Categories
વાચન સમૃદ્ધિ

આફ્રિકા

વિશ્વના ૭ ખંડોમાંનો એક. ભૌગોલિક સ્થાન : ૩૬° ઉ. અ.થી ૩૫° દ. અ. અને ૧૭° ૨૫´ પ. રે.થી ૫૧° પૂ. રે. વચ્ચેનો ૩.૦૩ કરોડ ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ ખંડ વિશાળતાની દૃષ્ટિએ અમેરિકા પછી બીજા અને વસ્તીની દૃષ્ટિએ એશિયા, યુરોપ પછી ત્રીજા ક્રમે આવે છે. વિષુવવૃત્ત આ ખંડના મધ્ય ભાગમાંથી પસાર થાય છે. આથી આ ખંડનો વિષુવવૃત્તની ઉપરનો ભાગ ઉત્તર ગોળાર્ધમાં અને વિષુવવૃત્તની નીચેનો ભાગ દક્ષિણ ગોળાર્ધમાં આવેલા છે. કર્કવૃત્ત અને મકરવૃત્ત પણ આ ખંડમાંથી પસાર થાય છે. ચારેય બાજુ સમુદ્રથી ઘેરાયેલો આ ખંડ એક નાની પટ્ટી જેવી ભૂમિ સુએઝ વિસ્તાર દ્વારા એશિયા ખંડ જોડે જોડાયેલો છે. આફ્રિકાની ઉત્તરે ભૂમધ્ય સમુદ્ર, ઈશાને રાતો સમુદ્ર, પૂર્વે હિંદી મહાસાગર અને પશ્ચિમે આટલાન્ટિક મહાસાગર આવેલા છે. આ ખંડમાં કુલ ૫૫ દેશો આવેલા છે. આફ્રિકાનો કિનારો ખાંચાખૂંચી વગરનો હોઈ અહીં બંદરો ઓછાં છે. પૂર્વ કિનારાની ગિરિમાળામાં કિલિમાન્જારો, માઉન્ટ કેન્યા અને માઉન્ટ રૂએન્ઝીરી સૌથી ઊંચાં હિમાચ્છાદિૃત જ્વાળામુખીનાં શિખરો છે. વિશ્વની લાંબામાં લાંબી નાઇલ નદી, કૉંગો, નાઇજર અને ઝાંબેઝી. ઝાંબેઝી નદીમાં વિશ્વનો મોટામાં મોટો ધોધ વિક્ટોરિયા છે.

અહીંનાં વૃક્ષો નાનાં અને ઉપરથી છત્રી આકારનાં હોય છે. અહીંનાં પશુપક્ષીઓમાં ઘણી વિવિધતા જોવા મળે છે. સિંહ, હાથી, જિરાફ, ગેંડા, ઉરાંગઉટાંગ જેવાં પ્રાણીઓ છે. ગરમ રણપ્રદેશમાં જ્યાં પેટાળમાંથી પાણી મળી રહે છે ત્યાં ખજૂરીનાં વૃક્ષો ઉછેરવામાં આવે છે. ત્યાં કપાસ, ચોખા, શેરડી, તમાકુ, દ્રાક્ષ, જુવાર, બાજરી અને ફળોની ખેતી પણ થાય છે. ગીચ જંગલોવાળા પ્રદેશની મુખ્ય પેદાશ ઇમારતી લાકડું છે. હવે આ જંગલોને સાફ કરી ત્યાં રબર, તેલતાડ, કોકો, કેળાં વગેરેની ખેતી થાય છે. આફ્રિકામાં સોનું, હીરા, કોલસો, તાંબું, યુરેનિયમ અને ખનિજતેલ મળે છે. આફ્રિકાની કુલ વસ્તી આશરે યુ.નો. દ્વારા દર્શાવેલી માહિતી અનુસાર ૧.૫૦ અબજ (૨૦૨૫, આશરે) જેટલી છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, આફ્રિકા, પૃ. 110)

Categories
વાચન સમૃદ્ધિ

દારેસલામ

ટાન્ઝાનિયાની રાજધાની, મુખ્ય બંદર અને સૌથી મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 6° 48´ દ. અ. અને 39° 17´ પૂ. રે.. ઝાંઝીબારથી દક્ષિણે 60 કિમી. દૂર હિંદી મહાસાગરના કિનારે તે આવેલું છે. અરબીમાં દારેસલામનો અર્થ ‘શાંતિનું ધામ’ થાય છે.  આ કુદરતી બંદર ભૂમિથી ઘેરાયેલું – રક્ષાયેલું છે. વિસ્તાર : 1393 ચોકિમી. તેની વસ્તી આશરે 85 લાખ (2025) છે. આ શહેર વિષુવવૃત્તની દક્ષિણે આવેલું છે. ત્યાં હવા ગરમ અને ભેજવાળી હોય છે. આખા વરસ દરમિયાન સરેરાશ તાપમાન 26° સે. રહે છે. વરસ દરમિયાન સરેરાશ 1067 મિમી. વરસાદ પડે છે. અહીં ડાંગર, મકાઈ, શેરડી, રૂ, સીસલ, કૉફી, નારિયેળ, તમાકુ, કાજુ અને લવિંગ ખેતીના પાકો છે. સોનું, હીરા, મીઠું અને ફૉસ્ફેટ એ ત્યાંનાં મુખ્ય ખનિજો છે.

બીજા વિશ્વયુદ્ધ (1939–45) પછી આ નગરનો ઝડપી ઔદ્યોગિક વિકાસ થયો છે. કાપડ, સાબુ, રંગ, સિમેન્ટ, રસાયણ, દવા, કાચ, સિગારેટ, મોટર વગેરે ઉદ્યોગો ઉપરાંત દારૂ, ધાતુની વસ્તુઓ અને ખોરાકી ચીજો બનાવવાના ઉદ્યોગો ત્યાં વિકસ્યા છે. 1956 પૂર્વે આ બંદરે આરબ વહાણો અને બજરા (barge) અને લાઇટરો દ્વારા માલની ચડઊતર થતી હતી. 1956માં ઊંડા પાણીમાં પ્રિન્સેસ માર્ગારેટ ધક્કો બંધાતાં કિનારા સુધી સ્ટીમરો આવે છે. આ બંદર દ્વારા રૂ, સીસલ, કૉફી, ચામડાં, હીરા, સોનું, મીઠું અને કાજુની નિકાસ થાય છે; જ્યારે યંત્રો, દવા, પેટ્રોલિયમ, કાપડ વગેરેની આયાત થાય છે. 1907માં દારેસલામને ટાંગાનિકા સરોવર ઉપરના કિગોમાને જોડતી 1,255 કિમી. લાંબી રેલવેલાઇન નંખાઈ. તેની એક શાખા ટબોરાથી ઉત્તરે લેક વિક્ટોરિયા ઉપરના મ્વાંઝા સુધી અને બીજી શાખા કીલોસાથી કિલોમ્બેરો ખીણ અને રૂવુથી ટાંગા લાઇન ઉપરના મન્યુસી સુધી જાય છે. અહીં હવાઈ મથક પણ છે. 1945 પછીથી ત્યાં સરકારી અને વેપારીગૃહોનાં આલીશાન મકાનો બંધાયાં છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9, દારેસલામ, પૃ. 311 અથવા જુઓ https://gujarativishwakosh.org/દારેસલામ/)

Categories
વાચન સમૃદ્ધિ

આબુ પર્વત

રાજસ્થાનની અરવલ્લી પર્વતમાળામાં આવેલું હવા ખાવાનું સ્થળ. આબુ પર્વત ૨૪° ૩૬´ ઉ. અક્ષાંશ અને ૭૨° ૪૫´ પૂ. રેખાંશ પર આવેલ છે. તે અરવલ્લી પર્વતમાળાના એક ભાગરૂપ છે. તેની લંબાઈ આશરે ૩ કિમી. અને પહોળાઈ ૧૦ કિમી. જેટલી છે. આબુ પર્વતમાળાનું સર્વોચ્ચ શિખર ‘ગુરુશિખર’ સમુદ્રની સપાટીથી ૧૭૨૨ મીટરની ઊંચાઈ ધરાવે છે. આ પર્વતનાં મુખ્ય શિખરોમાં પાર્ક ટેકરી, ભિગાલિયા ટેકરી, અધ્ધરદેવી ટેકરી, અચલગઢ અને સનસેટ પૉઇન્ટ મુખ્ય છે. માઉન્ટ આબુ હવા ખાવાનું પ્રખ્યાત સ્થળ ગણાય છે. દિલ્હી-અમદાવાદ રેલમાર્ગ ઉપર આબુ રોડ સ્ટેશનથી મોટરમાર્ગે આબુ પર્વત ઉપર પહોંચી શકાય છે. ઈ. સ. ૧૯૫૬ સુધી આબુ ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાનો ભાગ હતો; પરંતુ ત્યારબાદ તેને રાજસ્થાનના સિરોહી જિલ્લામાં ભેળવી દેવામાં આવ્યો છે.

પુરાણકથા પ્રમાણે પ્રાચીન કાળમાં અહીં ખીણ-વિસ્તાર પણ હતો. બાજુમાં વસિષ્ઠ ઋષિનો આશ્રમ હતો. ઋષિની ગાય કોઈ કોઈ વાર ખીણમાં પડી જતી. આથી ઋષિએ તેમના શિષ્ય અર્બુદને બોલાવી ખીણ પુરાવી દીધી. અર્બુદ પોતે ખીણ ઉપર વસી ગયો. આ ઉપરથી આ પર્વત અર્બુદાચલ કહેવાયો. સમયાંતરે તેનું નામ ‘આબુ’ થયું. અધ્ધરદેવી કે અર્બુદાદેવીનું પ્રખ્યાત મંદિર અહીં આવેલું છે. પર્વત ઉપર ઘણાં પૌરાણિક-ધાર્મિક તથા ઐતિહાસિક સ્થળો છે. હિન્દુઓ અને જૈનોનું આ પવિત્ર તીર્થક્ષેત્ર છે. આરસની સુંદર કોતરણીવાળાં દેલવાડાનાં દેરાં અનુપમ છે. વારંવાર જોવાનું મન થાય એવું તેનું શિલ્પ અને સ્થાપત્ય તેની એક આગવી અસ્મિતા દાખવે છે. ગુજરાતના તે સમયના જૈન મંત્રીઓ વસ્તુપાળ તથા તેજપાળે તે બંધાવેલાં. આ ઉપરાંત નખી તળાવ, ટૉડ રૉક, ગૌમુખ, રઘુનાથજીનું મંદિર વગેરે પણ જોવાલાયક સ્થળો છે. ગિરિમથક હોવાને કારણે ઉનાળામાં અહીં પ્રવાસીઓની સખત ભીડ રહે છે. ચોમાસામાં અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઊઠે છે. પ્રવાસીઓ માટે અહીં આવાસની સુંદર સુવિધા છે. અહીં કેટલીક મિશનરી શાળાઓ પણ આવેલી છે. પ્રજાપિતા બ્રહ્માકુમારીનો આશ્રમ પણ અહીં છે. આ ઉપરાંત ગુરુશિખરની નજીકની ટેકરી પર સંદેશાવ્યવહારની સુવિધા માટે ટાવર ઊભું કરાયું છે. આ રીતે જોતાં તેનું વ્યૂહાત્મક મહત્ત્વ વધી જાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, આબુ પર્વત, પૃ. 112)