Categories
વાચન સમૃદ્ધિ

દાલ સરોવર

જમ્મુ અને કાશ્મીર રાજ્યના પાટનગર શ્રીનગરના ઈશાન છેડે આવેલું સરોવર. કાશ્મીરી ભાષામાં ‘દાલ’ શબ્દનો અર્થ ‘સરોવર’ અને તિબેટી ભાષામાં ‘શાંત’ એવો થાય છે. અગાઉ જેલમ નદીમાં આવતા પૂરથી શ્રીનગર શહેરને નુકસાન થયા કરતું હતું તે સંકટમાંથી બચવા 1904માં નદીમાંથી સરોવરને જોડતી નહેર બનાવવામાં આવેલી. જ્યારે પણ પૂર આવે ત્યારે સરોવર છલોછલ ભરાઈ જાય છે. શ્રીનગરના છેડે આવેલો દાલગેટ જેલમ સાથે જોડતા તેના જળપ્રવાહનું નિયંત્રણ કરે છે.

તેની લંબાઈ 8.4 કિમી. અને પહોળાઈ 4 કિમી. છે. શ્રીનગરમાં વહેતી જેલમ નદી સાથે તે નહેરથી જોડાયેલું છે. 33.6 ચો.કિમી.નું ક્ષેત્રફળ ધરાવતું આ વિશાળ સરોવર ગગરી દાલ, લોકુટ દાલ અને બોડ દાલ નામે ઓળખાતા ત્રણ જુદા જુદા જળમાર્ગ વિભાગોમાં વહેંચાયેલું છે. સરોવરના ઉત્તર ભાગમાં સોનાલંક અને પૂર્વ ભાગમાં રૂપાલંક નામના બે રમણીય બેટ આવેલા છે. આ બેટ ઉપર આવેલાં ચિનારનાં અને આજુબાજુમાં આવેલાં ગગનચુંબી પૉપલરનાં વૃક્ષો તેની શોભામાં વધારો કરે છે. એક બાજુએ તખ્તે-સુલેમાન ટેકરી અને બીજી બાજુએ હરિ પર્વતથી ઘેરાયેલું આ સરોવર પહાડો પરથી જોતાં મનોહારી દૃશ્ય ખડું કરે છે. શંકરાચાર્ય ટેકરીના તળેટીભાગવાળા આ સરોવરના દક્ષિણ કાંઠા પર નેહરુ પાર્ક વિકસાવવામાં આવેલો છે. અહીંથી શિકારામાં બેસી પ્રવાસીઓ સરોવરની સહેલ માણે છે. સરોવરના વાયવ્ય કાંઠા પર હઝરતબાલ્દરગાહ આવેલી છે, તેમાં મહંમદ પયગંબરસાહેબનો પવિત્ર વાળ રાખવામાં આવેલો છે, જેના વર્ષમાં એક જ વાર દીદાર (દર્શન) કરી શકાય છે. મુઘલોના શાસનકાળ દરમિયાન આ સરોવરની નજીક સુંદર બગીચાઓનાં નિર્માણ કરવામાં આવેલાં છે : અકબરના સમયમાં તે જમાનાના શ્રેષ્ઠ ગણાતા સ્થપતિ અને રાણી નૂરજહાંના ભાઈ આસફખાન દ્વારા તૈયાર કરવામાં આવેલો નિશાત બાગ, જહાંગીરે તૈયાર કરાવેલો શાલીમાર બાગ અને શાહજહાંએ તૈયાર કરાવેલો ચશ્મેશાહી ઉદ્યાન સહેલાણીઓ માટે આકર્ષણનાં સ્થાનો બની રહેલાં છે. ચશ્મેશાહીની બાજુમાં નેહરુ મેમોરિયલ આવેલું છે.

ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9માંથી

Categories
વાચન સમૃદ્ધિ

આમળાં

દ્વિદળી વર્ગની વૃક્ષ-સ્વરૂપ ધરાવતી એક ઔષધીય વનસ્પતિ. તેને એરંડી, રતનજોત અને રબરના કુળમાં મૂકવામાં આવે છે. આમળાનો ઉલ્લેખ વૈદિક કાળથી જોવા મળે છે. આમળાંનું મૂળ વતન દક્ષિણ ભારત મનાય છે. કોંકણ, માથેરાન, સાપુતારા, શામળાજી, બરડો, ગિરનાર, આબુ-અંબાજી તથા પશ્ચિમઘાટનાં જંગલોમાં ૧,૩૫૦ મી.ની ઊંચાઈ સુધી તે જોવા મળે છે. ઉત્તરપ્રદેશ આમળાંની ખેતીમાં મોખરે છે. ગુજરાતમાં ખેડા જિલ્લામાં તેનું છૂટુંછવાયું વાવેતર થાય છે. આમળાંની માગ વધતી હોવાથી ખેડૂતો તેના તરફ આકર્ષાય છે. તે અમેરિકા તથા એશિયાના ઉષ્ણ ભાગોમાં બગીચાઓમાં વવાય છે. આમળાનું વૃક્ષ ૮થી ૧૫ મી. ઊંચાઈ ધરાવતું સાધારણ નાનું કે મધ્યમ કદનું હોય છે. તેની છાલ લીસી, સુંદર અને પીળાથી માંડી ભૂરા રંગની હોય છે. તેની ડાળીઓ પર નાનાં સાદાં પર્ણો પાસે પાસે આવેલાં હોવાથી તે સંયુક્ત પર્ણ જેવાં લાગે છે. કોઈક આમળાંના વૃક્ષ પર નર અને માદા બંને પ્રકારનાં પુષ્પો આવે છે તો ક્યારેક નર અને માદા વૃક્ષો જુદાં જુદાં હોય છે. તેને ઝૂમખામાં નાનાં પુષ્પો લાગે છે; જેમાંથી લીસાં, સખત આછા પીળા રંગનાં ગોળાકાર સોપારી જેવડાં ફળ થાય છે. તે ફળ ૬ ખાંચ ધરાવે છે. તેની અંદર છ બીજ હોય છે. આમળાંનાં ફળ ખૂબ રસાળ હોય છે. તેનો સ્વાદ ખાટો, કડવો, મધુર, તૂરો અને શીતળ હોય છે.

આમળાંનાં વૃક્ષને ગોરાડુ અને મધ્યમ, કાળી જમીન તથા ગરમ સૂકો વિસ્તાર વધારે અનુકૂળ આવે છે. આમળાંનો પાક શિયાળામાં આવે છે. આમળાંને મીઠા અને હળદરના પાણીમાં આથીને ખાવાના કામમાં લેવાય છે. આ ઉપરાંત, તેમાંથી અથાણું તથા ગળ્યાં અને ખારાં આમળાંનો મુખવાસ અને ચ્યવનપ્રાશ પણ બનાવાય છે. તેનાં ફળમાં વિપુલ પ્રમાણમાં વિટામિન ‘સી’ હોય છે. ફળના તાજા ગરમાં વિટામિન ‘સી’ ૭૨૦ મિગ્રા./૧૦૦ ગ્રા. અને દબાવીને કાઢેલા રસમાં ૯૨૧ મિગ્રા./૧૦૦ ગ્રા. હોય છે. તેનું લાકડું ખેતીનાં સાધનો, થાંભલા તથા ફર્નિચર બનાવવા અને હલકી કક્ષાના બાંધકામમાં ઉપયોગમાં લેવાય છે. તેનો બળતણ તરીકે અને કોલસો પાડવા પણ ઉપયોગ થાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, આમળાં, પૃ. 115)

Categories
વાચન સમૃદ્ધિ

દાર્જિલિંગ

પશ્ચિમ બંગાળનો જિલ્લો તથા જિલ્લામથક. ભારતનું જાણીતું પર્યટનસ્થળ, પશ્ચિમ બંગાળ રાજ્યનું ઉનાળુ પાટનગર તથા ગુરખા સ્વાયત્ત પરિષદનું વહીવટી મથક. તિબેટી ભાષામાં ‘દાર્જેલિંગ’ એટલે કે ‘વીજળીનો ભયંકર કડાકો’ શબ્દ પરથી આ સ્થળને તે નામ આપવામાં આવ્યું છે. ભૌગોલિક સ્થાન : 26° 50´ ઉ અ. અને 88° 20´ પૂ. રે..  તે કૉલકાતાની ઉત્તરે નેપાળ અને સિક્કિમને સીમાડે વસેલું છે. હિમાલય પર્વતમાળાના દક્ષિણ તરફના ઢાળની તળેટીમાંની ટેકરીઓની લાંબી હારમાળાની ઊંચી પાળ પર વસેલું આ સ્થળ દરિયાની સપાટીથી 2,160 મી.ની ઊંચાઈ પર છે. વિસ્તાર : 3,149 ચોકિમી. તેની વસ્તી આશરે 22,70,000 (2026) છે. ત્યાંનું તાપમાન જાન્યુઆરીમાં 4° સે. અને જુલાઈમાં 17° સે. હોય છે. વર્ષના મોટા ભાગના દિવસોમાં તે ધુમ્મસથી ઘેરાયેલું હોય છે. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ત્યાં પડતા વરસાદની વાર્ષિક સરેરાશ 2,972 મિમી. હોય છે. ત્યાંના રસ્તા વધુ ઢાળવાળા છે. એક જમાનામાં ત્યાંની વસ્તીમાં અંગ્રેજ લોકોનું પ્રમાણ નોંધપાત્ર હતું.

1962માં સ્થપાયેલ યુનિવર્સિટી ઑવ્ નૉર્થ બંગાળનું તે મુખ્ય મથક છે. નગરમાં સેન્ટ જૉસેફ કૉલેજ, ખ્રિસ્તી ધર્મપંથના સંચાલન હેઠળનું લોરેટો કૉન્વેન્ટ તથા તેના સીમાડા પર હિમાલયન માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ આવેલાં છે. નૅરોગેજ રેલમાર્ગ(ટૉય ટ્રેન)થી તે નીચાણનાં આજુબાજુનાં સ્થળો સાથે જોડાયેલું છે. ત્યાંથી માઉન્ટ એવરેસ્ટ તથા કાંચનજંઘા પર્વતોનાં દર્શન થાય છે. ટાઇગર હિલ પરથી સૂર્યોદય નિહાળવો એ સહેલાણીઓ માટે ખાસ આકર્ષણ હોય છે. આજુબાજુની ખીણોની હરિયાળી તથા પર્વતોનાં હિમાચ્છાદિત શિખરોનાં ત્યાંથી દેખાતાં દૃશ્યો મનોહારી હોય છે. ત્યાંની ટેકરીઓ પર ઉગાડવામાં આવતી ચા વિશ્વભરમાં વખણાય છે. ઇતિહાસ : એક જમાનામાં તે તિબેટનો ભાગ હતો, પરંતુ પાછળથી તે સ્વતંત્ર સિક્કિમના રાજ્યનો ભાગ બન્યો. 1835માં સિક્કિમના રાજાએ તે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સોંપ્યો. 1947માં ભારતને આઝાદી મળી ત્યારથી આ પ્રદેશ સ્વતંત્ર ભારતનો ભાગ બન્યો છે. ભારત અને તિબેટ વચ્ચે પ્રાચીન કાળમાં થતા વ્યાપારના માર્ગ પરનું તે અંતિમ વિરામસ્થાન હતું. બ્રિટિશ શાસનકાળ દરમિયાન તે બંગાળ પ્રાંતનું ઉનાળાનું પાટનગર હતું.

ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9માંથી