Categories
વાચન સમૃદ્ધિ

દિલીપ રાણપુરા

જ. ૧૪ નવેમ્બર, ૧૯૩૧ અ. ૧૬ જુલાઈ, ૨૦૦૩

તીવ્ર અનુભવશીલતા અને બહુજનસમાજ માટેની ઊંડી કરુણામાંથી જેમનું સાહિત્ય પ્રગટ્યું છે તેવા વાસ્તવદર્શી નવલકથાકાર અને વાર્તાકાર દિલીપ નાગજીભાઈ રાણપુરાનો જન્મ ધંધૂકાના મધ્યવર્ગીય પરિવારમાં થયેલો. ઘરની સ્થિતિને કારણે ઉચ્ચતર શાળાનુંય શિક્ષણ તેઓ પામી શક્યા નહોતા. તેમનું જીવન કઠોર સંઘર્ષમાં વીત્યું હતું. તેઓ ૧૩ વર્ષના હતા ત્યારે પિતા ગુમાવ્યા. પ્રાથમિક શિક્ષણ પણ ટુકડે ટુકડે લીધું. નિભાવ માટે ક્યાંક કંપોઝિટર તરીકે તો ક્યાંક ઑર્ડરમૅન તરીકે કામ કર્યું. સ્વાતંત્ર્યસંગ્રામમાં જોડાયા અને રાજકીય પ્રવૃત્તિઓ પણ કરી. આ બધી મથામણો વચ્ચે વર્નાક્યુલર ફાઇનલ પરીક્ષા પસાર કરી એટલે ૧૯૫૭થી પ્રાથમિક શિક્ષક બન્યા. અનેક  સ્થળોએ બદલી થયા પછી છેલ્લે દસાડા તાલુકાના બજાણાની પ્રાથમિક શાળાના આચાર્ય તરીકે નિવૃત્ત થયા. તેઓ ‘જનસત્તા’ અને ‘ફૂલછાબ’માં કટારલેખન કરતા હતા. જે લોકપ્રિય હતી. અનેક ગામે બદલી થતી હોવાથી તેમને જીવનનો ખૂબ અનુભવ થયો. વળી ખૂબ સંવેદનશીલ પ્રકૃતિ. ૧૯૫૩માં પ્રથમ વાર્તા લખાઈ ‘માણસાઈનું રુદન’ ત્યારબાદ તેમણે નવલકથાઓ લખવાનું શરૂ કર્યું.

તેમના લેખનનું એક મહત્ત્વનું લક્ષણ સાદગી છે. તેઓ જનસામાન્યની ભાષામાં લખતા. તેમનાં પાત્રો મધ્યમ અને નીચલા સ્તરનાં સ્ત્રી-પુરુષો હતાં. તેમની મોટા ભાગની કથાઓમાં શિક્ષણક્ષેત્રે, ગ્રામવિકાસક્ષેત્રે, સ્વાતંત્ર્યસંગ્રામમાં કે સામાજિક રૂઢિઓ સામેના સંઘર્ષોને નિરૂપવામાં આવ્યા છે. તેમની પાસેથી ‘સંકેત’(૧૯૬૪)થી માંડી ‘સુખનું બીજું નામ’ (૨૦૦૨) સુધીની નવલકથાની યાત્રામાં લગભગ ૪૧ નવલકથાઓ મળી છે. તેમની ‘નિયતિ, ‘આંસુ ભીનો ઉજાસ’ અને ‘મીરાંની રહી મહેક’ વગેરે નવલકથાઓને ગુજરાત સાહિત્ય અકાદમીના પુરસ્કારો મળ્યા છે. તેમની પાસેથી સાતેક વાર્તાસંગ્રહો, આઠેક સંસ્મરણકથાઓ, ચરિત્રનિબંધો, રેખાચિત્રો, પ્રસંગકથાઓ, બોધકથાઓ વગેરે વિપુલ પ્રમાણમાં સાહિત્ય મળ્યું છે. એમની વાર્તાઓમાં માનવતાવાદી અભિગમ જોવા મળે છે.  સાવ સાધારણ લાગતા પ્રસંગમાંથી ચિત્તને સ્પર્શી જાય તેવું તેઓ આલેખન કરતા. તેમનાં પુસ્તકો જુદી જુદી સાહિત્યિક સંસ્થાઓ દ્વારા પોંખાયાં છે.

શ્રદ્ધા ત્રિવેદી

Categories
વાચન સમૃદ્ધિ

પહેલાં તમારી જાતને પૂછો !

સાધક બોધિધર્મ પાસે એક યુવાને આવીને પૂછ્યું, ‘ગ્રંથો ઘણા વાંચ્યા, સંતોનાં ચરણ સેવ્યાં. ઘણું ઘણું કર્યું, કિંતુ એક પ્રશ્ન આજ લગી અનુત્તર રહ્યો છે.’

બોધિધર્મે કહ્યું, ‘કયો પ્રશ્ન તમને આટલા બધા કાળથી પરેશાન કરે છે ?’

યુવાને કહ્યું, ‘‘મારી એક જિજ્ઞાસા આજ લગી વણછીપી રહી છે અને તે એ કે ‘હું કોણ છું ?’ એ પ્રશ્નનો ઉત્તર અથાગ પ્રયત્નો કરવા છતાં પામ્યો નથી.’’

બોધિધર્મે આ સાંભળતાં જ હાથ ઉગામ્યો અને યુવકને જોરથી થપ્પડ મારીને કહ્યું, ‘ચાલ્યો જા અહીંથી. આવા બેહૂદા પ્રશ્નો કરી મારો સમય વેડફીશ નહીં.

યુવક વિચારમાં પડ્યો. જ્ઞાની અને સાધક એવા બોધિધર્મનું વર્તન અકળ લાગ્યું. પ્રશ્નના પ્રત્યુત્તરમાં આવી થપ્પડ !

યુવક બીજા સાધક પાસે ગયો અને એને કહ્યું, ‘‘બોધિધર્મ તો કેવા છે ! મેં સીધો-સાદો પ્રશ્ન પૂછ્યો કે ‘હું કોણ છું ?’ અને જવાબમાં એમણે થપ્પડ લગાવી. કેવું કહેવાય ?’’

બીજા સાધકે તો એથીય વધુ આક્રોશપૂર્વક કહ્યું, ‘બોધિધર્મે તો તને થપ્પડ લગાવી, પણ તેં મને આવો પ્રશ્ન કર્યો હોત તો આ મોટો ડંડો જ ફટકાર્યો હોત.’

યુવકની મૂંઝવણ ઓર વધી ગઈ. એ પુન: બોધિધર્મ પાસે ગયો અને કહ્યું, ‘મને આપની ઉત્તર આપવાની રીત અકળ લાગી. મારી જિજ્ઞાસાના ઉત્તરમાં તમે થપ્પડ મારી તે કેવું કહેવાય ? આપના જેવા જ્ઞાની પાસેથી જિજ્ઞાસાનું સમાધાન મળે, તમાચો નહીં.’

બોધિધર્મે સ્પષ્ટતાપૂર્વક કહ્યું, ‘હવે આટલેથી તું અટકી જા. હવે ફરી એ પ્રશ્ન પૂછતો નહીં. નહીં તો કાલે થપ્પડ મળી હતી, આજે એનાથીય વધુ આકરો જવાબ મળશે.’

જિજ્ઞાસુ યુવક ગભરાઈ ગયો. એને સમજાયું નહીં. બોધિધર્મને પૂછ્યું, ‘મારી જિજ્ઞાસાનો આવો જવાબ મળે છે તેનું કારણ કૃપા કરીને મને કહો.’

બોધિધર્મે કહ્યું, ‘‘ભન્તે, જે પ્રશ્ન તારે પોતાની જાતને પૂછવો જોઈએ, તે તું બીજાને પૂછે છે. તારી જાતને પૂછ કે ‘હું કોણ છું ?’ અને ભીતરમાંથી જ તને પ્રત્યુત્તર મળશે. એ ભીતરનો અવાજ સાંભળ એટલે તને તારા પ્રશ્નનો આપોઆપ ઉકેલ મળશે.’’

માણસ પોતાને વિશે જાણવા માટે બહાર કેટલું બધું ફરે છે ! ‘માંહ્યલા’ની ઓળખ માટે એ ભીતરમાં જવાને બદલે આસપાસ જગતમાં ઘૂમે છે. અન્ય પાસેથી પોતાના વિશેના અભિપ્રાયો ઉઘરાવે છે. સતત અન્યની નજરે સ્વયંને જોતો રહે છે. બીજાની ફૂટપટ્ટીથી પોતાની ઊંચાઈ માપવા કોશિશ કરે છે. પરિણામે એ સતત બાહ્ય જગતમાં એના તોલ-માપના ત્રાજવે પોતાની જાતને ઓળખે છે. હકીકતમાં જાતને ઓળખવા માટે એની પાસે બાહ્યદૃષ્ટિ નહીં, કિંતુ આંતરદૃષ્ટિ જોઈએ. એ આંતરદૃષ્ટિથી જ એ પોતાની જાતને પૂરેપૂરી જાણી શકે છે અને ‘હું કોણ છું ?’ તેનો ઉત્તર પામી શકે છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

ભનુભાઈ ર. વ્યાસ ‘સ્વપ્નસ્થ’

જ. ૧૩ નવેમ્બર, ૧૯૧૩ અ. ૨૩ ઑક્ટોબર, ૧૯૭૦

કવિ, વાર્તાકાર ભનુભાઈનું બીજું નામ લક્ષ્મીનારાયણ હતું અને ‘મોહન શુક્લ’ તેમનું બીજું ઉપનામ હતું. રાજકોટમાં જન્મેલા આ કવિનું વતન જામનગર હતું. જ્ઞાતિએ પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ રાજકોટમાં લીધેલું. મૅટ્રિક સુધીનો અભ્યાસ કરેલો. ૧૯૩૩થી ૧૯૪૪ સુધી મુંબઈમાં ઝંડુ ફાર્માસ્યૂટિકલ વર્ક્સમાં કામ કરેલું. પછી થોડો સમય ‘વંદેમાતરમ્’ અને ‘સંસ્કાર’ સામયિકોમાં કામ કર્યું. ક્ષયની બીમારીને કારણે જામનગરમાં જઈ કેટલોક સમય આરામ કર્યા બાદ ૧૯૪૮માં પાછા મુંબઈ ગયા અને ત્યાં ‘આસોપાલવ’, ‘નૂતન ગુજરાત’ અને ‘હિંદુસ્તાન પત્રો’માં કાર્ય કર્યું. ૧૯૫૦થી યુ.એસ.એસ.આર.ના પબ્લિસિટી વિભાગ, દિલ્હીમાં ગુજરાતી ભાષાંતરકાર તરીકે કામ કર્યું. ૧૯૩૬માં કવિ કાન્તનાં પુત્રી ડોલર સાથે લગ્ન થયું. ગાંધીયુગીન કવિતાનો થોડોક પ્રભાવ ઝીલવા છતાં ગાંધીવિચારસરણી કરતાં સામ્યવાદી વિચારસરણી તરફ આસ્થાવાળા આ કવિમાં પ્રગતિશીલ સર્જકોનો મિજાજ વિશેષ છે. તેમની પાસેથી કેટલાંક દીર્ઘ કાવ્યો મળ્યાં છે. સૉનેટ, ગીત અને છંદોબદ્ધ કાવ્યોના ‘અજંપાની માધુરી’ સંગ્રહમાં વાસ્તવિકતા અને પ્રકૃતિનાં કાવ્યો વિશેષ જોવા મળે છે. ‘રાવણહથ્થો’ની રચનાઓમાં સમાજમાં પ્રવર્તતાં શોષણ, ગરીબાઈ અને ગુલામી જોઈને અજંપો અનુભવતા કવિનો રોષ અને વેદના વ્યક્ત થયાં છે. ‘લાલ સૂર્ય’ એ કવિની સામ્યવાદી વિચારધારા પરની આસ્થાને વ્યક્ત કરતો કાવ્યસંગ્રહ છે. ‘ચિરવિરહ’ (૧૯૭૩) એ એમનો મરણોત્તર પ્રકાશિત કાવ્યસંગ્રહ છે.

‘દિનરાત’ અને ‘ધૂણીનાં પાન’ એમના ટૂંકી વાર્તાના સંગ્રહો છે. વસ્તુ તરફ જોવાનો કવિનો વાસ્તવવાદૃી અભિગમ અને ઝીણું રેખાંકન આ વાર્તાઓની વિશેષતા છે. ‘જાહનવી’ એ નવલકથા અને ‘શોધ’ એ ‘મોહન શુક્લ’ના નામે લખાયેલી લઘુનવલ છે. આ ઉપરાંત તેમની પાસેથી કેટલુંક અનુવાદ સાહિત્ય પણ મળ્યું છે. તો એમણે અન્ય સાથે મળી કેટલુંક સંપાદનકાર્ય પણ કર્યું છે. ‘યુગપુરુષ ગાંધી’, ‘પૂનમનાં પોયણાં’, ‘પલટાતો જમાનો’ એ એમના અનૂદિત ગ્રંથો છે. તેઓ સોવિયેત પ્રચાર વિભાગમાં ગુજરાતી ભાષાંતરકાર તરીકે રહ્યા હોવાથી ભાષાંતર પર એમની હથોટી સારી હતી.

શ્રદ્ધા ત્રિવેદી