Categories
વાચન સમૃદ્ધિ

મણિભાઈ ભીમભાઈ દેસાઈ

જ. ૨૭ એપ્રિલ, ૧૯૨૦ અ. ૧૪ નવેમ્બર, ૧૯૯૩

ગાંધીવાદી રચનાત્મક કાર્યકર, સ્વાતંત્ર્યસેનાની મણિભાઈનો જન્મ સૂરત જિલ્લાના કોસમાડા ગામે થયો હતો. મૅટ્રિક થયા બાદ ૧૯૩૮માં સૂરતમાં વિજ્ઞાનની કૉલેજમાં જોડાયા. ગાંધીજીના પ્રભાવથી છેલ્લા વર્ષમાં અભ્યાસ છોડી, ૧૯૪૨ની ‘હિંદ છોડો’ ચળવળમાં જોડાયા. ભૂગર્ભમાં રહી ભાંગફોડ-પ્રવૃત્તિમાં ભાગ લીધો, તે બદલ જેલવાસ ભોગવ્યો. ૧૯૪૪માં જેલમાંથી મુક્ત થયા બાદ ૧૯૪૫માં બી.એસસી. થયા અને ગાંધીજીની સલાહ અનુસાર રચનાત્મક પ્રવૃત્તિઓ શરૂ કરી. મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ઉરુળીકાંચનમાં નિસર્ગોપચાર કેન્દ્ર સ્થાપ્યું. સેવા ખાતર અપરિણીત રહેવાની પ્રતિજ્ઞા લીધી. ત્યારપછી ગ્રામવિસ્તારમાં અનેક યોજનાઓ આરંભી. તેઓએ ખાંડનું સહકારી કારખાનું અને સહકારી કૃષિ મંડળીની સ્થાપના કરી. દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં જલવિતરણ યોજના શરૂ કરી. તેમણે એક ગૌશાળાની સ્થાપના કરી. દક્ષિણ ગુજરાતમાં તેઓએ આદિવાસીઓના વિકાસ માટે વાંસદામાં આમ્રકુંજ, મહિલાઓની ઉન્નતિ માટે કુટુંબનિયોજન અને સાક્ષરતા સહિત વિવિધ યોજનાઓ કરી. ‘ધ ભારતીય ઍગ્રો-ઇન્ડસ્ટ્રીઝ ફાઉન્ડેશન’ના નેજા હેઠળ પશુસંવર્ધન, પશુસ્વાસ્થ્ય રસી ઉત્પાદન, ઘાસચારો, પાણી-જમીન સંરક્ષણ જેવી યોજનાઓ કરી. ગાયોના શરીરની સંપૂર્ણ રચનાનો અભ્યાસ કરી ગાયોના ધન્વંતરિ બન્યા. તેઓને ૧૯૬૮માં ભારત સરકાર તરફથી પદ્મશ્રી, ૧૯૭૭માં મહારાષ્ટ્ર ફુલે કૃષિ વિદ્યાપીઠ તરફથી ડૉ. ઑવ્ સાયન્સ, ૧૯૮૨માં ફિલિપાઇન્સ તરફથી ‘રૅમન મૅગ્સેસે ઍવૉર્ડ’ તથા ગાંધીજીની વિચારસરણી અનુસાર ગ્રામસેવા માટે ‘જી. જે. વાટુમલ મેમોરિયલ ઍવૉર્ડ’, ૧૯૮૩માં ‘જમનાલાલ બજાજ ઍવૉર્ડ’, ૧૯૮૪માં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તરફથી ‘ડૉક્ટર ઑવ્ લિટરેચરની ઉપાધિ આ ઉપરાંત ૧૯૮૯માં ‘વિશ્વગુર્જરી નૅશનલ ઍવૉર્ડ’ વગેરે સન્માનો પ્રાપ્ત થયાં છે.

Categories
વાચન સમૃદ્ધિ

તું યાદ કરજે !

વારંવાર ભૂકંપગ્રસ્ત બનતા જાપાનમાં આવેલા એક ભયાનક ભૂકંપથી સર્જાયેલી તબાહીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે આવેલી ટુકડીનો અગ્રણી ધરાશાયી થયેલા મકાનમાં પહોંચ્યો. એણે જોયું તો તૂટી પડેલા મકાનના કાટમાળની નીચે એક સ્ત્રીનો મૃતદેહ પડ્યો હતો. જાણે પ્રાર્થનાની મુદ્રામાં હોય તેમ શરીરને ઘૂંટણથી આગળ ઝુકાવીને પડેલી હતી. જાણે કોઈ વસ્તુને એણે હૃદયસરસી ચાંપી ન હોય ! ખંડેર બનેલા મકાનની ઈંટોના મારથી એની કમર અને એના માથા પર જીવલેણ ઈજા પહોંચી હતી. એનું શરીર તદ્દન ઠંડું પડી ગયું હતું. સહુને ખ્યાલ આવ્યો કે આ સ્ત્રી ઉપરથી પડેલા મકાનની ઈંટોને કારણે મૃત્યુ પામી છે. બચાવ-ટુકડી આગળ વધી, પરંતુ એની આગેવાની સંભાળનારના મનમાં એક વિચાર આવ્યો કે આ સ્ત્રી ઘૂંટણિયે વળીને કેમ પડી હશે ? શું કશું શોધવા પ્રયત્ન કરતી હશે કે પછી એના હાથમાં કશુંક રાખીને પોતાનો જીવ બચાવવા એને વળગી પડી હશે ? ટુકડીનો આગેવાન પાછો આવ્યો અને એણે એ સ્ત્રીના મૃતદેહની નીચેથી તપાસ કરવાનો પ્રયત્ન કરતાં એ બોલી ઊઠ્યો, ‘અરે, અહીં એક બાળક છે !’ એનો અવાજ સાંભળી આખી ટુકડી પાછી આવી અને સ્ત્રીની આસપાસ પડેલા કાટમાળને ખસેડીને જોયું તો કામળીમાં વીંટાળેલું ત્રણ મહિનાનું એક બાળક એ સ્ત્રીના મૃતદેહની નીચેથી મળી આવ્યું. બધાને ખ્યાલ આવ્યો કે નક્કી માતાએ ઉપરથી થતા ચીજવસ્તુઓ અને ઈંટોના વરસાદથી બચાવવા માટે પોતાના બાળકને આમ કામળીમાં વીંટાળીને છાતીસરસો ચાંપીને ઘૂંટણભેર ઊભી રહી હશે. પોતાના શરીરને ઢાલ બનાવીને પોતાના સંતાનને બચાવવા પ્રયત્ન કરતી હશે. ટીમના આગેવાને કામળીમાં વીંટાળેલા બાળકને ઉપાડ્યું, તો એ બાળક નિરાંતે ઊંઘતું હતું. ડૉક્ટરે તરત જ બાળકની સારવાર શરૂ કરી. કામળી કાઢીને જોયું તો બાળકની પાસે એક સેલફોન પડેલો હતો. એ ફોનના સ્ક્રીન પર લખ્યું હતું. ‘જો તું બચી જાય, તો યાદ રાખજે કે તારી માતા તને ખૂબ ચાહતી હતી.’ મોબાઇલ પરનો સંદેશો વાંચી ટુકડીના સભ્યોની આંખો આંસુથી છલકાઈ ગઈ.

Categories
વાચન સમૃદ્ધિ

નીતિન બોઝ

જ. ૨૬ એપ્રિલ, ૧૮૯૭ અ. ૧૪ એપ્રિલ, ૧૯૮૬

ફિલ્મદિગ્દર્શક, સિનેમેટોગ્રાફર અને પટકથાલેખક નીતિન બોઝને બાળપણથી જ ફોટોગ્રાફીમાં રસ હતો. પિતા હેમેન્દ્રમોહન બોઝ ઉદ્યોગપતિ હતા, જે સત્યજિત રેના ભત્રીજા હતા અને માતા મૃણાલિની લેખક ઉપેન્દ્રકિશોર રે ચૌધરીનાં બહેન હતાં. નીતિન બોઝે બેલ્જિયમના સમ્રાટની ભારત મુલાકાત આધારિત બનાવેલી દસ્તાવેજી ફિલ્મનું સૌપ્રથમ વાર દિગ્દર્શન કર્યું હતું. તેમણે જયગોપાલ પિલ્લઈની ‘પુનર્જન્મ’ ફિલ્મથી સિનેમેટોગ્રાફર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી. એ પછી તેઓ ન્યૂ થિયેટર્સમાં મુખ્ય ટૅકનિકલ સલાહકાર અને કૅમેરા વિભાગના વડા તરીકે જોડાયા. એમણે બંગાળી અને હિન્દી બંનેમાં દ્વિભાષી ફિલ્મો બનાવી. ત્યારબાદ મુંબઈ ગયા અને બૉમ્બે ટૉકીઝ અને ફિલ્મિસ્તાનના બૅનર હેઠળ દિગ્દર્શન કાર્ય કર્યું. ૧૯૩૫માં તેમણે ફિલ્મ ‘ભાગ્યચક્ર’માં સૌપ્રથમ વખત પાર્શ્વગાયનનો પ્રયોગ કર્યો, જે અત્યંત સફળ નીવડ્યો. આ ફિલ્મ હિન્દીમાં ‘ધૂપછાંવ’ નામે બનાવવામાં આવી, જે પાર્શ્વગાયનવાળી પ્રથમ હિન્દી ફિલ્મ હતી. તેમના દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘ગંગા-જમના’ આજે પણ ભારતીય સિનેમાની સર્વકાલીન બ્લોકબસ્ટર ફિલ્મોમાંની એક ગણાય છે. તેમની ‘દુશ્મન’, ‘મિલન’, ‘દીદાર’, ‘કઠપૂતલી’ જેવી ફિલ્મો સુપરહિટ નીવડી હતી. નીતિન બોઝને ૧૯૬૧માં ‘ગંગા-જમના’ માટે દ્વિતીય શ્રેષ્ઠ ફીચર ફિલ્મ માટે મેરિટ પ્રમાણપત્ર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત થયો હતો.  તેમને ૧૯૭૭માં દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.