Categories
વાચન સમૃદ્ધિ

હરચંદસિંઘ લોંગોવાલ

જ. ૨ જાન્યુઆરી, ૧૯૩૨ અ. ૨૦ ઑગસ્ટ, ૧૯૮૫

પંજાબમાં ૧૯૮૦ના દાયકામાં બળવા દરમિયાન અકાલી દળના પ્રમુખ તરીકે જાણીતા હરચંદસિંઘ લોંગોવાલનો જન્મ પટિયાલા રજવાડામાં આવેલા ગીદરિયાની ગામે થયો હતો. તેમણે સંત જોધસિંઘના આશ્રયમાં રહીને શીખ ધર્મગ્રંથો અને શીખ સંગીતનો અભ્યાસ કર્યો હતો. એકવીસ વર્ષની ઉંમરે તેમણે ગુરુદ્વારામાં ગ્રંથ-વાચક અને કસ્ટોડિયન તરીકે સેવા આપી હતી. લોંગોવાલ ગામમાં તેમણે અઢારમી સદીના પ્રખ્યાત વિદ્વાન અને શહીદ ભાઈ મણિસિંઘની યાદમાં ગુરુદ્વારા ઊભું કર્યું હતું. ૧૯૬૨માં તેમને દમદમા સાહિબ (તલવંડી સાબો) ખાતેના ઐતિહાસિક મંદિરના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હોવાથી તેઓ ‘સંતજી’ તરીકે ઓળખાતા હતા. હરચંદસિંઘ લોંગોવાલનું રાજકીય જીવન ૧૯૬૪માં શરૂ થયું હતું. જ્યારે તેમણે હાલના હિમાચલ પ્રદેશ રાજ્યમાં પાઓંટા સાહિબના ઐતિહાસિક સ્થળ પર શીખ અધિકારો માટે યોજાયેલા પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું. ૧૯૬૫માં લોંગોવાલ સંગરૂર જિલ્લામાં અકાલી સંગઠનના પ્રમુખ બન્યા અને શિરોમણિ અકાલી દળની કારોબારી સમિતિના સભ્ય બન્યા હતા. ૧૯૬૯માં તેઓ પંજાબ વિધાનસભામાં અકાલી ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. ૧૯૮૦માં અકાલી દળના અધ્યક્ષ તરીકેની ભૂમિકા દરમિયાન હરચંદસિંઘે પંજાબના શીખોની લાંબા સમયથી ચાલતી ફરિયાદો અંગે કેન્દ્ર સરકાર પાસેથી છૂટ મેળવવા માટે નાગરિક અસહકારની મોટા પાયે ઝુંબેશ શરૂ કરી હતી. તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી સાથે તેમણે ખૂબ જ વાટાઘાટો કરી હતી. આ વાટાઘાટો નિષ્ફળ જવાથી લોકોના વિશ્વાસને ઠેસ પહોંચી હતી. જેનાથી ઉગ્રવાદીઓ અને અલગતાવાદીઓના હાથ મજબૂત થયા હતા. હરચંદસિંઘ લોંગોવાલે ૨૪ જુલાઈ, ૧૯૮૫ના રોજ રાજીવ ગાંધી સાથે પંજાબ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા, જેને રાજીવ-લોંગોવાલ ઍકોર્ડ તરીકે ઓળખવામાં આવે છે. સરકારે અકાલી દળની મોટા ભાગની માંગણીઓ સ્વીકારી લીધી હતી. કરાર પર હસ્તાક્ષર કર્યાના એક મહિના કરતાં પણ ઓછા સમયમાં લોંગોવાલની હત્યા થવાને કારણે તેમનું મૃત્યુ થયું હતું.

અશ્વિન આણદાણી

Categories
વાચન સમૃદ્ધિ

જામજોધપુર

જામનગર જિલ્લાના ખંભાળિયા સબડિવિઝનમાં આવેલ તાલુકો અને તાલુકામથક. આ તાલુકાની દક્ષિણે પોરબંદર જિલ્લો, પૂર્વ અને અગ્નિખૂણે રાજકોટ જિલ્લો, ઉત્તરે જામનગર જિલ્લાનો લાલપુર તાલુકો અને પશ્ચિમે ભાણવડ તાલુકો આવેલા છે. આ તાલુકામાં જામજોધપુર શહેર અને ૭૯ ગામો આવેલાં છે. તાલુકાનું ક્ષેત્રફળ ૧૦૯૧.૩ ચોકિમી. છે. તાલુકાની કુલ વસ્તી ૧,૧૭,૪૩૫ (૨૦૦૧) છે. આ તાલુકાનો પોરબંદર જિલ્લાની સરહદે આવેલો દક્ષિણ ભાગ અને ઈશાન ખૂણે કાલાવડ તાલુકાની સરહદે આવેલો ભાગ ડુંગરાળ છે. બાકીનો ભાગ લગભગ સપાટ છે. કેટલીક જમીન ડેક્કન ટ્રૅપ પ્રકારના ખડકોના ઘસારાને લીધે કાળી બનેલી છે. તે ભેજ સાચવી શકે છે. કપાસ માટે તે અનુકૂળ છે. સેન્દ્રિય તત્ત્વોવાળી બાકીની જમીન હલકી અને ઓછી ફળદ્રુપ છે. જામનગર જિલ્લામાં સરેરાશ ૪૧૨ મિમી. વરસાદ પડે છે. પોરબંદર નજીક આવેલ આ તાલુકામાં સરેરાશ ૮૦૦ મિમી.થી વધુ વરસાદ પડતો નથી. મે માસમાં સરેરાશ ૩૬° સે. તાપમાન રહે છે, જ્યારે જાન્યુઆરીમાં સરેરાશ ૨૬° સે. તાપમાન રહે છે. સૌથી વધુ વરસાદ જુલાઈ માસમાં પડે છે.

મગફળીનો પાક                                       

કપાસનું વાવેતર

આ તાલુકામાં જુવાર, બાજરી, ઘઉં, કપાસ, મગફળી વગેરે પાકોનું વાવેતર થાય છે. અનાજના વાવેતરની ૮૦% જમીનમાં અખાદ્ય પાક વવાય છે. બાકીની ૨૦% જમીનમાં ઘઉં, શેરડી, કઠોળ, ડાંગર, મરચાં, લસણ અને ડુંગળી જેવા ખાદ્ય પાકોનું વાવેતર થાય છે. વળી, રોકડિયા પાકો વવાય છે તે જમીનના ૮૦% જમીનમાં મગફળી, ૯%માં કપાસ અને બાકીની જમીનમાં તમાકુ, તલ, એરંડા અને ઘાસચારો થાય છે. તાલુકાના લોકોનો મુખ્ય ધંધો ખેતી અને ગૌણ ધંધો પશુપાલન છે. આ તાલુકામાં મગફળી અને કપાસનો વિશેષ પાક થતો હોવાથી પંદરેક તેલની મિલો અને કપાસ લોઢવાનું જિન આવેલાં છે. એક સૉલ્વન્ટનું કારખાનું છે. જામજોધપુર શહેર ૨૧° ૫૪´ ઉ. અ. અને ૭૦° ૦૧´ પૂ. રે. ઉપર આવેલું તાલુકા મથક અને એકમાત્ર શહેર છે. તેની કુલ વસ્તી ૨૨,૬૫૧ (૨૦૦૧) છે. શિક્ષણનું પ્રમાણ સારું છે. તેલ, કપાસિયાં અને ઘીની નિકાસ થાય છે. સિમેન્ટ, લોખંડની વસ્તુઓ, ખાંડ, ચા, ચોખા, કઠોળ વગેરેની આયાત થાય છે. જામજોધપુર પોરબંદર-જેતલસર મીટરગેજ રેલવેનું મહત્ત્વનું સ્ટેશન છે. તાલુકામથક હોઈને જામજોધપુર જથ્થાબંધ વેપારનું કેન્દ્ર તથા વિતરણ કેન્દ્ર છે. શહેરમાં આર્ટ્સ અને કૉમર્સ કૉલેજ, માધ્યમિક શાળા, પ્રાથમિક શાળાઓ, બાલમંદિરો, પુસ્તકાલય, દવાખાનું વગેરે છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

શિવપ્રસાદ રાજગોર

Categories
વાચન સમૃદ્ધિ

સત્યેન્દ્રનાથ બોઝ

જ. ૧ જાન્યુઆરી, ૧૮૯૪ અ. ૪ ફેબ્રુઆરી, ૧૯૭૪

ભૌતિકશાસ્ત્રના જગવિખ્યાત વૈજ્ઞાનિક સત્યેન્દ્રનાથ ૧૯૧૩માં કલકત્તા યુનિવર્સિટીમાંથી બી.એસસી., ૧૯૧૫માં પ્રથમ વર્ગમાં એમ.એસસી. થયા. ૧૯૧૬માં એ જ યુનિવર્સિટીમાં લેક્ચરર નિમાયા.  ભૌતિકવિજ્ઞાનના પ્રશ્નોમાં ગણિતનો ઉપયોગ કરી સંશોધન કરવામાં તેમને ભારે રસ હતો. ૧૯૨૦માં એમણે પ્રો. મેઘનાદ સહાના સહયોગમાં આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદના પુસ્તકનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું. ૧૯૨૧માં તેઓ ઢાકા યુનિવર્સિટીમાં રીડર તરીકે નિમાયા. અહીં તેમણે નવી સંશોધનપ્રવૃત્તિ શરૂ કરી. મૅક્સ પ્લૅન્કના જાણીતા ‘પ્લૅન્ક નિયમ’ની મૌલિક સાબિતી આપતો એક નિબંધ લખી આઇન્સ્ટાઇનની મદદથી ભૌતિકવિજ્ઞાનના અગ્રિમ માસિકમાં છપાવ્યો. ૧૯૨૪-૨૫માં માદામ ક્યૂરી સાથે કામ કર્યું અને ૧૯૨૫-૨૬માં બર્લિનમાં તેઓ આઇન્સ્ટાઇન ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ થયા. અહીં આઇન્સ્ટાઇન સાથે કામ કરી ‘બોઝ-આઇન્સ્ટાઇન’ નામનો પ્રાથમિક કણોના કેટલાક ગુણધર્મો બતાવતો નૂતન સિદ્ધાંત પ્રસિદ્ધ કર્યો. ૧૯૫૬થી ૫૮ સુધી વિશ્વભારતી યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલરપદે રહ્યા. તેઓ ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમીના અને ૧૯૫૮માં રૉયલ સોસાયટી-લંડનના પણ ફેલો હતા. ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટના તથા નૅશનલ ફિઝિકલ લૅબોરેટરીના તેઓ લાંબા સમય સુધી અધ્યક્ષ હતા. રાજ્યસભામાં પણ તેમની નિયુક્તિ થઈ હતી. આ ઉપરાંત ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસના તેઓ બે વખત પ્રમુખ બન્યા હતા. તેઓ માનતા કે વિજ્ઞાન માતૃભાષા દ્વારા શીખવવું જોઈએ. આથી ૧૯૪૮માં ‘બંગીય વિજ્ઞાન પરિષદ’ નામની સંસ્થા સ્થાપી. ‘જ્ઞાન-ઓ-વિજ્ઞાન’ નામનું બંગાળી જર્નલ પ્રકાશિત કરી ઘણા લેખો લખેલા. તેમની સ્મૃતિમાં સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રના ક્ષેત્રે પ્રશંસાત્મક કાર્ય કરનારને પ્રતિવર્ષ ‘સત્યેન્દ્રનાથ બોઝ સ્મારક પુરસ્કાર’ આપવામાં આવે છે. ભારતની અનેક યુનિવર્સિટીઓએ તેમને માનાર્હ ડૉક્ટરની પદવી આપી હતી. ૧૯૫૮માં ભારત સરકારે તેમને પદ્મવિભૂષણથી સન્માન્યા હતા.

રાજશ્રી મહાદેવિયા