Categories
વાચન સમૃદ્ધિ

યોગ્ય વળતર

અમેરિકાના પ્રમુખ થયા પૂર્વે અબ્રાહમ લિંકન (ઈ. સ. ૧૮૦૯થી ૧૮૬૫) એક સફળ અને નામાંકિત વકીલ હતા. એ સમયે વકીલાતનો વ્યવસાય પ્રમાણિક ગણાતો નહીં. એમાં કાવાદાવા અને છેતરિંપડી ચાલતાં હતાં. સામા પક્ષના સાક્ષીઓને ફોડવા માટે લાંચરુશવત પણ અપાતી હતી. ખોટા કેસને બુદ્ધિચાતુર્યથી કે આક્રમક દલીલબાજીથી સાચા સાબિત કરવાની પેંતરાબાજી પણ થતી, ત્યારે અબ્રાહમ લિંકન કદી પ્રલોભનને વશ થયા નહીં. હીન પ્રણાલીથી અળગા રહ્યા. આ વ્યવસાયને એમના માનવતાવાદી હૃદયસ્પર્શથી એક ગૌરવ અપાવ્યું. પોતાના અસીલની સ્થિતિ પ્રમાણે એની પાસેથી એ વકીલાતની ફી લેતા. કેટલાક કેસમાં તો એ ફી જતી પણ કરતા, પરંતુ જો કોઈ એમના કામની કિંમત ઓછી આંકે અને હાથે કરીને કે ઉપેક્ષાભાવથી મળવી જોઈએ એના કરતાં ઓછી ફી આપવાનો પ્રયત્ન કરે, તો એને બરાબર પદાર્થપાઠ પણ શીખવતા. એક રેલવે કંપનીએ અબ્રાહમ લિંકનને સરક્યૂટ કોર્ટમાં પોતાના વતી કેસ લડવાની કામગીરી સોંપી. અબ્રાહમ લિંકનની સામે ઘણા સમર્થ અને નામાંકિત વકીલો હતા. આ કેસમાં લિંકનની હાર થઈ, પરંતુ એમણે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી અને જીત મેળવી. તેને પરિણામે કંપનીને લાખો ડૉલરનો ફાયદો થયો. અબ્રાહમ લિંકને રેલવે કંપનીને બે હજાર ડૉલરની ફીનું બિલ મોકલ્યું, ત્યારે રેલવેના મૅનેજરે કહ્યું, ‘આટલી બધી ફી હોય ? આટલી ફી આવા સામાન્ય વકીલને ન અપાય.’ એમ કહીને લિંકનને એની ફી પેટે બસો ડૉલરનો ચેક મોકલી આપ્યો. લિંકને જોયું કે આ મૅનેજરને એમના કામની કશી કદર નથી. કંપનીને લાખો ડૉલરનો ફાયદો કરી આપ્યો, છતાં માત્ર બસો ડૉલરનો ચેક મોકલ્યો છે. આજે મારી આવી અવગણના કરે છે. આવતીકાલે બીજાની પણ કરશે. આથી લિંકને રેલવે કંપની પર પાંચ હજાર ડૉલરનો દાવો માંડ્યો. લિંકન એ કેસમાં જીત્યા. બે હજારને બદલે એમને પાંચ હજાર ડૉલર મળ્યા.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

ઉસ્તાદ ઝાકિરહુસેન

જ. ૯ માર્ચ, ૧૯૫૧ અ. ૧૫ ડિસેમ્બર, ૨૦૨૪

તબલાવાદનની કલાના ઉસ્તાદ અને તે દ્વારા વિશ્વભરમાં લોકપ્રિયતા પ્રાપ્ત કરનાર ઝાકિરહુસેનનો જન્મ મુંબઈમાં થયો હતો. પિતા ઉસ્તાદ અલ્લારખાં પંજાબ ઘરાનાના ખ્યાતનામ અને પારંગત તબલાવાદક હતા. તેમની તબલાવાદનની કલા ઝાકિરહુસેનને વારસામાં મળી હતી. શિશુવયથી જ પિતાને મળવા આવતા પ્રસિદ્ધ ગાયકો-વાદકોને મળવાનું થતું. પિતાના સ્ટુડિયોમાં પોતાનું રેકૉર્ડિંગ ચાલતું હોય ત્યારે બાળ ઝાકિરને પોતાની નાની આંગળીઓ વડે તબલાં વગાડવાની તક મળતી. ઝાકિરહુસેનને પિતા અલ્લારખાં ઉપરાંત પંડિત રવિશંકર, ઉસ્તાદ અલી અકબરખાં વગેરે જેવા મહાન વાદક કલાકારોની સંગત કરીને ઘણું શીખવા મળ્યું. તેઓએ તેમના પુરોગામી અને સમકાલીન ધુરંધર કલાકારોને ખૂબ સાંભળ્યા, ખૂબ શીખ્યા અને તબલાંના તાલની વિવિધ ખૂબીઓમાં પારંગત બન્યા. તેમણે દેશ-વિદેશમાં અનેક કાર્યક્રમો આપ્યા અને લોકોને મંત્રમુગ્ધ કર્યા. પશ્ચિમનાં વાજિંત્રો સાથે સંગત કરીને તેમણે જે સંવાદ સાધ્યો તે અજોડ છે. શાસ્ત્રીય સંગીતની સાથે સાથે અવનવા પ્રયોગો કરવામાં પણ તેઓ રસ ધરાવતા. લોકોને આનંદ આપે તેવી સંગીતની નવીનતાને તેઓ સ્વીકારતા. અમદાવાદમાં દર વર્ષે યોજાતા સપ્તક સ્કૂલ ઑવ્ મ્યુઝિકના શાસ્ત્રીય સંગીતના સમારોહમાં તેમના તબલાવાદનનું આયોજન કરવામાં આવતું જે ખૂબ લોકપ્રિય નીવડતું. તેમણે અનેક પ્રશસ્તિપત્રો, ઇનામો, વિશિષ્ટ પદકો અને સુવર્ણચંદ્રકો મેળવ્યાં છે. ૧૯૮૮માં તેમને સંગીતક્ષેત્રે બહુમૂલ્ય યોગદાન બદલ ‘પદ્મશ્રી’ પુરસ્કાર અને ૨૦૦૨માં ‘પદ્મભૂષણ’ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. ૧૯૯૨ અને ૨૦૦૯માં સંગીતના પ્રતિષ્ઠિત પુરસ્કાર ‘ગ્રેમી ઍવૉર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે ૨૦૨૩માં ‘પદ્મવિભૂષણ’ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

સર્બિયા

દક્ષિણ યુરોપનાં પ્રજાસત્તાક રાજ્યો પૈકીનું એક.

તે 44° 50´ ઉ. અ. અને 20° 30´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 77,474 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે હંગેરી, પૂર્વમાં રુમાનિયા અને બલ્ગેરિયા, દક્ષિણમાં મેસિડોનિયા, આલ્બેનિયા તથા પશ્ચિમમાં ક્રોએશિયા, બોસ્નિયા તથા મૉન્ટેનિગ્રો આવેલાં છે. તેના કોસોવા તથા વોજવોદિના પ્રાંતોમાં સ્વાયત્ત શાસનપદ્ધતિ છે. તેનું પાટનગર બેલગ્રેડ છે અને વસ્તી 66,47,૦૦0 (2022) જેટલી છે. ‘સર્બિયા’નો અર્થ ‘સર્બજાતિના લોકોની ભૂમિ’ એવો થાય છે. ડેન્યૂબ સર્બિયાની મુખ્ય નદી છે. અન્ય નદીઓમાં મોરાવા, લીમ, તારા, સાવા વગેરેનો સમાવેશ થાય છે. સર્બિયાની પૂર્વ અને પશ્ચિમ સીમાઓ પર પર્વતો આવેલા છે. ઉત્તર ભાગમાં તેની આબોહવા હૂંફાળી રહે છે જ્યારે પર્વતીય વિસ્તારોમાં શિયાળા ઠંડા રહે છે. દક્ષિણ ભાગમાં શિયાળા ઠંડા તથા ઉનાળા ગરમ અનુભવાય છે.

સર્બિયાની રાજધાની બેલગ્રેડ

સર્બિયામાં કોલસો, તાંબું, સીસું અને જસતનાં ખનિજો મળે છે. કોલસાના ઉત્પાદનમાં દુનિયામાં સર્બિયાનો ક્રમ અઢારમો જ્યારે યુરોપમાં તેનો સાતમો ક્રમ છે. તે ઉપરાંત મજડાનપેક (Majdanpek) વિસ્તારોમાં સોનું પણ મળી આવ્યું છે. અહીંના મુખ્ય ઉદ્યોગોમાં ખનનપ્રવૃત્તિનો; મોટરગાડીઓ, વીજપેદાશો, રસાયણો, ખાદ્ય-પ્રક્રમણ, સુતરાઉ કાપડ, ઔષધો વગેરેને લગતા ઉદ્યોગોનો સમાવેશ થાય છે. નેસ્લે, પેપ્સી, કોકાકોલા, હેઈનકેન (Heineken), કાર્લ્સબર્ગ (Carlsberg) જેવી આંતરરાષ્ટ્રીય કંપનીઓ ઉપરાંત સીમેન્સ (Siemens), પૅનાસૉનિક, ગૉરેન્જ (Gorenje) જેવી મોટી કંપનીઓએ પણ અહીં ઔદ્યોગિક એકમો સ્થાપેલા છે. નૅશનલ બૅન્ક ઑવ્ સર્બિયા અહીંની કેન્દ્રીય બૅન્ક છે જ્યારે બેલગ્રેડ સ્ટૉક-એક્સચેન્જ એકમાત્ર સ્ટૉક-એક્સચેન્જ છે. સર્બિયા સમૃદ્ધ ખેતભૂમિ ધરાવે છે. અહીં ધાન્યપાકો, ફળો, શુગરબીટ, સૂરજમુખીનાં બીજ અને તમાકુનું વાવેતર થાય છે. દુનિયામાં પ્લમ(Plum)ના ઉત્પાદનમાં સર્બિયાનો ક્રમ બીજો જ્યારે રાસબરીના ઉત્પાદનમાં ત્રીજો છે. મકાઈ અહીં મોટા પ્રમાણમાં ઊગે છે. તે ઉપરાંત સોયાબીન, બટાકા, સફરજન જેવી ખાદ્ય પેદાશોનું પણ વાવેતર થાય છે. અહીં પશુપાલનપ્રવૃત્તિ પણ ચાલે છે. અહીં દર વર્ષે લગભગ 1,98,183 ટન જેટલું દારૂનું ઉત્પાદન કરવામાં આવે છે. અહીં વાહનવ્યવહાર માટેના માર્ગો વિકસાવાયા છે. એ માર્ગો અન્ય શહેરો તથા દેશો સાથે જોડાયેલા છે. રેલ-વ્યવસ્થા પણ સારી છે. બેલગ્રેડ અને નીસમાં આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો છે. સર્બિયાના 7૦ %થી વધુ લોકો સર્બ છે. અહીંના અન્ય લોકોમાં આલ્બેનિયન, ક્રોએટ, જિપ્સી હંગેરિયન, સ્લોવાક્સ, રોમેનિયનો, બલ્ગેરિયનો તથા મૉન્ટેનેગ્રિનનો સમાવેશ થાય છે. સર્બિયાના મુસ્લિમોને પણ અહીંના જાતિસમુદાયમાં ગણવામાં આવે છે. મોટા ભાગના સર્બ લોકો ઈસ્ટર્ન ઑર્થોડૉક્સ ચર્ચમાં માને છે. અનેક લોકો રોમન કૅથલિક તથા ઇસ્લામ ધર્મ પાળે છે.

 (સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સર્બિયા, પૃ. 43)

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

અમલા પરીખ