Categories
વાચન સમૃદ્ધિ

વિજ્ઞાનીની જેમ પડકારોનો સામનો કરીએ

જીવનની પ્રત્યેક પડકારરૂપ પરિસ્થિતિનો કોઈ ને કોઈ ઉકેલ તો હોય છે જ, પરંતુ પડકાર અને તેના ઉકેલ વચ્ચેનું અંતર ધૈર્ય, કુનેહ અને હિંમત માગતું હોય છે. કેટલીક વ્યક્તિઓ પડકાર સામે આંખ મીંચી દે છે, જ્યારે કેટલીક વ્યક્તિઓ પડકાર જોઈને એનાથી દૂર નાસી જાય છે. આવી વ્યક્તિઓને માટે પડકાર એ પૂર્ણવિરામ બની જાય છે. હકીકતમાં પ્રત્યેક પડકારની પહેલાં ઓળખ મેળવવાની જરૂર હોય છે. કેટલાંક કામ અને કર્તવ્ય જીવનમાં સિદ્ધ કરવાનાં અનિવાર્ય હોય છે. આ અનિવાર્યનું નિવારણ કરવું પણ જરૂરી છે. જો એ અનિવાર્યની ઉપેક્ષા કરીશું તો કાં તો નિષ્ફળતા મળશે અથવા તો એ પડકાર વધુ ને વધુ મોટો, ગંભીર અને પરેશાનીરૂપ બનતો જશે. જીવનમાં આવતા પડકારનો ઉકેલ જરૂરી હોય છે અને એમ કરવા જતાં ક્યારેક પોતાને મુશ્કેલી કે હાનિ થવાનો પણ ભય હોય છે. એના ઉકેલ માટે મથવું પડે છે. પીડા પણ ભોગવવી પડે છે, આમ છતાં જે કરવું અતિ આવશ્યક અને અનિવાર્ય છે એ કરવું જ જોઈએ અને એમ કરવાનો પ્રયાસ કરનાર સમય જતાં એમાં સિદ્ધિ મેળવતો હોય છે.

કોઈ બાબતને અશક્ય માનીને માંડી વાળવી જોઈએ નહીં, પણ સતત એની પાછળની શક્યતાઓ ખોજવી જોઈએ અને એ શક્યતાઓનો સહારો લઈને તર્ક, લાગણી અને અનુભવ દ્વારા એને ઉકેલવાનો પ્રયાસ કરવો જોઈએ તો જીવનના અનિવાર્ય પડકારોનો ઉકેલ મળી જશે. જીવનના પડકારના ઉકેલ માટે  મથનારા માનવી પાસે વૈજ્ઞાનિક જેવી સતત ખોજ-સંશોધનની ધગશ હોવી જોઈએ. એક પ્રયોગમાં સફળતા ન મળે, તો એને બાજુએ રાખીને બીજો પ્રયોગ હાથ ધરે છે. જીવનના પડકારનો સામનો કરનારે પ્રયત્નો કરવામાં પાછા વાળીને જોવું જોઈએ નહીં.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

પ્રમોદ મહાજન

જ. ૩૦ ઑક્ટોબર, ૧૯૪૯ અ. ૩ મે, ૨૦૦૬

પ્રમોદ વેંકટેશ મહાજન ભારતના રાજકીય નેતા હતા. તેમનો જન્મ મહબૂબનગર, તેલંગાણામાં વેંકટેશ દેવીદાસ મહાજન તથા પ્રભાવતીને ત્યાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેઓ ૨૧ વર્ષના હતા ત્યારે પિતાનું અવસાન થયું હતું. શાળાકીય શિક્ષણ તેમણે મહારાષ્ટ્રના બીડ જિલ્લાના યોગેશ્વરી વિદ્યાલય તથા મહાવિદ્યાલયમાં લીધું હતું. પૂનાની રાનડે ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ જર્નાલિઝમમાંથી ફિઝિક્સ અને જર્નાલિઝમ વિષય સાથે સ્નાતક તથા રાજ્યશાસ્ત્રના વિષય સાથે અનુસ્નાતક થયા હતા. ગોપીનાથ મૂંડે તેમના સહાધ્યાયી હતા જે પાછળથી તેમના બનેવી બન્યા હતા. સક્રિય રાજનીતિમાં જોડાયા પહેલાં તેઓ ખોલેશ્વર કૉલેજ અંબેજોગાઈમાં અંગ્રેજીના પ્રાધ્યાપક હતા. નાનપણથી જ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ના સભ્ય હતા પણ મરાઠી સમાચારપત્ર ‘તરુણ ભારત’ના સહસંપાદક બન્યા પછી નોકરી છોડી પૂર્ણ સમય માટે આરએસએસના પ્રચારક બની ગયા. ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીના મહારાષ્ટ્રના જનરલ સેક્રેટરી બન્યા. ૧૯૮૩થી ૮૫ દરમિયાન તેઓ પાર્ટીના ઑલ ઇન્ડિયા સેક્રેટરી અને ૧૯૮૪માં ચૂંટણીમાં હાર્યા બાદ તેઓ ઑલ ઇન્ડિયા ભારતીય જનતા યુવામોરચાના પ્રમુખ બન્યા. તેમની મહેનત અને વ્યવસ્થાપન કુશળતાને લીધે તેઓ ધીમે ધીમે વગ ધારણ કરતા ગયા અને રાષ્ટ્રીય સ્તરે પણ તેમની ગણના થવા લાગી. ૧૯૯૦ પછી બીજેપી પ્રમુખ લાલકૃષ્ણ અડવાણીની રામ રથયાત્રાનું કુશળતાપૂર્વક આયોજન કરી તેઓ નેતાની હરોળમાં આવી ગયા. તેઓ ૧૯૮૬-૯૨, ૧૯૯૨-૯૬, ૧૯૯૮-૨૦૦૪ સુધી રાજ્યસભાના સભ્ય રહ્યા હતા. ૧૯૯૬માં તેઓ મુંબઈ ઉત્તરપૂર્વમાંથી લોકસભાની ચૂંટણી જીત્યા હતા.

અટલ બિહારી બાજપાઈની ૧૩ દિવસની સરકારમાં તેમની નિમણૂક રક્ષામંત્રી તરીકે કરવામાં આવી હતી. ૧૯૯૮માં જ્યારે બીજેપીએ ફરીથી સરકાર બનાવી ત્યારે વડાપ્રધાનના સલાહકાર તરીકે ફરજ બજાવી. ત્યારબાદ રાજ્યસભાની ચૂંટણી જીતી, માહિતી-પ્રસારણ અને ફૂડ પ્રોસેસિંગ મંત્રી બન્યા. એક વર્ષ પછી તેમની બદલી પાર્લમેન્ટરી અફેર્સ અને વૉટર રિસોર્સિસ મંત્રી તરીકે કરવામાં આવી. મહિના પછી તેમને પાર્લમેન્ટરી અફેર્સ ઉપરાંત ઇન્ફર્મેશન ટૅકનૉલૉજી ખાતું સોંપવામાં આવ્યું. ૨૦૦૧માં કૉમ્યુનિકેશન મંત્રી બન્યા.

૨૨ એપ્રિલ, ૨૦૦૬ના દિવસે તેમના નાના ભાઈ પ્રવીણે હતાશામાં તેમને ગોળી મારી હતી. ૧૩ દિવસ મોત સામે ઝઝૂમ્યા બાદ ત્રીજી મેના દિવસે તેમનું અવસાન થયું હતું.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

જર્મન કન્ફેડરેશન

જર્મન રાજ્યોનો સંઘ. નેપોલિયનના પતન બાદ, ૧૮૧૫માં મળેલા વિયેના સંમેલને અનેક બાબતોમાં પુરાણી વ્યવસ્થાની પુન:સ્થાપનાનો આગ્રહ રાખ્યો હતો; પરંતુ જર્મનીનાં ૩૦૦ રજવાડાંને તેણે પાછાં અલગ ન કર્યાં. આ બાબતમાં નેપોલિયનના કાર્યનો સ્વીકાર કરી, તેમાં એક સોપાન આગળ વધ્યા, વિયેના સંમલેનમાં ભેગા થયેલા રાજપુરુષોએ જર્મનીનાં ૩૦૦ રાજ્યોને ભેગાં કરીને બનાવેલાં ૩૯ રાજ્યો ચાલુ રાખી તેના એક શિથિલ સંઘ(જર્મન સમૂહતંત્ર)ની રચના કરી. આ સંઘનાં રાજ્યોની એક સંઘસભા રાખી અને તેના પ્રમુખપદે ઑસ્ટ્રિયા અને ઉપપ્રમુખપદે પ્રશિયાને રાખવામાં આવ્યું. આ રીતે જર્મની પર ઑસ્ટ્રિયાનું વર્ચસ્ સ્થપાયું. ૧૮૧૫થી ૧૮૬૬ સુધી જર્મનીની સરકાર તરીકે તેનું અસ્તિત્વ ચાલુ રહ્યું.

આ સંઘમાં પ્રતિનિધિઓ પ્રજાના ન હતા; પરંતુ રાજાઓએ નિમણૂક કરેલા હતા. તેઓ રાજાઓનું હિત ધ્યાનમાં રાખતા અને રાજાની આજ્ઞા મુજબ મત આપતા. તે સ્વતંત્ર રાજ્યોનું બનેલું નબળું સંગઠન હતું. આ સંઘ રાજાઓનો હતો, પ્રજાનો નહિ. આ જર્મન સંઘ કાયમી કે શક્તિશાળી બની શકે તેમ ન હતો, કારણ કે તેણે બે મહત્ત્વની બાબતોની ઉપેક્ષા કરી હતી. એક તો તેણે જર્મન પ્રજામાં ફેલાયેલી એકતાની ભાવનાને અવગણી હતી અને બીજું ઑસ્ટ્રિયા તથા પ્રશિયા વચ્ચેની જર્મનીમાંની હરીફાઈને તેણે ધ્યાનમાં લીધી ન હતી. આ સંઘમાં મૂળભૂત કાયદા, અંગભૂત સંસ્થાઓ, વૈયક્તિક અધિકારો તથા ધાર્મિક બાબતોમાં સુધારા કરવા માટે સર્વાનુમતિનો નિર્ણય રાખવામાં આવેલ હોવાથી, કોઈ પણ નક્કર કાર્ય થઈ શકતું નહિ. વળી આ સંઘને પોતાનું લશ્કર અથવા વ્યવસ્થાતંત્ર ન હોવાથી, જર્મનીમાં યથાવત્ પરિસ્થિતિ તથા ઑસ્ટ્રિયાનું આધિપત્ય ચાલુ રહ્યાં. જર્મની ઑસ્ટ્રિયાના પૂરા આધિપત્ય હેઠળ તથા મેટરનિકની પ્રત્યાઘાતી નીતિના પ્રભાવ હેઠળ આવી ગયું. મેટરનિકની જર્મની પ્રત્યેની નીતિનું ધ્યેય ઉદારમતવાદ, બંધારણવાદ તથા સંસદીય લોકશાહીનો સખત વિરોધ કરવાનું હતું. તેણે આ ધ્યેયને પાર પાડવા વાસ્તે જર્મનીના સંઘનો ઉપયોગ કર્યો. જર્મનીના સામંતો ઉત્સાહ કે ડરથી લોકોને ઉદાર બંધારણીય સુધારા ન આપે તેની તેણે તકેદારી રાખી હતી. પ્રશિયાના રાજા ફ્રેડરિક વિલિયમ ત્રીજાએ પણ લોકોને બંધારણીય સુધારાનું આપેલું વચન, મેટરનિકની દબાણથી પાછું ખેંચી લીધું. ઑગસ્ટ, ૧૮૧૯માં મેટરનિકે જર્મનીના કાર્લ્સબાદ મુકામે પ્રશિયા સહિત અગત્યના રાજાઓની સભા બોલાવી. તેમાં રાષ્ટ્રવાદી વિચારોને કચડી નાખવા માટે કેટલાક આદેશો નક્કી કરી જર્મન સંઘની સભા પાસે તે મંજૂર કરાવવામાં આવ્યા. આ આદેશો અનુસાર દરેક રાજાએ પોતાના રાજ્યમાં શાળાઓ તથા યુનિવર્સિટીઓની પ્રવૃત્તિઓ પર નિયંત્રણો મૂકવાનાં હતાં, વિદ્યાર્થીઓની સભાઓ પર પ્રતિબંધ મૂકવાનો હતો, યુનિવર્સિટીઓમાંથી રાષ્ટ્રવાદી વિચારસરણી ધરાવતા અધ્યાપકો તથા વિદ્યાર્થીઓને બરતરફ કરવાના હતા તથા વર્તમાનપત્રો પર કડક નિયંત્રણો મૂકવાનાં હતાં. આ બધા આદેશોને પરિણામે જર્મન સંઘ એક પોલીસ-રાજ્ય સમાન બની ગયો. રાષ્ટ્રવાદી પ્રવૃત્તિઓને કચડી નાખવા માટે જર્મનીમાં દમન તથા અત્યાચારની શરૂઆત થઈ.

મેટરનિકની સૂચનાથી, જર્મન સંઘની સભાએ, રાજાઓને તેમના વહીવટી તંત્રમાં લોકોનો સહકાર લેવાની મનાઈ ફરમાવી. આમ, જર્મનીમાં મેટરનિકની પ્રત્યાઘાતી નીતિ સફળ થઈ તેના ફલસ્વરૂપે જર્મની ઑસ્ટ્રિયાના આધિપત્ય હેઠળ અને તેના આપખુદ વહીવટ હેઠળ કચડાયેલું રહ્યું. ૧૮૬૬માં ઑસ્ટ્રિયા અને પ્રશિયા વચ્ચે થયેલી તુમુલ લડાઈ બાદ પ્રાગ સંધિ કરવામાં આવી. તે મુજબ જર્મન સંઘનું વિસર્જન કરવામાં આવ્યું. તેનાથી જર્મન રાજકારણ પરનું ઑસ્ટ્રિયાનું આધિપત્ય નાબૂદ થયું.

જયકુમાર ર. શુક્લ