Categories
વાચન સમૃદ્ધિ

યશવંત પુરોહિત

જ. ૨૭ ડિસેમ્બર, ૧૯૧૬ અ. ૩ જાન્યુઆરી, ૧૯૬૪

ભારતીય શાસ્ત્રીય સંગીતના ખૂબ જ પ્રતિભાસંપન્ન કલાકાર યશવંત પુરોહિતનો જન્મ ભાવનગર પાસે પરવાળા ગામમાં થયો હતો. પિતા ચિમનલાલ પુરોહિત પણ ભાવનગરના પ્રતિષ્ઠિત સંગીતજ્ઞ હતા. ભાવનગરના દક્ષિણામૂર્તિમાં મૅટ્રિક સુધીનો અભ્યાસ કર્યો. પ્રસંગોપાત્ત ભાવનગર આવેલા પંડિત નારાયણરાવ વ્યાસના નિમંત્રણથી અમદાવાદમાં તેમની ‘ગુજરાત સંગીત વિદ્યાપીઠ’માં જોડાયા અને સંગીતની પ્રારંભિક તાલીમ શરૂ કરી. પંડિત શંકરરાવ વ્યાસ તથા પંડિત નારાયણ મોરેશ્વર ખરે પાસે સઘન સંગીતતાલીમ મેળવીને ગ્વાલિયર ઘરાનાની ગાયકીનો ગહન અભ્યાસ કર્યો. ત્યારબાદ મુંબઈ વસવાટ દરમિયાન તેમણે પંડિત ઓમકારનાથ ઠાકુર પાસે સંગીતની ઉચ્ચ તાલીમ લીધી. તે પછી કિરાના ઘરાનાના બાલકૃષ્ણ કપિલેશ્વરી બુવા પાસે સંગીતની આરાધના કરી કિરાના ઘરાનાની ગાયકીમાં પ્રાવીણ્ય મેળવ્યું. વચ્ચે પિતાના અવસાનથી સંગીતસાધનામાં રુકાવટ આવી, પરંતુ ભાવનગર નરેશ કૃષ્ણકુમારસિંહજીએ એમની શક્તિ પિછાની તેમને માસિક રૂ. ૨૫/-ની શિષ્યવૃત્તિ આપી, સાનુકૂળતા કરી આપી. તેમને શંકર અને કેદાર રાગ અતિપ્રિય હતા. ખ્યાલ ગાયકી તેમની ગાયનકલાનું મુખ્ય અંગ હતી. ઠૂમરી ગાયકીમાં પણ તેમનું કૌશલ્ય હતું. તેમનો અવાજ મીઠો હતો અને તેમની  ગાયકીમાં મધુર તાલ, સ્વર, શબ્દ, રસ તથા ભાવની અનેરી મિલાવટ હતી. કિરાના ઘરાનામાં અલ્પ પ્રચલિત એવા છાયાનટ, બિહાગ વગેરે જેવા રાગો ઉપર એમનું પ્રભુત્વ હતું. સંગીતક્ષેત્રમાં ઘણી વાર જોવા મળતી વાડાબંધીથી તેઓ દૂર રહી બીજી સંગીતશૈલીઓ અને ઘરાના પ્રત્યે પણ આદર રાખતા. ‘રસરંગ’ના ઉપનામે એમણે ‘મધુબંસરી માન મનાવત’, ‘આંગનમેં’ વગેરે કેટલીક સુંદર રચનાઓ પણ રચી છે. તેમના સંગીતના કાર્યક્રમો ભારતનાં તમામ આકાશવાણી કેન્દ્રો પરથી પ્રસારિત થયા હતા. ભાવનગરના મહારાજાએ તેમની સ્મૃતિમાં તેમના નામે એક શિષ્યવૃત્તિની શરૂઆત કરી છે. ગુજરાત સરકારે ગુજરાત સંગીત નૃત્ય નાટ્ય અકાદમીના ઉપક્રમે ભાવનગર ખાતે બંધાયેલા નાટ્યગૃહનું ‘યશવંત પુરોહિત નાટ્યગૃહ’ એવું નામાભિધાન કરી તેમની સ્મૃતિને કાયમી અંજલિ આપી છે.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

શેષનાગ

પૌરાણિક કલ્પના પ્રમાણે જેણે બ્રહ્માંડ પોતાના મસ્તક પર ધારણ કર્યું છે તે નાગ.

જે રીતે ગણિતમાં ‘શેષ’નો અર્થ કોઈ રકમનો ભાગાકાર કરતાં છેવટે જે વધે તે, તે રીતે જ્યારે બધું નાશ પામતાં જે છેવટે રહે તેનું પ્રતીક મનાય છે શેષનાગ. તેનાં ‘અનંત’, ‘આદિશેષ’, ‘સંકર્ષણ’ જેવાં અનેક નામો છે. મહાભારત પ્રમાણે કશ્યપથી કદ્રુના પેટે જન્મેલા હજારો નાગમાં સૌથી મોટો તે શેષનાગ. વાસુકિ, ઐરાવત અને તક્ષક શેષનાગના ભાઈઓ છે. કેટલાક નાગ તો ક્રૂર અને અન્યને હાનિ પહોંચાડે તેવા પણ ખરા. શેષનાગ તો તેનાં ભાઈઓ તથા માતાને છોડી ખૂબ તપ કરી બ્રહ્માને પ્રસન્ન કરે છે અને તેમની પાસેથી તે પોતાના મન પર કાબૂ રાખી શકાય એવી શક્તિનું વરદાન માગે છે. બ્રહ્મા તેની માગણી સ્વીકારે છે અને તેને અસ્થિર પૃથ્વીને તેની સહસ્ર ફેણ પર ધારણ કરી સ્થિરતા આપવા કહે છે. ત્યારથી આજ સુધી શેષનાગે પૃથ્વીને પોતાની ફણા પર ધારણ કરી છે. તે પાતાળમાં વસે છે.

ભગવાન વિષ્ણુ શેષનાગની શય્યા બનાવી ત્યાં પોઢે છે

શ્રીકૃષ્ણે શ્રીમદ્ ભગવદગીતામાં કહ્યું છે કે ‘નાગોમાં હું અનંત નાગ છું.’ શેષનાગ ભગવાન વિષ્ણુની તામસિક શક્તિ ગણાય છે અને તે વિષ્ણુની રક્ષા કરે છે. ક્ષીરસાગરમાં ભગવાન વિષ્ણુ શેષનાગની શય્યા બનાવી ત્યાં પોઢે છે, તેથી વિષ્ણુ ‘શેષશાયી’ પણ કહેવાય છે. શેષનાગ બ્રહ્માંડના સર્જન પહેલાં પણ હતો. કલ્પને અંતે શેષનાગ ઝેરી અગ્નિ ઓકે છે. અગિયાર રુદ્રોનું સર્જન કરી તેના દ્વારા બ્રહ્માંડનો નાશ કરે છે. જ્યારે જ્યારે પૃથ્વી પર શ્રીવિષ્ણુ અવતાર લે છે ત્યારે ત્યારે તેની રક્ષા માટે શેષનાગ અવતાર લે છે. એ રીતે રામાવતારમાં લક્ષ્મણના રૂપે અને કૃષ્ણાવતારમાં બલરામના રૂપે તેણે જન્મ ધારણ કર્યો હતો. વ્યાકરણકાર પતંજલિ પણ શેષનાગનો અવતાર ગણાય છે. કલિયુગમાં રામાનુજ સંપ્રદાયના સ્થાપક શ્રી રામાનુજાચાર્યને પણ શેષાવતાર માનવામાં આવ્યા છે. શેષનાગે તેની હજાર ફેણ પર પૃથ્વી ધારણ કરી હોઈ જ્યારે તે બગાસું ખાય છે ત્યારે ધરતી ધ્રૂજે છે. આવી ધરતીકંપ અંગેની પૌરાણિક માન્યતા પ્રચલિત છે. શ્રીકૃષ્ણના જન્મ પછી કંસના ભયથી વાસુદેવ તેમને નંદરાયના ત્યાં મૂકવા જાય છે, ત્યારે જમુના નદી ઓળંગતી વેળાએ મુશળધાર વરસાદથી બાલકૃષ્ણનું રક્ષણ કરવા શેષનાગ જ તેમના પર છત્ર ધારણ કરીને ચાલ્યો હતો. દક્ષિણ ભારતમાં આવેલા શહેરનું ‘તિરુવનંતપુરમ્’ (જૂનું ત્રિવેન્દ્રમ) નામ ‘અનંત’ પરથી પડ્યું છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

બાબા આમટે

જ. ૨૬ ડિસેમ્બર, ૧૯૧૪ અ. ૯ ફેબ્રુઆરી, ૨૦૦૮

ડૉ.  મુરલીધર દેવીદાસ આમટે ભારતના સન્માનિત સમાજસેવક, ચિંતક, કવિ, રક્તપિત્તના રોગીઓની સારવાર માટે આશ્રમો સ્થાપનાર જગતભરમાં વિખ્યાત વ્યક્તિ હતા. મહારાષ્ટ્રમાં વર્ધા  જિલ્લાના હિંગણઘાટ ગામમાં તેઓનો જન્મ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેઓ નાગપુરમાં અભ્યાસ કરી બી.એ. અને એલઅલ.બી.ની ડિગ્રીઓ હાંસલ કરી વકીલ બન્યા હતા. ગાંધીજી અને વિનોબાજીથી પ્રભાવિત થયેલા આમટેએ ગામડાંમાં અભાવમાં રહેતા લોકોની મૂળ સમસ્યા સમજવાનો પ્રયાસ કર્યો. વરોરા ગામના ઉકરડા પાસે પડેલા રક્તપિત્તના રોગીને જોઈ તેમના જીવનમાં પરિવર્તન આવી ગયું. મનુષ્યદેહની આવી દુર્દશા જોઈ તેમનું હૃદય દ્રવી ગયું, તેઓએ તેમની સારવાર કરવાનું નક્કી કર્યું. મહારાષ્ટ્રના વરોરા ગામની  બહાર પત્ની સાધનાતાઈ, બે પુત્રો – પ્રકાશ અને વિકાસ સાથે તેઓએ તે ઉજ્જડ જમીનમાં ખેતી કરવાનું તથા રક્તપિત્તના દર્દીઓની સારવાર કરવાનું નક્કી કર્યું. ૧૯૫૧માં વિનોબા ભાવેના હસ્તે ત્યાં જ આનંદવન નામની સંસ્થાનું વિધિવત્ ઉદ્ઘાટન કર્યું. આનંદવનમાં બે હજારથી વધારે રક્તપિત્તના દર્દીઓ અને અપંગો ખેતી, દુગ્ધવ્યવસાય અને નાનામોટા અનેક ઉદ્યોગો દ્વારા રોજી મેળવી સ્વમાનભેર જીવે છે. ૧૯૭૪માં બાબા આમટેએ ચંદ્રપુરના દંડકારણ્યમાં આદિવાસી લોકોની સેવા માટે ‘લોકબિરાદરી’ નામની સંસ્થા સ્થાપી, નિશાળો, દવાખાનાં અને ઉદ્યોગકેન્દ્રો સ્થાપ્યાં. પંજાબમાં ત્રાસવાદીઓની હિંસક ઘટનાઓથી વ્યથિત થઈ બાબા આમટેએ ૧૯૮૫માં એકતાનો સંદેશો ફેલાવા યુવક-યુવતીઓ સાથે  કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ‘ભારત જોડો’ સાઇકલયાત્રાની રાહબરી લીધી. તેઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અનેક સન્માનો પ્રાપ્ત થયાં છે. રાષ્ટ્રભૂષણ, જમનાલાલ બજાજ પુરસ્કાર, ડેનિયન ડટ્ટન પુરસ્કાર, મેગ્સેસે પુરસ્કાર, રાષ્ટ્રસંઘ શાંતિ પુરસ્કાર અને પદ્મવિભૂષણ અલંકરણથી સન્માનવામાં આવ્યા છે. ભારત સરકારે ૨૦૧૪માં બાબા આમટેના સન્માનમાં સ્ટૅમ્પ બહાર પાડી છે.

અંજના ભગવતી