Categories
વાચન સમૃદ્ધિ

પં. મદનમોહન માલવીય

જ. ૨૫ ડિસેમ્બર, ૧૮૬૧ અ. ૧૨ નવેમ્બર, ૧૯૪૬

મહાન દેશભક્ત, બનારસ હિંદુ યુનિવર્સિટીના સ્થાપક અને વરિષ્ઠ પત્રકાર મદનમોહન માલવીયનો જન્મ અલ્લાહાબાદમાં થયો હતો. પિતા વ્રજનાથ અને માતા મૂનાદેવી. બાળપણથી જ તેઓ સંસ્કૃતના શ્લોકો શીખવા માંડ્યા હતા. બારમે વર્ષે તો સંસ્કૃત ભાષા પર પ્રભુત્વ મેળવી લીધું. સ્નાતક થયા બાદ સૌપ્રથમ તેમણે શિક્ષક તરીકેની કારકિર્દી શરૂ કરી. ત્યારબાદૃ ‘હિન્દુસ્તાન’ નામના હિંદી સાપ્તાહિકના તંત્રી બન્યા. બે વર્ષ બાદ તેને દૈનિક બનાવ્યું. ‘ઇન્ડિયન યુનિયન સાપ્તાહિક’ના પણ તંત્રી બન્યા. ૧૮૯૧માં એલએલ.બી.ની પરીક્ષા પસાર કરી અને ૧૮૯૩થી વડી અદાલતમાં વકીલાત શરૂ કરી. તેઓ ઉત્તમ વકીલ તરીકે ખ્યાતિ પામ્યા. કૉંગ્રેસના પ્રમુખ તરીકે ચાર વાર તેમની વરણી થઈ હતી. ૧૯૦૬માં હિંદુ મહાસભાની સ્થાપના કરવામાં સહકાર આપ્યો. ૧૯૦૯માં વકીલાત છોડી દીધી, તે છતાં પણ ચૌરીચૌરાના બનાવમાં ભાગ લેનારામાંથી ૧૫૩ વ્યક્તિઓને મૃત્યુદંડની સજામાંથી મુક્ત કરાવવા માટે મહત્ત્વનો ફાળો આપ્યો. લોકોમાં જાગૃતિ આણવા માટે તથા સમાજની સેવા કરવાના હેતુથી હિંદી ભાષામાં ‘અભ્યુદય’ નામનું સાપ્તાહિક, હિંદી માસિકો અને અંગ્રેજી દૈનિક ‘લીડર’ શરૂ કર્યાં. દેશના ઔદ્યોગિક વિકાસમાં પણ તેમણે ઊંડો રસ લીધો હતો. ૧૯૧૮માં રાષ્ટ્રીય કૉંગ્રેસ અધિવેશન સમયે ‘સત્યમેવ જયતે’ સૂત્ર આપ્યું. હરિદ્વારમાં હરકી પૌડીના ઘાટ પર ગંગામૈયાની આરતીની શરૂઆત તેમણે કરાવેલી. ૧૯૨૪થી તેઓ કેન્દ્રની ધારાસભાના સભ્ય હતા. ૧૯૨૦માં રાજીનામું આપી, ગાંધીજીએ શરૂ કરેલી સવિનય કાનૂનભંગની ચળવળમાં જોડાયા. બનારસ હિંદુ યુનિવર્સિટીની સ્થાપના માટે તેમણે અથાગ પરિશ્રમ અને અવિરત પુરુષાર્થ કરી વિપુલ ધનરાશિ એકત્રિત કરી. ૧૯૧૯થી ૧૯૩૮ સુધી આ યુનિવર્સિટીના ઉપકુલપતિ તરીકે કાર્યરત રહ્યા. તેમણે હિન્દુ સંસ્કૃતિના રક્ષણ અને સંવર્ધન માટે ઘણું કામ કર્યું. તેઓ મહિલા ઉત્કર્ષના અને આંતરજ્ઞાતીય લગ્નોના હિમાયતી હતા. તેમનું અંગત જીવન શુદ્ધ, સાદગીમય અને પવિત્ર હતું.૧૯૬૧ અને ૨૦૧૧માં એમ બે વાર ભારતીય ટપાલખાતાએ તેમની ટિકિટો બહાર પાડેલી. ૨૦૧૪માં તેમને ‘ભારતરત્ન’(મરણોત્તર)થી સન્માનવામાં આવ્યા હતા.

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

જાફરાબાદ

ગુજરાત રાજ્યમાં અમરેલી જિલ્લાનો મહાલ, તેનું મથક અને મધ્યમ કક્ષાનું બંદર. મહાલનું ક્ષેત્રફળ ૩૬૫.૬ ચોકિમી. અને વસ્તી ૯૦,૭૨૬ (૨૦૦૧) છે. અહીં ૫૨૪.૪ મિમી. વરસાદ પડે છે અને બાજરો, ઘઉં, કપાસ અને મગફળી મુખ્ય પાક છે. દરિયાકિનારાથી અંદરના ભાગમાં ચૂનાખડકોની ખાણો આવેલી છે. લોકોનો મુખ્ય ધંધો ખેતી અને મચ્છીમારી છે. વલસાડ જિલ્લાના માછીમારો ઑક્ટોબરથી જાન્યુઆરી સુધી માછલાં પકડવા અહીં આવે છે. જાફરાબાદમાં ૧૦ લાખ ટન સિમેન્ટ ઉત્પન્ન કરી શકે તેવું સિમેન્ટનું કારખાનું છે. જાફરાબાદ શહેર સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારે ૨૦ ૫૨´ ઉ. અ. અને ૭૧ ૨૨´ પૂ. રે. ઉપર અરબી સમુદ્રને કિનારે આવેલું છે. જાફરાબાદની ખાડી ૫ કિમી. લાંબી અને ૧.૬ કિમી. પહોળી છે. નવું બંદર ખાડીના જમણા કાંઠે ૪૦૦ મી.નો બ્રેક વૉટર બાંધીને સુરક્ષિત બનાવાયું છે. ખાડીના ડાબા કાંઠે માછીઓ માટેનો ધક્કો છે. જાફરાબાદ ખાતે લાકડું, વિલાયતી નળિયાં, કપાસિયાં, અનાજ, પેટ્રોલિયમ વગેરે આયાત થાય છે, જ્યારે મીઠું, સિમેન્ટ અને માછલાં નિકાસ થાય છે.

નવું બંદર, જાફરાબાદ

સિમેન્ટનું કારખાનું, જાફરાબાદ

જાફરાબાદની ૨૦૦૧માં ૨૫,૦૮૧ વસ્તી હતી. ત્યાંની ઉચ્ચતર માધ્યમિક શાળા વિવિધલક્ષી શાળા છે. શહેરનું પુસ્તકાલય સમૃદ્ધ છે. જાફરાબાદ સાતમી-આઠમી સદી દરમિયાન ચાવડા રજપૂતોના કબજા નીચે હતું. ત્યારબાદ ચૂડાસમાઓને તાબે હતું. ગુજરાતના સુલતાનોના સમયમાં દીવના રક્ષણ માટે જાફરાબાદમાં થાણું નાખ્યું હતું અને કિલ્લો બાંધ્યો હતો. સુલતાન મુઝફ્ફરશાહના નામ ઉપરથી તેને મુઝફ્ફરાબાદ નામ અપાયું હતું. ૧૫૨૧માં પોર્ટુગીઝોએ દીવ પહેલાં જાફરાબાદ જીતવા પ્રયત્ન કર્યો હતો, ૧૫૩૧માં તુર્કસ્તાનના નૌકાધિપતિ સુલેમાન પાશાએ અહીં તેનો નૌકા-કાફલો રાખ્યો હતો. તેથી પોર્ટુગીઝોના આક્રમણનો તે ભોગ બન્યું હતું. અઢારમી સદીના પૂર્વાર્ધ દરમિયાન અહીં મુઘલ થાણદારનું થાણું હતું. સ્થાનિક કોળીઓ સાથે મળીને ચાંચિયાગીરી કરતા સૂરતના મુઘલ કાફલાના અધિપતિ સીદી હિલાલે આક્રમણ કરી જાફરાબાદનો કબજો લીધો હતો. સીદી હિલાલ જાફરાબાદને વધારે વખત સુરક્ષિત રાખી શકે તેમ ન હતો. તેથી તેણે તે જંજીરાના નવાબને વેચી દીધું. આમ તે જંજીરાના નવાબના કબજા નીચે આઝાદી સુધી રહ્યું હતું. જાફરાબાદનાં શિયાળ, ભેંસલો અને સવાઈ બેટ સહિત ૧૨ ગામો હતાં. આઝાદી પછી જાફરાબાદ મહાલ ભાવનગર જિલ્લા નીચે હતો. ૧૯-૬-૫૯ના સરકારી હુકમથી જાફરાબાદ મહાલને અમરેલી જિલ્લા નીચે મૂકવામાં આવ્યો છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

શિવપ્રસાદ રાજગોર

Categories
વાચન સમૃદ્ધિ

મોહમ્મદ રફી

જ. ૨૪ ડિસેમ્બર, ૧૯૨૪ અ. ૩૧ જુલાઈ, ૧૯૮૦

જાણીતા પાર્શ્વગાયક મોહમ્મદ રફીનો જન્મ પંજાબના અમૃતસર નજીક આવેલા કોટલા સુલતાન સિંઘ ગામમાં એક મુસ્લિમ જાટ પરિવારમાં થયો હતો. છ ભાઈઓના પરિવારમાં તેઓ સૌથી નાના હતા. તેમણે ગામના એક ફકીરની નકલ કરતાં કરતાં ગાવાનું શરૂ કર્યું હોવાથી લોકો તેમને ‘ફિકો’ના હુલામણા નામથી બોલાવતા હતા. રફીએ ઉસ્તાદ બડે ગુલામ અલીખાન, ઉસ્તાદ અબ્દુલ વાહિદખાન, પંડિત જીવનલાલ મટ્ટો અને ફિરોઝ નિઝામી પાસે શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી હતી. મોહમ્મદ રફીએ ૧૩ વરસની વયે જાહેરમાં ગાવાની શરૂઆત કરી હતી. તેમણે ૧૯૪૧માં પાર્શ્વગાયક તરીકે શ્યામસુંદર દિગ્દર્શિત પંજાબી ફિલ્મ ‘ગુલ બાલોચથી શરૂઆત કરી હતી અને પછીનાં વર્ષોમાં ‘ધી બૉમ્બે’ અને ‘ગાંવ કી ગોરી’ જેવી ફિલ્મમાં પણ પાર્શ્વગાયન કર્યું હતું. રફીએ ‘લૈલા-મજનૂ’ અને ‘જુગનુ’ જેવી ફિલ્મમાં અભિનય પણ કર્યો હતો. ફિલ્મ ‘લૈલા-મજનૂ’ના ‘તેરા જલવા જિસને દેખા’ નામના ગીતમાં તેમણે સમૂહગાનના ભાગ રૂપે ગાયું પણ હતું. ૧૯૪૫માં ફિલ્મ ‘ગાંવ કી ગોરી’ માટે ‘અજી દિલ હો કાબુ મેં’ ગીત રેકૉર્ડ કર્યું હતું, જે તેમનું હિન્દી ભાષામાં ગાયેલ પ્રથમ ગીત હતું. મહાત્મા ગાંધીજીની હત્યા બાદ ૧૯૪૮માં મોહમ્મદ રફી, રાજેન્દ્ર ક્રિષ્ના અને હુસેનલાલ ભગતરામે સાથે મળીને રાતોરાત ‘સુનો સુનો એ દુનિયાવાલો, બાપુજી કી અમર કહાણી’ નામનું એક ગીત તૈયાર કર્યું હતું. રફીસાહેબ પોતાના સમયના ઘણા સંગીતકારો સાથે જોડાયેલા હતા. જેમાં નૌશાદ મુખ્ય હતા. નૌશાદ માટે તેમણે કુલ ૧૪૯ ગીત ગાયાં હતાં. આ સિવાય તેમણે એસ.ડી. બર્મન, શંકર-જયકિશન, રવિ, મદનમોહન, ઓ. પી. નૈયર અને લક્ષ્મીકાંત-પ્યારેલાલ સાથે પણ અનેક ગીતો ગાયાં હતાં. ૧૯૬૭માં મોહમ્મદ રફીને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. ૧૯૭૪માં ફિલ્મ વર્લ્ડ મૅગેઝિન દ્વારા સર્વોત્તમ ગાયક તરીકેનો પુરસ્કાર ગીત ‘તેરી ગલિયોં મેં ના રખેંગે કદમ’ ફિલ્મ ‘હવસ’ માટે એનાયત થયો હતો. ૨૦૦૧માં રફીને સદીના સર્વોત્તમ ગાયક તરીકેનું સન્માન ‘હીરો હોન્ડા’ અને ‘સ્ટારડસ્ટ’ સામયિક દ્વારા આપવામાં આવ્યું હતું.

અશ્વિન આણદાણી