Categories
વાચન સમૃદ્ધિ

મહિપાલ ચંદ્ર ભંડારી

જ. ૨૪ નવેમ્બર, ૧૯૧૯ અ. ૧૫ મે, ૨૦૦૫

ભારતીય ચલચિત્રોના જાણીતા અદાકાર અને રાજસ્થાની ફિલ્મના પ્રથમ અભિનેતા. તેમનો જન્મ જોધપુર, રાજસ્થાનમાં થયેલો, જ્યાં તેમણે શાળાકીય શિક્ષણ મેળવી જસવંત ગવર્નમેન્ટ કૉલેજ, જોધપુરમાંથી સાહિત્યના વિષય સાથે સ્નાતકની ઉપાધિ મેળવી. નાનપણથી જ અભિનય પ્રત્યેની રુચિને લીધે બાળકલાકાર તરીકે કામ કરી ૧૯૪૦ના દસકામાં મુંબઈ આવ્યા. ૧૯૪૨ ‘નઝરાના’ ફિલ્મથી પદાર્પણ કર્યું, પણ તેમાં ઝાઝી સફળતા ન મળી. વી. શાંતારામની ફિલ્મો માટે ગીતો લખવાનું શરૂ કર્યું. તેમણે સોહરાબ મોદી જેવા નિર્દેશક તથા વાડિયા બ્રધર્સની સાથે પણ કામ કર્યું હતું. બોલિવુડમાં તેમણે ‘પારસમણિ’, ‘ઝલક’, ‘કોબ્રાગર્લ’, ‘જંતર મંતર’ જેવી ફિલ્મોમાં સ્ટંટમૅન તરીકે પણ કામ કર્યું હતું. તેમની અભિનીત ‘અલીબાબા ઔર ચાલીસ ચોર’ (૧૯૫૪), ‘જેની’ (૧૯૫૩), ‘અલાદીન ઔર જાદુઈ ચિરાગ’ (૧૯૫૨) અને ‘અલીબાબા કા બેટા’ (૧૯૫૫) જેવી ફિલ્મોથી ખાડીના દેશોમાં પણ ઘણી લોકપ્રિયતા મેળવી. આ ઉપરાંત પૌરાણિક કથા પર આધારિત ‘ગણેશ મહિમા’ અને ‘વીર ભીમસેન’ તથા ભાગવત પુરાણ, રામાયણ અને મહાભારતમાં આવતા ભગવાન વિષ્ણુ, ભગવાન રામ અને ભગવાન કૃષ્ણનાં પ્રતીકાત્મક ચરિત્રો ભજવી ઘણી લોકચાહના મેળવી. વી. શાંતારામની ફિલ્મ ‘નવરંગ’(૧૯૫૯)માં મુખ્ય ભૂમિકા ભજવી અને બાબુભાઈ મિસ્ત્રીની ‘પારસમણિ’(૧૯૬૩)માં પણ ભૂમિકા ભજવી. તેમની ફિલ્મો સંગીત, શાસ્ત્રીય નૃત્ય અને યાદગાર ગીતો માટે જાણીતી બની. તેમણે પુરાણી હિંદી ફિલ્મોની પરંપરા તોડી જેમાં કેવળ મહિલાઓ જ નૃત્ય કરતી દર્શાવાતી. તેઓ પણ સારું નૃત્ય કરી જાણતા હતા.

તેમની ફિલ્મ ‘જય સંતોષીમા’(૧૯૭૫)એ બોલિવુડ બૉક્સ ઑફિસનો રેકૉર્ડ તોડ્યો હતો.

રાજશ્રી મહાદેવિયા

Categories
વાચન સમૃદ્ધિ

કિનારાનું લંગર અને

મધદરિયાનું જહાજ જુદાં હોય છે ———-

બંદર પર લાંગરેલું જહાજ કેટલું બધું સલામત હોય છે ! એને ન કોઈ મોજાં અફળાતાં હોય છે કે ન દરિયામાં ઉપરતળે થતું હોય છે. કોઈ ઝંઝાવાતો એને ડોલાવતા નથી, તો દિશાની શોધમાં એને આમતેમ ભરદરિયે ભટકવું પડતું નથી. એ નિરાંતે દરિયાકિનારે લંગર નાખીને ઊભું હોય છે, પણ આ જહાજનું સર્જન આ માટે થયું છે ? એના નિર્માણનો હેતુ આ જ છે ? ના. એનું કામ તો દરિયાની વચ્ચે મોજાંઓની થપાટો ખાતાં ખાતાં અને કેટલીય આફતો ઝીલતાં પોતાનો માર્ગ શોધવાનું છે. એમાં જ એના સર્જનની સાર્થકતા સમાયેલી છે.

વ્યક્તિ જ્યારે સલામત જીવન જીવવાનો વિચાર કરે છે, ત્યારે બંદરમાં ઊભેલા જહાજનું સ્મરણ થાય છે, પરંતુ વ્યક્તિ જ્યારે જીવન-સાર્થક્યનો વિચાર કરે ત્યારે ઝંઝાવાતમાં આમતેમ ફંગોળાતું જહાજ દેખાય છે. નવી દિશામાં આગળ વધવાનું એનામાં સંકલ્પબળ દેખાય છે. સંકલ્પબળ વિનાનો માનવી ન તો નવી દૃષ્ટિ ધરાવે છે કે ન તો નવી દિશા. એ તો ક્યાંય સલામતી શોધીને પગ વાળીને બેસી ગયો હોય છે. મહાન સાહસવીરો પાસે એક ધ્યેય હતું. એ ધ્યેય સિદ્ધ કરવા માટેનો સંકલ્પ હતો અને તેથી જ આ સાહસવીરો જગતને નવા નવા દેશોની ભેટ આપી ગયા છે. એની દૃષ્ટિ ખાબોચિયાંના ખૂણાઓને માપતી નથી, પરંતુ અફાટ સાગરને બાથમાં લેવાની કોશિશ કરે છે અને એ જ વ્યક્તિ જીવનમાં પોતાની દૃષ્ટિને-ધ્યેયને સિદ્ધ કરી શકે છે.

સાગરમાં ઊછળતાં મોજાં એમને ડરાવી શકતાં નથી. તોફાની દરિયાની કલ્પના એમને ડગાવી શકતી નથી. સફર ખેડતાં જળસમાધિ લેનારાં જહાજો કે જવાંમર્દોની દાસ્તાનો એમને થંભાવી શકતી નથી. એમની નજર દરિયા પર નહીં, કિંતુ દરિયાપારના દેશો પર હોય છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

વાલચંદ હીરાચંદ દોશી

જ. ૨૩ નવેમ્બર, ૧૮૮૨ અ. ૮ એપ્રિલ, ૧૯૫૩

આર્થિક સ્વતંત્રતા એ રાજકીય કે સામાજિક સ્વતંત્રતાના પાયારૂપ છે, આ સિદ્ધાંત ખાતર જેઓ આખી જિંદગી લડતા રહ્યા એવા દેશભક્ત ઉદ્યોગપતિ વાલચંદ દોશીનો જન્મ સોલાપુરમાં થયો હતો. પિતા હીરાચંદ રૂના વેપારી તથા ધીરધારનો ધંધો કરતા હતા. વાલચંદભાઈએ ઔરંગાબાદ, સોલાપુર, મુંબઈ તેમજ પુણે ખાતે અભ્યાસ કર્યો હતો. પિતાની તબિયત અસ્વસ્થ રહેવાથી બી.એ.ની અંતિમ પરીક્ષા આપ્યા વગર કૌટુંબિક ધંધામાં જોડાઈ ગયા. તેઓ બધી જ્ઞાતિઓની વ્યક્તિઓ સાથે ભળતા, ખાતાપીતા અને અસ્પૃશ્યતાના સખત વિરોધી હતા. તે પોતે ઓછું ખર્ચાળ અને સાદું જીવન જીવતા હતા અને ખાદી જ પહેરતા. ભારતે જ સ્વનિર્ભર થઈ, પોતાના ઉદ્યોગો વિકસાવી, ઉત્પાદન વધારવું જરૂરી છે જેથી કરીને લોકોને બ્રિટિશ વસ્તુઓ ખરીદવાની ફરજ ન પડે – એવા દાદાભાઈ નવરોજીએ કરેલા સંવેદનશીલ ભાષણે યુવાન વાલચંદ ઉપર ખૂબ પ્રભાવ પાડ્યો અને તેમણે ભારતમાં જ વિવિધ ઉદ્યોગો સ્થાપી, બ્રિટિશ ઉદ્યોગોની હરીફાઈ કરવાનો મક્કમ નિર્ધાર કર્યો.

તેમણે વિશાખાપટ્ટનમ્ ખાતે જહાજઉદ્યોગ, બૅંગાલુરુ ખાતે ઍરોપ્લેન બનાવવાનું કારખાનું તથા મુંબઈમાં કુર્લા ખાતે મોટરઉદ્યોગ સ્થાપીને ભારતના ઉદ્યોગવિકાસમાં મહત્ત્વનું યોગદાન આપ્યું. તેઓ ખાંડઉદ્યોગ અને બાંધકામઉદ્યોગ સાથે પણ સંકળાયેલા હતા. તેઓ સાહસિક ઉદ્યોગપતિ તરીકે અગ્રેસર હતા. અંગ્રેજ સરકારની નીતિઓનો જબરો પ્રતિકાર કરતા. ભારત કંઈ પણ હાંસલ કરવાને શક્તિમાન છે તેમ તે ખાતરીપૂર્વક માનતા. તેઓ આંતરરાષ્ટ્રીય વેપારની આંટીઘૂંટીઓને પણ સારી રીતે સમજતા હતા. ભારતમાં તે સમયે એક પણ શિપયાર્ડ ન હોવાને કારણે, તેમણે વિશાખાપટ્ટનમ્ ખાતે જહાજઉદ્યોગ સ્થાપ્યો. મરીન એન્જિનિયરિંગ અને વાયરલેસ કૉમ્યુનિકેશન અને તેવી અન્ય વિદ્યાઓ ભારતવાસીઓએ હસ્તગત કરવી જોઈએ તેવો આગ્રહ પણ તેમણે રાખ્યો હતો. તેમની રચનાત્મક તેમજ સંશોધક કલ્પનાશક્તિએ નૂતન ભારતનો પાયો મજબૂત બનાવવામાં મદદ કરી છે.

અમલા પરીખ