Categories
વાચન સમૃદ્ધિ

એસ. કે. રામચંદ્ર રાવ

જ. ૪ સપ્ટેમ્બર, ૧૯૨૫ અ. ૨ ફેબ્રુઆરી, ૨૦૦૬

શ્રી એસ. કે. રામચંદ્ર રાવનું પૂરું નામ શાલિગ્રામ ક્રિષ્ના રામચંદ્ર રાવ છે. તેઓ ભારતીય લેખક, મનોવિજ્ઞાનના અધ્યાપક અને સંસ્કૃતના વિદ્વાન હતા. તેમનો જન્મ કર્ણાટકના હસ્સન નામે નાનકડા ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમણે તેમનું બાળપણ દાદા-દાદી સાથે બૅંગાલુરુમાં વિતાવ્યું હતું. તેમણે સંસ્કૃતના અભ્યાસની શરૂઆત વિદ્વાન અગ્નિહોત્રી યજ્ઞવિઠ્ઠલાચાર પાસે કરી હતી. સંસ્કૃત શિક્ષણની આ તાલીમ પાછળથી તેમને પુસ્તકોનાં લેખનમાં ખૂબ ઉપયોગી નીવડી હતી. જ્યારે તેમના દાદાનું અવસાન થયું, તેઓ પોતાનાં માતાપિતા સાથે રહેવા નાનકડા ગામમાં ગયા. પછી તરત જ મૈસૂર જઈ શાળાકીય શિક્ષણ પૂરું કર્યું. ઈ. સ. ૧૯૪૯માં તેઓ મૈસૂર યુનિવર્સિટીમાંથી મનોવિજ્ઞાન વિષય સાથે એમ.એ. થયા. ઈ. સ. ૧૯૫૪થી ૧૯૬૫ સુધી તેઓ ‘ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મેન્ટલ હેલ્થ’(હવે NIMHANS)માં અધ્યાપક હતા. ૧૯૬૨માં તેમની પાસેથી ‘ધ ડેવલપમેન્ટ ઑફ સાઇકોલૉજિકલ થૉટ ઇન ઇન્ડિયા’ પુસ્તક મળ્યું. ૧૯૬૫માં NIMHANS છોડ્યા પછી તેમણે બૅંગાલુરુની અનેક સંસ્થાઓમાં સાઇકોલૉજી, ફિલૉસૉફી, ઇન્ડોલૉજી, શિક્ષણ અને સમાજકાર્યવિષયક મુલાકાતી અધ્યાપક તરીકે સેવા બજાવી હતી. તેમનાં મોટા ભાગનાં લખાણો ભારતીય સંસ્કૃતિ, તત્ત્વજ્ઞાન, કલા, સંગીત અને સાહિત્યવિષયક છે. તેમનાં લખાણોનો આધાર પ્રાચીન ભારતીય ગ્રંથો અને હસ્તપ્રતો છે. તેઓ ચિત્રકલા અને શિલ્પકલાના પણ જાણકાર હતા. બૅંગાલુરુના રવીન્દ્રકલાક્ષેત્રમાં તેમની આ કલાના નમૂનાઓ કાયમી ધોરણે સ્થાન પામ્યા છે. તેમના મૃત્યુ સમયે તેઓ ઋગ્વેદ પરની ૩૨ ગ્રંથોની યોજના માટે લેખનકાર્ય કરતા હતા. તેમના મૃત્યુ પછી ખંડ સોળમો ૨૦૦૭માં પ્રકાશિત થયો હતો. બૅંગાલુરુમાં તેમનું અવસાન થયું હતું.

Categories
સાંપ્રત કાર્યક્રમો

એક નવી પહેલ

શ્રી ધીરુબહેન પટેલ બાળ-કિશોર સાહિત્ય કેન્દ્ર

વક્તૃત્વ સજ્જતા અભિયાન |

વિષય : ‘આપણા ગુજરાતની ગૌરવગાથા’

કેટલીક સ્કૂલ દ્વારા પસંદગી પામેલા ધો.8થી 12ના વિદ્યાર્થીઓનાં વક્તવ્ય

આયોજન – દર્શા કિકાણી, પ્રીતિ શાહ, શ્રદ્ધા ત્રિવેદી, અલ્પા શાહ |

6 સપ્ટેમ્બર 2025, શનિવાર, સવારના 10-00

Categories
વાચન સમૃદ્ધિ

ત્રણ મહાન ચિકિત્સકો

સમગ્ર ઇંગ્લૅન્ડમાં ડૉક્ટર તરીકે સિડનહામની પ્રસિદ્ધિ અભૂતપૂર્વ હતી. રાજા કે ઉમરાવથી માંડીને સામાન્ય માનવી સુધી સહુ કોઈ ડૉક્ટર સિડનહામની કાબેલિયત પર પ્રસન્ન હતા. એનું નિદાન અત્યંત સચોટ ગણાતું અને એની સારવાર કારગત મનાતી. કેટલાય અસાધ્ય રોગના દર્દીઓને એણે સાજા કર્યા હતા અને કેટલાયને માટે આ ડૉક્ટર જીવનદાતા દેવસમાન હતા. આવા ડૉક્ટર સિડનહામ ખુદ મરણશય્યા પર સૂતા હતા ત્યારે એમનાં સગાં-સ્નેહીઓ, મિત્રો, દર્દીઓ અને શિષ્યો – સહુ કોઈ એમની પાસે ઊભાં હતાં. બધાંનાં મનમાં એક જ વ્યથા હતી કે આવા સમર્થ ડૉક્ટરની વિદાય પછી એમની બીમારીમાં કોણ ઉપચાર કરશે ! ડૉક્ટર સિડનહામે આસપાસ ઊભેલા સ્વજનોને કહ્યું, ‘તમે આટલા બધા શોકગ્રસ્ત બનશો નહીં. મને સંતોષ છે કે હું તમને ત્રણ મહાન ડૉક્ટરો આપીને વિદાય લઈ રહ્યો છું.’ સહુ કોઈ વિચારમાં પડ્યા. એક વ્યક્તિ તો બોલી ઊઠી : ‘‘શું કહો છો તમે ? તમારા જેવો એક ડૉક્ટર પણ મળવો મુશ્કેલ છે ! અસંભવ. અને તમે ત્રણ ત્રણ ડૉક્ટરની વાત કરો છો ?’ સહુના ચહેરા પર જિજ્ઞાસા છવાઈ ગઈ. આજ સુધી એમને ખબર નહોતી કે સિડનહામની તોલે આવે એવો કોઈ ડૉક્ટર છે, ત્યારે એ તો ત્રણ ત્રણ ડૉક્ટર હોવાની વાત કરે છે. સિડનહામના શિષ્યએ કહ્યું, ‘આપ એ ત્રણ ડૉક્ટરોનાં નામ બતાવવાની કૃપા કરશો?’ સિડનહામે જવાબ આપ્યો, ‘એ ત્રણ મહાન ચિકિત્સકો છે – હવા, પાણી અને કસરત. શુદ્ધ હવા, સ્વચ્છ પાણી અને નિયમિત કસરત – એ ત્રણ મહાન ચિકિત્સકોને કારણે કોઈ બીમારી તમારી પાસે આવશે જ નહીં.’