Categories
વાચન સમૃદ્ધિ

વૉલ્તેર

જ. ૨૧ નવેમ્બર, ૧૬૯૪ અ. ૩૦ મે, ૧૭૭૮

મહાન ફ્રેન્ચ તત્ત્વજ્ઞ વૉલ્તેરનો જન્મ પૅરિસમાં મધ્યમવર્ગના કુટુંબમાં થયો હતો. ૧૭૧૧થી ૧૭૧૩ સુધી તેમણે કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો. તે પછી થોડો સમય હોલૅન્ડમાં ફ્રેન્ચ એલચીના સચિવ તરીકે કામ કર્યું. તેઓ માનવતાવાદી હતા અને સામાજિક, રાજકીય, ધાર્મિક સહિષ્ણુતા તથા સમભાવમાં માનતા હતા. વૉલ્તેરે ધર્મઝનૂન તથા નિરીશ્વરવાદનો વિરોધ કર્યો હતો. આવા વિચારોને કારણે તેમની ઘણી વાર ધરપકડ કરવામાં આવી હતી. તેમને બેસ્તિલમાં જેલવાસ ભોગવવો પડ્યો હતો અને દેશનિકાલની સજા પણ ભોગવવી પડી હતી. જેલવાસ દરમિયાન તેમણે એક કરુણ અંતવાળા નાટક(Oedipe)ની રચના કરી હતી. ૧૭૨૬માં થયેલ દેશનિકાલની સજા દરમિયાન ત્રણ વર્ષ ઇંગ્લૅન્ડમાં જઈ રહ્યા હતા. તે સમયે તેમણે ‘એસે-અપોન-એપિક પોએટ્રી’ અને ‘એસે અપોન ધ સિવિલ વૉર ઇન ફ્રાન્સ’ જેવી રચનાઓ કરી હતી. વૉલ્તેરે લેખો, પત્રિકાઓ, નિબંધો, કાવ્યો, નાટકો, સમીક્ષાઓ એમ અનેક પ્રકારનું સાહિત્ય લખ્યું છે. તેમણે સંપૂર્ણ લેખનના ૯૯ ગ્રંથો રચ્યા છે. સમાજનો દંભ ખુલ્લો પાડવા માટે કેટલુંક સુંદર કટાક્ષલેખન કર્યું છે. લગભગ ચૌદ હજાર પત્રો, બે હજાર પત્રિકાઓ, નિબંધો અને પુસ્તિકાઓનું તેમણે સર્જન કર્યું છે. વૉલ્તેર માટે એવું કહેવાય છે કે તેમનું લેખન એટલું સરસ હતું કે તે તત્ત્વજ્ઞાન વિશેનું છે તેવો ખ્યાલ જ ન આવે. વૉલ્તેરે ‘ફિલૉસૉફિકલ ડિક્શનરી’ની રચના કરી. તેમાં તેમણે જણાવ્યું છે કે નૈતિકતા પોષક ધર્મ મતબદ્ધ ધર્મ કરતાં વધુ ઇચ્છનીય છે. પૅરિસ, જિનીવા અને ઍમસ્ટરડૅમમાં તેમની આ ડિક્શનરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેઓ ફ્રેન્ચ પ્રબોધન-આંદોલનના મુખ્ય ચિંતકોમાંના એક હતા.

૧૭૬૭માં તેમણે ભારતનો પ્રવાસ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ‘આપણી ચેસની રમત, આપણા ભૂમિતિના મૂળભૂત સિદ્ધાંતો તથા આપણી બની ગયેલી બોધકથાઓ માટે આપણે ભારતીયોના ઋણી છીએ.’ તેમણે ભારતને ‘જગતની સભ્યતાનું પારણું’ તરીકેની ઓળખ આપી હતી. જાણીતી ફ્રેન્ચ ક્રાંતિ પહેલાં ૧૭૭૮માં તેમનું અવસાન થયું.

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

શિવાલિક ટેકરીઓ

સિંધુ નદીથી બ્રહ્મપુત્ર નદી સુધીની હિમાલયની સળંગ લંબાઈમાં દક્ષિણ તરફ તદ્દન બહાર આવેલી ટેકરીઓ.

આ ટેકરીઓની સર્વપ્રથમ ઓળખ હરદ્વાર પાસે થઈ હોવાથી તેને ‘શિવાલિક રચના’ નામ અપાયેલું છે. આ ટેકરીઓથી બનેલી હારમાળાની પહોળાઈ સ્થાનભેદે ૧૫થી ૩૦ કિમી. અને સરેરાશ ઊંચાઈ ૧૫૦૦ મીટર જેટલી છે. બલૂચિસ્તાનથી મ્યાનમાર સુધીમાં પથરાયેલી આ ટેકરીઓને તેમનાં સ્થાન મુજબ બલૂચિસ્તાનમાં મકરાન, સિંધમાં મંચાર, આસામમાં તિપામ, ડુપીતિલા અને દિહિંગ તથા મ્યાનમારમાં ઇરાવદી-રચના જેવાં નામ અપાયાં છે. આ જ રીતે પૂર્વોત્તર રાજ્યોમાં તે પતકાઈ, નાગા અને મિઝો નામોથી ઓળખાય છે. તેમનો એક ફાંટો જે પશ્ચિમ તરફ લંબાયેલો છે, તે ખાસી, જેંતિયા અને ગારો નામથી જાણીતો છે. ઊંડી ખીણો, ગીચ જંગલો, પુષ્કળ વરસાદ અને હિંસક પ્રાણીઓ તેમ જ માનવભક્ષી આદિવાસીઓને કારણે અહીંનો વિસ્તાર ઓછી વસ્તીવાળો છે.

બંધારણ : શિવાલિક રચનાની ટેકરીઓનું બંધારણ રેતીખડકો, ગોળાશ્મખડકો, શેલ, મૃદ અને કાંપથી બનેલું છે. તે પૈકીના શરૂઆતમાં બનેલા ખડકો દરિયાઈ ખારા પાણીમાં અને પછીથી સ્વચ્છ નદીજળના માહોલમાં તૈયાર થયેલા છે, તેથી મોટા ભાગે તેમની ઉત્પત્તિ નદીજન્ય ગણાય છે. હિમાલયના ઉત્થાનના છેલ્લા તબક્કામાં તે સામેલ થયેલા હોવાથી તે સખત બનેલા છે; એટલું જ નહિ, ગેડીકરણ અને સ્તરભંગની અસરવાળા પણ છે.

આ ખડકરચના આ પ્રમાણેના ત્રણ વિભાગોમાં વિભાજિત કરી શકાય છે : નિમ્ન શિવાલિક, મધ્ય શિવાલિક અને ઊર્ધ્વ શિવાલિક; તે પ્રમાણે તેમનાં અંદાજી ભૂસ્તરીય વય અનુક્રમે મધ્ય માયોસીન (૩ કરોડ વર્ષથી ૨ કરોડ વર્ષ), નિમ્નથી ઊર્ધ્વ પ્લાયોસીન (૨ કરોડથી ૧ કરોડ વર્ષ) અને નિમ્ન પ્લાયસ્ટોસીન (૨૦ લાખથી ૧૬ લાખ વર્ષ) નક્કી કરાયાં છે. તેમાં મળી આવતા જીવાવશેષો પ્રારંભમાં દરિયાઈ ઉત્પત્તિજન્ય અને પછીના જીવાવશેષો નદીજન્ય પાર્થિવ ઉત્પત્તિવાળા છે. તેમાંથી મળી આવતા જીવાવશેષોનું પ્રમાણ વિપુલ છે;  જે ખાતરી કરાવે છે કે તત્કાલીન આબોહવા, જળપુરવઠો, ખાદ્યસામગ્રી જેવા સંજોગોનું અનુકૂલન હતું. તેથી તે વખતમાં અસ્તિત્વ ધરાવતાં પ્રાણીઓનાં હાડપિંજર દટાયેલી સ્થિતિમાં જળવાયેલાં મળી આવેલાં છે. આ રચનામાંથી મળતાં કરોડરજ્જુવાળાં પ્રાણીઓના જીવાવશેષો આજે જોવા મળતાં ભૂમિસ્થિત પ્રાણીઓના જ પૂર્વજો છે. એ વખતની પ્રાણીસંપત્તિ વિપુલ હતી. અત્યારે તો તેના માત્ર ત્રીજા ભાગની પ્રાણીસંપત્તિ બચી છે. શિવાલિક પ્રદેશમાં વસતાં અને ત્યાંના જ વતની હાથી તેમ જ હાથી-સમકક્ષ લગભગ ૨૯થી ૩૦ જેટલી ઉપજાતિઓનું અસ્તિત્વ હતું.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૮, શિવાલિક ટેકરીઓ, પૃ. ૨૯૭) ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી

ગિરીશભાઈ પંડ્યા

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

મીનુ મસાણી

જ. ૨૦ નવેમ્બર, ૧૯૦૫ અ. ૨૮ મે, ૧૯૯૮

સ્વાતંત્ર્યસેનાની અને અગ્રણી સાંસદ. પારસી પરિવારમાં જન્મ. મૂળ નામ મિનોચર રુસ્તમ મસાણી પણ હેતથી બધા મીનુ કહેતા. ૧૯૨૫માં એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી સ્નાતકની ઉપાધિ મેળવી. કૉલેજનાં વર્ષો દરમિયાન યૂસુફ મહેરઅલીના પરિચયમાં આવ્યા, જેમણે કાયદો તથા રાજકારણમાં રસ જગાવ્યો. ત્યારબાદ તેઓ લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સમાં અભ્યાસ માટે ગયા અને ઇંગ્લૅન્ડથી બાર-એટ-લૉની ડિગ્રી લઈ ભારત પાછા આવ્યા. ૧૯૨૯માં મુંબઈ ઉચ્ચ ન્યાયાલયમાં ઍડ્વોકેટ તરીકે વ્યાવસાયિક જીવનનો પ્રારંભ કર્યો હતો. ૧૯૪૩-૪૪માં નગરપતિપદે રહ્યા. ૧૯૩૪માં તેમના નેતૃત્વમાં કૉંગ્રેસ સમાજવાદી પક્ષની મુંબઈ શાખાની સ્થાપના થવાથી તેમાં સહમંત્રી બન્યા. ૧૯૩૫માં કેન્દ્રીય વિધાનસભામાં શામેલ થયા. ૧૯૩૮માં આ જ પક્ષના લાહોર અધિવેશનના તેઓ પ્રમુખ નિમાયા પણ ૧૯૩૯માં તેમણે પક્ષમાંથી રાજીનામું આપ્યું. સ્વતંત્રતા બાદ ૧૯૪૮-૪૯ સુધી બ્રાઝિલમાં ભારતના રાજદૂત તરીકે કાર્ય કર્યું. ૧૯૫૭માં અપક્ષ ઉમેદવાર તરીકે બિહારના રાંચી મતવિસ્તારમાંથી લોકસભામાં ચૂંટાયા અને ૧૯૭૧ સુધી સાંસદ રહ્યા. ૧૯૫૯માં ચક્રવર્તી રાજગોપાલાચારી સાથે જોડાઈને સ્વતંત્ર પક્ષની સ્થાપના કરી. આ દરમિયાન તેઓએ લોકસભામાં મુખ્ય વિરોધપક્ષનો દરજ્જો મેળવ્યો.

૧૯૭૧ની ચૂંટણી હારી ગયા પછી તેમણે રાજકારણમાંથી નિવૃત્તિ લીધી છતાં ડી.આર.એમ. અને ‘ફ્રીડમ ફર્સ્ટ’નું પ્રબંધન જારી રાખ્યું. કટોકટીનો વિરોધ કરવા ‘ફ્રીડમ ફર્સ્ટ’ ત્રૈમાસિકનો પ્રારંભ કરેલો. ૧૯૭૮માં જનતા પક્ષની સરકારે તેમને લઘુમતી પંચના અધ્યક્ષ નીમેલા. તેમણે ભારતની આર્થિક સ્થિતિના સંદર્ભમાં ‘પ્રોજેક્ટ ફોર ઇકૉનૉમિક એજ્યુકેશન’ની સ્થાપના કરેલી. અર્થતંત્ર અને સમાજવ્યવસ્થાને આવરી લેતા વિષયો પર તેમણે ઘણાં પુસ્તકો લખ્યાં છે. ‘અવર ઇન્ડિયા’ (૧૯૪૦) જે શાળાકક્ષાએ પાઠ્યપુસ્તક તરીકે ગણના પામેલું તથા ભારતની વિવિધ ભાષાઓમાં અનૂદિત પણ થયેલું. ‘સોશિયાલિઝમ રીકન્સિડર્ડ’ (૧૯૪૪), ‘પ્લી ફોર અ મિક્સડ ઇકૉનૉમી’ (૧૯૪૭), ‘ટૂ મચ પૉલિટિક્સ, ટૂ લિટલ સિટીઝનશિપ’ (૧૯૬૯) નોંધપાત્ર છે. ‘બ્લિસ બૉઝ ઇટ ધેટ ડૉન’ (૧૯૭૭) અને ‘અગેન્સ્ટ ધ ટાઇડ’ (૧૯૮૧) તેમની આત્મકથાના બે ગ્રંથો છે. ‘વી ઇન્ડિયન્સ’ તેમનો અંતિમ પ્રકાશિત ગ્રંથ છે.

રાજશ્રી મહાદેવિયા