Categories
વાચન સમૃદ્ધિ

રાધેશ્યામ શર્મા

જ. ૫ જાન્યુઆરી, ૧૯૩૬ અ. ૯ સપ્ટેમ્બર, ૨૦૨૧

ગુજરાતી નવલકથાકાર, કવિ, વાર્તાકાર, વિવેચક અને સંપાદક રાધેશ્યામનો જન્મ ગાંધીનગરના વાવોલમાં થયો હતો. પિતા સીતારામ ગુજરાતમાં કીર્તનાચાર્ય તરીકે જાણીતા હતા. પિતા તરફથી ધાર્મિક સંસ્કારો તેમને વારસામાં મળ્યા હતા. ૧૯૫૭માં ગુજરાત કૉલેજમાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કરી અને તે પછી સ્વતંત્ર લેખનકાર્યની શરૂઆત કરી. સાહિત્ય પરિષદ તેમજ સાહિત્ય અકાદમીનાં સામયિકો ‘પરબ’ અને ‘શબ્દસૃષ્ટિ’માં નિયમિત લેખો લખ્યા. ‘ઉદ્દેશ’ અને ‘કુમાર’ જેવાં માસિકો તથા ‘મુંબઈ સમાચાર’, ‘જન્મભૂમિ પ્રવાસી’, ‘સમભાવ’ અને ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ જેવાં દૈનિકોમાં સ્વતંત્ર લેખન કર્યું. તેઓએ ‘ધર્મલોક, ‘યુવક’ અને ‘ધર્મસંદેશ’નું સંપાદન કર્યું હતું. તેઓ ‘અક્રમવિજ્ઞાન’ના માનાર્હ સંપાદક પણ હતા. સાહિત્યના ઊંડા અભ્યાસી રાધેશ્યામ લેખનમાં તેમની પ્રયોગશીલતા માટે જાણીતા છે. ‘આંસુ અને ચાંદરણું’ તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ છે. ‘ફેરો’ નવલકથા અને ‘સ્વપ્નતીર્થ’ લઘુનવલે તેમને ખૂબ યશ-કીર્તિ અપાવ્યાં. વાર્તાક્ષેત્રે ‘બિચારા’થી ‘વાતાવરણ’ની પ્રયોગશીલ રચનાઓ સુધીની તેમની સર્જનયાત્રા ખૂબ નોંધનીય રહી. ‘સાક્ષરનો સાક્ષાત્કાર’ નામે દળદાર ગ્રંથોમાં સમકાલીન જીવંત લેખકો-કલાકારોનાં જીવનકવનને તેમણે ગ્રંથસ્થ કર્યાં છે. તેમની રચનાઓમાં સમકાલીન લેખકોની નવી સંવેદનશીલતા તથા વિશેષતાઓ પ્રતિબિંબિત થાય છે. તેમની લઘુકથાઓમાં સંક્ષિપ્તતા તથા અપરિચિત વિષયો – એ તેમની વિશેષતા છે. તેમનાં લગભગ ચોત્રીસ જેટલાં પુસ્તકો પ્રગટ થયાં છે. સાહિત્યક્ષેત્રે બહુમૂલ્ય પ્રદાન બદલ તેમને ધનજી કાનજી સુવર્ણચંદ્રક(૧૯૯૫), રણજિતરામ સુવર્ણચંદ્રક (૨૦૦૪), કુમાર સુવર્ણચંદ્રક(૨૦૧૨)થી સન્માનવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગુજરાત રાજ્ય સરકારનાં પારિતોષિકો, ગુજરાત સાહિત્યમંડળ – કલકત્તાનો પુરસ્કાર, ક્રિટિક્સ ઍવૉર્ડ, કવિલોક ઍવૉર્ડ, અનંતરાય રાવળ ઍવૉર્ડ વગેરે એનાયત કરવામાં આવ્યા હતા.

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

ભગવાન બુદ્ધની ખેતી !

મગધ રાજ્યના નાનકડા ગામમાં વસતા બ્રાહ્મણ ભારદ્વાજે એક ભોજન-સમારંભ યોજ્યો હતો. એના ખેતરમાં આકરી મહેનત કરીને ધાન્ય ઉગાડનારા ખેડૂતોને એ મિજબાની આપતો હતો. આ સમયે ભગવાન બુદ્ધ અહીંથી પસાર થતા હતા. એમણે આ દૃશ્ય જોયું એટલે તેઓ ખેતરના છેડે ભિક્ષાપાત્ર લઈને ઊભા રહ્યા. બ્રાહ્મણ ભારદ્વાજની આ ભિક્ષુક પર નજર પડી. એ ભગવાન બુદ્ધને જાણતો નહોતો. એણે તો વિચાર્યું કે ક્યાં રાત-દિવસ પરસેવો પાડીને કામ કરતા આ ખેડૂતો અને ક્યાં આ તૈયાર ભોજન આરોગતા ભિક્ષુઓ ! ન એમને કશું વાવવાનું છે કે ન કશું લણવાનું છે ? એમને તો માત્ર તૈયાર ભોજન ઉડાડવાનું છે. બ્રાહ્મણ ભારદ્વાજે ભિક્ષાપાત્ર લઈને ઊભેલા ભગવાન બુદ્ધને કહ્યું, ‘અમે તો મહેનતનું રળી ખાનારા છીએ. ધોમધખતા તાપમાં ખેતર ખેડું છું. મુશળધાર વરસાદ વચ્ચે વાવણી કરું છું અને કડકડતી ઠંડીમાં લણણી કરું છું. રાત-દિવસ ખેતીનું ધ્યાન રાખું છું અને એમાંથી ઊગેલા અનાજથી મારો નિર્વાહ ચલાવું છું. તમે આવી કોઈ મહેનત કરતા નથી અને માત્ર ભિક્ષા માગતા ભટકી રહ્યા છો.’

ભગવાન બુદ્ધે હસીને કહ્યું, ‘ભાઈ, હું પણ ખેતી કરું છું. માત્ર તારાથી થોડા જુદા પ્રકારની.’ આ સાંભળીને બ્રાહ્મણ ભારદ્વાજ ખડખડાટ હસી પડ્યો, ‘તમે અને ખેતી ? તમે તો ખેડવાને બદલે વિહાર કરો છો. વાવણી કરવાને બદલે યાચના કરો છો અને લણણી કરવાને બદલે અમારી સમક્ષ ભિક્ષાપાત્ર ધરો છો. તમે તે વળી ક્યાંના ખેડૂત ? નથી તમારી પાસે હળ કે નથી કોઈ ઓજાર. છે માત્ર ભિક્ષાપાત્ર. તમારી ખેતી તે વળી કયા પ્રકારની ?’ ભગવાન બુદ્ધે કહ્યું, ‘પ્રજ્ઞા એ મારું હળ છે. પાપભીરુતા એ હળનો વચલો દાંડો છે. મનરૂપી દોરાથી તે હળ બાંધેલું છે. સ્મૃતિ એ મારા હળનું ફળુ છે. અને એ જ મારી ચાબુક છે. મારો ઉત્સાહ એ મારા બળદ છે. શ્રદ્ધા એ બીજ છે. તેના પર સદાચરણરૂપી વર્ષા થાય છે. મારી ખેડની દિશા એ નિર્વાણ છે. મારી ખેતી એ સર્વ દુ:ખથી મુક્ત કરીને અમૃત ફળ આપનારી છે.’ બ્રાહ્મણ ભારદ્વાજ સંતોની ખેતીને સમજ્યો. એ તરત જ મોટી થાળીમાં દૂધની ખીર લઈને આવ્યો અને કહ્યું, ‘હે ભગવન્ ! આપ આ ખીરનો સ્વીકાર કરો. હું તો જમીનની ખેતી કરું છું. આપ તો માનવમનમાં પુણ્યની ખેતી કરો છો.’ ભગવાન બુદ્ધે કહ્યું, ‘હે ભારદ્વાજ ! મને ભિક્ષા આપવામાં તને સંશય જાગ્યો, માટે આજે તારી આ ભિક્ષા નહીં સ્વીકારી શકું. તું અન્ય કોઈ સંતને એનાથી સંતૃપ્ત કરજે.’

આજે સમાજમાં સાધુસંતોની ટીકા કરવાની એક ફૅશન ચાલી છે. ક્યાંક થોડોક સડો હોય તો આખા સાધુ સમાજને સડેલો બનાવવાની રીત ચાલી છે. આ દેશની સંસ્કૃતિને ટકાવી રાખનારું બળ સાધુ-સંતો હતા અને છે. માટે ખોટા સાધુને ખુલ્લા પાડીને સાચા સાધુનો સત્સંગ કરવો જોઈએ. ભગવાન બુદ્ધે બ્રાહ્મણ ભારદ્વાજને અંતિમ વાક્ય એ કહ્યું કે, ‘સાધુ-સંત એ પુણ્યનાં ખેતરો છે.’

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

જે. સી. કુમારપ્પા

જ. ૪ જાન્યુઆરી, ૧૮૯૨ અ. ૩૦ જાન્યુઆરી, ૧૯૬૦

તેઓ ભારતના અર્થશાસ્ત્રી હતા. તેમનું નામ જોસેફ ચેલ્લાદુરઈ કૉર્નલિઅસ હતું. મહાત્મા ગાંધીના તેઓ નિકટના સહયોગી હતા. તેઓએ ગ્રામ-વિકાસ સંબંધી આર્થિક સિદ્ધાંતો અને ગાંધીવાદ પર આધારિત આર્થિક સિદ્ધાંતોનો વિકાસ કર્યો હતો. તેઓ રચનાત્મક કાર્યકર અને પાયાની કેળવણીના પ્રખર હિમાયતી હતા. તેમનો જન્મ તમિલનાડુમાં મધ્યમવર્ગના ખ્રિસ્તી પરિવારમાં થયો હતો. તેઓ લંડન જઈને એકાઉન્ટન્સી, અમેરિકાની સિરૅક્યૂસ યુનિવર્સિટીના બિઝનેસ ઍડમિનિસ્ટ્રેશન વિષયમાં સ્નાતક અને કોલંબિયા યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક થયા હતા. મુંબઈમાં ઑડિટર તરીકે કામ કર્યા પછી ગાંધીજીની વિચારસરણીના પ્રભાવ હેઠળ તેઓ ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. ભારતમાં વિદેશી શાસનનાં અનિષ્ટો ખુલ્લાં પાડવા બદલ ૧૯૩૧માં કારાવાસ ભોગવ્યો. ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેના આર્થિક સંબંધોનો અહેવાલ તૈયાર કરવા રાષ્ટ્રીય કૉંગ્રેસે તેમની નિમણૂક કરી. તેમણે ગુજરાતના ગ્રામવિસ્તારોની તથા મધ્યપ્રાંતની ઔદ્યોગિક મોજણી કરી હતી. કુમારપ્પાએ ‘ઇકૉનૉમિક એક્સપ્લોઇટેશન ઑવ્ ઇન્ડિયા બાય ધ બ્રિટિશ’ તેવા શીર્ષક હેઠળ એક મહાનિબંધ લખ્યો હતો. જેનાથી ગાંધીજી પ્રભાવિત થયેલા અને તેઓએ ‘યંગ ઇન્ડિયા’માં પ્રકાશિત કર્યો હતો. કુમારપ્પાને ગાંધીવાદી અર્થશાસ્ત્રના પ્રથમ ગુરુ માનવામાં આવે છે. ગાંધીજીની આર્થિક વિચારસરણીનું અર્થઘટન કરી ભારતની વિશિષ્ટ પરિસ્થિતિમાં તેની આવશ્યકતા અને વ્યાવહારિકતાની જોરદાર હિમાયત કરી હતી. તેઓ ગૃહઉદ્યોગના પુરસ્કર્તા હતા. તેઓએ પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રસેવામાં અર્પણ કર્યું હતું. તેઓએ ઘણાં બધાં પુસ્તકો પણ લખ્યાં હતાં. ૧૯૯૨માં દેશભરમાં અને ખાસ કરીને ગુજરાતમાં તેમની જન્મશતાબ્દી ઊજવાઈ હતી.

અંજના ભગવતી