Categories
વાચન સમૃદ્ધિ

દેવાસ

મધ્યપ્રદેશના ઉજજૈન વિભાગનો જિલ્લો. તે 22° 57´ ઉ. અ. અને 76° 03´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ જિલ્લાથી વિંધ્યાચળ હારમાળાનો પ્રારંભ થાય છે. જિલ્લાની ઉત્તરે માલવાનો ઉચ્ચપ્રદેશ આવેલો છે, જ્યારે દક્ષિણે નર્મદા નદીનો ખીણવિસ્તાર આવેલો છે. દક્ષિણે નર્મદા નદી વહે છે. આ જિલ્લાની પૂર્વે શેહોર જિલ્લો, દક્ષિણે હરડા અને ખંડવા જિલ્લાઓ, પશ્ચિમે ખારગોન અને ઇન્દોર જિલ્લા, જ્યારે ઉત્તરે ઉજજૈન અને શહાજહાંપુર જિલ્લાઓ સીમા રૂપે આવેલા છે. આ જિલ્લાની પશ્ચિમે માલવાનો ઉચ્ચપ્રદેશ જે લગભગ સમતળ છે. દક્ષિણે ક્રમશઃ ઊંચકાતી વિંધ્યાચળ હારમાળા આવેલી છે. અહીં ચંબલ અને કાળીસિંધ નદીનાં મૂળ આવેલાં છે. જે આગળ જતાં ગંગા નદીને મળે છે. આ વિસ્તારમાં ગ્રૅનાઇટ જેવી નક્કર ખડક-સંરચના ધરાવતા ઉચ્ચપ્રદેશો આવેલા છે. આ જિલ્લો સમુદ્રની સપાટીથી આશરે 600થી 800 મીટરની ઊંચાઈ ધરાવે છે. સમુદ્રકિનારાથી દૂર આવેલો છે, આથી આબોહવા લગભગ ખંડીય પ્રકારની છે. પરિણામે ઉનાળામાં મે માસ દરમિયાન તાપમાન 33° સે.થી વધી જાય છે. જ્યારે શિયાળામાં એટલે કે જાન્યુઆરી માસમાં તાપમાન 20° સે. જેટલું રહે છે. અહીં સરેરાશ વરસાદ 3200 મિમી. જેટલો પડે છે. રાત્રિના સમયગાળામાં તાપમાન નીચું અનુભવાય છે.

અહીં સાગ, સાલ, સાદડ, ખેર, ટીમરુ, ચારોળી, પલાસ વગેરે વૃક્ષોનો સમાવેશ થાય છે. ફળાઉ વૃક્ષોમાં કેરી, પપૈયાં, ચીકુ મુખ્ય છે. વાઘ, દીપડો, વાનરો, જરખ, શિયાળ જેવા વન્યજીવો પણ જોવા મળે છે. અહીં મોટે ભાગે સઘન ખેતી થતી જોવા મળે છે. જેમાં ઘઉં, જવ, બાજરો, તેલીબિયાં, કઠોળ, ડાંગર, શેરડી વગેરેની ખેતી લેવાય છે. જંગલપેદાશોમાં ઇમારતી લાકડું, લાખ, ગુંદર, ટીમરુનાં પાન વગેરે મેળવાય છે. ઇન્દોર–નેમાવર રોડ ઉપર ‘ગિદીયા ખોહ’ પાસે જળધોધ આવેલો છે. જે દેવાસથી 48 કિમી. દૂર છે. આ ઉપરાંત અહીં ચામુંડા ટેકરી, સિદ્ધેશ્વર મહાવીર મંદિર, કેલા દેવ મંદિર, શ્રી સિદ્ધિવિનાયક ગણેશ મંદિર વગેરે આવેલાં છે. આ જિલ્લાને સાંકળતો રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 47 અને રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 52 મહત્ત્વનો છે. આ સિવાય રાજ્ય ધોરી માર્ગો પણ આવેલા છે. આ જિલ્લામાં ત્રણ રેલવેસ્ટેશનો આવેલાં છે. જેમાં દેવાસ જંકશન સૌથી મહત્ત્વનું છે. આ જિલ્લાનો વિસ્તાર 7,020 ચો.કિમી. છે, જ્યારે વસ્તી આશરે (2026 મુજબ) 19,20,000 છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે, નીતિન કોઠારી

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ https://gujarativishwakosh.org/દેવાસ/)

Categories
વાચન સમૃદ્ધિ

ઈડર

ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાનું તાલુકામથક અને પ્રાચીન નગર. ભૌગોલિક સ્થાન : તે ૨૩° ૦૫´ ઉ. અ. અને ૭૩° પૂ. રે. પર આવેલું છે. તે સમુદ્રસપાટીથી ૨૨૯ મીટરની ઊંચાઈ પર વસેલું છે. તે અમદાવાદથી ઉત્તરે ૧૦૪ કિમી. તથા હિંમતનગરથી ઉત્તરે ૨૭ કિમી.ના અંતરે આવેલું છે. ઈડર તાલુકામથક હોઈને વેપાર-વાણિજ્યનું કેન્દ્ર છે. અહીં વિનયન અને વાણિજ્ય કૉલેજો, માધ્યમિક શાળાઓ, સ્ત્રી-અધ્યાપન-મંદિર અને પુસ્તકાલય આવેલાં છે. અહીંનો રમકડાં-ઉદ્યોગ ગુજરાતમાં જાણીતો છે. ઈડરની ચારેય બાજુ ગ્રૅનાઇટ પથ્થરની ટેકરીઓ આવેલી છે. ત્યાં બાંધકામના ગ્રૅનાઇટ પથ્થર માટેનો ખાણ-ઉદ્યોગ ચાલે છે. અહીંનો ઇડરિયો ગઢ વિખ્યાત છે. ‘અમે ઇડરિયો ગઢ જીત્યાં રે’ લગ્નગીત અહીંના વિસ્તારમાં અચૂક ગવાય છે. હાલમાં ઇડરિયો ગઢ ભગ્નાવસ્થામાં જળવાઈ રહ્યો છે. આ ઉપરાંત રણમલ ચૉકી, રૂઠી રાણીનું માળિયું, જૈન-મંદિરો, જવાનવિલાસ મહેલ, રાણી-તળાવ અને રણમલ-તળાવ, વેણીવત્સનો કુંડ, કોટેશ્વર, ચંપેશ્વર, મહાકાલેશ્વરનું મંદિર, સ્વામિનારાયણનું મંદિર અને રાજચંદ્રવિહાર અહીંનાં જોવાલાયક સ્થળો છે. અમદાવાદ-ખેડબ્રહ્મા રેલમાર્ગ પર ઈડર મહત્ત્વનું મથક છે. આ નગર ગુજરાત અને રાજસ્થાનનાં શહેરો અને ગામડાં સાથે માર્ગવાહનવ્યવહાર મારફતે જોડાયેલું છે.

ઇતિહાસ : ઈડરનું જૂનું નામ ‘ઇલ્વદુર્ગ હતું. દંતકથા મુજબ, દ્વાપરયુગમાં ઋષિમુનિઓને ત્રાસ આપતા ઇલ્વ અને વાતાપિ રાક્ષસોનો અગસ્ત્ય મુનિએ નાશ કર્યો હતો. આ સ્થળનો ઇતિહાસ અંદાજે ૩૦૦૦ વર્ષથી પણ જૂનો હોવાનું કહેવાય છે. ઈ. સ. પૂર્વે ૮૭૦ના અરસામાં અહીં વેણીવત્સ નામના રાજાનું શાસન હતું. તે પછીથી શિલાદિત્ય સાતમાની રાણી પુષ્પાવતીએ ગુહ નામના પુત્રને જન્મ આપ્યો હતો. આ તાલુકામાં વહેતી ગુહાઈ નદીનું નામ તેના પરથી પડ્યું હોવાનું મનાય છે. ગુહાદિત્યની સાતમી પેઢી પછી આ સ્થળ ભીલોના હાથમાં ગયેલું. ઈ. સ. ૧૦૦૦ના અરસામાં અહીં પ્રતિહારોનું શાસન રહેલું. તે પૈકી અમરિંસહ ખૂબ બળવાન હતો. ત્યારબાદ પ્રતિહારોને હરાવીને હાથી સોડ અને શામળિયા સોડે અહીં રાજ્ય કરેલું. પછીથી મારવાડના સોનિંગજી રાઠોડે શામળિયા સોડને હરાવેલો. ઈ. સ. ૧૨૯૮-૧૩૦૪ દરમિયાન અલાઉદ્દીન ખલજીના સેનાપતિ ઉલુઘખાને ઈડરને કબજે કરેલું.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, ઈડર, પૃ. 179)

Categories
વાચન સમૃદ્ધિ

દેવાસ (શહેર)

દેવાસ જિલ્લાનું જિલ્લામથક અને શહેર છે.

ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ : જે 22° 96´ ઉ. અ. અને 76° 06´ પૂ. રે. પર આવેલું છે. તેનો વિસ્તાર 50 ચો.કિમી. અને વસ્તી આશરે (2026 મુજબ) 4,30,000 છે. તે સમુદ્રની સપાટીથી 535 મીટરની ઊંચાઈએ આવેલું છે. આ શહેર માલવાના ઉચ્ચપ્રદેશના સમતળ પ્રદેશમાં આવેલું છે. દક્ષિણે વિંધ્યાચળની હારમાળા ક્રમશઃ આગળ જતાં તેની ઊંચાઈ વધતી જતી જોવા મળે છે. આ શહેર કરતપુરા નદીકિનારે વસ્યું છે. ઉનાળામાં સરેરાશ તાપમાન આશરે 35° સે. જ્યારે શિયાળાનું સરેરાશ તાપમાન 18° સે. રહે છે. સરેરાશ વરસાદ 500 મિમી. રહે છે. અર્થતંત્ર : અહીં 18મી સદીના ગાળામાં અફીણની ખેતી થતી હોવાથી તે વધુ પ્રસિદ્ધ હતું. આ શહેરમાં તાતા ઇન્ટરનેશનલ, કિર્લોસ્કર, આઇશર મોટર, ગજરા ગિયર્સ, સનોહ સ્ટીલ-ટ્યૂબ પ્લાન્ટ વગેરે એકમો કાર્યરત છે. તે ‘ભારતનું સોયનું પાટનગર’ (Soy Capital of India) બન્યું છે. અહીં સોયાબીનની વિવિધ પેદાશો બનાવવાના એકમો કાર્યરત છે. જેમાં કીર્તિ ન્યૂટ્રેન્સ, પ્રેસ્ટિજ ઍગ્રો., ટૅક્, મિત્ત સોયા પ્રોટીન વગેરે જાણીતા છે. અહીં દવા બનાવવાના એકમો આવેલા છે. જેમાં રેનબક્સી અને સન ફાર્મા ઇન્ડસ્ટ્રીઝનું કામ વધુ છે. અહીં પવનની ગતિ વધુ રહેતી હોવાથી અનેક ‘વિન્ડ મિલ’ સ્થપાયેલી છે. જેમાં ‘સુઝલોન એનર્જી’ કંપની મુખ્ય છે.

ભારતનું ‘સિક્યૉરિટી પ્રિન્ટિંગ ઍન્ડ માઇનિંગ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ’ એકમ કાર્યરત છે. ભારતની ચલણની નોટો અહીં છપાય છે. આ એકમમાં 1440 કારીગરો કામ કરે છે. તેમજ ‘સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીઝ સિક્યૉરિટી ફોર્સ’ કોઈ દુર્ઘટના બને તે માટે તૈયાર રાખેલ છે. પરિવહન : દેવાસ પશ્ચિમ રેલવે વિભાગનું ‘B’ કક્ષાનું રેલવે જંકશન છે. આ સ્ટેશનને ઇન્દોર-ગ્વાલિયરને જોડતી રેલવેનો લાભ મળે છે. જે બ્રૉડગેજ અને સંપૂર્ણ વીજળીકરણ ધરાવે છે. આ શહેર રાષ્ટ્રીય ધોરી માર્ગો ન. 47 અને નં. 52 સાથે સંકળાયેલું છે. આ સિવાય રાજ્યના ધોરી માર્ગ MP SH-18નો પણ લાભ મળે છે. ઉત્તર હિંદુસ્તાની સંગીતના વિખ્યાત ગાયકો રજબઅલીખાં સાહેબ તથા કુમાર ગાંધર્વ ત્યાંના નિવાસી હતા.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ https://gujarativishwakosh.org/દેવાસ/)