Categories
વાચન સમૃદ્ધિ

દુબઈ (Dubai; Dubayy)

સંયુક્ત આરબ અમીરાતનું સૌથી મોટું શહેર. તે 25° 18´ ઉ. અ. અને 55° 18´ પૂ. રે.ની આજુબાજુનો 3900 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે, પરંતુ સમુદ્રના વિસ્તારનું નવીનીકરણ કર્યું હોવાથી તેનો વિસ્તાર 4,110 ચો.કિમી. થવા જાય છે. દુબઈ શહેરની વસ્તી (2026 મુજબ) આશરે 40 લાખ છે. આ શહેર આશરે 16 મીટરની સમુદ્ર સપાટી ધરાવે છે. દુબઈ અરબ રણપ્રદેશમાં આવેલું છે. યુનાઇટેડ અરબ અમીરાતના દક્ષિણ ભાગ કરતાં દુબઈનું ભૂપૃષ્ઠ પ્રમાણમાં અલગ તરી આવે છે. દુબઈની દક્ષિણે રેતીના ઢૂવા આવેલા છે. દક્ષિણ ભાગમાં કાંકરીનું પ્રમાણ અધિક છે. મોટે ભાગે અહીં શંખ-છીપલાં અને કોરલ દ્વારા બનેલી રેતી સફેદ અને બારીક છે. આબોહવા, કુદરતી વનસ્પતિ અને પ્રાણીસંપત્તિ : દુબઈ આરબ દ્વીપકલ્પના વિષમ આબોહવાવાળા પ્રદેશમાં આવેલું છે. તેનાં જાન્યુઆરી અને જુલાઈનાં સરેરાશ તાપમાન અનુક્રમે 23.4° સે. અને 42.3° સે. જેટલાં રહે છે. વર્ષ 2024ના પ્રારંભમાં દુબઈમાં કૃત્રિમ વરસાદના પ્રયોગથી દુબઈ શહેર લગભગ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું.

દુબઈ ખાતે બે મોટાં વ્યાપારિક બંદરો આવેલાં છે. જે પૉર્ટ રશીદ (Port Rashid) અને પૉર્ટ જેબેલ (Port Jebel) છે. પૉર્ટ જેબેલ વિશ્વમાં સૌથી મોટું કૃત્રિમ બંદર છે. જે વિશ્વમાં સૌથી વ્યસ્ત બંદરોમાં સાતમા ક્રમે આવે છે. The Main Transport Agency દ્વારા દુબઈની ખાડીમાં Water Bus અને Water Taxiનું પણ સંચાલન થાય છે. દુબઈ ખાડીના (Dubai Creek) જળમાર્ગે ભારત, આફ્રિકા અને યુરોપના દેશો સાથે વહાણવટું થાય છે. દુબઈ મધ્યપૂર્વનું ખરીદારીનું પાટનગર (Shopping Capital of the Middle East) ગણાય છે. અહીં 70 કરતાં વધુ ખરીદારીનાં કેન્દ્રો અને 250 કરતાં પણ વધુ સોનાનાં આભૂષણોની દુકાનો આવેલી છે. આથી તે ‘City of Gold’ તરીકે ઓળખાય છે. દુબઈ વિશ્વમાં દ્વિતીય ક્રમે આવતું ખરીદારીનું કેન્દ્ર ગણાય છે. આ શહેર ખરીદારીની સાથે પ્રાચીન અને અર્વાચીન સ્થાપત્યો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : https://gujarativishwakosh.org/દુબઈ/)

Categories
વાચન સમૃદ્ધિ

આંધ્રપ્રદેશ

ભારતમાં દક્ષિણ મધ્યપૂર્વમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે આશરે ૧૨° ૪૧´ થી ૧૯° ૦૭´ ઉ. અ. અને ૭૭° ૦૦´ થી ૮૪° ૪૦´ પૂ. રે. વચ્ચે આવેલો છે. જેનો વિસ્તાર ૧,૬૨,૯૬૭ ચો.કિમી. છે આ રાજ્યની ઉત્તરે તેલંગાણા, પશ્ચિમથી વાયવ્યે છત્તીસગઢ, ઉત્તરે ઓડિશા, પૂર્વે બંગાળનો ઉપસાગર, દક્ષિણે તમિળનાડુ જ્યારે પશ્ચિમે અને નૈઋત્યે કર્ણાટક રાજ્યની સીમા આવેલી છે. તેના દરિયાકિનારાની લંબાઈ આશરે ૯૭૦ કિમી. છે. આ રાજ્યનું પાટનગર અમરાવતી છે. નવું પાટનગર બને તે દરમિયાન હંગામી ધોરણે હૈદરાબાદ ગણાય છે. વસ્તી ૨૦૨૬ મુજબ આશરે ૯.૬૦ કરોડ છે. આ રાજ્યનું ભૂષૃષ્ઠ વૈવિધ્યસભર છે. આ રાજ્યને ભૌગોલિક દૃષ્ટિએ ત્રણ મુખ્ય ભાગોમાં વહેંચી શકાય. પૂર્વમાં બંગાળના ઉપસાગરથી શરૂ કરીને પૂર્વઘાટની પર્વતમાળા અને દરિયાકિનારાનાં મેદાનો. પશ્ચિમથી પૂર્વ તરફ વહીને બંગાળના ઉપસાગરમાં ઠલવાતી અનેક નદીઓના જળથી આ મેદાનો સમૃદ્ધ બન્યાં છે. એમાં ગોદાવરી અને કૃષ્ણાનદીના ત્રિકોણાકાર પ્રદેશો કાંપના નિક્ષેપને કારણે અત્યંત ફળદ્રુપ બન્યા છે. અન્ય નદીઓમાં તુંગભદ્રા, પેનાર, વંશધારા અને નાગાદળીનો સમાવેશ થાય છે.

અહીં સાગ, વાંસ, યુકેલિપ્ટ્સ, કાજુ અને સરુનાં વૃક્ષો આવેલાં છે. આંધ્રપ્રદેશના અર્થતંત્રનો મુખ્ય પાયો ખેતી છે. ડાંગર અને દ્રાક્ષ તેના મુખ્ય પાક છે. તે ઉપરાંત જુવાર, બાજરી, મકાઈ વગેરે ખાદ્ય પાકો છે. તમાકુ, કપાસ, શેરડી, મરચાં, કેરી, મગફળી જેવા રોકડિયા પાકોની ખેતી લેવામાં આવે છે. આ રાજ્ય ચોખાની મહત્તમ નિકાસ કરતું હોવાથી તે ‘ભારતનો ચોખાનો વાટકો’ તરીકે ઓળખાય છે. જંગલોમાં હાથી વાઘ, હરણ, શિયાળ વગેરે પ્રાણીઓ જોવા મળે છે. અહીં યુરેનિયમ અને બૉકસાઇટનો જથ્થો રહેલો છે. વહાણવટું, પેટ્રોકેમિકલ, કાપડ, રસાયણ, સિમેન્ટ, ખાતર, યંત્રસામગ્રી અને દવાઓના ઉદ્યોગો વ્યાપક પ્રમાણમાં વિકસ્યા છે. આ રાજ્યનું પાટનગર અમરાવતી જાહેર કર્યું છે છતાં કાર્યકારી પાટનગર હૈદરાબાદ છે. મુખ્ય શહેરો વિશાખાપટ્ટનમ્, તિરુપતિ, વિજયવાડા, ગુંતૂર, કર્નૂલ, કડાવા વગેરે છે. આ રાજ્યનું સૌથી મોટું કુદરતી બંદર અને શહેર વિશાખાપટ્ટનમ્ છે. જોવાલાયક સ્થળોમાં તિરુપતિ મંદિર, કલાહસ્તી મંદિર, બોજ્ જન્નાકોન્ડા અને નાગાર્જુનકોન્ડાનાં બૌદ્ધ સ્થાપત્યો મુખ્ય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, આંધ્રપ્રદેશ, પૃ. 143)

Categories
વાચન સમૃદ્ધિ

દીવ

સૌરાષ્ટ્ર દ્વીપકલ્પની દક્ષિણે આવેલો કેન્દ્રશાસિત પ્રદેશ. ગુજરાત અને પશ્ચિમ ભારતનું પ્રાચીન સમયનું પ્રમુખ બંદર અને આ જ નામ ધરાવતો ટાપુ. તેનું નામ સંસ્કૃત શબ્દ ‘દ્વીપ’ (બેટ) ઉપરથી અપભ્રંશ થઈને ‘દીવ’ પડ્યું છે. આ ટાપુ સૌરાષ્ટ્રના દક્ષિણ કિનારે અરબી સમુદ્રમાં 20° 42´ ઉ. અ. અને 70° 59´ પૂ. રે. ઉપર આવેલો છે. તેની ત્રણ બાજુ સમુદ્ર અને ઉત્તર તરફ જૂનાગઢ જિલ્લાનો ઊના તાલુકો આવેલો છે. સૌરાષ્ટ્રની મુખ્ય ભૂમિથી તે યાસી નદીની સેસલખડા ખાડીને કારણે અલગ પડેલ છે. વિક્રમની પહેલી સદી સુધી તે સૌરાષ્ટ્ર સાથે જોડાયેલો હતો. સમગ્ર ટાપુનું ક્ષેત્રફળ 40 ચોકિમી. છે. ટાપુમાં દીવ ઉપરાંત માણેકવાડા, બોચરવાડા, નાગવા અને બરાંકવાડા ગામો આવેલાં છે. શહેરનો વિસ્તાર 40 ચોકિમી. છે. ટાપુની કુલ વસ્તી આશરે 72,000 (2026) છે. ત્યાંની આબોહવા ખુશનુમા અને સમધાત છે. વાર્ષિક સરેરાશ વરસાદ 694 મિમી. પડે છે. લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. મુખ્ય પાક બાજરી, જુવાર અને મગફળી છે. થોડા પ્રમાણમાં ઘઉં અને શેરડીનું ઉત્પાદન પણ થાય છે. નારિયેળી, કેળાં, કેરી વગેરે ફળફળાદિના બગીચા અને સિંચાઈ માટેના કૂવા ઘણા છે. થોડા લોકો મચ્છીમારીમાં રોકાયેલા છે. ઔદ્યોગિક વસાહતની સ્થાપના પછી ત્યાં ઉદ્યોગોનો વિકાસ થયો છે. તેલની મિલો, સાબુનું કારખાનું, ફર્નિચર તથા દારૂ બનાવવાનાં કારખાનાં તથા મીઠાના અગરો છે. લઘુ અને ગૃહઉદ્યોગોનો વિકાસ થયો છે. 1988–89થી વીજળીઘર શરૂ કરાયું છે.

ટાપુ ઉપર વણાકબારા, દીવ અને ઘોઘલા ખાતે જેટીઓ છે. બાધક ખડકો (barrier reefs) નૈઋત્ય અને દક્ષિણના પવનોથી વહાણોનું રક્ષણ કરે છે. બજરા (barge) દ્વારા માલની ચડ-ઊતર થાય છે. દીવમાં રેલવે નથી. પાકા રસ્તાની લંબાઈ 60 કિમી. છે. એક હવાઈ મથક દ્વારા તે મુંબઈ સાથે જોડાયેલું છે. તે પ્રવાસન-મથક તરીકે વિકસ્યું છે. અહીં કિલ્લો, ચર્ચ, મ્યુઝિયમ, કંઠારરેતપટ જોવાલાયક છે. અનાજ, વિલાયતી નળિયાં, ઇમારતી લાકડું, બળતણ, કેરોસીન, કોપરાં, સિમેન્ટ વગેરેની આયાત અને મીઠું, દારૂ અને મચ્છીની નિકાસ મુખ્યત્વે છે.

ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9 માંથી (સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ https://gujarativishwakosh.org/દીવ/)