ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્રને જોડતો, ઇજિપ્તમાં આવેલો માનવસર્જિત જળમાર્ગ.
આ નહેર ઉત્તરમાં પૉર્ટ સઈદ (Said) અને દક્ષિણમાં સુએઝ બંદર ધરાવતા શહેર વચ્ચે સુએઝની સંયોગીભૂમિને વીંધતી ઉત્તર-દક્ષિણ વિસ્તરેલી છે. તેની લંબાઈ આશરે ૧૯૦ કિમી. જેટલી છે. નેપોલિયને જ્યારે ૧૭૯૮માં ઇજિપ્ત પર આક્રમણ કર્યું, ત્યારે તેણે સુએઝની સંયોગીભૂમિ આરપાર જળમાર્ગ થાય તો અંતર ઘટે અને વ્યાપાર-વણજ વધે તેવું વિચારેલું. આ વિચારને મૂર્ત સ્વરૂપ આપવા ફ્રેન્ચ મુત્સદ્દી અને નહેરો બાંધનાર ફર્ડિનાન્ડ દ લૅસેપ્સને તેનો નકશો બનાવવાની કામગીરી સોંપી. ૧૮૫૪માં ઇજિપ્તના શાસક સઈદ પાશા પાસેથી આ પ્રકલ્પ માટેની મંજૂરી મેળવી, ૧૮૫૫માં માર્ગના વ્યવસ્થિત આયોજન માટે આંતરરાષ્ટ્રીય તકનીકી પંચ મળ્યું. ૧૮૫૮ સુધીમાં આ અંગેના વહીવટ માટે સુએઝ કૅનાલ કંપની સ્થપાઈ, જેના ફ્રેન્ચ અને ઑટોમન સામ્રાજ્યે મોટી સંખ્યામાં શૅર લીધા. ૧૮૫૯ના એપ્રિલની ૨૫મી તારીખે નહેરનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું. ૧૦ વર્ષ બાદ ૧૮૬૯ના નવેમ્બરની ૧૭મી તારીખે તે નહેર ખુલ્લી મુકાઈ. ૧૯૬૮ સુધીનાં ૧૦૦ વર્ષ માટે સુએઝ કૅનાલ કંપનીને રાહતદરે તે નહેરના ઉપયોગ સંબંધી વહીવટ સોંપવામાં આવ્યો.

સુએઝ નહેર
આ જળમાર્ગ થવાથી યુરોપીય દેશો અને ભારત વચ્ચે અંદાજે ૯૭૦૦ કિમી. જેટલું અંતર ઘટી ગયું છે. ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્રની જળસપાટીમાં ખાસ તફાવત ન હોવાથી તેમાં પનામા નહેરમાં છે એવી લૉકગેટની વ્યવસ્થા ગોઠવેલી નથી. આ નહેર જ્યારે બાંધવામાં આવી ત્યારે તેની ઊંડાઈ ૮ મીટર, તળભાગની પહોળાઈ ૨૨ મીટર અને સપાટીની પહોળાઈ ૭૦ મીટર જેટલી હતી, પરંતુ તે પછી મોટાં જહાજોની હેરફેર માટે તેને ઘણી વધુ પહોળી કરવામાં આવી છે. આજે તેની ઊંડાઈ ૧૯ મીટર, તળભાગની પહોળાઈ ૯૨ મીટર અને સપાટીની પહોળાઈ ૨૨૬ મીટર જેટલી છે. ૧૮૮૮માં આંતરરાષ્ટ્રીય પરિષદે એકમતે નિર્ણય કર્યો કે આ નહેરને બધાં જ રાષ્ટ્રો માટે શાંતિના તેમ જ યુદ્ધના સમયમાં પણ ખુલ્લી રાખવી; પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધ(૧૯૧૪-૧૯૧૮)માં યુ.કે.એ આ જળમાર્ગ પર પ્રભુત્વ સ્થાપી દીધું.બીજા વિશ્વયુદ્ધ(૧૯૩૯-૧૯૪૫)માં પણ યુ.કે.નું પ્રભુત્વ જળવાઈ રહ્યું હતું. આ યુદ્ધો દરમિયાન શત્રુ દેશો માટે આ નહેરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ હતો. ઇજિપ્ત સાથે ૧૯૫૪માં થયેલા કરાર મુજબ બ્રિટિશ દળોએ ૧૯૫૬માં આ નહેર ઇજિપ્તને સોંપી દીધી. આ જ વર્ષમાં યુ.એસ. અને યુ.કે.એ નાઇલ નદી પરના આસ્વાન બંધ માટેની સહાય બંધ કરી. પરિણામે ઇજિપ્તમાં રાષ્ટ્રીય ચળવળ ઊભી થતાં ૧૯૫૬ના જુલાઈની ૨૬મી તારીખે ઇજિપ્તના તત્કાલીન પ્રમુખ ગમાલ અબ્દુલ નાસરે નહેર પર પ્રભુત્વ મેળવી લીધું. બ્રિટન, ફ્રાન્સ અને પશ્ચિમ દેશોએ આનો વિરોધ કર્યો. આ ઘટનાને સુએઝ કટોકટી તરીકે ઓળખવામાં આવેલી છે. આ જ વર્ષમાં ઇઝરાયલ, બ્રિટન અને ફ્રાન્સે ઇજિપ્ત પર આક્રમણ કર્યું. યુ.એન.ની દરમિયાનગીરીને કારણે યુદ્ધ સ્થગિત થયું અને ૧૯૫૭માં આ નહેર ખુલ્લી મૂકવામાં આવી. ૧૯૬૭માં થયેલા આરબ-ઇઝરાયલ યુદ્ધના ગાળા દરમિયાન આ માર્ગ બંધ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ ૧૯૭૫માં આ જળમાર્ગ ઇજિપ્ત દ્વારા ફરીથી ખુલ્લો મૂકવામાં આવેલો છે. ૧૯૭૯માં ઇજિપ્તે નહેરના ઉપયોગની ઇઝરાયલ માટેની મનાઈ ઉઠાવી લીધી. ૧૯૮૦માં સુએઝ શહેરથી ૧૬ કિમી. ઉત્તર તરફ નહેર હેઠળ બોગદું બાંધીને મોટરવાહનો માટે તે ખુલ્લું મુકાયું છે.
અમલા પરીખ
ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-10 માંથી