Categories
વાચન સમૃદ્ધિ

જગન્નાથ દામોદરદાસ ત્રિપાઠી

જ. ૭ ફેબ્રુઆરી, ૧૮૮૩ અ. ૧૭ ઑગસ્ટ, ૧૯૩૬

ગુજરાતી ભાષાના આ મહાન ગઝલકારનો જન્મ જંબુસરમાં થયો હતો. બાળપણથી જ હરિ-રંગે રંગાયેલા. કલાપીના શિષ્ય એવા જગન્નાથ ‘સાગર’ ઉપનામથી ઓળખાતા. ૧૯૦૩માં પિતાના અવસાન પછી વૈરાગ્યભાવના વધુ ઉત્કટ બની અને ૧૯૦૬માં ‘વિશ્વવંદ્ય’ને મળ્યા અને કોઈ પણ સંપ્રદાયમાં જોડાયા વગર પોતે જ અધ્યાત્મમાર્ગ અનુસરવાનો દૃઢ નિશ્ચય કર્યો. ૧૯૧૨માં અખાજીની વાણીની અસર હેઠળ આવ્યા. હિમાલયના મણિકૂટ પર્વતની જયવલ્લી ગુફામાં જઈ તપશ્ચર્યા કરી બ્રહ્મર્ષિ સાગર બન્યા. હિમાલયથી પાછા ફર્યા પછી તેમણે વડોદરામાં પાદરા પાસે ચિત્રાલમાં ‘સાગરાશ્રમ’ સ્થાપ્યો. ‘ૐ પ્રભુજી’ના જીવનમંત્ર સાથે જ જીવન ગાળ્યું. ૧૯૨૦માં કલ્યાણદાસજીની સમાધિનો શતાબ્દી-ઉત્સવ ઊજવ્યો. શિષ્યા ૐકારેશ્વરીને સિદ્ધિપદે સ્થાપવા એ જ સમયગાળામાં ચિત્રાલમાં ‘બ્રહ્મયજ્ઞ’ આરંભ્યો. શરૂઆતની રચનાઓમાં કલાપીની કવિતાનો પ્રભાવ જોઈ શકાય છે. ૧૯૦૯માં રચેલું કાવ્ય ‘થાકેલું હૃદય’ એવું જ કાવ્ય છે. ‘દીવાને સાગર’નો પહેલો ગ્રંથ ૧૯૧૬માં પ્રગટ થયો હતો અને ૧૯૩૬માં ‘દીવાને સાગર’ ભાગ-૨ પ્રકાશિત થયો હતો, જેમાં તેમણે રચેલાં ભક્તિપદો છે. આ ઉપરાંત ‘કલાપી અને તેની કવિતા’, ‘ગુજરાતી સાહિત્યમાં ગઝલનું સ્થાન’ અને ‘સ્વીડનબૉર્ગનું ધર્મશિક્ષણ’ તેમના વિશેષ ગ્રંથો છે.  ‘ગુજરાતી ગઝલિસ્તાન’ (૧૯૧૩), ‘સંતોની વાણી’ (૧૯૨૦), ‘કલાપીની પત્રધારા’ (૧૯૩૧) અને ‘કલાપીનો કેકારવ’ (૧૯૩૨) તેમણે કરેલાં સંપાદનો ઉલ્લેખનીય છે. તે ઉપરાંત ‘અક્ષયવાણી – અખાજીની અપ્રસિદ્ધ વાણી’ ટીકા સહિત સંપાદિત કરી છે. તો ‘સાગરની પત્રરેષા અને વિચારણા કેટલાક મહાનુભાવો અને પરિવારના સભ્યોને લખેલા પત્રોનો સંચય છે. સાતમા ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો હોવા છતાં ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ના કોશકાર્ય સાથે સંકળાયેલા અને કેટલોક સમય ‘જ્ઞાનસુધા’નું સંપાદન પણ કરેલું.

રાજશ્રી મહાદેવિયા

Categories
વાચન સમૃદ્ધિ

જિરાફ

સસ્તન વર્ગનાં ઑર્ટિયોડેક્ટિલા (સમખુરવાળી) શ્રેણીના જિરાફિડી કુળનું પ્રાણી. શાસ્ત્રીય નામ Giraffa camelopardalis. જિરાફને જમીન પરના સૌથી ઊંચા પ્રાણી તરીકે વર્ણવી શકાય. તેની ઊંચાઈ મુખ્યત્વે તેની ડોકને આભારી છે અને તે ૫.૫ મી. કરતાં વધારે હોય છે. આગલા પગ સહેજ લાંબા હોવાને કારણે તેની પીઠ પાછળના ભાગ તરફ ઢળતી હોય છે. જોકે આ પ્રકારની રચના શરીરની સમતુલા જાળવવા અગત્યની છે. આમ તો શરીરની સમતુલા જાળવવા માટે પાણી પીવાનું હોય ત્યારે તે આગલા પગને પાર્શ્વ બાજુએથી એકબીજાથી દૂર ખસેડે છે. લાંબી ડોક ઊંચાં વૃક્ષોની ડાળી પરથી પાંદડાં ખાવા ટેવાયેલી હોય છે. જૂજ વૃક્ષો હોય તેવા ઘાસવાળા સપાટ પ્રદેશમાં મુખ્યત્વે ઊગતા બાવળનાં પાન ખાઈને જીવન ગુજારે છે. તેની પૂંછડી રુવાંટીવાળી હોય છે જ્યારે ડોકના આગળના ભાગમાં યાળ જેવા કેશ ધરાવે છે. જિરાફના માથાની ટોચે ચામડી વડે ઢંકાયેલાં બે નાનાં શિંગડાં છે, જ્યારે ત્રીજું શિંગડું આંખોની વચ્ચેના ભાગમાં આવેલું છે. જિરાફની ચામડી પીળાશ પડતી હોય છે. તેની ઉપર લીલાશ પડતાં બદામી રંગનાં ટપકાં અને ભૌમિતિક આકૃતિઓ જોવા મળે છે.

જિરાફ ટોળામાં રહે છે, જેમાં માદાની સંખ્યા વધારે હોય છે. એકાદ પુખ્ત નર અને નર બચ્ચાં આ ટોળામાં રહેતાં હોય છે. વૃદ્ધ નર સાવ એકલો રહે છે. જિરાફ મુખ્યત્વે પૂર્વ આફ્રિકાના કેન્યાના સવાના ઘાસનાં મેદાનોમાં જોવા મળે છે. ઉત્તરમાં તે સહરાના દક્ષિણ ભાગ સુધી વિસ્તરેલા હોય છે. દક્ષિણનાં જિરાફ દેખાવમાં ઉત્તરનાં જિરાફ કરતાં સહેજ ભિન્ન હોય છે. માનવના પર્યાવરણિક હસ્તક્ષેપને લીધે જિરાફની સંખ્યા સાવ ઘટી ગઈ છે. જિરાફ વાગોળનારું (ruminant) પ્રાણી છે. તેના લાંબા હોઠ અને લાંબી કમાન જેવી વળતી જીભ ઊંચા ઝાડ પર આવેલાં પાંદડાંને કરડી ખાવાની ક્ષમતા ધરાવે છે. જિરાફની નજર, ઘ્રાણસંવેદના અને શ્રવણશક્તિ તેજ હોય છે. હિંસક પ્રાણીઓમાં માત્ર સિંહ જિરાફનો શિકાર કરી શકે છે. તે લાત મારીને રક્ષણાત્મક પદ્ધતિ અપનાવે છે અને આશરે ૫૦ કિમી.ની ઝડપથી દોડી શકે છે. નર જિરાફ સામસામા લડે છે અને માથાં ભટકાવે છે. જિરાફનો અવાજ ભાગ્યે જ સંભળાય છે. તે ધીમો ઊંડો આહ જેવો અવાજ કાઢી શકે છે. માદા ૧૪થી ૧૫ માસની સગર્ભાવસ્થા બાદ એક બચ્ચાને જન્મ આપે છે. નવજાત શિશુ ૨ મી. ઊંચું હોય છે. જિરાફ આશરે ૨૦ વર્ષ સુધી જીવે છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

રા. ય. ગુપ્તે

Categories
વાચન સમૃદ્ધિ

કવિ પ્રદીપજી

જ. ૬ ફેબ્રુઆરી, ૧૯૧૫ અ. ૧૧ ડિસેમ્બર, ૧૯૯૮

હિંદીના કવિ અને ચલચિત્રજગતના વિખ્યાત ગીતકાર. મૂળ નામ રામચંદ્ર નારાયણજી દ્વિવેદી, પણ પ્રદીપ નામથી વધુ જાણીતા થયા. તેમનું શાળાકીય શિક્ષણ ઇંદોરમાં અને ઉચ્ચશિક્ષણ અલાહાબાદ તથા લખનઉમાં સંપન્ન થયું. ‘ટીચર્સ ટ્રેનિંગ કોર્સ સંપૂર્ણ કરી શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી. એક વાર ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવળ સાથે મથુરામાં આકસ્મિક મુલાકાત થતાં તેમની સાથે અમદાવાદ આવ્યા અને ૧૯૩૮માં ‘કુમાર’ કાર્યાલયે એમની ‘ગીતમંજરી’ શીર્ષક હેઠળ બાર જેટલાં હિંદી કાવ્યોવાળી લઘુપુસ્તિકા પ્રગટ કરેલી. મુંબઈમાં કાવ્યપઠનના જાહેર કાર્યક્રમમાં તેમની કાવ્યરચનાથી અને ગાનથી પ્રભાવિત થયેલા એન. આર. આચાર્યે પ્રદીપજીની મુલાકાત હિમાંશુ રૉય સાથે કરાવી અને તેમણે પ્રદીપજીને ‘કંગન’ (૧૯૩૯) ચલચિત્રનાં ચાર ગીતો લખવાની જવાબદારી સોંપી. તેમની ફિલ્મી અને અન્ય રચનાઓની સંખ્યા ૧૫૦૦થી ૧૭૦૦ જેટલી થાય છે. તેમને લોકપ્રિયતા બક્ષી હોય તેવાં ચલચિત્રોમાં ‘પુનર્મિલન’, ‘બંધન’, ‘કિસ્મત’, ‘ચલ ચલ રે નૌજવાન’ એમ લાંબી યાદી છે. પણ ‘આંખ કા તારા’ તેમનું અંતિમ ચલચિત્ર સાબિત થયું. તેમણે ગીતરચનાઓમાં સાદી શબ્દાવલી પ્રયોજી લોકોનાં દિલ જીતી લીધાં હતાં. તેમાં પણ ‘આઓ બચ્ચો તુમ્હેં દિખાયેં ઝાંકી હિન્દુસ્તાન કી’, ‘હમ લાયે હૈ તૂફાન સે કશ્તી નિકાલકે’, ‘ઇન્સાફકી ડગર પે’, ‘દે દી હમેં આઝાદી બિના ખડગ…’ જેવી રચનાઓ લગભગ દરેક પરિવારમાં નાનાથી મોટા પણ ગાતાં હોય છે. તેમની મોટા ભાગની રચનાઓમાં દેશભક્તિ અને ઈશ્વરભક્તિ જોવા મળે, પણ તેમણે શૃંગારરસ ધરાવતાં ગીતોની પણ રચના કરેલી. જોકે સૌથી વધુ પ્રસિદ્ધિ તેમને ભારત-ચીન વચ્ચેના યુદ્ધમાં શહીદ થયેલા ભારતના વીર સૈનિકોને અંજલિ આપવા લખેલ અને લતા મંગેશકરે દિલ્હીના લાલ કિલ્લા પરના કાર્યક્રમમાં ગાયેલ ‘અય મેરે વતન કે લોગો’ ગીતથી મળી. પ્રદીપજીએ આ ગીતની રૉયલ્ટી ‘વૉર વિડોઝ ફંડ’ને અર્પણ કરેલી. તેમના વિશિષ્ટ પ્રદાન માટે તેમને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવેલા; જેમાં ‘સંગીત નાટક અકાદમી ઍવૉર્ડ’ (૧૯૬૧), ‘બૅંગાલ ફિલ્મ જર્નાલિસ્ટ્સ ઍસોસિયેશન શ્રેષ્ઠ ગીતકાર ઍવૉર્ડ’ (૧૯૭૫) તથા ૧૯૯૭-૯૮ના વર્ષના ‘દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ’નો સમાવેશ થાય છે. ૨૦૧૧માં ભારત સરકારે તેમના સન્માનમાં રૂ. પાંચની ટપાલટિકિટ બહાર પાડેલી.

રાજશ્રી મહાદેવિયા