સંગીતવિદ્યાનો સંસ્કારવારસો કૈલાસને કુળપરંપરાથી મળ્યો હતો. દસ વર્ષના હતા ત્યારે પિતાનું અવસાન થયું, તેથી તેમનાં વિદુષી માતા નર્મદાદેવીએ તેમનું પાલનપોષણ કર્યું અને સંસ્કાર તથા વિદ્યાનું સિંચન કર્યું. માત્ર સાડા ત્રણ વર્ષની ઉંમરથી જ કૈલાસચન્દ્ર શુદ્ધ ઉચ્ચાર કરતા હતા. પાંચ વર્ષની વયે તેઓને સંસ્કૃતના અનેક શ્લોકો કંઠસ્થ હતા. અગિયાર વર્ષની વયે તેઓ મૌલિક કાવ્યરચના કરતા હતા, ચૌદ વર્ષની વયે એમના મુખેથી સ્વરચિત શ્લોકોનું ગાન સાંભળીને પંડિતોએ તેઓને કાવ્યમનીષી, સાહિત્યસૂરિ જેવી ઉપાધિઓથી અલંકૃત કર્યા હતા. શાસ્ત્રો, ભાષા, સાહિત્ય, વિવિધ વિદ્યાઓ સંગીતની ગાયન-વાદન કલાઓ વગેરેનું જ્ઞાન પંડિતો પાસેથી મળવાથી કૈલાસચન્દ્રનું જીવન ખીલી ઊઠ્યું. તેઓએ સંગીત વિશે પોતાનો શોધનિબંધ રજૂ કર્યો હતો. ભારતીય પ્રાચીન સંગીતશાસ્ત્ર અને ગાયનપદ્ધતિ સંપૂર્ણ વૈજ્ઞાનિક અને વ્યવહારુ છે. તેઓએ ‘બૃહસ્પતિ વીણા’ નામે એક નવી વીણાનો આવિષ્કાર કર્યો હતો. તેમણે સંગીતવિષયક મૌલિક ચિંતન વ્યક્ત કરતા બે ગ્રંથો લખ્યા છે : ‘ભારત કા સંગીતસિદ્ધાંત’ તથા ‘સંગીત ચિંતામણિ’. આ ઉપરાંત તેમણે ભારતનાટ્યશાસ્ત્રના ૨૮મા અધ્યાય પર વિદ્વત્તાપૂર્વક ટીકા લખી છે. ટીકાનું નામ ‘સાધના’ આપ્યું. તેમણે પોતાની ગૃહિણી સાધના અને પોતાની સંગીતસાધના બંનેને અમર બનાવી દીધાં. તેમને અનેક પદવીઓ, પદકો, પ્રતિષ્ઠાઓ અને પદાધિકારો પ્રાપ્ત થયાં હતાં.
આ ખેતીને ‘પ્રાકૃતિક’, ‘પર્યાવરણમિત્ર’, ‘પ્રકૃતિમિત્ર’ કે ‘બિનરાસાયણિક’ ખેતી પણ કહે છે. તે અપ્રાકૃતિક અને પરાવલંબી રાસાયણિક ખેતીથી જુદી છે. સજીવ ખેતીનાં નોંધપાત્ર પાસાં નીચે પ્રમાણે છે : (૧) ખેતી સંબંધિત જમીન, પાણી, હવા અને પ્રકાશની પ્રાપ્તિ, રક્ષણ અને શુદ્ધતાનું સમતોલ આયોજન; (૨) સ્થળ, સમય અને આબોહવાને અનુરૂપ પાકની પસંદગી; (૩)પ્રાકૃતિક (કુદરતી) બિયારણની પ્રાપ્તિ અને જાળવણી; (૪) એક વારાની વાવણીમાં યોગ્ય પાકોનું સંયોજન; (૫) ખેતીને પોષતા સજીવોનું પાલન; (૬) પાકનું પોષણ અને આરોગ્યરક્ષણ; (૭) યંત્રોના ઉપયોગમાં વિવેક; (૮) વિવેકી નીંદણ-નિયમન; (૯) ઉતારેલા પાકોની યોગ્ય સંચય-વ્યવસ્થા; (૧૦) ખેડૂત અને ખેતીની સામાજિક-આર્થિક સુરક્ષાને અનુરૂપ સામુદાયિક આયોજન અને (૧૧) સિદ્ધ થયેલ કૃષિજ્ઞાનની વ્યાપક આપ-લે અને તેનો ઉપયોગ.
સજીવ ખેતી
આધુનિક ખેતીમાં રાસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગથી જમીન, પાણી અને હવા પ્રદૂષિત થાય છે. જમીન બગડે છે અને જમીનમાં રહેલા ફાયદાકારક જીવાણુઓ નાશ પામે છે. ખેતીમાં રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડવા માટે અને પાકના વધુ ઉત્પાદન માટે સંકલિત પાક-પોષણ-વ્યવસ્થા અપનાવવી જરૂરી છે. તેમાં છાણિયું ખાતર, કંપોસ્ટ, વર્મી કંપોસ્ટ કે ખોળ જેવાં સેન્દ્રિય ખાતરોનો અને જૈવ-ખાતરોનો વપરાશ, યોગ્ય પાક-ફેરબદલી તથા પાક-અવશેષોનો ઉપયોગ કરવામાં આવે છે. સેન્દ્રિય ખાતરોમાં અળસિયાંનું ખાતર ઉત્તમ છે. અળસિયાં જમીનને સમૃદ્ધ બનાવે છે. તે ધરતીમાં વારંવાર ઉપર-નીચે આવનજાવન તથા મળોત્સર્જન દ્વારા ભૂમિખેડ કરે છે. તેની દાણાદાર ભૂખરી હગાર પોટાશ, ફૉસ્ફરસ, નાઇટ્રોજન વગેરેથી સમૃદ્ધ ખાતર આપવાનું કામ કરે છે. અળસિયાંનું ખાતર ખેતીપાકો, શાકભાજી, રોકડિયા પાકો, બાગાયતી પાકો તથા ફૂલ-છોડ માટે ઉપયોગી છે. આ ઉપરાંત કેટલાંક ઉપયોગી યોગ્ય જૈવિક ખાતરોનો ખેતીમાં વપરાશ કરવાથી ઊંચી કિંમતનાં રાસાયણિક ખાતરોનો વપરાશ ઘટાડીને જમીનની ઉત્પાદક્તા અને ફળદ્રૂપતા જાળવી શકાય છે. ખેતરના દરેક સ્થાને પાકની ફેરબદલીનું આયોજન કરવાથી જે તે પાકના હાનિકારક વિશિષ્ટ કીટકોનો વધારો થતો અટકે છે અને જમીનમાંથી અમુક જ ખનિજોનું વધારે પડતું શોષણ પણ અટકે છે. મગ, ચોળા, વાલ જેવા કઠોળ પાકો નાઇટ્રોજન, ફૉસ્ફરસ અને પોટાશ જેવાં પોષક ખનિજોનો તેમના મૂળ પર આવેલી ગાંઠોમાં સંચય કરી જમીનની ફળદ્રૂપતાની જાળવણી કરે છે. આજે વિશ્વમાં રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ વગેરેની ઝેરી અસરોને કારણે આરોગ્યને નુકસાન થતું અટકાવવા સજીવ ખેતીને અપનાવવામાં આવી રહી છે. આરોગ્ય પ્રત્યેની વધતી જતી લોકજાગૃતિને પગલે સજીવ ખેતી પ્રત્યે ખેડૂતોનો લગાવ વધી રહ્યો છે. ગુજરાતમાં પણ આજે અંદાજે પાંચ હજાર હૅક્ટર જમીનમાં સજીવ ખેતી થઈ રહી છે. છસ્સોથી વધુ ખેડૂતો સજીવ ખેતી કરી રહ્યા છે. રાજ્યમાં વર્ષે સજીવ ખેતીનું રૂ. દસ કરોડથી વધુ ઉત્પાદન થાય છે. અમદાવાદ જેવા શહેરમાં પણ સજીવ ખેતીની નીપજોનાં વેચાણકેન્દ્રો શરૂ થયાં છે અને સજીવ ખેતીને લગતા મેળા ભરાતા થયા છે. ભારતમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરળ, મિઝોરમ, મધ્યપ્રદેશ સહિત આઠ રાજ્યોમાં સજીવ ખેતીને પ્રોત્સાહન આપવાના ભાગ રૂપે રાજ્યસરકારોએ સજીવ ખેતીની નીતિ અમલી બનાવી છે.
ગુજરાતના જાણીતા પત્રકાર અને અગ્રણી અખબાર ‘સંદેશ’ના માલિક ચીમનભાઈનો જન્મ ખેડા જિલ્લાના સારસામાં થયો હતો. અભ્યાસ પૂરો કર્યા બાદ વડોદરામાં સરકારી નોકરીમાં જોડાયા, પરંતુ નોકરી અનુકૂળ ન આવતાં વેપાર-ધંધામાં પડ્યા. સમય જતાં વર્તમાનપત્રો તથા સામયિકોમાં શબ્દરચના સ્પર્ધાઓમાં રસ જાગ્યો, તે સાથે તેમને વર્તમાનપત્રોની અગત્ય સમજાઈ. તેમણે વડોદરાથી ‘લોકસત્તા’ દૈનિક શરૂ કર્યું. પત્રકારત્વનો ખાસ અનુભવ ન હોવા છતાં અખબાર અંગેની માહિતી બારીકાઈપૂર્વક પ્રાપ્ત કરી. સતત ઊંડો અભ્યાસ કરીને પત્રકારત્વ ક્ષેત્રે જરૂરી એવી ઘણી જાણકારી મેળવી. ત્યારબાદ અમદાવાદ આવી ૧૯૫૮માં નંદલાલ ચૂનીલાલ બોડીવાળાનું ‘સંદેશ’ દૈનિક હસ્તગત કર્યું. તે સમયે ‘સંદેશ’ બંધ પડવાની અણી પર હતું. ચીમનભાઈએ સંદેશને પ્રથમ કક્ષાનું પત્ર બનાવવાનો પડકાર ઝીલી લીધો. તેઓ ખૂબ હિંમતવાન, બુદ્ધિશાળી અને કાબેલ વ્યક્તિ હતા. શિસ્તપાલનના આગ્રહી હતા. કાર્યાલયમાં સૌપહેલાં આવે અને સૌથી છેલ્લા જાય. અમદાવાદનાં પત્રોમાં સૌપ્રથમ દૈનિકની સાથે દર રવિવારે વિશેષ વાંચન આપતી સાપ્તાહિક પૂર્તિ તેમણે શરૂ કરી.
ચીમનભાઈએ અનેક પ્રતિષ્ઠિત કટારલેખકોનો સાથ મેળવ્યો. ‘સંદેશ’ને સમાચારો અને માહિતીની દૃષ્ટિએ સમૃદ્ધ બનાવ્યું અને કુશળતાપૂર્વક તેનું સંચાલન કર્યું. તેમણે ‘સ્ત્રી’, ‘ધર્મસંદેશ’, ‘બાલસંદેશ’, ‘હેલ્થકેર’, ‘શૅરબજાર ગાઇડ’, ‘પંચાંગ’ વગેરે જેવાં અનેક પ્રકાશનો શરૂ કર્યાં. અમદાવાદ ઉપરાંત સૂરત, વડોદરા, રાજકોટ વગેરેની આવૃત્તિઓ પણ શરૂ કરી. તેમનાં પત્ની લીલાબહેન અને પુત્ર ફાલ્ગુનભાઈ પણ આ વ્યવસાયમાં જોડાયાં. ચીમનભાઈના કાર્યક્ષમ વહીવટ, અદ્યતન ટૅકનૉલૉજીનો ઉપયોગ તેમ જ સતત પરિવર્તનશીલ રહેવાની વૃત્તિને કારણે ‘સંદેશ’ પ્રગતિ કરતું રહ્યું અને તેનો બહોળો ફેલાવો થયો. ૭૮ વર્ષની વયે અમદાવાદમાં તેમનું અવસાન થયું.