Categories
વાચન સમૃદ્ધિ

સર્બિયા

દક્ષિણ યુરોપનાં પ્રજાસત્તાક રાજ્યો પૈકીનું એક.

તે 44° 50´ ઉ. અ. અને 20° 30´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 77,474 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે હંગેરી, પૂર્વમાં રુમાનિયા અને બલ્ગેરિયા, દક્ષિણમાં મેસિડોનિયા, આલ્બેનિયા તથા પશ્ચિમમાં ક્રોએશિયા, બોસ્નિયા તથા મૉન્ટેનિગ્રો આવેલાં છે. તેના કોસોવા તથા વોજવોદિના પ્રાંતોમાં સ્વાયત્ત શાસનપદ્ધતિ છે. તેનું પાટનગર બેલગ્રેડ છે અને વસ્તી 66,47,૦૦0 (2022) જેટલી છે. ‘સર્બિયા’નો અર્થ ‘સર્બજાતિના લોકોની ભૂમિ’ એવો થાય છે. ડેન્યૂબ સર્બિયાની મુખ્ય નદી છે. અન્ય નદીઓમાં મોરાવા, લીમ, તારા, સાવા વગેરેનો સમાવેશ થાય છે. સર્બિયાની પૂર્વ અને પશ્ચિમ સીમાઓ પર પર્વતો આવેલા છે. ઉત્તર ભાગમાં તેની આબોહવા હૂંફાળી રહે છે જ્યારે પર્વતીય વિસ્તારોમાં શિયાળા ઠંડા રહે છે. દક્ષિણ ભાગમાં શિયાળા ઠંડા તથા ઉનાળા ગરમ અનુભવાય છે.

સર્બિયાની રાજધાની બેલગ્રેડ

સર્બિયામાં કોલસો, તાંબું, સીસું અને જસતનાં ખનિજો મળે છે. કોલસાના ઉત્પાદનમાં દુનિયામાં સર્બિયાનો ક્રમ અઢારમો જ્યારે યુરોપમાં તેનો સાતમો ક્રમ છે. તે ઉપરાંત મજડાનપેક (Majdanpek) વિસ્તારોમાં સોનું પણ મળી આવ્યું છે. અહીંના મુખ્ય ઉદ્યોગોમાં ખનનપ્રવૃત્તિનો; મોટરગાડીઓ, વીજપેદાશો, રસાયણો, ખાદ્ય-પ્રક્રમણ, સુતરાઉ કાપડ, ઔષધો વગેરેને લગતા ઉદ્યોગોનો સમાવેશ થાય છે. નેસ્લે, પેપ્સી, કોકાકોલા, હેઈનકેન (Heineken), કાર્લ્સબર્ગ (Carlsberg) જેવી આંતરરાષ્ટ્રીય કંપનીઓ ઉપરાંત સીમેન્સ (Siemens), પૅનાસૉનિક, ગૉરેન્જ (Gorenje) જેવી મોટી કંપનીઓએ પણ અહીં ઔદ્યોગિક એકમો સ્થાપેલા છે. નૅશનલ બૅન્ક ઑવ્ સર્બિયા અહીંની કેન્દ્રીય બૅન્ક છે જ્યારે બેલગ્રેડ સ્ટૉક-એક્સચેન્જ એકમાત્ર સ્ટૉક-એક્સચેન્જ છે. સર્બિયા સમૃદ્ધ ખેતભૂમિ ધરાવે છે. અહીં ધાન્યપાકો, ફળો, શુગરબીટ, સૂરજમુખીનાં બીજ અને તમાકુનું વાવેતર થાય છે. દુનિયામાં પ્લમ(Plum)ના ઉત્પાદનમાં સર્બિયાનો ક્રમ બીજો જ્યારે રાસબરીના ઉત્પાદનમાં ત્રીજો છે. મકાઈ અહીં મોટા પ્રમાણમાં ઊગે છે. તે ઉપરાંત સોયાબીન, બટાકા, સફરજન જેવી ખાદ્ય પેદાશોનું પણ વાવેતર થાય છે. અહીં પશુપાલનપ્રવૃત્તિ પણ ચાલે છે. અહીં દર વર્ષે લગભગ 1,98,183 ટન જેટલું દારૂનું ઉત્પાદન કરવામાં આવે છે. અહીં વાહનવ્યવહાર માટેના માર્ગો વિકસાવાયા છે. એ માર્ગો અન્ય શહેરો તથા દેશો સાથે જોડાયેલા છે. રેલ-વ્યવસ્થા પણ સારી છે. બેલગ્રેડ અને નીસમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો છે. સર્બિયાના 7૦ %થી વધુ લોકો સર્બ છે. અહીંના અન્ય લોકોમાં આલ્બેનિયન, ક્રોએટ, જિપ્સી હંગેરિયન, સ્લોવાક્સ, રોમેનિયનો, બલ્ગેરિયનો તથા મૉન્ટેનેગ્રિનનો સમાવેશ થાય છે. સર્બિયાના મુસ્લિમોને પણ અહીંના જાતિસમુદાયમાં ગણવામાં આવે છે. મોટા ભાગના સર્બ લોકો ઈસ્ટર્ન ઑર્થોડૉક્સ ચર્ચમાં માને છે. અનેક લોકો રોમન કૅથલિક તથા ઇસ્લામ ધર્મ પાળે છે.

 (સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સર્બિયા, પૃ. 43)

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

સાહિર લુધિયાનવી

જ. ૮ માર્ચ, ૧૯૨૧ અ. ૨૫ ઑક્ટોબર, ૧૯૮૦

હિન્દી તથા ઉર્દૂ ભાષાના પ્રગતિશીલ કવિ તથા ચલચિત્રોના ગીતકારનું મૂળ નામ અબ્દુલ હાયી હતું. શિક્ષણ લુધિયાણામાં લીધું. નાની વયથી કવિતા લખતા થઈ ગયા, યુવાન વયે ‘તલ્ખિયા’ અને ‘ગાતા જાયે બનજારા’ કાવ્યસંગ્રહો પ્રગટ કર્યા. યુવાન વયે તેઓ ક્રાંતિકારી વિચારો ધરાવતા હતા. પ્રગતિશીલ લેખક મંડળના સભ્ય બન્યા, પત્રકાર રૂપે લાંબો સમય કામ કર્યું. તેમણે દિલ્હીને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું અને વિવિધ સામયિકોનું સંપાદન કર્યું. ત્યારબાદ ઈ. સ. ૧૯૪૯માં તેમને સાચી દિશા લાધી અને ચલચિત્રના ગીતકાર થવાનો વિચાર આવ્યો. ધીમે ધીમે આ ક્ષેત્રમાં તેમને સફળતા મળી. ગુરુદત્તના ‘બાઝી’ ચિત્ર માટેનાં ગીતો તેઓએ લખ્યાં અને તે ગીતો લોકપ્રિય બન્યાં. ટૂંક સમયમાં તેઓનું નામ સફળ કવિઓની હરોળમાં આવી ગયું. સાહિરે કવિ ફૈઝ મહમ્મદ ફૈઝની જેમ પ્રગતિશીલ કવિતાનો માર્ગ લીધો. ઈ. સ. ૧૯૫૪માં ‘ટૅક્સી ડ્રાઇવર’ ફિલ્મમાં તેમનાં ગીતો દેશના ખૂણે ખૂણે ગુંજતાં થયાં. ત્યારબાદ તેમનાં ગીતોની માંગ વધવા લાગી. તેમનાં ગીતોમાં સાદું સંગીત છતાં ભાવવાહિતા અને ચોટદાર શબ્દોના પ્રયોગથી ખૂબ લોકપ્રિય થયાં. તેમનાં ગીતો શાસ્ત્રીય સંગીત પર આધારિત હતાં. તેમને ‘તાજમહલ’ અને ‘કભી કભી’ ફિલ્મનાં ગીતો માટે સર્વશ્રેષ્ઠ ગીતકારનો ફિલ્મફેર પુરસ્કાર મળ્યો હતો. ૧૯૭૧માં ‘પદ્મશ્રી’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાહિરનાં ગીતો સામાન્ય દર્શકોને મનોરંજન અને વિશિષ્ટ વર્ગને પણ ઉત્સાહિત કરતાં હતાં. તેઓએ ટૂંકા જીવનકાળ દરમિયાન ઘણા ચાહકોનાં દિલમાં ઘેરી છાપ છોડી હતી.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

પ્રકૃતિનો ખોળો ખોઈ બેઠા

સવારથી રાત સુધી માનવી સતત દેહની દરકાર રાખતો હોય છે. શરીરની નાની નાની જરૂરિયાતો પર પૂરું ધ્યાન આપે છે અને એના સૌંદર્ય કે શક્તિની વૃદ્ધિ માટે અનેક ઉપાયો કરે છે. જિંદગીનો કેટલો બધો સમય એ આ શરીર માટે ગાળે છે ! એને એના શરીરનું બંધાણ થઈ ગયું હોય છે અને તેથી વાળ વેરવિખેર થાય કે કપડાં ટૂંકાં કે ચમકદાર ન હોય તો એ બેચેની અનુભવે છે. શરીરનાં સુખ અને પીડા સાથે એનું આખું  સંવેદનતંત્ર જોડાઈ ગયું હોય છે અને તેથી માનવી દેહથી એક ક્ષણ પણ અળગો રહી શકતો નથી. એ જેમ શરીરને સ્વસ્થ રાખવાનું વિચારે છે, એ રીતે એણે મનની માવજત કરવી જોઈએ. તન અને મનનો જીવનભરનો સંબંધ છે. શરીરને આરામ આપે છે એમ એણે મનને આરામ આપવો જોઈએ. અતિશય કામ, અતિ વ્યસ્તતા અને માનસિક તનાવ વચ્ચે પણ એણે મનના સ્વાસ્થ્ય માટે  થોડીક મિનિટો કાઢવી જોઈએ. કામના ઢગલા વચ્ચે દટાયેલો હોય તોપણ એની વચ્ચે થોડો સમય શાંતિથી બેસીને, આંખો બંધ કરી, પોતે જોયેલાં કોઈ પ્રકૃતિદર્શનને માણે તો એના મનમાં નવી તાજગી આવશે. જીવનમાં જોયેલાં ગમતાં પ્રકૃતિદૃશ્યો વચ્ચેથી તે મનને પસાર કરશે તો એનું મન સદા સ્વસ્થ અને સ્વાસ્થ્યપૂર્ણ રહેશે. એવાં દૃશ્યો એને આનંદ આપશે અને સતત એક પ્રકારના વિચાર-ઢાંચામાંથી મુક્ત કરશે. પહેલાં માનવીએ પ્રકૃતિનો ખોળો ગુમાવ્યો, પછી પ્રકૃતિનું દર્શન ગુમાવ્યું અને આજે આખી પ્રકૃતિ જ ખોઈ બેઠો છે. પ્રકૃતિમાં રહેલી પરમની ભવ્યતા, જીવનનો ઉલ્લાસ અને અંતર્મુખતાનો આનંદ પામવો હોય તો એણે પ્રકૃતિ પાસે જવું જ પડશે.

કુમારપાળ દેસાઈ