Categories
વાચન સમૃદ્ધિ

જયંતીલાલ પ્રાણલાલ ઠાકોર

જ. ૪ માર્ચ, ૧૯૧૩ અ. ૨૦૦૪

અમદાવાદમાં વ્યાયામશાળાની પ્રવૃત્તિઓના પ્રણેતા, સ્વાતંત્ર્યસેનાની અને રચનાત્મક કાર્યકર જયંતીલાલનો જન્મ જામનગરમાં થયો હતો. સાત વર્ષની વયે પિતાનું અવસાન થયું. માતા વિજયાલક્ષ્મીએ તેમનામાં શિક્ષણનો પાયો મજબૂત કરવામાં મહત્ત્વનો ફાળો આપ્યો. તેમનું બાળપણ અમદાવાદમાં વીત્યું. શાળાના અભ્યાસ દરમિયાન છાપાંઓ વહેંચવા જેવી નાનીમોટી કામગીરી કરી કુટુંબને સહાયરૂપ બન્યા. તેઓએ વ્યાયામશાળામાં વ્યાયામની તાલીમ લીધી. તદુપરાંત પુસ્તકાલય સહકારી ભંડાર, હસ્તલિખિત માસિક, કૅમ્પિંગ, સ્કાઉટિંગ જેવી પ્રવૃત્તિઓની પણ તાલીમ મેળવી. જોકે પ્રતિકૂળ સંજોગોને કારણે કૉલેજનો અભ્યાસ અધૂરો છોડવો પડ્યો. તેમણે અમદાવાદમાં વસંતરાવ હેગિષ્ટે, વાસુદેવ ભટ્ટ સાથે મળીને વ્યાયામશાળાની પ્રવૃત્તિઓને પ્રચલિત કરી અને કિશોરોને સશક્ત અને નીડર બનવા માટે પ્રેર્યા. ૧૨ માર્ચ, ૧૯૩૦ના રોજ ગાંધીજીએ આરંભેલી દાંડીકૂચમાં જોડાવા અરજી કરી, પરંતુ વય નાની હોવાથી જોડાઈ શક્યા નહીં. તેમણે ધોલેરા સત્યાગ્રહમાં અને ધરાસણા સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. તે દરમિયાન પોલીસનો માર ખાધો અને જેલવાસ પણ ભોગવ્યો. ૧૯૪૨માં ‘ભારત છોડો’ લડતમાં ભૂગર્ભ પ્રવૃત્તિઓ કરવા બદલ જેલવાસ ભોગવ્યો. આ લડતમાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી. અમદાવાદમાં આઝાદ સરકારના શહેરસૂબા તરીકે તેઓ સક્રિય બન્યા. આ ચળવળ દરમિયાન  જયંતી ઠાકોરે અભૂતપૂર્વ સાહસ કરીને કાર્યકરોને એકત્રિત કર્યા. તેમણે ‘કૉંગ્રેસ પત્રિકા’ પ્રસિદ્ધ કરવાનું વ્યવસ્થાતંત્ર ગોઠવ્યું. તેઓ વ્યાયામપ્રવૃત્તિ, દલિતોદ્ધાર, હિન્દુ-મુસ્લિમ એકતા, મજૂરપ્રવૃત્તિ કરતા. કોમી હુલ્લડોમાં શાંતિસૈનિક તરીકે સેવા આપતા. ૧૯૪૩માં જયપ્રકાશ નારાયણે ગોઠવેલી લડતના આગેવાનોની ગુપ્ત સભામાં જયંતી ઠાકોર જોડાયા હતા. વળી તેઓ હરિવદન અને વાસુદેવ ભટ્ટ સાથે ‘આઝાદ હિંદ ફોજ’માં જોડાવા માટે કૉલકાતા પણ ગયા હતા. તેઓ નિસર્ગોપચારના નિષ્ણાત હતા. તેઓનું સમગ્ર જીવન સાદગીભર્યું હતું.

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

આંખમાં સ્વપ્ન આંજવાથી કશું ન વળે

સફળ વ્યક્તિઓના જીવનમાં એવી કઈ જડીબુટ્ટી હોય છે કે જેના દ્વારા એ જે કોઈ ક્ષેત્રમાં કાર્યરત હોય, તેમાં એક પછી એક પ્રગતિનાં સોપાન સાધતી હોય છે. એ વ્યક્તિ પાસે પોતાની કલ્પનાને વાસ્તવિક અનુભવ રૂપે વિચારી શકવાની ક્ષમતા હોય છે. એ પોતાના જીવનસ્વપ્નને ચિત્તમાં સાચેસાચું સર્જાયેલું હોય, તેમ જુએ છે અને એ પછી એ સ્વપ્નની હકીકતને સાકાર કરવા માટે પ્રયાસ કરે છે. આવી વ્યક્તિ પાસે પોતાના ધ્યેયનો મનોસાક્ષાત્કાર કરવાની અદભુત શક્તિ હોય છે. એ ધ્યેયને મનમાં પ્રત્યક્ષ કરીને પોતાની કાર્યપ્રણાલી નિશ્ચિત કરતી હોય છે. મનોમન શિખરને જુએ છે. એને બારીકાઈથી નિહાળે છે અને પછી એ શિખરે પહોંચવા માટેનો માર્ગ તૈયાર કરે છે. ધ્યેયસિદ્ધિના માર્ગમાં આવનારા અવરોધોનો સાક્ષાત્કાર કરે છે અને શિખરને નજરમાં રાખીને એ અવરોધોને કેવી રીતે પાર કરવા તેનું આયોજન કરે છે. માત્ર સ્વપ્ન સેવવાથી કશું થતું નથી. એ સ્વપ્નનો મનોમન સાક્ષાત્કાર કરવો જોઈએ અને પછી એ ચિત્તના અનુભવને વ્યવહારમાં ઉતારવા માટે પુરુષાર્થ ખેડવો જોઈએ. તમારા સ્વપ્નને મનમાં સાચેસાચું જીવંત કરવા તમારી પાસે એ માટેનો પ્રબળ આવેગ હોવો જોઈએ. એનું વારંવાર પુનરાવર્તન કરવું જોઈએ, તો જ પૂરેપૂરી બુદ્ધિ-શક્તિ એની પ્રાપ્તિ માટે પ્રેરણા અને જોશનું કામ કરવા લાગશે. સ્વપ્નને સેવવા અને સ્વપ્નને સર્જવા વચ્ચેની મોટી ખાઈ પસાર કરવા માટે બૌદ્ધિકતા અને કાર્યનિષ્ઠાનો સેતુ રચવો પડે. સ્થપતિએ તૈયાર કરેલી ડિઝાઇનો ઇમારતમાં પલટાવવા માટે એના એકેએક પાસાનો પરામર્શ કરવો ઘટે. માર્ગમાં આવનારા અવરોધોનો વિચાર કરીને એને માટે આગોતરું આયોજન કરવું પડે. આંખમાં સ્વપ્ન આંજવાથી કશું ન થાય, હાથથી એ સ્વપ્નોનું સર્જન કરવું પડે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

એમ. એલ. જયસિમ્હા

જ. ૩ માર્ચ, ૧૯૩૯ અ. ૬ જુલાઈ, ૧૯૯૯

મોટગનહલ્લી લક્ષ્મીનરસુ જયસિમ્હાનો જન્મ સિકન્દરાબાદમાં થયો હતો. તેઓ જમોડી બૅટ્સમૅન હતા અને મીડિયમ પેસથી બૉલિંગ કરતા. ઘણી વખત ભારત વતી તેમણે ઓપનિંગમાં બૉલિંગ કરી હતી. તેઓ એક ચુસ્ત અને ચપળ ફિલ્ડર પણ હતા. તેઓ ખૂબ સ્ટાઇલિશ હતા. તેમનું પાતળું શરીર, નાદાન સુંદર દેખાવ, ટ્રેડમાર્ક જેવું સિલ્ક શર્ટ અને સ્કાર્ફ, ઊંચો કરેલો કૉલર તેમને બધા ક્રિકેટરોથી જુદા પાડતા. ૧૯૫૪-૫૫માં ફક્ત ૧૫ વર્ષની વયે તેમણે ફર્સ્ટક્લાસ ક્રિકેટમાં રણજી ટ્રૉફીમાં ભાગ લીધો હતો. તે વખતે તેઓ મહબૂબ કૉલેજ હાઈસ્કૂલમાં ભણતા હતા. રણજી ટ્રૉફી મૅચોમાં તેમના પ્રભાવશાળી પ્રદર્શનને કારણ તેમનો ૧૯૫૯માં ઇંગ્લૅન્ડના પ્રવાસે જનારી ભારતીય ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો. લૉર્ડ્સ ખાતે પ્રથમ ટેસ્ટમાં તેમનો દેખાવ ખૂબ જ ખરાબ રહ્યો, પરંતુ પછીની બે મૅચોમાં તેમણે સારો દેખાવ કર્યો. ૧૯૫૯-૬૦માં કૉલકાતામાં ઑસ્ટ્રેલિયા સામે ટેસ્ટના બધા જ પાંચ દિવસ બૅટિંગ કરી તેમણે વિક્રમ નોંધાવ્યો હતો. સમય જતાં તેમણે પોતાને ઓપનરની જગ્યામાં સ્થાપિત કર્યા હતા અને ઘણી શતક ફટકારવામાં સફળ રહ્યા હતા. તે પછી ખરાબ પ્રદર્શન માટે તેમને ટીમમાંથી પડતા મૂકવામાં આવ્યા હતા. ચંદુ બોરડે અને ચંદ્રશેખરની ઈજાના કારણે તેમને ૧૯૬૭-૬૮માં ત્રીજી ટેસ્ટ માટે ઑસ્ટ્રેલિયા મોકલવામાં આવ્યા હતા. અને તેમણે ૭૪ અને ૧૦૧ રન બનાવી લગભગ અશક્ય લાગતી મૅચ ભારતને જિતાડી હતી. ૧૯૭૦-૭૧ની વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝ તેમની કારકિર્દીની છેલ્લી સિરીઝ હતી. અજિત વાડેકર જેવા ટીમના કપ્તાન તેમનાં સલાહસૂચન લેતા હતા. મન્સુર અલી ખાન પટૌડી જેવા ખેલાડી પણ તેમની કપ્તાની હેઠળ રમ્યા હતા. ૧૯૭૭-૭૮ અને ૧૯૮૦-૮૧માં તેઓ ભારતીય ટીમની પસંદગીકાર સમિતિના સભ્ય હતા. ૧૯૮૫-૮૬માં તેઓ શ્રીલંકા જનારી ભારતીય ટીમ સાથે ગયા હતા. MCCએ તેમને ૧૯૭૮માં આજીવન સભ્ય બનાવ્યા હતા. તેઓએ ટી. વી. કૉમેન્ટેટર તરીકે પણ સેવાઓ આપી હતી. તેમના બે પુત્રો વિવેક જયસિમ્હા અને વિદ્યુત જયસિમ્હા પણ ફર્સ્ટક્લાસ ક્રિકેટરો હતા. તેમનું અવસાન ફેફસાંના કૅન્સરથી થયું હતું.

અમલા પરીખ