Categories
વાચન સમૃદ્ધિ

મીનુ મસાણી

જ. ૨૦ નવેમ્બર, ૧૯૦૫ અ. ૨૮ મે, ૧૯૯૮

સ્વાતંત્ર્યસેનાની અને અગ્રણી સાંસદ. પારસી પરિવારમાં જન્મ. મૂળ નામ મિનોચર રુસ્તમ મસાણી પણ હેતથી બધા મીનુ કહેતા. ૧૯૨૫માં એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી સ્નાતકની ઉપાધિ મેળવી. કૉલેજનાં વર્ષો દરમિયાન યૂસુફ મહેરઅલીના પરિચયમાં આવ્યા, જેમણે કાયદો તથા રાજકારણમાં રસ જગાવ્યો. ત્યારબાદ તેઓ લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સમાં અભ્યાસ માટે ગયા અને ઇંગ્લૅન્ડથી બાર-એટ-લૉની ડિગ્રી લઈ ભારત પાછા આવ્યા. ૧૯૨૯માં મુંબઈ ઉચ્ચ ન્યાયાલયમાં ઍડ્વોકેટ તરીકે વ્યાવસાયિક જીવનનો પ્રારંભ કર્યો હતો. ૧૯૪૩-૪૪માં નગરપતિપદે રહ્યા. ૧૯૩૪માં તેમના નેતૃત્વમાં કૉંગ્રેસ સમાજવાદી પક્ષની મુંબઈ શાખાની સ્થાપના થવાથી તેમાં સહમંત્રી બન્યા. ૧૯૩૫માં કેન્દ્રીય વિધાનસભામાં શામેલ થયા. ૧૯૩૮માં આ જ પક્ષના લાહોર અધિવેશનના તેઓ પ્રમુખ નિમાયા પણ ૧૯૩૯માં તેમણે પક્ષમાંથી રાજીનામું આપ્યું. સ્વતંત્રતા બાદ ૧૯૪૮-૪૯ સુધી બ્રાઝિલમાં ભારતના રાજદૂત તરીકે કાર્ય કર્યું. ૧૯૫૭માં અપક્ષ ઉમેદવાર તરીકે બિહારના રાંચી મતવિસ્તારમાંથી લોકસભામાં ચૂંટાયા અને ૧૯૭૧ સુધી સાંસદ રહ્યા. ૧૯૫૯માં ચક્રવર્તી રાજગોપાલાચારી સાથે જોડાઈને સ્વતંત્ર પક્ષની સ્થાપના કરી. આ દરમિયાન તેઓએ લોકસભામાં મુખ્ય વિરોધપક્ષનો દરજ્જો મેળવ્યો.

૧૯૭૧ની ચૂંટણી હારી ગયા પછી તેમણે રાજકારણમાંથી નિવૃત્તિ લીધી છતાં ડી.આર.એમ. અને ‘ફ્રીડમ ફર્સ્ટ’નું પ્રબંધન જારી રાખ્યું. કટોકટીનો વિરોધ કરવા ‘ફ્રીડમ ફર્સ્ટ’ ત્રૈમાસિકનો પ્રારંભ કરેલો. ૧૯૭૮માં જનતા પક્ષની સરકારે તેમને લઘુમતી પંચના અધ્યક્ષ નીમેલા. તેમણે ભારતની આર્થિક સ્થિતિના સંદર્ભમાં ‘પ્રોજેક્ટ ફોર ઇકૉનૉમિક એજ્યુકેશન’ની સ્થાપના કરેલી. અર્થતંત્ર અને સમાજવ્યવસ્થાને આવરી લેતા વિષયો પર તેમણે ઘણાં પુસ્તકો લખ્યાં છે. ‘અવર ઇન્ડિયા’ (૧૯૪૦) જે શાળાકક્ષાએ પાઠ્યપુસ્તક તરીકે ગણના પામેલું તથા ભારતની વિવિધ ભાષાઓમાં અનૂદિત પણ થયેલું. ‘સોશિયાલિઝમ રીકન્સિડર્ડ’ (૧૯૪૪), ‘પ્લી ફોર અ મિક્સડ ઇકૉનૉમી’ (૧૯૪૭), ‘ટૂ મચ પૉલિટિક્સ, ટૂ લિટલ સિટીઝનશિપ’ (૧૯૬૯) નોંધપાત્ર છે. ‘બ્લિસ બૉઝ ઇટ ધેટ ડૉન’ (૧૯૭૭) અને ‘અગેન્સ્ટ ધ ટાઇડ’ (૧૯૮૧) તેમની આત્મકથાના બે ગ્રંથો છે. ‘વી ઇન્ડિયન્સ’ તેમનો અંતિમ પ્રકાશિત ગ્રંથ છે.

રાજશ્રી મહાદેવિયા

Categories
વાચન સમૃદ્ધિ

પારકી આંખમાંથી પ્રેમી જોતો

હોય છે ——

પ્રેમનું એક રૂપ છે સુખની શોધ અને એનું બીજું રૂપ છે સુખનું સમર્પણ. વ્યક્તિ પ્રેમ પામવા નીકળે ત્યારે જો એના દ્વારા સુખ પામવા નીકળશે તો એની પાછળ એની ‘ઇચ્છા’ નિહિત હોય છે. એ સુખ પ્રાપ્ત થાય તો એના પ્રેમને આનંદ થાય છે અને સુખ ન મળે તો મનને ઉદાસી થાય છે. પ્રાપ્તિની આશાએ થયેલો પ્રેમ સદાય વણછીપ્યો રહે છે અને એમાં સતત ભરતી-ઓટ આવતાં રહે છે. પ્રેમી દ્વારા થતી સુખની શોધ ક્યારેક પ્રાપ્તિની આકાંક્ષામાં પરિવર્તિત થઈ જાય છે અને જો એ પ્રાપ્તિ ન થાય તો પ્રેમ શૂન્ય બની જાય છે. પ્રેમી બેચેન થઈ જાય છે અને પ્રેમમાં વિસંવાદ ઊભો થાય છે.

પ્રેમનો બીજો પ્રકાર તે પ્રાપ્તિનો નહીં, પણ સમર્પણનો છે. જ્યાં વ્યક્તિ સર્વસ્વ સમર્પિત કરીને પ્રેમ કરે છે. એ સમયે એના પ્રેમમાં કોઈ સ્વાર્થ, પ્રાપ્તિ કે ઉદ્દેશ હોતાં નથી. પ્રેમનો અનુભવ એ જ એની મુખ્ય બાબત હોય છે અને એથી એ પ્રેમનો જેમ જેમ અનુભવ મેળવતો જાય છે, તેમ તેમ બે વ્યક્તિ વચ્ચેનો હૃદયસ્પર્શ થતો જાય છે. આવો પ્રેમ એ કોઈ માગણી પર આધારિત નથી. કોઈ અપેક્ષા પર જીવતો નથી. એ વિચારે છે કે જીવનમાં પ્રાપ્તિ કે અપ્રાપ્તિ એ બધાની પાછળ કોઈ કારણ હોય તો તે પોતે છે, પોતાનો પ્રેમી નહીં. સ્વજીવનની નિષ્ફળતા, અતૃપ્તિ કે અજંપાને માટે એ પોતાને દોષ આપશે, પોતાના પ્રેમને કે  પ્રિયજનને નહીં !

પ્રેમીની આંખમાં પ્રિયજન વસતો નથી, પણ પ્રિયજનની આંખથી પ્રેમી જોતો હોય છે. મિલનની ઝંખના કે વિરહની વેદનાની બંને સમાન રૂપે પીડા અનુભવે છે, વત્તી-ઓછી નહીં. આથી જ પ્રેમને સ્થળ-કાળ કે રૂપ-રંગની મર્યાદા નડતી નથી. આકાશે સૂર્ય ઊગે અને ધરતી પર સૂરજમુખી ખીલે, એવી સાહજિક આ ઘટના છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

કેશવચંદ્ર સેન

જ. ૧૯ નવેમ્બર, ૧૮૩૮ અ. ૮ જાન્યુઆરી, ૧૮૮૪

બંગાળના સમાજસુધારક અને ‘બ્રહ્મોસમાજ’ના વરિષ્ઠ કાર્યકર કેશવચંદ્ર સેનનો જન્મ કૉલકાતામાં બંગાળી વૈદ્ય પરિવારમાં થયો હતો. તેમણે દસ વર્ષની ઉંમરે પિતા પેરીમોહન સેનની છત્રછાયા ગુમાવી. એ પછી એમના કાકાએ એમનો ઉછેર કર્યો. શાળેય શિક્ષણ પૂર્ણ કરી તેઓ હિંદુ કૉલેજમાં દાખલ થયા. તેઓ ૧૮૫૪માં એશિયાટિક સોસાયટીના સેક્રેટરી બન્યા પછી થોડા સમય માટે બૅન્ક ઑવ્ બંગાળમાં ક્લાર્ક તરીકે પણ કાર્ય કર્યું. ૧૮૫૫માં ગુડવિલ ફ્રેટરનિટીના સેક્રેટરી બન્યા અને સાંજની શાળાની સ્થાપના કરી. તેઓ બ્રહ્મસમાજમાં જોડાયા. બ્રહ્મસમાજના મુખપત્ર ‘ઇન્ડિયન મિરર’ માટે લેખો લખ્યા. તેમણે ૧૮૬૩માં ‘ધ બ્રહ્મસમાજ વિન્ડિકેટેડ’ લખ્યું. તેમણે રાજા રામમોહન રાયે સ્થાપેલ બ્રહ્મોસમાજનું નેતૃત્વ કર્યું. તેઓ બ્રહ્મસમાજને ખ્રિસ્તી માર્ગે ચલાવવા ઇચ્છતા હતા જ્યારે દેવેન્દ્રનાથ વેદ-ઉપનિષદના આધારે ચલાવવા ઇચ્છતા હતા. બ્રહ્મસમાજના ભાગલા પડતાં કેશવચંદ્રના નેતૃત્વવાળો બ્રહ્મસમાજ ‘ભારતવર્ષીય બ્રહ્મસમાજ’ કહેવાયો.

રામકૃષ્ણ પરમહંસ કેશવચંદ્રને મળ્યા ત્યારે કેશવ ખ્રિસ્તી ધર્મની અસર હેઠળ આવી ગયા હતા, પરંતુ રામકૃષ્ણ પરમહંસના પ્રભાવથી બ્રહ્મસમાજમાં ભક્તિસંપ્રદાયની અસર પડી. કેશવચંદ્રે ૧૮૮૧માં ‘નવવિધાન’ નામની સંસ્થા શરૂ કરી, જે પછીથી ‘ધ અર્થ ઑવ્ ધ ન્યૂ ડિસ્પેન્સેશન’ નામે જાણીતી બની.

તેમણે નવજાગૃતિ માટે કાર્ય કર્યું. સમાજમાં કન્યાઓને કેળવણી અને સ્ત્રીઓને સામાજિક સ્વતંત્રતા માટે પ્રયત્નો કર્યા. તેમણે કન્યાશાળાઓ શરૂ કરી. બાળલગ્ન અટકાવવા અને વિધવાઓનાં પુનર્લગ્ન માટે કાર્યો કર્યાં. તેમણે કન્યાના લગ્ન માટે ૧૬ વર્ષની ઉંમર હોવી જોઈએ એવો આગ્રહ રાખ્યો હતો. તેમણે અનેક સંસ્થાઓની સ્થાપના કરી. તેમણે ‘સુલભ સમાચાર’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું અને ‘ધી ઇન્ડિયન મિરર’ પાક્ષિકને દૈનિક બનાવ્યું. તેમણે સમાજમાં નવજાગૃતિની સાથે સાથે પત્રકારત્વક્ષેત્રે પણ કાર્ય કર્યું હતું.

અનિલ રાવલ