ્ધિ

બિસ્મિલ્લાખાં

જ. ૨૧ માર્ચ, ૧૯૧૬ અ. ૨૧ ઑગસ્ટ, ૨૦૦૬

વિશ્વવિખ્યાત શરણાઈવાદક બિસ્મિલ્લાખાંનો જન્મ ડુમરાંવ, બિહારમાં પયગંબરબક્ષખાં અને મિઠ્ઠનબાઈને ત્યાં થયો હતો. જન્મ વખતનું તેમનું નામ કમરૂદ્દીન હતું. તેમના દાદા રસૂલબક્ષખાંએ નવજાત બાળકને જોઈ ‘બિસ્મિલ્લાહ’ એવો ઉદગાર કાઢ્યો અને ત્યારથી તેઓ બિસ્મિલ્લાખાં તરીકે ઓળખાવા માંડ્યા. તેમના દાદા રસૂલબક્ષ તથા પરદાદા ભોજપુર દરબારમાં શરણાઈવાદક હતા. પિતા ઉસ્તાદ પયગંબરબક્ષ પણ સારા સંગીતકાર હતા. બિસ્મિલ્લાખાંએ શરણાઈવાદનની તાલીમ છ વર્ષની ઉંમરથી તેમના મામા ઉસ્તાદ અલીબક્ષ પાસેથી લેવાની શરૂઆત કરી હતી. અલીબક્ષ વારાણસીના કાશીવિશ્વનાથ મંદિરમાં શરણાઈ વગાડતા હતા. બિસ્મિલ્લાખાંએ શરણાઈવાદનની સાથે સાથે એહમદહુસેનખાં પાસેથી શાસ્ત્રીય કંઠ્ય સંગીતની અને હાર્મોનિયમની તાલીમ લક્ષ્મણપ્રસાદ તથા ગ્વાલિયરના ગણપતરાવ ભૈયા પાસેથી મેળવી. મામાની સાથે નાની ઉંમરથી જ અનેક સંગીતસંમેલનમાં હાજર રહેવાની તેમને તક મળી. સખત રિયાઝને પરિણામે આશરે ૧૬ વર્ષની નાની વયે તો તેઓ ભારતીય શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રમાં કુશળ કલાકાર તરીકે ઓળખાવા લાગ્યા. પ્રયાગ સંગીત વિદ્યાલયના સંગીતસમારોહમાં શરણાઈ વગાડવા માટે તેમને સુવર્ણચંદ્રક મળ્યો અને ત્યારથી તેમને ખૂબ પ્રસિદ્ધિ મળતી ગઈ અને તેઓ ઉસ્તાદ બિસ્મિલ્લાખાં તરીકે જાણીતા થયા. ૧૯૪૭, ૧૫મી ઑગસ્ટે જ્યારે ભારતનો રાષ્ટ્રધ્વજ લાલ કિલ્લા ઉપરથી ફરકાવવામાં આવ્યો ત્યારે શરણાઈના સૂર રેલાવા બિસ્મિલ્લાખાંને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ૧૯૫૬માં શરણાઈવાદન માટે તેમને રાષ્ટ્રપતિ દ્વારા સુવર્ણચંદ્રકથી સન્માનિત કરવામાં આવેલા. તેમણે અમેરિકા, સોવિયેત સંઘ, સાઉદી અરેબિયા તથા ઇરાક જેવા દેશોની યાત્રા કરી હતી અને અપૂર્વ ચાહના મેળવી હતી. આકાશવાણી ઉપરથી પણ તેમના અનેક કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવ્યા છે. તેમને મળેલા પુરસ્કારોમાં ‘સંગીત નાટક અકાદમી ઍવૉર્ડ’ (૧૯૫૬), ‘પદ્મશ્રી’ (૧૯૬૧), ‘પદ્મભૂષણ’ (૧૯૬૮), ‘પદ્મવિભૂષણ’ (૧૯૮૦) અને ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર ‘ભારત રત્ન’(૨૦૦૧)નો સમાવેશ થાય છે. તેમના મૃત્યુના દિવસે ભારત સરકારે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો હતો.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

સસલું

લાંબા કાન, ટૂંકી પૂંછડી અને લીસી રુવાંટી ધરાવતું સસ્તન વર્ગનું પ્રાણી. આ પ્રાણી વિશ્વના ઘણાખરા દેશોમાં મળી આવે છે. પાળેલાં સસલાં (rabbit) દેખાવે રૂપાળાં, સુંવાળાં, સામાન્ય રીતે સફેદ, કથ્થાઈ અને રાખોડી રંગ ધરાવે છે. આ પ્રાણીના ઉપલા હોઠ પર લાંબી ઊભી ફાટ હોવાથી તેના ઉપરના બે દાંત સ્પષ્ટ દેખાઈ આવે છે. જંગલી સસલાની રુવાંટી સામાન્ય રીતે પર્યાવરણમાં ભળતી કાળી બદામી અને ભૂખરી હોય છે. જંગલી સસલાને wild hare કહેવાય છે. સસલાં શાકાહારી છે. તેઓ કૂણું ઘાસ, શાકભાજી, ગાજર જેવાં વિવિધ કંદમૂળો અને અનાજના કુમળા છોડ ખાય છે. સસલું શાંત અને બીકણ પ્રકૃતિનું પ્રાણી છે. તે ઘાસનાં મેદાનોમાં અને ઝાડીઝાંખરાં અને જંગલમાં વસે છે. તે અગ્ર ઉપાંગોની મદદથી જમીનમાં લાંબું દર ખોદીને રહે છે. તે દરમાંથી બહાર આવવાના ઘણા રસ્તાઓ હોય છે, જેથી ભયના સમયે તેને છટકવાનું સહેલું પડે છે. દરમાં એક કરતાં વધારે સસલાં સાથે રહે છે. પોતાના રક્ષણ માટે અસમર્થ હોવાથી સસલું વહેલી સવારે કે મોડી સાંજે ખોરાક મેળવવા માટે દરની બહાર નીકળે છે. આ રીતે સસલું નિશાચર છે. સહેજ અવાજ થતાં તે તુરત જ દરમાં સંતાઈ જાય છે.

સસલું દોડવાને કે ચાલવાને બદલે કૂદકા મારીને પ્રચલન કરે છે. સામાન્ય સંજોગોમાં સસલાની ઝડપ ૧ કલાકના ૪ કિલોમીટર જેટલી હોય છે. ભયજનક પરિસ્થિતિમાં તે ૧ કલાકના ૩૨થી ૪૦ કિલોમીટરની ઝડપે પણ દોડી શકે છે. તે આડું-અવળું દોડી, કૂદકા લગાવી દુશ્મનથી જાન બચાવવાની કોશિશ કરે છે. કૂતરો, વરુ, રાની બિલાડો, બાજ, ગરુડ કે ઘુવડ જેવાં પ્રાણીઓ સસલાનો શિકાર કરે છે. આથી તેની વસ્તી નિયંત્રણમાં રહે છે. સસલાં ખેતીપાકો તથા શાકભાજીની વાડીઓમાં ઘણું નુકસાન કરે છે. સસલાંની વસ્તી ખૂબ ઝડપથી વધી જાય છે. માદા છ મહિનાની થાય એટલે ગર્ભાધાન કરી શકે છે. ગર્ભાધાનનો સમય ૧ મહિનાનો હોય છે, એકીવખતે ૬થી ૮ બચ્ચાંને તે જન્મ આપે છે. નરમાદાની જોડી વર્ષમાં ૪થી ૫ વાર બચ્ચાંને જન્મ આપે છે. માદા પોતાના દરમાં સૂકું ઘાસ પાથરી તેના પર પોતાના વાળ રાખી તેની સુંવાળી, હૂંફાળી ગાદી બનાવે છે. બચ્ચાં જન્મે ત્યારે ખૂબ નબળાં અને માતા પર અવલંબિત હોય છે. માદા સસલી દૂધ પિવડાવીને તેમનું જતન કરે છે. સસલાનો માંસ તથા ફર માટે શિકાર થાય છે. વળી સૌંદર્યપ્રસાધનો બનાવીને તેની અજમાયશ સસલા પર કરવામાં આવે છે અને તે પછી તેનો ઉપયોગ મનુષ્યો માટે કરાય છે. બાળકોને સસલાં પાળવાનું અને તેમની સાથે રમવાનું ગમે છે. બાળકોનાં રમકડાંમાં પણ તેનું સ્થાન ઘણું મહત્ત્વનું હોય છે. બાળવાર્તાઓમાં પણ સસલાનું પાત્ર અચૂક જોવા મળે છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

કર્નલ જેમ્સ ટૉડ

જ. ૨૦ માર્ચ, ૧૭૮૨ અ. ૧૮ નવેમ્બર, ૧૮૩૫

બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના એક અધિકારી. સ્કૉટલૅન્ડના ઇસ્લિંગટનમાં જન્મેલા જેમ્સ ટૉડને માત્ર સત્તર વર્ષની ઉંમરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં નિયુક્તિ મળી. ૧૮૧૩માં તેમને કૅપ્ટનના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા. ૧૮૧૮થી ૧૮૨૨ સુધી તેઓ પશ્ચિમી રાજપૂતાનાના પોલિટિકલ એજન્ટ તરીકે કાર્યરત રહ્યા. તેમણે રાજપૂત રાજ્યોમાં શાંતિ સ્થાપીને લોકોમાં વિશ્વાસ પેદા કર્યો. પરિણામ સ્વરૂપે માત્ર એક જ વર્ષમાં અગાઉ ખાલી થયેલાં ૩૦૦ જેટલાં કસબા અને ગામોમાં લોકો પાછા ફર્યા અને વેપારરોજગાર શરૂ થયો. તેમણે તેમના વહીવટનાં પાંચ વર્ષ દરમિયાન લોકોની ખૂબ ચાહના મેળવી. બ્રિટિશ રાજના રાજપ્રતિનિધિ તરીકે તેમનું યોગદાન ખૂબ ઉલ્લેખનીય રહ્યું. તેમની નિમણૂક દરમિયાન જ્યારે તેઓ પહેલી વાર ઉદયપુર ગયા ત્યારે રાજપૂતાના અને તેના આસપાસના પ્રદેશોના ટોપોગ્રાફિકલ નકશા તૈયાર કર્યા અને રાજપૂતાના પર નવો ઇતિહાસ-ગ્રંથ લખી ઇતિહાસનું પુનર્લેખન કરવાનું નક્કી કર્યું. ૧૮૧૯માં જોધપુર પહોંચી તેમણે પુરાતત્ત્વ પર ગહન શોધકાર્ય કર્યું. તેમણે ઘણી મુદ્રાઓ તથા અભિલેખોનો સંગ્રહ કર્યો જે ઇતિહાસલેખનમાં અત્યંત ઉપયોગી સાબિત થયો. ત્યારબાદ અજમેર, પુષ્કર, જયપુર, સીકર, ઝૂંઝનૂ, પાલી, મેડતા આદિ જગ્યાઓએ રહી ગ્રંથ માટે આધારસામગ્રી ભેગી કરી. આમ અથાગ મહેનત બાદ ૧૪ જાન્યુઆરી, ૧૮૨૩માં તેમણે ‘ટ્રાવેલ્સ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા’ કૃતિ પ્રકાશિત કરી. ૧૮૨૯માં ઇંગ્લૅન્ડ પાછા ફર્યા બાદ તેમની સુવિખ્યાત રચના ‘એનલ્ઝ ઍન્ડ ઍન્ટિક્વિટીઝ ઑફ રાજસ્થાન ઑફ ધ સેન્ટ્રલ ઍન્ડ વેસ્ટર્ન રાજપૂત સ્ટેટ્સ ઑફ ઇન્ડિયા’નો પ્રથમ ભાગ તથા ૧૮૩૪માં બીજો ભાગ પ્રકાશિત થયો. તેમની રચનામાં સર્વપ્રથમ વાર ‘રાજસ્થાન’ શબ્દનો પ્રયોગ થયો. તેમને રાજસ્થાનના ઇતિહાસ-લેખનના પિતામહ માનવામાં આવે છે. તેમનું નામ અને કામ ઇતિહાસ અને યાત્રા-સાહિત્યમાં બહુ આદર સાથે લેવાય છે.

રાજશ્રી મહાદેવિયા