Categories
વાચન સમૃદ્ધિ

જૌનપુર

ઉત્તરપ્રદેશ રાજ્યમાં આવેલો જિલ્લો, શહેર અને જિલ્લાનો વિસ્તાર : ૪૦૩૮ ચોકિમી. જિલ્લાનું વડું મથક. ૨૫° ૪૪´ ઉ. અક્ષાંશ અને ૮૨° ૪૧´ પૂ. રેખાંશ પર વારાણસીથી વાયવ્ય ખૂણામાં ગોમતી નદીના કાંઠે તે આવેલું છે. જિલ્લાની પૂર્વે આઝમગઢ, દક્ષિણે વારાણસી અને સંત રવિદાસનગર ઉત્તરે ફૈઝાબાદ, વાયવ્ય ખૂણે સુલતાનપુર નૈર્ઋત્યે અલ્લાહાબાદ અને પશ્ચિમે પિથોરગઢ જિલ્લા આવેલા છે. સમગ્ર જિલ્લો સપાટ છે. ગંગાના મેદાનનો તે ભાગ છે. પૂરને લીધે અવારનવાર જમીનનું ધોવાણ થાય છે. સમુદ્રથી દૂર આવેલો હોઈને અહીં આબોહવા વિષમ છે. ઉનાળો અને શિયાળો આકરા હોય છે. મે માસમાં ૪૧°થી ૪૫° સે. તાપમાન રહે છે. શિયાળામાં સૌથી ઓછું તાપમાન ૧૦° સે.થી ૧૭° સે. રહે છે. ઉનાળા અને શિયાળા તથા રાત્રિ અને દિવસના તાપમાનમાં ઘણો તફાવત રહે છે. આશરે ૧૦૦૦થી ૧૨૫૦ મિમી. વરસાદ પડે છે. ગંગાની નહેરોથી સિંચાઈ થાય છે. વસ્તી  ૪૪,૯૪,૨૦૪ (૨૦૨૪ આશરે). રેલ અને સડકમાર્ગે રાજ્યનાં ગાઝીપુર, અલ્લાહાબાદ, લખનૌ, ફૈઝાબાદ, ગોરખપુર વગેરે શહેરો સાથે સંકળાયેલું છે. તે ખાસ કરીને કૃષિ બજારકેન્દ્ર તરીકે વિકાસ પામ્યું છે. તેની આસપાસના ભાગોમાં ફૂલોના બગીચા આવેલા છે. અત્તર અને અન્ય સુગંધિત દ્રવ્યો તથા ફળફળાદિ અને શાકભાજીના વ્યાપારનું તે મુખ્ય કેન્દ્ર છે. ત્યાં ગોરખપુર યુનિવર્સિટી સાથે સંલગ્ન કૉલેજો છે. કેટલીક મસ્જિદો ઉપરાંત સોળમી સદીમાં બંધાયેલો ગોમતી નદી પરનો પુલ જોવાલાયક છે. જૌનપુર જિલ્લો ગંગાનાં ફળદ્રૂપ મેદાનોમાં આવેલો છે સિંચાઈની સુવિધાવાળા મોટા ભાગના વિસ્તારો ખેતી હેઠળ છે. ડાંગર, મકાઈ, જવ અને શેરડી જેવા પાકો મુખ્ય છે. જિલ્લાના શાહગંજ ખાતે ખાંડની મિલ છે.

ગોમતી નદી પરનો પુલ

ઇતિહાસ : શહેરની સ્થાપના અગિયારમી સદીમાં થઈ. પણ તે પછી ગોમતી નદીના ભારે પૂરથી તેનો વિનાશ થયો. ૧૩૬૦માં ફિરોઝશાહ તુઘલુકે તેને ફરીથી વસાવ્યું. તે સમયમાં બંધાયેલો કિલ્લો ત્યાં હજુ છે. જૌનપુર રાજ્યનો સ્થાપક મલિક સરવર મૂળ ફિરોઝશાહ તુઘલુકના પુત્ર મુહમ્મદનો હબસી ગુલામ હતો. તેને ૧૩૮૯માં વજીરપદ પ્રાપ્ત થયું અને તેને ‘ખ્વાજા જહાન’(પૂર્વનો રાજા)નો ઇલકાબ આપવામાં આવ્યો. છેલ્લા તુઘલુક સુલતાન મુહમ્મદે તેને ‘મલિક ઉસ શર્ક’નો ઇલકાબ આપ્યો અને પૂર્વ ભારતનો સૂબો નીમ્યો. ૧૩૯૪માં તેણે ઇટાવા, કોઇલ અને કનોજનો બળવો દબાવી દીધો અને અવધ, કનોજ, બહરીચ, સંદીલ, દલમાઉ અને બિહાર પરગણાં જીતી લીધાં. પશ્ચિમમાં કોઇલથી પૂર્વમાં તિરહુત અને બિહાર સુધીનો ગંગાની ખીણનો પ્રદેશ તેના કબજા નીચે હતો. બંગાળનો શાસક પણ તેને ખંડણી આપતો હતો. ૧૩૯૯માં તેનું મૃત્યુ થયું. તેણે સ્વતંત્રતા જાહેર કરી ન હતી. મલિક સરવરના અનુગામી તેના દત્તકપુત્રે સુલતાન મુબારકશાહનું નામ ધારણ કર્યું હતું. તેણે સ્વતંત્રતા જાહેર કરતાં, મુહમ્મદ તુઘલુકના શક્તિશાળી વજીર મલ્લુ ઇકબાલખાને ૧૪૦૦માં જૌનપુર ઉપર ચડાઈ કરી. બંને પક્ષો વચ્ચેના યુદ્ધનો નિર્ણાયક અંત આવે તેમ ન હોવાથી સુલેહ થઈ અને બંને લડનારા તેમની રાજધાનીઓમાં પાછા ફર્યા. મુબારકશાહનું ૧૪૦૨માં મૃત્યુ થયું. મુબારકશાહનો અનુગામી તેનો પુત્ર ઇબ્રાહીમ શમ્સ-ઉદ્-દીન નામ ધારણ કરીને જૌનપુરની ગાદીએ બેઠો. દિલ્હીના સુલતાન મુહમ્મદ તુઘલુકે અને તેના વજીર મલ્લુ ઇકબાલે જૌનપુર ઉપર ફરી ચડાઈ કરી. વજીરના સ્વભાવથી કંટાળીને સુલતાને નાસી જઈને, કનોજમાં આશ્રય લીધો અને મલ્લુ ઇકબાલખાન લડ્યા વિના જ દિલ્હી પાછો ફર્યો. સુલતાન મુહમ્મદ મલ્લુ ઇકબાલખાનના મૃત્યુ પછી ૧૪૦૫માં દિલ્હી પાછો ફર્યો. ૧૪૦૭માં સુલતાન ઇબ્રાહીમે દિલ્હીના સુલતાન પાસેથી કનોજ જીતી લીધું અને દિલ્હી તરફ પ્રયાણ કર્યું. પણ ગુજરાતનો સુલતાન મુઝફ્ફરશાહ દિલ્હીની મદદે આવે છે તેવી અફવા સાંભળી ઇબ્રાહીમશાહ જૌનપુર પાછો ફર્યો. તેના ૧૪ વરસના શાસન દરમિયાન તેણે સાહિત્ય, કલા અને સંગીતને પ્રોત્સાહન આપ્યું. જૌનપુરના સુલતાને બયાના ૧૪૨૭માં અને કાલ્પી ૧૪૨૮ અને ૧૪૩૧માં જીતવા પ્રયત્ન કર્યા પણ તે નિષ્ફળ ગયો.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, જોનપુર, પૃ. ૫૯)

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

ગગનવિહારી મહેતા

જ. ૧૫ એપ્રિલ, ૧૯૦૦ અ. ૨૮ એપ્રિલ, ૧૯૭૪

ભારતના અમેરિકા ખાતેના ભૂતપૂર્વ એલચી, કુશળ વહીવટકર્તા અને પ્રખર બુદ્ધિમત્તા ધરાવતા ગગનવિહારી મહેતાનો જન્મ અમદાવાદમાં થયો હતો. તેમના પિતા સર લલ્લુભાઈ શામળદાસ. તેમના જન્મના વર્ષે જ પરિવાર ભાવનગરથી મુંબઈ રહેવા ગયો. તેમણે એલ્ફિન્સ્ટન કૉલેજમાં ઉચ્ચશિક્ષણ લીધું. બી.એ. ઑનર્સની પદવી અર્થશાસ્ત્ર વિષય સાથે મેળવી. તે પછી લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં પ્રવેશ મેળવ્યો અને કૉલેજનાં ચારેય વર્ષ ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિષયોમાં પ્રથમ આવવા બદલ અનેક ઇનામો પ્રાપ્ત કર્યાં. ૧૯૨૩માં તેમણે ‘બૉમ્બે ક્રોનિકલ’ અખબારના ઉપતંત્રી તરીકે કામ સંભાળ્યું અને તે પછી ૧૯૪૨માં તેમની વરણી ‘ફિક્કી’ના પ્રેસિડેન્ડ તરીકે થઈ. સ્વતંત્રતા પ્રાપ્ત થયા બાદ તેમને ટેરિફ બોર્ડના ચૅરમૅન બનાવાયા અને પછી પ્રથમ આયોજન નિગમના સદસ્ય નિમાયા. ૧૯૫૨માં તેમને યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકામાં ભારતના એલચી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આ પદે તેમણે છ વર્ષ સુધી પ્રશંસનીય સેવાઓ આપી. તેમણે ન્યૂયૉર્ક, જિનીવા, મોન્ટ્રિયલ વગેરે શહેરોમાં મળેલ આંતરરાષ્ટ્રીય વેપારી મહામંડળ સભાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. ૧૯૫૯થી ૧૯૬૩ દરમિયાન નૅશનલ શિપિંગ બોર્ડના ચૅરમૅન તરીકે સેવા આપી. ૧૯૬૫માં ઍર ઇન્ડિયા અને ઇન્ડિયન ઍરલાઇન્સનું ચૅરમૅનપદ શોભાવ્યું. નવી સ્થપાયેલી સંસ્થા આઈ.સી.આઈ.સી.આઈ.ના તેઓ પ્રથમ ચૅરમૅન બન્યા. તેનું સફળ સંચાલન કરી તેમણે દેશના ઔદ્યોગિકીકરણમાં બહુમૂલ્ય યોગદાન આપ્યું. તેમની પ્રવૃત્તિસભર જીવનશૈલીમાં પણ તેઓ વિદ્યાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા રહ્યા. અંગ્રેજી તેમ જ ગુજરાતી ભાષા પર તેમનું પ્રભુત્વ હતું. તેમનાં નોંધપાત્ર પ્રકાશનોમાં ગુજરાતીમાં ‘આકાશનાં પુષ્પો’ અને ‘અવળી ગંગા’નો સમાવેશ થાય છે. જ્યારે અંગ્રેજીમાં ‘સ્ટડીઝ ઇન ગાંધીઝમ, ફ્રોમ રોંગ ઍંગલ્સ, પરવર્સિટીઝ, અન્ડરસ્ટૅન્ડિંગ ઇન્ડિયા’ વગેરે નોંધપાત્ર ગણાય છે.

૧૯૫૯માં તેમને ‘પદ્મવિભૂષણ’થી સન્માનવામાં આવ્યા.

Categories
વાચન સમૃદ્ધિ

અંતરનો તરવરાટ

એક હોટલની ઉત્કૃષ્ટ વ્યવસ્થા જોઈને માનવજીવનના સાફલ્ય વિશે ગ્રંથલેખન કરતા ડૉ. નોર્મન વિન્સેન્ટ પિલ અતિ પ્રસન્ન થઈ ગયા. યુરોપની કેટલીય હોટલોમાં એ રહી ચૂક્યા હતા, પણ એમણે ક્યાંય પ્રવાસી માટે આટલી ચીવટ કે એની જરૂરિયાતોની ચિંતા જોયાં નહોતાં. આ માટે અભિનંદન આપવા તેઓ આલીશાન હોટલના કરોડપતિ માલિક આલ્ફ્રેડ ક્રેબ પાસે પહોંચ્યા અને કહ્યું, ‘તમે તમારી અઢળક સંપત્તિનો સાચે જ ઉત્તમ ઉપયોગ કર્યો છે.’ આલ્ફ્રેડ ક્રેબે કહ્યું, ‘સાહેબ, હું બાળપણમાં એટલો બધો ગરીબ હતો કે અંધારિયા ભંડકિયામાં અમે જીવન ગુજારતા હતા. મારી નોકરીનો પ્રારંભ હોટલમાં કપ-રકાબી અને એઠાં વાસણો સાફ કરવાથી કર્યો. સોંપાયેલું કામ ચીવટથી કરવું એ મારો નિશ્ચય. પરિણામે માત્ર એક મહિનામાં મારા માલિકે મને ‘પ્રમોશન’ આપ્યું. વાસણો સાફ કરવાને બદલે એ વાસણો બરાબર સ્વચ્છ થયાં છે કે નહીં, એની દેખરેખની કામગીરી સોંપી. કામ સોએ સો ટકા સંતોષકારક ન થાય, તો હું બેચેન બની જતો અને તેથી જ આળસુ અને પ્રમાદી લોકો મારી પાસે ટકી શકતા નહોતા. આમ પ્રગતિ કરતાં કરતાં હોટલના મૅનેજરના પદ સુધી પહોંચ્યો અને પછી થોડીઘણી મૂડી ભેગી થઈ એટલે આ સાહસ કર્યું.’ ‘ઓહ ! તમે તો ઘણું મોટું સાહસ કર્યું. થોડી મૂડીએ આવી આલીશાન હોટલ બંધાવવી, એ તો ઘણું મોટું સાહસ કહેવાય !’ ‘સાચી વાત ! પણ મેં મારા જેવા વ્યવસ્થિત, ચીવટવાળા અને મહેનતુ માણસોને તૈયાર કરવા માંડ્યા અને ઈશ્વરકૃપા, આપ જેવાની શુભેચ્છા અને મહેનતુ માણસોના સાથને કારણે હું એક પછી એક હોટલ મેળવતો ગયો અને આ વ્યવસાયમાં આગળ વધતો ગયો. આ બધાનું કારણ એક જ કે હું હંમેશાં મારી હોટલોમાં ગ્રાહકોને વધુ ને વધુ સુવિધા આપતી સગવડો મળી રહે તે માટે મૌલિક યોજનાઓ કરું છું અને સૌથી મોટી વાત તો એ કે નાનું હોય કે મોટું કામ હોય, પણ તરવરાટથી કરવામાં માનું છું. સાચું કહું તો મારા અંતરના આ તરવરાટે જ મને ઘણાં તોફાનો સામે પાર ઉતાર્યો છે અને એને કારણે જ આ સ્થિતિએ પહોંચ્યો છું.’