Categories
વાચન સમૃદ્ધિ

રાલ્ફ એલિસન

જ. ૧ માર્ચ, ૧૯૧૪ અ. ૧૬ એપ્રિલ, ૧૯૯૪

અમેરિકાના સુપ્રસિદ્ધ અશ્વેત સાહિત્યકાર. તેમનો જન્મ અમેરિકાના ઓકલાહોમા શહેરમાં થયો હતો. ૧૯૨૧માં રાલ્ફ તેમની માતા સાથે ગેરી, ઇન્ડિયાના રાજ્યમાં રહેવા ગયા, પણ ત્યાં માતાને કોઈ કામ ન મળતાં પાછા ઓકલાહોમા આવ્યા જ્યાં રાલ્ફ બસબૉય, બૂટ-પૉલિશ કરવાવાળા, હોટલમાં વેઇટર તથા દાંતના ડૉક્ટરને ત્યાં કામ કરવા લાગ્યા. તેમને સંગીતમાં ઘણો રસ હોવાથી પિતાના મિત્ર પાસેથી પૈસા લઈ ટ્રમ્પેટ અને સેક્સોફોન શીખવા માટે ટસ્કેગી સંસ્થામાં ૧૯૩૩થી ૧૯૩૬ સુધી શિક્ષણ લીધું. પણ ત્યારબાદ સાહિત્યનો શોખ હોવાથી વાચન કરવાથી સાહિત્યસર્જન કરવા પ્રેરાયા. ૧૯૩૬માં ન્યૂયૉર્ક નગરના બીજા અશ્વેત લેખક રિચર્ડ રાઇટને મળ્યા અને ‘ફેડરલ રાઇટર્સ પ્રોજેક્ટ’ સાથે સંકળાયા. તેમણે ‘ધ ઇનવિઝિબલ મૅન’ (૧૯૫૨) નામની એક નવલકથા દ્વારા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી. તેમને આ નવલકથા માટે ૧૯૫૩માં નૅશનલ બુક ઍવૉર્ડ પણ મળેલો. તેમના જીવન વિશે તેમના નિબંધસંગ્રહ ‘શૅડો ઍન્ડ ઍક્ટ’ (૧૯૬૪) દ્વારા વધુ જાણી શકાય છે. તેમણે  અમેરિકાના ગુલામોના વંશજ આફ્રિકન હબસીઓની સંસ્કૃતિ, તેમનું લોકસાહિત્ય, તેમનું સર્જનાત્મક લેખન વગેરે વિશે અનેક વ્યાખ્યાનો આપ્યાં હતાં. આ ઉપરાંત અમેરિકાની અનેક કૉલેજોમાં અને વિદ્યાપીઠોમાં અધ્યાપનકાર્ય પણ કર્યું હતું. ૧૯૭૦થી ૧૯૮૦ દરમિયાન તેઓ ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાં આલ્બર્ટ સ્વાઇત્ઝર પ્રોફેસર ઑફ હ્યુમેનિટીઝ તરીકે ફૅકલ્ટીના કાયમી સભ્ય રહ્યા. તેમની લેખનશૈલી પર રશિયન લેખક દોસ્તોવસ્કી, ફ્રેન્ચ લેખક આન્દ્રે માલરો અને અમેરિકન અશ્વેત લેખક રિચર્ડ રાઇટનો પ્રભાવ જોવા મળે છે. તેમનો નિબંધસંગ્રહ ‘ગોઇંગ ટુ ધ ટેરીટરી’ (૧૯૬૬) અને ટૂંકી વાર્તા ‘લાઇંગ હોમ’ (૧૯૯૬) મરણોત્તર પ્રકાશન પામેલી.

રાજશ્રી મહાદેવિયા

Categories
વાચન સમૃદ્ધિ

સરીસૃપ પ્રાણીઓ

પૃષ્ઠવંશી પ્રાણીઓનો પેટે ઘસડાઈને ચાલતો એક વર્ગ.

 કાચબો

આ પ્રાણીઓ ભીંગડાંવાળી સૂકી ચામડી ધરાવે છે. ફેફસાં વડે શ્વાસ લે છે. કાચબો, કાચિંડો, ગરોળી, મગર, સાપ, ઘો, અજગર વગેરે સરીસૃપ વર્ગનાં પ્રાણીઓ છે. આશરે ૬,૦૦૦ જુદી જુદી જાતિનાં સરીસૃપ પ્રાણીઓ છે. સરીસૃપ વર્ગનાં પ્રાણીઓનાં કેટલાંક લક્ષણો આ પ્રમાણે છે : તેઓ પૃષ્ઠવંશી છે, કરોડસ્તંભ ધરાવે છે. તેઓ ફેફસાં વડે શ્વાસ લે છે. મોટા ભાગનાં સરીસૃપો ઈંડાં મૂકે છે, કેટલાંક બચ્ચાને જન્મ આપે છે. તેઓ જમીન પર ઈંડાં મૂકે છે. પાણીમાં રહેતાં સરીસૃપો પણ જમીન પર આવીને ઈંડાં મૂકે છે. આ પ્રાણીઓ વિશ્વમાં સર્વત્ર જોવા મળે છે, પણ વિશેષ કરીને ઉષ્ણપ્રદેશોમાં સવિશેષ. તેઓ ઍન્ટાર્કટિકા સિવાય દરેક ખંડમાં તથા બધા સમુદ્રોમાં વસે છે. તેઓ રણમાં, જંગલમાં, જમીનની અંદર તથા દરિયા કે અન્ય જળાશયના પાણીમાં પણ વસે છે. તેઓ પોતાના શરીરના તાપમાનનું નિયંત્રણ કરી શકતાં નથી, તેથી ઉષ્ણપ્રદેશમાં તેઓ પથ્થરની નીચે કે છાંયડામાં રહે છે. તેમને પર્યાવરણ પર આધાર રાખવો પડે છે. અતિ ઉષ્ણપ્રદેશમાં તેઓ રાત્રે જ બહાર નીકળે છે. ખૂબ ઠંડી પડે ત્યારે તેઓ શીતનિદ્રા (hibernation) લઈ લે છે. આમ અતિશય ઠંડી અને ગરમીથી બચવાનો તેમનો પ્રયત્ન હોય છે.

મગર

તેઓના કદમાં પણ મહાકાય અજગર, મગરથી માંડી નાની અમથી ગરોળીઓનો પણ સમાવેશ થાય છે. સરીસૃપવર્ગમાં સૌથી મોટામાં મોટું પ્રાણી છે એનાકોન્ડા સાપ(દક્ષિણ અમેરિકા). એશિયા ખંડમાં મહાકાય અજગર (૧૦ મીટર) તથા મહાકાય મગર (૭ મીટર લાંબા) મળે છે. આ વર્ગનાં સૌથી વજનદાર પ્રાણીઓ કાચબાઓમાં મળે છે. અમુક પ્રકારના કાચબા ૧ ટન સુધીનું વજન ધરાવે છે. સરીસૃપ વર્ગનાં પ્રાણીઓમાં કેટલાંક ખૂબ લાંબું જીવે છે. ઘણા કાચબા લગભગ ૧૦૦ વર્ષ જીવે છે. માદા પોતાનાં ઈંડાં જમીનમાં ખાડો ખોદીને અથવા પાંદડાંના ઢગલામાં મૂકે છે. જ્યાં સૂર્યની ગરમી કે સડતાં પાંદડાંની ગરમીથી ઈંડાં સેવાય છે. આ વર્ગનાં પ્રાણીઓ ઈંડાં કે બચ્ચાંની કાળજી નહીંવત્ લે છે. મોટા ભાગે તેઓ વધારે સંખ્યામાં ઈંડાં મૂકે છે. બચ્ચાં જન્મે ત્યારે તેમનાં મા-બાપ જેવાં લાગે છે અને જન્મ થતાં જ સ્વતંત્ર રીતે રહી શકે તેવાં તે હોય છે. સરીસૃપો પોતાના શરીર પરની ચામડી વર્ષમાં એકાધિક વાર ઉતારે છે. — તેને ‘કાંચળી ઉતારવી’ કહેવામાં આવે છે. ભૂતકાળમાં પૃથ્વી પર સરીસૃપ વર્ગનાં ઘણાં પ્રાણીઓ હતાં. ડાયનોસૉર સરીસૃપ વર્ગનાં મહાકાય પ્રાણીઓ હતાં. પૃથ્વી પર ત્યારે સરીસૃપનું જ રાજ હતું. કોઈ કારણસર તેમનો નાશ થયો. હાલમાં ચાર મુખ્ય જાતિઓ કાચબો, ગરોળી, સાપ અને મગર રહ્યાં છે. ઘણાં મનુષ્યોને સરીસૃપ પ્રાણીઓની બીક લાગે છે. ખરું જોતાં તે પ્રાણીઓ મનુષ્યથી ડરતાં હોય છે. મોટા ભાગનાં આ પ્રાણીઓ નિરુપદ્રવી હોય છે. જોકે મગર તથા અમુક ઝેરી સાપ મનુષ્ય માટે ભયજનક છે. મનુષ્યો મગર, સાપ અને ગરોળીને તેમની ચામડી માટે મારી નાખે છે, તેમાંથી કમરપટ્ટા, પર્સ, પાકીટ વગેરે બનાવાતાં હોય છે. હવે ઘણાંબધાં પ્રાણીઓ નામશેષ થઈ ગયાં હોવાથી તેમના શિકાર પર પ્રતિબંધ મુકાયો છે. મગર, કાચબા, સાપ જેવાં સરીસૃપો પાણીમાં રહેવા છતાં જમીન ઉપરનાં પ્રાણીઓ ગણાય છે, કેમ કે તે બધાં ભૂસ્તર પ્રાણીઓની જેમ શ્વાસોચ્છવાસ પોતાનાં ફેફસાં વડે જ લે છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

ગિરીશચંદ્ર ઘોષ

જ. ૨૮ ફેબ્રુઆરી, ૧૮૪૪ અ. ૮ ફેબ્રુઆરી, ૧૯૧૨

જાણીતા બંગાળી અભિનેતા, દિગ્દર્શક અને લેખક ગિરીશચંદ્ર ઘોષનો જન્મ કૉલકાતાના બાગબજારમાં થયો હતો. તેમનાં માતાપિતા નીલકમલ અને રાયમણિનું તેઓ આઠમું સંતાન હતા. પિતા પાસેથી તીક્ષ્ણ બુદ્ધિ અને જીવન પ્રત્યેનો વ્યાવહારિક અભિગમ અને માતા પાસેથી સાહિત્ય પ્રત્યે પ્રેમ અને ભગવાન પ્રત્યેની ભક્તિ તેમને વારસામાં મળ્યાં હતાં. જીવનની શરૂઆતમાં જ તેમણે માતાપિતાની છત્રછાયા ગુમાવી હોવાથી ૧૮૬૨માં શાળા છોડ્યા બાદ તેમણે એક બ્રિટિશ કંપનીમાં બુકકીપિંગમાં એપ્રેન્ટિસશિપ મેળવી હતી. આ સમયગાળામાં ઈશ્વરચંદ્ર ગુપ્તા સાથે તેમનો પરિચય થવાથી તેમણે નાટકો, ગીતો અને કવિતાઓ લખવાનું શરૂ કર્યું હતું. ગિરીશચંદ્ર ઘોષે ૧૮૭૩માં ગ્રેટ રાષ્ટ્રીય રંગભૂમિની રચના કરી હતી અને ૧૮૭૭માં ત્યાં તેમના પ્રથમ નાટક ‘આગમણિ’નું મંચન કર્યું હતું. ત્યારબાદ તેમણે મિનર્વા થિયેટરમાં પણ કામ કર્યું હતું અને તેઓ મૅનેજરપદ સુધી પહોંચ્યા હતા. તેમણે રામાયણ, મહાભારત અને પુરાણકથા આધારિત કુલ ૮૬ નાટક લખ્યાં હતાં. તેમનાં ખૂબ જાણીતાં નાટકોમાં ‘બુદ્ધદેવચરિત’, ‘પૂર્ણ ચંદ્ર’, ‘કલાપહાર’, ‘અશોક’, ‘ચૈતન્યલીલા’, ‘રૂપ-સનાતન’, ‘નિમાઈ સંન્યાસ’ અને ‘પ્રહલાદચરિત’નો સમાવેશ થાય છે. ગિરીશચંદ્ર ઘોષ રામકૃષ્ણ પરમહંસને પહેલી વાર તેમના પાડોશી કાલીનાથ બોઝના ઘેર મળ્યા હતા. ૨૧ સપ્ટેમ્બર, ૧૮૮૪ના રોજ શ્રી રામકૃષ્ણ સ્ટાર થિયેટરમાં ‘ચૈતન્યલીલા’ જોવા ગયા હતા. રામકૃષ્ણ પરમહંસના પ્રભાવ હેઠળ તેમના નાટક ‘નાસીરામ’માં તેમણે રામકૃષ્ણના ઉપદેશોનો ખૂબ જ ઉપયોગ કર્યો. ‘ધ ગોસ્પેલ ઑફ શ્રી રામકૃષ્ણ’માં ગિરીશચંદ્ર અને રામકૃષ્ણને લગતાં ઘણાં દૃશ્યો છે. વિશ્વવિખ્યાત અંગ્રેજી લેખક ક્રિસ્ટોફર ઈશરવુડના સંપર્કમાં આવ્યા બાદ ગિરીશચંદ્ર તેમના એક પ્રકારના આશ્રયદાતા સંત બન્યા હતા. તેમણે ઘણાં બધાં નાટકોનું દિગ્દર્શન પણ કર્યું  હતું. બંગાળી રંગભૂમિના સુવર્ણયુગ સાથે ગિરીશચંદ્ર ઘોષનું નામ સુવર્ણ અક્ષરે જોડાયેલું છે.

અશ્વિન આણદાણી