Categories
વાચન સમૃદ્ધિ

મગનલાલ પટેલ ‘પતીલ

જ. ૮ ઑગસ્ટ, ૧૯૦૫ અ. ૧૮ માર્ચ, ૧૯૭૦

ગુજરાતી ભાષાના કવિ મગનલાલ ભૂધરભાઈ પટેલ ‘પતીલ’ના ઉપનામથી વધુ જાણીતા છે. જોકે એમણે ‘ઇક્લેસરી’, ‘ધૂન ધૂન’,‘જયસેના’, ‘નીલપદ્મ’, ‘સ્નેહનંદન’, ‘સ્નેહનૈયા’ અને ‘યશોબાલા’ જેવાં અનેક ઉપનામોથી લખ્યું છે. અંકલેશ્વરમાં જન્મેલા અને ત્યાં જ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણનો અભ્યાસ કરી મહેસૂલ અને કેળવણી ખાતામાં નોકરી કરી. તેમનું પ્રથમ કાવ્ય ‘નર્મદાને’ ૧૯૩૧માં ‘પ્રસ્થાન’ સામયિકમાં પ્રકાશિત થયું હતું. તેમની પાસેથી પ્રકૃતિ અને પ્રણયનું નિરૂપણ કરતી કૌતુકરાગી કવિતા મળે છે. તેમજ ગઝલ અને સૉનેટ જેવાં કાવ્યસ્વરૂપોમાં ફારસી શબ્દો અને સંસ્કૃત વૃત્તોનો વિશિષ્ટ ઉપયોગ જોવા મળે છે. ૧૯૪૦માં પ્રકાશિત થયેલા તેમના ‘પ્રભાત-નર્મદા’ કાવ્યસંગ્રહમાં આત્મલક્ષી પદ્યપ્રયોગો છે તો કેટલીક નર્મમર્મની સુંદર રચનાઓ પણ છે. તેમના પદ્યપ્રયોગોમાં તેમણે છંદમિશ્રણોનો તેમજ ખૂબ ઓછા જાણીતા એવા પુષ્પિતાગ્રા, ભ્રમરાવલી, ભુજંગપ્રયાત જેવા છંદોના સફળ પ્રયોગો જોવા મળે છે. આ પ્રયોગોએ બ. ક. ઠાકોર અને રા. વિ. પાઠક જેવા વિદ્વાન વિવેચકોનું ધ્યાન ખેંચ્યું હતું. તેમના ‘વાસવક્લેશપરિહાર’ નામના હાસ્યરસિક આખ્યાનમાં શચી અને ઇન્દ્રે માનેલ કંથાના પ્રસાદ માટે ખાંડ મેળવવા નારદે કેવી હાડમારી વેઠવી પડી તેનું ઉપહાસાત્મક નિરૂપણ કર્યું છે. આ ઉપરાંત હિંદી ભાષામાં રચેલ ગઝલ અને તરાનાને ‘નયી તર્ઝે’ નામનો તેમનો સંગ્રહ ૧૯૫૩માં પ્રકાશિત થયો હતો. તેમણે ૧૯૪૬થી ૧૯૪૮ સુધી ‘ગુજરાત’ દૈનિકમાં સાહિત્યવિભાગનું સંપાદન કર્યું હતું. પતીલની રચનાઓના મરણોત્તર સંગ્રહો ‘મારી ઉર્વશી’ (૧૯૭૫), ‘અટૂલી અનાર’ (૧૯૭૫) અને ‘વ્યામોહજવનિકા’ (૧૯૭૫) સંપાદિત કરીને નટવરલાલ મગનલાલ પટેલે આપ્યા છે. ૬૫ વર્ષની વયે તેમનું વડોદરામાં અવસાન થયું હતું.

Categories
વાચન સમૃદ્ધિ

ટોંક

રાજસ્થાન રાજ્યનો જિલ્લો. તે રાજ્યની ઈશાને ૨૫° ૪૧´ ઉ.થી ૨૬° ૩૪´ ઉત્તર અક્ષાંશ અને ૭૫° ૦૭´ પૂ.થી ૭૬° ૧૯´ પૂ. રેખાંશ વચ્ચે વિસ્તરેલો છે. તેનો કુલ ભૌગોલિક વિસ્તાર ૭,૧૯૪ ચોકિમી. છે. તેની ઉત્તરે જયપુર, દક્ષિણમાં બુંદી અને ભીલવાડા, પશ્ચિમમાં અજમેર તેમજ પૂર્વમાં સવાઈમાધોપુર જિલ્લાઓ આવેલા છે. તેની કુલ વસ્તી ૧૬,૮૦,૦૦૦ (૨૦૨૪, આશરે) અને વસ્તીની ગીચતા ચોકિમી.દીઠ ૧૩૫ છે. જિલ્લાની ૮૦% વસ્તી ગ્રામ વિસ્તારમાં અને બાકીની ૨૦% વસ્તી શહેરી વિસ્તારમાં રહે છે. પતંગ જેવા આકારનો અને લગભગ સમતળ એવો આ જિલ્લો સમુદ્ર-સપાટીથી સરેરાશ ૨૬૪.૩૨ મી.ની ઊંચાઈ પર આવેલ છે. જિલ્લાની એકમાત્ર મહત્ત્વની નદી બનાસ પૂર્વ તરફથી વહી જિલ્લાની બરાબર મધ્યમાંથી પસાર થતાં, તેને બે ભાગમાં વહેંચે છે. જિલ્લામાં અરવલ્લીની ટેકરીઓ છૂટીછવાઈ પથરાયેલી છે. પ્રદેશનો સામાન્ય ઢોળાવ વાયવ્યથી દક્ષિણ અને પૂર્વ તરફનો છે. આબોહવા સૂકી અને આરોગ્યપ્રદ છે. વાર્ષિક મહત્તમ તાપમાન ૨૭.૫°થી ૩૦° સે. અને લઘુતમ તાપમાન ૧૫°થી ૧૭° સે. વચ્ચે રહે છે. વાર્ષિક સરેરાશ વરસાદ ૬૧૪ મિમી. છે. વરસાદનું પ્રમાણ અગ્નિથી વાયવ્ય તરફ જતાં ઘટતું જાય છે. જમીન સામાન્ય રીતે ફળદ્રૂપ પરંતુ કેટલેક સ્થળે વધુ રેતાળ છે. મેદાની વિસ્તારોમાં નાઇસ અને શિસ્ટ ખડકોની ભૂસ્તરીય રચના જોવા મળે છે. ગાર્નેટ, અબરખ જેવાં અધાતુમય ખનિજો; બાંધકામના પથ્થર તથા લોહઅયસ્ક જેવાં ધાતુમય ખનિજો અહીંથી મળે છે.

બિસલદેવ મંદિર, ટોંક

જિલ્લાનો લગભગ ૩.૪૯% વિસ્તાર વનાચ્છાદિત છે. ઔદ્યોગિક દૃષ્ટિએ તે રાજ્યનો પછાત જિલ્લો છે. બીડી તથા ગાલીચા વણવાના ગૃહઉદ્યોગો ઉપરાંત હસ્તકળા, ચર્મોદ્યોગ, સુથારીકામ, કુંભારકામ, વણાટકામ અને ખાદી-ઉદ્યોગ ગ્રામીણ વિસ્તારોમાં પરંપરાગત રીતે ચાલે છે. રાજસ્થાનના આ પ્રદેશમાં હજુ રેલવે નથી. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૧૨  અહીંથી પસાર થાય છે. રાજ્ય ધોરી માર્ગ ૧૩૮ કિમી. અને અન્ય (જિલ્લા) માર્ગો ૮૧૬ કિમી. લાંબા છે. જિલ્લાનાં કેટલાંક ગામો માર્ગથી સંકળાયેલાં નથી. બ્રિટિશ શાસનકાળ દરમિયાન ટોંક ભારતમાં રાજપૂતાના એજન્સીનું એકમાત્ર મુસ્લિમ સંસ્થાન હતું. ઓગણીસમી સદીની શરૂઆતમાં યશવન્તરાવ હોલકરની મદદથી અમીરખાન અને તેના સાથી પઠાણોએ સિરોજ, ટોંક અને પિશવ પરગણાંઓ જીતી લઈને ટોંક સંસ્થાનની સ્થાપના કરી હતી. અઢારમી સદીમાં રોહિલ વંશના પઠાણ કુળમાં જન્મેલો અમીરખાન સમગ્ર ભારતમાં પિંઢારાઓના નેતા તરીકે જાણીતો હતો. બ્રિટિશરોએ તેની વધતી જતી સત્તાને નાથવા ટોંકની સ્થાપના કરવાની સંમતિ આપી હતી. ૧૯૪૮માં માર્ચની ૨૫મીએ ટોંક રાજસ્થાન રાજ્યમાં વિલીન થયું. ભારતની ઇસ્લામી અને પ્રાચ્ય સંશોધન માટેની પ્રસિદ્ધ સંસ્થા ‘અરેબિક ઍન્ડ પર્શિયન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ (APRI) અહીં આવેલ છે.

ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮

Categories
વાચન સમૃદ્ધિ

ઝવેરીલાલ દલપતરામ મહેતા

જ. ૭ ઑગસ્ટ, ૧૯૨૮ અ. ૨૭ નવેમ્બર, ૨૦૨૩

ગુજરાતના જાણીતા ફોટો જર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતાનો જન્મ હળવદમાં થયો હતો. મૅટ્રિક સુધીનું શિક્ષણ ધ્રાંગધ્રામાં લીધા બાદ સર જે. જે. સ્કૂલ ઑફ આર્ટમાં અભ્યાસ કર્યો. મુંબઈમાં ‘ચેત મછંદર’ નામના સામયિકમાં પ્રૂફવાચનનું કામ કર્યું, પરંતુ અમદાવાદની અરિંવદ મિલમાં ટેક્સટાઇલ આર્ટિસ્ટ તરીકે નોકરી મળી અને સત્તર વર્ષ કામ કર્યું. એ સમય દરમિયાન તેઓ ફોટોગ્રાફી કરતા હતા. તેમની લાક્ષણિક તસવીરો જીવન-વિષયને સ્પર્શતી અને ‘જનસત્તા’માં ‘મારે જીવવું છે’ શીર્ષક હેઠળ પ્રકાશિત થતી. ૧૯૭૨થી તેઓ ‘ગુજરાત સમાચાર’ સાથે જોડાયા. તેમને માત્ર તસવીરથી સંતોષ થતો નહીં, તેઓ હંમેશાં તસવીરની નીચે સુંદર શબ્દોમાં તેમને લગતું લખાણ લખતા અને એ રીતે લોકોને તેમની ‘ફોટો સ્ટોરી’ વાંચવામાં અત્યંત રસ પડતો. તેમને કારણે તેમની ‘ફોટો સ્ટોરી’ અખબારના પ્રથમ પાને અથવા છેલ્લા પાને આવવા લાગી. આમ તેમની લોકપ્રિયતા સતત વધતી રહી. તેઓ ક્યારેય ફ્લૅશનો ઉપયોગ નહોતા કરતા. કુદરતી પ્રકાશમાં જ બ્લૅક ઍન્ડ વ્હાઇટ ફોટા પાડતા. ડિજિટલ કૅમેરા આવ્યા છતાં ફિલ્મ કૅમેરાનો જ ઉપયોગ કરતા હતા. તેઓ તસવીરકલા ક્ષેત્રે રઘુ રાય અને કિશોર પારેખને પોતાના ગુરુ માનતા. કિશોરકુમાર જેવી મૂછો, જીન્સ અને માથે હૅટ જેવા વિશિષ્ટ લાક્ષણિક પહેરવેશથી એમના વ્યક્તિત્વની આગવી છાપ ઊપસતી. તેમની ચાર દાયકાની કારકિર્દી  દરમિયાન ગુજરાતના તેર મુખ્યમંત્રીઓનાં જીવન અને કાર્યકાળનું  દસ્તાવેજીકરણ કર્યું. તે  ઉપરાંત ૧૯૮૭માં રાજસ્થાનના દેવરાલામાં સતીની ઘટના, ૧૯૮૮માં કચ્છમાં આવેલ વાવાઝોડું, અયોધ્યાયાત્રા, ૨૦૦૧નો કચ્છમાં આવેલો ધરતીકંપ જેવી ઘટનાઓની અનેક કલાત્મક તસવીરો પ્રકાશિત થઈ હતી. પત્રકારત્વના ક્ષેત્રે તેમના વિશિષ્ટ યોગદાન બદલ ૨૦૧૮માં ભારત સરકારે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.