Categories
વાચન સમૃદ્ધિ

શીખ ધર્મ

ગુરુ નાનક દ્વારા સ્થપાયેલો ધર્મ.

શીખ એટલે શિષ્ય. ‘સિક્ખ’ શબ્દ સંસ્કૃત ‘શિષ્ય’ ઉપરથી ઊતરી આવેલો છે. કેટલાક માને છે કે પાલિ ‘સિખ’ (પસંદ કરેલા) પરથી એ બન્યો છે. ગુરુ ગોવિંદસિંહે ‘ખાલસા’ નામ આપ્યું. ‘ખાલસા’ શબ્દ મૂળ ફારસી ‘ખાલીસહ’ – પાદશાહની પોતાની માલિકીનું – એ પરથી બનેલો છે. તેનો પણ આવો જ અર્થ ગણી શકાય. ભારતમાં શીખ ધર્મની સ્થાપના ઈ. સ.ના ૧૬મા સૈકામાં ગુરુ નાનકે (૧૪૬૯-૧૫૩૯) કરી. તેમાં હિન્દુ-ઇસ્લામ ધર્મોનાં શુભ તત્ત્વોનો સમન્વય થયેલો જણાય છે. પંજાબમાં ગુરુ નાનકના જન્મસમયે રાજકીય જુલમ, અજ્ઞાન, અસત્ય અને વહેમ ફેલાયેલાં હતાં. તેમણે સમભાવપૂર્વક હિન્દુ-મુસ્લિમ સૌને માર્ગદર્શન આપ્યું અને પ્રેમ અને નિર્ભયતાથી સૌના પ્રેમ અને આદરપાત્ર બન્યા. ‘ગુરુ નાનક શાહ ફકીર, હિન્દુ કા ગુરુ, મુસલમાનકા ફકીર’; ‘બાબા નાનક સબકા સાંઝા (સખા)’ જેવાં સૂત્રો પ્રચલિત થયાં. એકેશ્વરવાદ, ભ્રાતૃત્વ, ઐક્યની ભાવના, મૂર્તિપૂજા કે વ્રત-ઉપવાસ જેવા ક્રિયાકાંડ કરતાં આચારની શુદ્ધિનો ઉપદેશ અને ‘એક સત્’ નામ – ઈશ્વરના નામનો જપ કરવો – એ આ ધર્મનાં વિશિષ્ટ લક્ષણો છે. ગુરુ અર્જુનસિંહની શહીદી પછી એ નિર્ભય પંથ બન્યો. અને ગુરુ ગોવિંદસિંહે સ્થાપેલા ખાલસા પંથ સાથે એનો વિકાસ પરિપૂર્ણ થયો એમ કહેવાય. તેમણે ‘પંજ પ્યારે’ રૂપે પાંચ અડગ શિષ્યોની વરણી કરી. શીખોને પાંચ ‘ક’ રાખવાનો આદેશ અપાયો : કચ્છ, કેશ, કડું, કંઘી અને કિરપાણ. દરેક શીખના નામમાં ‘સિંહ’ અને મહિલાના નામમાં ‘કૌર’ જોડવાનો આરંભ થયો.

અમૃતસરનું સુવર્ણમંદિર

શીખ ધર્મના ૧૦ ગુરુઓ છે. ગુરુ ગોવિંદસિંહે પોતાના અવસાન-સમયે ‘ગુરુ ગ્રંથસાહેબ’નો વિધિપુર:સર અભિષેક કર્યો. અને ‘ગુરુ ગ્રંથસાહેબ’ને ગુરુનું સ્થાન મળ્યું. તે શીખ ધર્મનો મુખ્ય – મૂળભૂત ગ્રંથ છે. આ ગ્રંથનું સંકલન પાંચમા ગુરુ અર્જુનદેવે ખૂબ મહેનત અને કાળજીપૂર્વક કરેલું. તેમાં ગુરુઓનાં લખાણ, ભક્તો અને સંગીતકારોની રચનાઓ પણ છે. પ્રભાતમાં તેનું જે પાનું ખોલે અને શબ્દ (‘શબદ’) વાંચવામાં આવે તે શીખો માટે તે દિવસની આજ્ઞા બને છે. શીખ ધર્મમાં સદગુરુનો મહિમા ઘણો છે. પ્રભુ ગુરુની કૃપા દ્વારા પ્રાપ્ત થાય છે. મનુષ્યયોનિ સર્વશ્રેષ્ઠ છે. તેથી મનુષ્ય તરીકે જન્મ મળ્યા પછી મનુષ્યે મુક્તિ માટે નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરવો જોઈએ. મનુષ્યજીવનનું લક્ષ્ય છે કે અહંકારરૂપી દીર્ઘ રોગમાંથી મુક્ત થવું. અને એ માટે ગુરુના ઉપદેશ પ્રમાણે આચરણ, નામજપ, સત્સંગ વગેરે કરવાં. પ્રામાણિકપણે મહેનત કરીને ખાવું અને એમાંથી બીજાને પોતાના હાથે આપવું એ જ ધર્મનો માર્ગ છે. શીખ ધર્મમાં તમાકુનો, નશો કરનારી વસ્તુઓના સેવનનો, પરસ્ત્રીગમનનો, પુત્રીને દૂધ પીતી કરવાનો તથા સતી થવાની પ્રથાનો નિષેધ છે. શીખ ધર્મ સંન્યાસીના જીવન કરતાં પવિત્ર ગૃહસ્થજીવનને વધારે મહત્ત્વ આપે છે. આવકના દશાંશનું દાન કરવું, મહેનત કરી ગુજરાન ચલાવવું, જ્ઞાતિભેદ ન રાખવો, સૌને માન આપવું, સ્ત્રીપુરુષને સમાન ગણવાં, શસ્ત્ર વાપરવામાં કુશળતા પ્રાપ્ત કરવી, સત્ય-મધુર વચન બોલવું, કાર્યારંભે પ્રભુનું સ્મરણ કરવું વગેરે આચારોનું વિધાન છે. શીખોમાં પ્રભુનું ‘વાહિ ગુરુ’ નામ જપ અને સ્મરણ માટે પ્રચલિત છે. ‘વાહિ ગુરુ’નો અર્થ છે ‘વિસ્મયકારી મહાન પરમાત્મા કે મહાન પરમાત્માને ધન્યવાદ હજો.’

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૮, શીખ ધર્મ, પૃ. ૩૦૨)

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

જળ-મુરઘી

(Water Hen/Moor Hen)

સમગ્ર વિશ્વમાં જોવા મળતું ભારતનું એક દેખાવડું અને નિવાસી પંખી. તેનું શાસ્ત્રીય નામ છે Gallinula chloropus. તેનો સમાવેશ Gruiformes શ્રેણી અને Rallidae કુળમાં થાય છે. તેનું કદ તેતરથી મોટું એટલે કે ૩૨ સેમી. જેટલું હોય છે. ભારતની જાતને ‘ઇન્ડિયન મુરહેન’ કહે છે. તેની પીઠ અને પાંખો કાળાશ પડતી કથ્થાઈ અને સ્લેટિયા રંગની હોય છે. તેનું પેટાળ ઘેરા રાખોડી રંગે શોભે છે. માથાની નીચેનો ભાગ, ડોક અને છાતી પણ ઘેરા કાળાશ પડતા રાખોડી રંગનાં હોય છે. પડખામાં સફેદ આડો પટ્ટો હોય છે. ચાંચ લાલ, પણ અણી તરફ પીળી હોય છે. ચાંચથી કપાળ સુધીની માંસપેશી લાલ હોય છે. પગ લીલા રંગના હોય છે. પૂંછડી નીચેથી સફેદ અને વચમાં કાળા પટ્ટાવાળી હોય છે.

તે સંતાકૂકડીઓ કે જળમુરઘા જેવી શરમાળ હોતી નથી. તે તેની ડોક તાલબદ્ધ રીતે આગળપાછળ ડોલાવતી તરતી જોવા મળે છે. તે પાણીની અનુકૂળતા પ્રમાણે સ્થાનિક મુસાફરી કરે છે. શિયાળામાં મધ્ય એશિયા અને પશ્ચિમના દેશોમાંથી જળમુરઘી ભારત આવે ત્યારે તેમની સંખ્યામાં સારો એવો વધારો થાય છે. પાણીમાંથી ઊડતી વખતે પાંખો ફફડાવતી થોડે સુધી પાણી ઉપર દોડીને હવામાં ઊંચકાય છે, ત્યારે પગ લબડતા રાખે છે. ભય લાગે ત્યારે ભાગવાને બદલે વનસ્પતિમાં છુપાઈ જાય છે. ડૂબકી મારવામાં તે હોશિયાર છે. તેને તેની ટૂંકી પૂંછડી અવારનવાર ઊંચીનીચી કર્યા કરવાની ટેવ હોય છે. ભારત-એશિયા, યુરોપ, આફ્રિકા, અમેરિકા અને બીજા ટાપુઓમાં તે જોવા મળે છે. તે પાણીમાં જ મોટા ભાગે ફરે-ચરે છે. નદી કે તળાવના બંધિયાર પાણીના ઉપરવાસમાં ઊગેલા ઘાસના વનમાં તે વધુ સંતાઈ રહે છે. પાણીની વનસ્પતિ અને તેનાં બીજ, કૂંપળો તેમજ પાણીનાં જીવડાં અને તેમની ઇયળો તેનો મુખ્ય ખોરાક હોય છે. નર અને માદા સરખાં હોય છે. તે ‘કુટ્રક-કુટ્રક-કુક-કુક’ જેવો અવાજ કરતું સંભળાય છે. તેનો પ્રજનનકાળ જૂનથી સપ્ટેમ્બરના ચોમાસાનો ગણાય છે. પાણીના ઘાસ-ચીયા કે બરુનાં રાડાંનો તરતો માળો ગીચ ઘાસમાં કરે છે. તેમાં તે બદામી કે પીળાશ પડતાં ૫થી ૧૪ ઈંડાં મૂકે છે. તેના કપાળનો લાલ રંગ માળાની ઋતુમાં જ ઘેરો બને છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

બળદેવભાઈ કનીજિયા

Categories
વાચન સમૃદ્ધિ

શીમળો

ભારતમાં ઘણાખરા ભાગોમાં ઊગતું એક મોટું વૃક્ષ.

શીમળાનાં બીજાં નામોમાં ‘શાલ્મલી’ (સં.), ‘સેમલ’ (હિં.) અને ‘સિલ્ક કૉટન ટ્રી’(અં.)નો સમાવેશ થાય છે.

આ વૃક્ષો ઘણાં ઊંચાં (૪૦ મી. સુધી) અને ખૂબ ફેલાયેલાં હોય છે. આ વૃક્ષનું મુખ્ય થડ ૨૪-૩૦ મી. ઊંચું હોય છે. તેના પર શંકુ આકારના સખત અને મજબૂત કાંટા આવેલા હોય છે. થડનો ઘેરાવો ૬.૦ મી. કે તેથી વધારે હોય છે. થડના નીચેના ભાગે આધાર આપતી પહોળી રચનાઓ આવેલી હોય છે. તેની શાખાઓ મોટી હોય છે અને આડી ચક્રાકારે ફેલાયેલી હોય છે. તેનાં પાન મોટાં અને પંજાકાર, સંયુક્ત પ્રકારનાં હોય છે. દરેક પાન ૫-૭ ભાલાકાર પર્ણિકાઓનું બનેલું હોય છે. શિયાળામાં તમામ પાન પાકીને ખરી જાય છે ત્યારે ઝાડ ઠૂંઠા જેવું લાગે છે. વસંત ૠતુમાં ઝાડ પર જ્વાળાઓના જેવાં લાલ રંગનાં આકર્ષક મોટાં ફૂલ આવે છે. તેનાથી આખું ઝાડ ભરાઈ જાય છે અને તે દૂરથી અત્યંત સુંદર લાગે છે. શીમળાના ઝાડ પર ત્યારે વિવિધ પક્ષીઓ ફૂલનો મીઠો રસ પીવા આવે છે. તેના ફૂલનો આકાર નાની પ્યાલી જેવો હોય છે. તે પાંચ પાંખડીઓ ધરાવે છે. તેની ઉપર શાખાઓને છેડે લીલા રંગનાં ઊભાં સોગઠાં હોય તેવાં નાનાં ફળ આવે છે. ત્યારબાદ આ ફળ લંબગોળ આકારનું થાય છે. તેની અંદર પાંચ પોલાણો અને પાંચ પડદા હોય છે. જ્યારે ફળ ફાટે ત્યારે તેમાંથી અસંખ્ય બીજ નીકળે છે. તેમની ફરતે ખૂબ મૃદુ, ચળકતા, આછા સફેદ રંગના ઘટ્ટ, રેશમી રેસાઓ આવેલા હોય છે. બીજનો પવન દ્વારા દૂર દૂર સુધી ફેલાવો થાય છે. ચોમાસામાં જમીન પર પડેલાં બીજ અંકુરણ પામે છે.

શીમળાનું વૃક્ષ

તેના મૂળને ‘મૂસલા’ કે ‘સેમૂલ મૂસલા’ કહે છે. તેઓ રસદાર અને કંદ જેવાં હોવાથી ભૂંજીને ખાવાના ઉપયોગમાં લેવાય છે. ફૂલોની કળીઓને ‘સેમરગુલ્લા’ કહે છે. તેનો શાકભાજી તરીકે ઉપયોગ થાય છે. તેનું લાલ રંગનું કાષ્ઠ સફેદ રંગના કાષ્ઠ કરતાં ઊંચી ગુણવત્તાવાળું ગણાય છે. તેનો ઉપયોગ દીવાસળીનાં ખોખાં, પ્લાયવૂડ, રમકડાં, બ્રશના હાથા, ચા તથા ફળનાં ખોખાં બનાવવામાં અને બળતણ તરીકે થાય છે. શીમળાના રેસા રૂનું કામ આપે છે. તેમને જીવાત ન લાગતી હોવાથી તેમનો રજાઈ, ગાદી, તકિયા અને ઓશીકાં ભરવામાં ઉપયોગ થાય છે. શીમળાની છાલ અને થડમાંથી નીકળતો ગુંદર ઔષધ તરીકે ઉપયોગી છે. તે રક્તપિત્ત, ઉગ્ર મરડો, ફેફસાંનો ક્ષય અને ઇન્ફ્લુએન્ઝા જેવા રોગોની સારવારમાં વપરાય છે. તેની છાલ ઘા ઉપર શેક કરવા માટે તથા તેનો મલમ ચામડી ઉપર થતા ફોલ્લાઓ પર લગાડવામાં આવે છે. છાલના રેસામાંથી દોરડાં બનાવાય છે. બીજમાંથી નીકળતું તેલ પીળા રંગનું હોય છે. તે કપાસિયાના તેલની અવેજીમાં, સાબુની બનાવટમાં અને દીવામાં વપરાય છે. બીજના ખોળમાં સારા એવા પ્રમાણમાં પ્રોટીન હોવાથી ઢોરોનો તે ઉત્તમ ખોરાક છે.

શીમળો રસ્તાની બંને બાજુએ, ઉદ્યાનોમાં અને જંગલોમાં ઉગાડવામાં આવે છે. પુરાણો, કાવ્યો વગેરેમાં તેનો ઉલ્લેખ થયેલો છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી

અંજના ભગવતી