Categories
વાચન સમૃદ્ધિ

મોહમ્મદ રફી

જ. ૨૪ ડિસેમ્બર, ૧૯૨૪ અ. ૩૧ જુલાઈ, ૧૯૮૦

જાણીતા પાર્શ્વગાયક મોહમ્મદ રફીનો જન્મ પંજાબના અમૃતસર નજીક આવેલા કોટલા સુલતાન સિંઘ ગામમાં એક મુસ્લિમ જાટ પરિવારમાં થયો હતો. છ ભાઈઓના પરિવારમાં તેઓ સૌથી નાના હતા. તેમણે ગામના એક ફકીરની નકલ કરતાં કરતાં ગાવાનું શરૂ કર્યું હોવાથી લોકો તેમને ‘ફિકો’ના હુલામણા નામથી બોલાવતા હતા. રફીએ ઉસ્તાદ બડે ગુલામ અલીખાન, ઉસ્તાદ અબ્દુલ વાહિદખાન, પંડિત જીવનલાલ મટ્ટો અને ફિરોઝ નિઝામી પાસે શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી હતી. મોહમ્મદ રફીએ ૧૩ વરસની વયે જાહેરમાં ગાવાની શરૂઆત કરી હતી. તેમણે ૧૯૪૧માં પાર્શ્વગાયક તરીકે શ્યામસુંદર દિગ્દર્શિત પંજાબી ફિલ્મ ‘ગુલ બાલોચથી શરૂઆત કરી હતી અને પછીનાં વર્ષોમાં ‘ધી બૉમ્બે’ અને ‘ગાંવ કી ગોરી’ જેવી ફિલ્મમાં પણ પાર્શ્વગાયન કર્યું હતું. રફીએ ‘લૈલા-મજનૂ’ અને ‘જુગનુ’ જેવી ફિલ્મમાં અભિનય પણ કર્યો હતો. ફિલ્મ ‘લૈલા-મજનૂ’ના ‘તેરા જલવા જિસને દેખા’ નામના ગીતમાં તેમણે સમૂહગાનના ભાગ રૂપે ગાયું પણ હતું. ૧૯૪૫માં ફિલ્મ ‘ગાંવ કી ગોરી’ માટે ‘અજી દિલ હો કાબુ મેં’ ગીત રેકૉર્ડ કર્યું હતું, જે તેમનું હિન્દી ભાષામાં ગાયેલ પ્રથમ ગીત હતું. મહાત્મા ગાંધીજીની હત્યા બાદ ૧૯૪૮માં મોહમ્મદ રફી, રાજેન્દ્ર ક્રિષ્ના અને હુસેનલાલ ભગતરામે સાથે મળીને રાતોરાત ‘સુનો સુનો એ દુનિયાવાલો, બાપુજી કી અમર કહાણી’ નામનું એક ગીત તૈયાર કર્યું હતું. રફીસાહેબ પોતાના સમયના ઘણા સંગીતકારો સાથે જોડાયેલા હતા. જેમાં નૌશાદ મુખ્ય હતા. નૌશાદ માટે તેમણે કુલ ૧૪૯ ગીત ગાયાં હતાં. આ સિવાય તેમણે એસ.ડી. બર્મન, શંકર-જયકિશન, રવિ, મદનમોહન, ઓ. પી. નૈયર અને લક્ષ્મીકાંત-પ્યારેલાલ સાથે પણ અનેક ગીતો ગાયાં હતાં. ૧૯૬૭માં મોહમ્મદ રફીને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. ૧૯૭૪માં ફિલ્મ વર્લ્ડ મૅગેઝિન દ્વારા સર્વોત્તમ ગાયક તરીકેનો પુરસ્કાર ગીત ‘તેરી ગલિયોં મેં ના રખેંગે કદમ’ ફિલ્મ ‘હવસ’ માટે એનાયત થયો હતો. ૨૦૦૧માં રફીને સદીના સર્વોત્તમ ગાયક તરીકેનું સન્માન ‘હીરો હોન્ડા’ અને ‘સ્ટારડસ્ટ’ સામયિક દ્વારા આપવામાં આવ્યું હતું.

અશ્વિન આણદાણી

Categories
વાચન સમૃદ્ધિ

ટિકિટે એની ફરજ અદા કરી છે !

એમનું આખું નામ હતું શ્રી અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર, પરંતુ દીન અને દુ:ખી, પીડિત અને દલિત તથા પછાત લોકોની સેવામાં જાત ઘસી નાખનાર તેઓને ‘ઠક્કરબાપા’ના હુલામણા નામથી સહુ કોઈ ઓળખતા હતા. એક વાર ઠક્કરબાપા ટપાલો જોઈ રહ્યા હતા. ટપાલોના ઢગલામાંથી એક એક કવર લઈ, તેમને ખોલીને વાંચતા હતા. એમની નજીક બેઠેલા અંતેવાસીની નજર એક કવર પર પડી. આ કવર પર ટિકિટ લગાવેલી હતી, પરંતુ તેના પર ટપાલખાતાનો સિક્કો નહોતો. એમનો ઇરાદો એવો હતો કે ટપાલખાતાની આ સિક્કા વગરની ટિકિટનો પુન: ઉપયોગ કરવો. ઠક્કરબાપાની નજર એમની આ ‘પ્રવૃત્તિ’ પર પડી અને તેઓ બોલી ઊઠ્યા, ‘અરે ! કવર પરથી આમ ટિકિટ શા માટે ઉખાડે છે ? એની પાછળ શું કારણ છે ?’ અંતેવાસીએ કહ્યું, ‘આ કવર પર ટપાલખાતાએ સિક્કો લગાવ્યો નથી, તેથી આ ટિકિટનો ફરી ઉપયોગ થઈ શકશે. બીજા કવર પર લગાવીને ટપાલખર્ચ બચાવી શકાશે.’ ઠક્કરબાપાએ અંતેવાસીને કહ્યું, ‘ભાઈ, મને એ કવર આપ. મારે એ કવરની ટિકિટ પર સિક્કો મારવો છે.’ આમ કહીને ઠક્કરબાપાએ પેનથી કવર પર લગાવેલી ટિકિટ પર ચોકડી કરીને કવર પાછું આપ્યું. એમણે કહ્યું કે આવી રીતે ટિકિટ વાપરવી તે અપ્રમાણિકતા કહેવાય. અંતેવાસીએ વિરોધ કરતાં કહ્યું, ‘આમાં વળી અપ્રમાણિકતા શું ? ટિકિટને ફરીથી વાપરવામાં વાંધો શું?’ ઠક્કરબાપાએ અંતેવાસીને કહ્યું, ‘આ જરૂર વાંધાજનક કહેવાય. ટિકિટનું કામ છે ટપાલ પહોંચાડવાનું અને આ ટિકિટે એની ફરજ અદા કરી લીધી છે. એના વપરાશનો અધિકાર પત્ર મોકલનારનો હતો, તે પૂરો થયો છે. હવે આપણે તેનો ફરી ઉપયોગ કરી શકીએ નહીં.’

જીવનની નાની નાની બાબતો પ્રમાણિકતાની કસોટી કરનારી હોય છે. નાનકડી અપ્રમાણિકતા આચરવાથી ક્યાં અપ્રમાણિક બની જવાનું છે, એમ માનનાર ધીરે ધીરે મોટી અપ્રમાણિકતા આચરે છે. નાનકડું બિંદુ પાણીનો હોજ બને તેમ નાનકડી ક્ષતિ મહાન ભૂલોની જન્મદાત્રી બને છે. નાની નાની પ્રમાણિકતાથી જ મોટી પ્રમાણિકતા સધાતી હોય છે. મહાન વ્યક્તિઓના જીવનમાં સાવ સામાન્ય લાગતી બાબતોમાં પણ પ્રમાણિકતા પ્રગટ થાય છે. પ્રમાણિક માનવી ક્યારેય બેચેન બનતો નથી કે ઉજાગરા વેઠતો નથી. અપ્રમાણિક પાસે ધનના ઢગલા હશે, પણ અનિદ્રાના રોગથી પીડાતો હશે. દરેકને જુદી અને જુઠ્ઠી વાતો કહેનારે એ યાદ રાખવું પડે છે કે કોને શું કહ્યું ! કદાચ પકડાઈ જઈશું તો ? જ્યારે પ્રમાણિક માનવી નિરાંતના ઓશીકે ઊંઘી શકે છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

રાસબિહારી ઘોષ

જ. ૨૩ ડિસેમ્બર, ૧૮૪૫ અ. ૨૮ ફેબ્રુઆરી, ૧૯૨૧

હિંદુ-મુસ્લિમ એકતા, રાષ્ટ્રીય કેળવણી, સ્ત્રીશિક્ષણ, વિધવાવિવાહ અને સ્વદેશી જેવા આદર્શોના હિમાયતી એવા રાસબિહારી ઘોષનો જન્મ બર્દવાન જિલ્લાના ટોરકોના ગામમાં થયો હતો. તેઓ ગાંધીજીના આગમન પહેલાંની કૉંગ્રેસના અગ્રગણ્ય નેતા હતા. માધ્યમિક શિક્ષણ બર્દવાનમાં લીધું. કૉલકાતાની પ્રેસિડેન્સી કૉલેજમાંથી સ્નાતક અને ૧૮૬૭માં કૉલકાતા વિશ્વવિદ્યાલયમાંથી અંગ્રેજી વિષય સાથે અનુસ્નાતક થયા. ૧૯૭૧માં ઑનર્સ ઇન લૉની પદવી પ્રાપ્ત કરી. તેઓ ભણવામાં ખૂબ જ તેજસ્વી હતા. એમ.એ.ની પરીક્ષામાં તેમણે સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. ૧૮૭૯માં કૉલકાતા યુનિવર્સિટીમાં ફેલો નિમાયા. ૧૮૯૩-૯૫ના ગાળામાં યુનિવર્સિટીની કાયદાશાસ્ત્રની વિદ્યાશાખાના પ્રેસિડેન્ટ પણ બન્યા. તેમની ગણના બંગાળના પ્રખર શિક્ષણકાર તથા ધારાશાસ્ત્રી તરીકે થતી હતી. ૧૯૦૫માં તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો. ૧૯૦૭માં સૂરત ખાતે તથા ૧૯૦૮માં ચેન્નાઈ ખાતે ભરાયેલા વાર્ષિક અધિવેશનના પ્રમુખ ચૂંટાયેલા. તેઓ ઇન્ડિયન લેજિસ્લેટિવ કાઉન્સિલના પણ સભ્ય હતા. તેઓ ગોપાલ કૃષ્ણ ગોખલેના રાજનૈતિક વિચારોથી ખૂબ પ્રભાવિત હતા. ૧૮૮૪માં કૉલકાતા વિશ્વવિદ્યાલયે તેમને ડૉક્ટર ઑવ્ લૉઝની પદવીથી સન્માન્યા હતા. ૧૯૦૮માં તૈયાર કરવામાં આવેલો સિવિલ પ્રોસિજર કોડ ખરડો તૈયાર કરવામાં તેમનો અમૂલ્ય ફાળો હતો. એક ધારાશાસ્ત્રી તરીકે તેઓ ખૂબ સફળ રહ્યા હતા. અઢળક સંપત્તિના માલિક એવા તેમણે પોતાની મોટા ભાગની સંપત્તિ શૈક્ષણિક હેતુ માટે દાનમાં આપી હતી. તેમણે આપેલા દાનમાંથી અનેક શિક્ષણસંસ્થાઓ ઊભી કરવામાં આવી હતી, જેમાં કૉલકાતા યુનિવર્સિટીની સાયન્સ કૉલેજ, જાદવપુર ટૅકનિકલ કૉલેજ, ટોરકોના જગબંધુ શાળાનો સમાવેશ થાય છે. તેમણે પોતાના ગામમાં શાળાઓ તથા હૉસ્પિટલ પણ શરૂ કરી હતી. બૅંગાલ કેમિકલ્સ અને ફાર્માસ્યૂટિકલ વર્કસની સ્થાપના કરવામાં પણ તેમણે રકમ દાનમાં આપી હતી. ૧૯૦૬-૨૧ દરમિયાન તેઓ નૅશનલ કાઉન્સિલ ઑવ્ એજ્યુકેશનના પ્રમુખ હતા. તેમણે લખેલો ‘લૉ ઑવ્ મૉર્ટ્ગેજિઝ ઇન ઇન્ડિયા’ નામનો ગ્રંથ જાણીતો છે.

અમલા પરીખ