Categories
વાચન સમૃદ્ધિ

જિયોલૉજિકલ સર્વે ઑફ

ઇન્ડિયા ================================

ભારતમાં ભૂસ્તરશાસ્ત્રને લગતી સઘળી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ પ્રમુખ સંસ્થા. મુખ્ય મથક કૉલકાતા. તેની સ્થાપના ૧૮૫૧માં પૂર્વ ભારતમાં કોલસાના પૂર્વેક્ષણ (prospecting) માટે થઈ હતી. તેના દ્વારા દરિયાકાંઠાના વિસ્તારો સહિત ભારતના ભૂસ્તરશાસ્ત્રીય, ભૂરાસાયણિક અને ભૂભૌગોલિક નકશાઓ (ધરા અને વાયુસહિત) તૈયાર થયા છે અને તેણે દેશના જુદા જુદા ભાગના સખત ખડક પ્રદેશ (hard rock terrain)ના ૬૮,૦૦૦ કિમી. જેટલા વિસ્તારના નકશા (mapping) તૈયાર કર્યા છે. ભૂસ્તરીય મોજણી દ્વારા તે સંસ્થા વિવિધ ખડકોની સ્તરરચના, સ્તરભંગ, ભૂગેડ, ખનિજ-ઉદભવસ્થાન અને ભૂપૃષ્ઠ-બંધારણનો અભ્યાસ કરે છે. હાલ તેના ઉપક્રમે કુદરતી વાયુ અને તેલ તેમજ પરમાણ્વીય ખનિજો સિવાયનાં ખનિજોનાં અન્વેષણ (exploration) અને મૂલ્યાંકન (evaluation), ભૂપ્રાવિધિક (geotechnical) અન્વેષણ તેમજ ભૂવિદ્યાઓ (earth sciences) અને સંબંધિત વિજ્ઞાનની અન્ય શાખાઓ; જેવી કે, ભૂકાલલેખન (geochron-ography), સ્તરવિજ્ઞાન (stratigraphy), જીવાવશેષશાસ્ત્ર (palaeontology), ખડકવિદ્યા (petrology), દૂરસંવેદન (remote sensing), ખનિજવિજ્ઞાન (mineralogy), ભૂરસાયણ (geochemistry), વૈશ્લેષિક રસાયણ અને ભૂભૌતિક વિજ્ઞાનમાં મૂળગત અને પ્રયુક્ત (applied) – એમ બંને પ્રકારનું સંશોધન ચાલી રહ્યું છે. તદુપરાંત તે ભૂતાપીય(geothermic) ક્ષેત્ર, હિમનદવિજ્ઞાન (glaciology), ભૂકંપશાસ્ત્ર (seismology), પ્રકાશ-ભૂસ્તરશાસ્ત્ર (photo-geology) વગેરેમાં પણ વિશિષ્ટ સંશોધન હાથ ધરી રહેલ છે. સંસ્થાની હૈદરાબાદ અને જયપુરસ્થિત પ્રયોગશાળાઓ ખનિજ પૃથક્કરણમાં કાર્યરત છે. આ ઉપરાંત તે વિવિધ ઇજનેરી પરિયોજનાઓમાં નિષ્ણાત તકનીકી સલાહનું પ્રદાન તેમજ ખનન, જમીન ઉપરાંત નદીઓ અને જંગલોના ઉપયોગ તથા રણનિયંત્રણ વગેરે સાથે સંબદ્ધ ભૂપર્યાવરણીય (geo-environmental) અભ્યાસના ક્ષેત્રમાં પણ પ્રવૃત્તિશીલ છે. એન્ટાર્કટિકાનાં અભિયાનો(expeditions)માં પણ તે પ્રથમથી જ ભાગ લઈ રહેલ છે.

જિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા, કૉલકાતા

સંસ્થામાં કાર્ય કરતા ભૂસ્તરશાસ્ત્રીઓ, ભૂવૈજ્ઞાનિકો, ખનિજ ઇજનેરો વગેરેની ભરતી કેન્દ્રીય સેવા પસંદગી સમિતિ દ્વારા લેવાયેલ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોમાંથી કરવામાં આવે છે. સંસ્થાનું સંચાલન ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ વિભાગોનાં વડાં મથકો અનુક્રમે લખનૌ, હૈદરાબાદ, રાયપુર અને જયપુર વચ્ચે વહેંચાયેલ છે. સંસ્થાનાં ૬ પ્રાદેશિક કાર્યાલયો, ૨૯ સર્કલ કાર્યાલયો અને ૨૫ જેટલી વિશિષ્ટ એજન્સીઓ છે. વિભાગોના કાર્યપાલકો તેમના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારોમાં કેન્દ્રીય ભૂસ્તરીય પ્રોગ્રામિંગ બોર્ડની મંજૂરી અન્વયે રાષ્ટ્રીય અગ્રિમતા મુજબ ભૂસ્તરીય મોજણીની જુદી જુદી યોજનાઓ કાર્યાન્વિત કરે છે. ખાણ-મંત્રાલયની ખનિજ અંગેની સમિતિઓમાં આ સંસ્થાના પ્રતિનિધિ સદસ્ય હોય છે, જ્યારે રાજ્યસરકારના ભૂસ્તરીય કાર્યક્રમ અંગેના બોર્ડમાં જે તે વિભાગના વડા સદસ્ય તરીકે હોય છે. સંસ્થા દ્વારા તેની જુદી જુદી પ્રાદેશિક શાખાઓ કે પાંખો દ્વારા એકઠા કરાયેલા આંકડાઓ એકત્રિત કરી તેમનું સમાનુકરણ (collation) અને પ્રક્રમણ (processing) કર્યા બાદ તેમનું વિતરણ (dissemination) કરવામાં આવે છે. વૈજ્ઞાનિક માનવબળના વિકાસાર્થે સંસ્થા દ્વારા તાલીમ કાર્યક્રમો ઉપર વધુ ભાર મૂકવામાં આવે છે. આમ તે ભારતીય સંસ્થાઓ તેમજ ESCAPના સભ્ય દેશોને મદદ કરી રહી છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

જયંતીભાઈ વિષ્ણુપ્રસાદ ભટ્ટ

Categories
વાચન સમૃદ્ધિ

રોમાં રોલાં

જ. ૨૯ જાન્યુઆરી, ૧૮૬૬ અ. ૩૦ ડિસેમ્બર, ૧૯૪૪

વીસમી સદીના મહાન આધ્યાત્મિક સાધક, નવલકથાકાર, નિબંધકાર અને નાટ્યકાર રોમાં રોલાંનું પૂરું નામ રોમાં એદમે પોલ એમિલ રોલાં હતું. ૧૪ વર્ષની વયે તેઓ પૅરિસમાં અભ્યાસ અર્થે ગયા હતા. ઈકૉલ નૉર્મેલ સુપિરિયરમાં પ્રવેશ મેળવી તેમણે સાહિત્ય, સંગીત અને તત્ત્વજ્ઞાનનો ઊંડો અભ્યાસ કર્યો હતો. ૨૯ વર્ષની વયે તેમણે લખેલ સંશોધનાત્મક પ્રબંધ ‘લે ઓરિજિન્સ દુ થિયેતર લિરિક મૉદર્ન’ને ફ્રેન્ચ અકાદમી તરફથી પારિતોષિક પ્રાપ્ત થયું હતું. રોમાં થોડો સમય શિક્ષક પણ રહ્યા હતા. રોમાં રોલાંના સંગીત પરના વિવેચનની નોંધ યુરોપમાં લેવાતી હતી. ‘સમ મ્યુઝિશિયન્સ ઑવ્ ફૉર્મર ડેઝ’(૧૯૦૮)માં તેમના સંગીત વિષય પરના નિબંધો છે. સંગીત ભાવકને જીવનના મૂળ સ્રોતો સુધી કેવી રીતે લઈ જાય છે તે તેમણે આ નિબંધોમાં સુપેરે દર્શાવ્યું છે. આ સિવાય ‘બીથોવન’ (૧૯૦૩), ‘હેન્દેલ’ (૧૯૧૦), ‘માઇકલૅન્જેલો’ (૧૯૦૫-૦૬) અને ‘ટૉલ્સ્ટૉય’ (૧૯૧૧) તેમણે લખેલાં નોંધપાત્ર જીવનચરિત્રો છે. ‘ધ પીપલ્સ થિયેટર’ નામના પુસ્તકમાં તેમણે નવી રંગભૂમિ વિશેના વિચારો સ્પષ્ટ કર્યા છે. રોમાં રોલાંએ ૧૯૦૪થી ૧૯૧૨ દરમિયાન ‘જ્યૉં-કિસ્તોફ’ નામની મહાન નવલકથાનું સર્જન કર્યું હતું. જે જર્મન સંગીતકારના જીવનનું ગદ્યમાં લખાયેલું મહાકાવ્ય છે. આ વિરાટ નવલકથાએ તેમને ૧૯૧૫નું નોબેલ પારિતોષિક અપાવ્યું હતું. આ નવલકથામાં આવતાં ‘પરોઢ’, ‘સવાર’, ‘યુવાની’, ‘બંડ’, ‘બજાર’, ‘પ્રેમ અને મૈત્રી’ જેવા વિષયોનાં વર્ણનો તેમના સાહિત્યસર્જનનાં અદભુત દૃષ્ટાંતો છે. ત્યારબાદ ‘ધ સૉલ એન્ચેન્ટેડ’ (૧૯૨૨થી ૧૯૩૩) સાત ભાગમાં લખાયેલી નવલકથા છે. રોમાં રોલાંએ ૧૯૨૪માં ‘ગાંધી’નું જીવનચરિત્ર લખેલું. તેમને ગાંધીજીની અહિંસાની વાત ખૂબ ગમી ગઈ હતી. પહેલી મુલાકાતે તેમને ગાંધીજી સેંટ ડોમિનિક અને સેંટ ફ્રાંસિસ જેવા લાગેલા. મીરાબહેનને ગાંધીજીનો પરિચય પણ તેમણે કરાવ્યો હતો. તેમણે મીરાબહેનને કહેલું કે ગાંધીજી એ તો બીજા ઈશુ ખ્રિસ્ત છે. આ એક જ વાક્યે ઇંગ્લૅન્ડના નૌકાદળના અધિકારીની દીકરીને ગાંધીજીની ભક્ત બનાવી દીધી હતી. જીવનનાં છેલ્લાં વર્ષોમાં રોમાં વેઝલેમાં રહેતા હતા. જ્યાં બાળપણથી લાગુ પડેલા ક્ષયરોગને લીધે તેમનું અવસાન થયું હતું.

અશ્વિન આણદાણી

Categories
વાચન સમૃદ્ધિ

જે પરસેવે ન્હાય

અમેરિકાના ન્યૂયૉર્ક રાજ્યના ગવર્નર તરીકે ચાર ચાર વખત પસંદગી પામનાર અલ સ્મિથનું બાળપણ એવી કારમી ગરીબીમાં વીત્યું હતું કે એમના પિતા અવસાન પામ્યા ત્યારે એની પાસે કૉફિનના પણ પૈસા નહોતા. એમની માતા છત્રીના કારખાનામાં રોજ દસ દસ કલાક કામ કરતી હતી અને એ પછી ઘેર આવ્યા બાદ પણ મોડી રાત સુધી બીજું પરચૂરણ કામ કર્યા કરતી. અલ સ્મિથ પોતાની પ્રારંભની જિંદગીમાંથી એક જ પાઠ શીખ્યા કે જિંદગી એ ગરીબી કે સંઘર્ષ નથી, પરંતુ આકરી મહેનત છે. સમય જતાં એ રાજકારણમાં પ્રવેશ્યા અને ન્યૂયૉર્ક સ્ટેટની ધારાસભાના સભ્ય બન્યા. રાજકીય બાબતો અંગે એમને કશું સમજાતું નહીં, પરંતુ ખૂબ લાંબાં અને મુશ્કેલ બિલોને એ ઘણો સમય કાઢીને વાંચ્યા કરતા.  એ સ્ટેટ બૅંક કમિશનના સભ્ય બન્યા, ત્યારે કોઈ બૅંકમાં એમનું ખાતું નહોતું ! પરંતુ મહેનત કરીને એમણે બૅંકના કામકાજની સઘળી માહિતી મેળવી. એ દિવસના સોળ સોળ કલાક કામ કરતા હતા અને પોતાના એ વિષયના અજાણપણાને જાણપણામાં ફેરવી નાખતા હતા. એમણે એવી મહેનત કરી કે દેશના રાજકારણમાં એ અતિ મહત્ત્વની વ્યક્તિ બની ગયા અને ન્યૂયૉર્ક ટાઇમ્સે ‘ન્યૂયૉર્કના સૌથી વધુ પ્યારા અને લાડીલા નેતા’ તરીકે એમની પ્રશંસા કરી. ૧૮૨૮માં અમેરિકાની ડેમૉક્રૅટિક પાર્ટીએ અલ સ્મિથને પોતાના પ્રમુખપદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા. જેને હાઈસ્કૂલમાં ભણવા મળ્યું નહોતું, એવા અલ સ્મિથને એમના અથાગ પરિશ્રમને પરિણામે મેળવેલી સિદ્ધિઓને કારણે અમેરિકાની કોલંબિયા અને હાર્વર્ડ જેવી મહત્ત્વની છ છ યુનિવર્સિટીઓએ માનદ પદવીઓ એનાયત કરી હતી.

કુમારપાળ દેસાઈ