Categories
વાચન સમૃદ્ધિ

સુએઝ નહેર

ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્રને જોડતો, ઇજિપ્તમાં આવેલો માનવસર્જિત જળમાર્ગ.

આ નહેર ઉત્તરમાં પૉર્ટ સઈદ (Said) અને દક્ષિણમાં સુએઝ બંદર ધરાવતા શહેર વચ્ચે સુએઝની સંયોગીભૂમિને વીંધતી ઉત્તર-દક્ષિણ વિસ્તરેલી છે. તેની લંબાઈ આશરે ૧૯૦ કિમી. જેટલી છે. નેપોલિયને જ્યારે ૧૭૯૮માં ઇજિપ્ત પર આક્રમણ કર્યું, ત્યારે તેણે સુએઝની સંયોગીભૂમિ આરપાર જળમાર્ગ થાય તો અંતર ઘટે અને વ્યાપાર-વણજ વધે તેવું વિચારેલું. આ વિચારને મૂર્ત સ્વરૂપ આપવા ફ્રેન્ચ મુત્સદ્દી અને નહેરો બાંધનાર ફર્ડિનાન્ડ દ લૅસેપ્સને તેનો નકશો બનાવવાની કામગીરી સોંપી. ૧૮૫૪માં ઇજિપ્તના શાસક સઈદ પાશા પાસેથી આ પ્રકલ્પ માટેની મંજૂરી મેળવી, ૧૮૫૫માં માર્ગના વ્યવસ્થિત આયોજન માટે આંતરરાષ્ટ્રીય તકનીકી પંચ મળ્યું. ૧૮૫૮ સુધીમાં આ અંગેના વહીવટ માટે સુએઝ કૅનાલ કંપની સ્થપાઈ, જેના ફ્રેન્ચ અને ઑટોમન સામ્રાજ્યે મોટી સંખ્યામાં શૅર લીધા. ૧૮૫૯ના એપ્રિલની ૨૫મી તારીખે નહેરનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું. ૧૦ વર્ષ બાદ ૧૮૬૯ના નવેમ્બરની ૧૭મી તારીખે તે નહેર ખુલ્લી મુકાઈ. ૧૯૬૮ સુધીનાં ૧૦૦ વર્ષ માટે સુએઝ કૅનાલ કંપનીને રાહતદરે તે નહેરના ઉપયોગ સંબંધી વહીવટ સોંપવામાં આવ્યો.

સુએઝ નહેર

આ જળમાર્ગ થવાથી યુરોપીય દેશો અને ભારત વચ્ચે અંદાજે ૯૭૦૦ કિમી. જેટલું અંતર ઘટી ગયું છે. ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્રની જળસપાટીમાં ખાસ તફાવત ન હોવાથી તેમાં પનામા નહેરમાં છે એવી લૉકગેટની વ્યવસ્થા ગોઠવેલી નથી. આ નહેર જ્યારે બાંધવામાં આવી ત્યારે તેની ઊંડાઈ ૮ મીટર, તળભાગની પહોળાઈ ૨૨ મીટર અને સપાટીની પહોળાઈ ૭૦ મીટર જેટલી હતી, પરંતુ તે પછી મોટાં જહાજોની હેરફેર માટે તેને ઘણી વધુ પહોળી કરવામાં આવી છે. આજે તેની ઊંડાઈ ૧૯ મીટર, તળભાગની પહોળાઈ ૯૨ મીટર અને સપાટીની પહોળાઈ ૨૨૬ મીટર જેટલી છે. ૧૮૮૮માં આંતરરાષ્ટ્રીય પરિષદે એકમતે નિર્ણય કર્યો કે આ નહેરને બધાં જ રાષ્ટ્રો માટે શાંતિના તેમ જ યુદ્ધના સમયમાં પણ ખુલ્લી રાખવી; પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધ(૧૯૧૪-૧૯૧૮)માં યુ.કે.એ આ જળમાર્ગ પર પ્રભુત્વ સ્થાપી દીધું.બીજા વિશ્વયુદ્ધ(૧૯૩૯-૧૯૪૫)માં પણ યુ.કે.નું પ્રભુત્વ જળવાઈ રહ્યું હતું. આ યુદ્ધો દરમિયાન શત્રુ દેશો માટે આ નહેરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ હતો. ઇજિપ્ત સાથે ૧૯૫૪માં થયેલા કરાર મુજબ બ્રિટિશ દળોએ ૧૯૫૬માં આ નહેર ઇજિપ્તને સોંપી દીધી. આ જ વર્ષમાં યુ.એસ. અને યુ.કે.એ નાઇલ નદી પરના આસ્વાન બંધ માટેની સહાય બંધ કરી. પરિણામે ઇજિપ્તમાં રાષ્ટ્રીય ચળવળ ઊભી થતાં ૧૯૫૬ના જુલાઈની ૨૬મી તારીખે ઇજિપ્તના તત્કાલીન પ્રમુખ ગમાલ અબ્દુલ નાસરે નહેર પર પ્રભુત્વ મેળવી લીધું. બ્રિટન, ફ્રાન્સ અને પશ્ચિમ દેશોએ આનો વિરોધ કર્યો. આ ઘટનાને સુએઝ કટોકટી તરીકે ઓળખવામાં આવેલી છે. આ જ વર્ષમાં ઇઝરાયલ, બ્રિટન અને ફ્રાન્સે ઇજિપ્ત પર આક્રમણ કર્યું. યુ.એન.ની દરમિયાનગીરીને કારણે યુદ્ધ સ્થગિત થયું અને ૧૯૫૭માં આ નહેર ખુલ્લી મૂકવામાં આવી. ૧૯૬૭માં થયેલા આરબ-ઇઝરાયલ યુદ્ધના ગાળા દરમિયાન આ માર્ગ બંધ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ ૧૯૭૫માં આ જળમાર્ગ ઇજિપ્ત દ્વારા ફરીથી ખુલ્લો મૂકવામાં આવેલો છે. ૧૯૭૯માં ઇજિપ્તે નહેરના ઉપયોગની ઇઝરાયલ માટેની મનાઈ ઉઠાવી લીધી. ૧૯૮૦માં સુએઝ શહેરથી ૧૬ કિમી. ઉત્તર તરફ નહેર હેઠળ બોગદું બાંધીને મોટરવાહનો માટે તે ખુલ્લું મુકાયું છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-10 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

ટોંગા

દક્ષિણ મધ્ય પૅસિફિક મહાસાગરમાં આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા(International Date Line)ની પશ્ચિમે આવેલો ૧૭૦ ટાપુઓનો બનેલો દેશ. ભૌગોલિક સ્થાન : ૨૦° દ. અ. અને ૧૭૫° પ. રે. આ ટાપુઓ ૧૫° દ. અ. થી ૨૩° ૩૦´ દ. અ. અને ૧૭૩° થી ૧૭૭° પ. રે. વચ્ચે આવેલા છે. તે ફિજીથી પૂર્વમાં ૬૪૦ કિમી. અને ઑસ્ટ્રેલિયાના સિડની  શહેરથી ઈશાન ખૂણે ૩૦૦૦ કિમી. દૂર છે. તેનું ક્ષેત્રફળ ૭૪૮ ચોકિમી. છે. પશ્ચિમ તરફના ટાપુઓ જ્વાળામુખીને કારણે ઉદભવ્યા છે, જ્યારે પૂર્વ તરફના ટાપુઓ ચૂનાના ખડકોવાળા છે. દક્ષિણમાં ટોંગા ટાપુ, ઉત્તરમાં વાવઉ જૂથ અને મધ્યમાં હાપાઈ જૂથના ટાપુઓ છે. ટોંગા સૌથી મોટો ટાપુ છે. મૃત જ્વાળામુખી કાઓ ૧૦૩૩ મી. ઊંચો છે. કેટલાક જ્વાળામુખી પર્વતો સમુદ્રમાં ડૂબેલા છે. ટોકુઆ ટાપુ ઉપરનો જ્વાળામુખી તથા અન્ય જ્વાળામુખી પર્વતો અવારનવાર ભભૂકી ઊઠે છે. ચૂનાના ખડકો તથા લાવામિશ્રિત જમીન ફળદ્રૂપ છે, જ્યારે પરવાળાના ટાપુઓની જમીન પ્રમાણમાં ઓછી ફળદ્રૂપ છે. ઉત્તરના ટાપુઓનું સરેરાશ તાપમાન ૨૩° સે. અને દક્ષિણના ટાપુઓનું સરેરાશ તાપમાન ૨૭° સે. રહે છે. સમુદ્રની અસરને કારણે ઠંડી ઓછી પડે છે. વાવઉ ટાપુમાં સૌથી વધારે વરસાદ ૨૨૮૬ મિમી. અને ટોંગા ટાપુ ખાતે ૧૭૦૨ મિમી. વરસાદ પડે છે. નવેમ્બરથી માર્ચ દરમિયાન આ ટાપુઓ ‘હરિકેન’ તરીકે ઓળખાતા વાવાઝોડાનો ભોગ બને છે.

ટોંગા ટાપુ

નારિયેળ અને તાડનાં વૃક્ષો દરિયાકિનારાના મેદાનમાં જોવા મળે છે. તરબૂચ, બ્રેડફ્રૂટ, વનિલાની શિંગો અને કેળાં અન્ય પાક છે. લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. આ ઉપરાંત લોકો ડુક્કર, મરઘાં અને ઢોર ઉછેરે છે. તેલની મિલો અને હસ્તકારીગરીની વસ્તુઓ બનાવવાનો ગૃહઉદ્યોગ છે. દર વરસે અહીં પ્રવાસીઓ આવે છે. ૨૦૨૪માં ટોંગોની વસ્તી ૧.૦૫ (આશરે) લાખ હતી. દર ચોકિમી.દીઠ વસ્તીની  ઘનતા ૧૩૧ છે. કુલ વસ્તીના ૭૯% લોકો ગ્રામવિસ્તારમાં અને ૨૧% લોકો શહેરોમાં વસતા હતા. નુકુ અલાફો તેનું પાટનગર છે અને કુલ વસ્તીના બે-તૃતીયાંશ લોકો અહીં વસે છે. ૩૬ ટાપુઓમાં કાયમી વસ્તી છે. ટોંગાના લોકો પોલીનેશિયન જાતિના છે. મોટા ભાગના લોકો ખ્રિસ્તી ધર્મ પાળે છે. તેમની ટોંગન ભાષા સામોઅન ભાષા ઉપરથી ઊતરી આવી છે. ૯૦%થી ૯૫% લોકો અક્ષરજ્ઞાન ધરાવે છે. આ ટાપુના લોકોનો વેપાર મુખ્યત્વે નેધરલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા સાથે છે. સ્થાનિક પેદાશ અને હસ્તકારીગરીની વસ્તુઓની નિકાસ થાય છે. દેશનું ચલણ ‘પાંગા’ છે. ૧૯૦૦–૧૯૭૦ દરમિયાન આ ટાપુ ઇંગ્લૅન્ડનું રક્ષિત રાજ્ય હતું. ટુપૌ વંશનું શાસન (રાજાશાહી) ૧૦૦૦  વર્ષ જેટલું જૂનું છે. રાજા અને પ્રિવી કાઉન્સિલ દેશનો વહીવટ ચલાવે છે. અહીં બંધારણીય રાજાશાહી છે. ૪-૬-૧૯૭૦થી આ દેશ સ્વતંત્ર થયો છે. આ ટાપુની પ્રથમ મુલાકાત લેનાર ડચ વહાણવટી જેકબ લે મૈર હતો (૧૬૧૬). ૧૬૪૩માં એબલ ટાસ્માને અને ૧૭૭૩માં અંગ્રેજ વહાણવટી કૅપ્ટન કૂકે આ ટાપુઓની મુલાકાત લીધી હતી. આ ટાપુ રાજ્ય રાષ્ટ્રકુટુંબ(Commonwealth of Nations)માં જોડાયેલ છે.

ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮

Categories
વાચન સમૃદ્ધિ

સીસમ

દ્વિદળી વર્ગની, મજબૂત કાષ્ઠ ધરાવતી, શિંબી કુળની વૃક્ષ-સ્વરૂપ વનસ્પતિ.

સીસમનાં વૃક્ષો હિમાલયના નીચેના ભાગોમાં સહ્યાદ્રિ પર્વત ઉપર તેમ જ મલબાર વિસ્તારમાં વિશેષ જોવા મળે છે. તે ઉપરાંત પંજાબ, ઉત્તરપ્રદેશ અને આસામ રાજ્યમાં પણ તે પુષ્કળ પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. તે રસ્તાની બંને બાજુએ અને ચાના બગીચાઓમાં છાયાવૃક્ષ તરીકે ઉગાડવામાં આવે છે.

સીસમનું વૃક્ષ

સીસમનાં વૃક્ષો  ૨૪ મીટરથી ૩૦ મીટર સુધીની ઊંચાઈનાં અને ૨થી ૪ મીટરના ઘેરાવાવાળાં હોય છે. સીસમનું વૃક્ષ ચાલીસથી પચાસ વર્ષનું થતાં ખૂબ જ મજબૂત બની જાય છે. તેનું લાકડું લોખંડી મજબૂતાઈ ધરાવે છે. તે કાળા રંગનું અને ખૂબ જ મોંઘું હોય છે. આ લાકડાને વર્ષો સુધી સડો લાગતો નથી. તેનાં પાન સંયુક્ત પીંછાકાર હોય છે. દરેક પાન ૩ અથવા ૫ કે ૭ પર્ણિકાઓ ધરાવે છે. આ પર્ણિકાઓ અંડાકાર હોય છે. તેનાં પતંગિયાકાર પીળાં ફૂલો ૫થી ૭.૫ સેમી. લાંબાં હોય છે તેની શિંગો ચપટી, ૧૦ સેમી. લાંબી અને ૧.૨૫ સેમી. પહોળી હોય છે. ફૂલો અને શિંગો માર્ચ-એપ્રિલ મહિનામાં આવે છે. તેનો ઔષધિ તરીકે પણ ઉપયોગ થાય છે. આયુર્વેદ અનુસાર સીસમ કડવું, ચામડીનો રંગ સુધારનાર, બળદાયક તથા રુચિકર છે. તે પિત્ત, દાહ, સોજા, ઊલટી, હેડકી, કોઢ, અજીર્ણ, અતિસાર, મેદ અને કૃમિનો નાશ કરે છે. આ ઉપરાંત તાવમાં તેનો પાણી તથા દૂધમાં ક્વાથ બનાવી પીવામાં આવે છે. આંખના રોગોમાં પણ સપ્રમાણ માત્રામાં તેના પાનનો રસ મધ સાથે મેળવીને આંજવાથી ફાયદો થાય છે. સીસમનું કાષ્ઠ સાગ કરતાં વધારે મજબૂત, ભારે અને બરછટ હોય છે. તેનું અંદરનું કાષ્ઠ ટકાઉ હોય છે. તેનો ઉપયોગ ફર્નિચર અને કૅબિનેટ બનાવવામાં પુષ્કળ પ્રમાણમાં થાય છે. તેની સ્થિતિસ્થાપક્તા અને ટકાઉપણાને લીધે તે બાંધકામમાં, પલંગના પાયાઓ, હીંચકો, ખુરસીઓ, હથોડીઓ, હૂકાની નળીઓ અને ચલમો બનાવવામાં વપરાય છે. તે કોતરકામ માટે શ્રેષ્ઠ ગણાય છે. તેના કાષ્ઠનો ઉપયોગ બળતણમાં કરવામાં આવે છે. સીસમનાં પાનનો ચારા તરીકે ઉપયોગ થાય છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી