Categories
વાચન સમૃદ્ધિ

આંગણવાડી

જાણીતા બાળકેણવણીકાર ગિજુભાઈ બધેકાની દૃષ્ટિએ ‘બાલમંદિર’નું વિકસિત અને વ્યાપક સ્વરૂપ.

ગિજુભાઈનાં સાથી અને મહારાષ્ટ્રનાં વિખ્યાત બાળકેળવણીકાર તારાબહેન મોડકે ૫૦ વર્ષ પહેલાં એનો પ્રારંભ કર્યો હતો. ગુજરાતમાં પણ એ વિચાર સ્વીકારાયો. જુગતરામભાઈ દવેએ આદિવાસી વિસ્તારમાં આંગણવાડીઓની સ્થાપના કરી અને તે ઉત્તમ રીતે ચલાવી. આંગણવાડીમાં બાળકના છ વર્ષ સુધીના વયગાળામાં માનસિક, ભાવાત્મક અને ક્રિયાત્મક – એમ સર્વાંગી વિકાસનો ખ્યાલ રહેલો છે. કેટલાક એને પૂર્વપ્રાથમિક શિક્ષણ રૂપે પણ ઓળખે છે. બાળકના વ્યક્તિત્વનો પાયો છ વર્ષની ઉંમર સુધીમાં નંખાઈ જાય છે એવો ખ્યાલ દુનિયાભરમાં સ્વીકાર પામ્યો છે. એટલે રમતો, ગીતો, નૃત્યો, ચિત્રો જેવી વિવિધ ક્રિયાઓ અને પ્રવૃત્તિઓ દ્વારા બાળકનો સર્વાંગી વિકાસ થાય એવી આંગણવાડીની વિભાવના છે. મોટા ભાગની આંગણવાડીઓ ગ્રામસ્તરે હોઈ બાળક્રીડાંગણનો ખ્યાલ પણ વિકસ્યો. સ્વરાજ પછી ગુજરાતમાં મનુભાઈ પંચોળીએ બાળશિક્ષણની સતત હિમાયત કરી અને બાળકેળવણીને ‘વિશ્વશાંતિની ગુરુકિલ્લી’ (Master Key) તરીકે ઓળખાવી. આંગણવાડીમાં (કે બાળમંદિરમાં) અક્ષરજ્ઞાન કે ગણિત શીખવવાનો હેતુ નથી, પરંતુ બાળકની ક્રિયાશક્તિ, તેનાં ભાવાત્મક પાસાંઓ અને તેનો જ્ઞાનપ્રાપ્તિનો પાયો દૃઢ બને એ ઉદ્દેશ છે.

સ્વરાજ આવ્યા પછી પણ વ્યાપક રૂપમાં આંગણવાડીનો ખ્યાલ સ્વીકારાયો ન હતો. ૧૯૭૫થી કેન્દ્ર સરકારે ‘સંકલિત બાળવિકાસ યોજના’ (Integrated Children’s Development Scheme – ICDS) દ્વારા માતા અને શિશુની જાળવણી, કાળજી અને વિકાસની દૃષ્ટિએ યોજના અમલમાં મૂકી. દરેક રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગામ સુધી આવાં કેન્દ્રો સ્થપાયાં છે. તેનું સંચાલન સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા થાય છે. જ્યાં સ્વૈચ્છિક સંસ્થાઓ જાગૃત અને દૃષ્ટિવાળી હોય છે ત્યાં બાળકેળવણીનું કામ વધુ નક્કર રીતે થાય છે. માતૃકલ્યાણ, પ્રસૂતિમાં કાળજી, બાળઉછેર, બાળકનું પોષણ અને છ વર્ષ સુધીનાં બાળકો માટેની કેળવણીની આ સંકલિત યોજનામાં આજે આરોગ્ય અને પોષણની કાળજી વધુ લેવાય છે. જોકે આંગણવાડીમાં બાળશિક્ષણ અંગે પણ પૂરતી કાળજી લેવાય એ જરૂરી છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, આંગણવાડી, પૃ. 140)

Categories
વાચન સમૃદ્ધિ

દીમાપુર

ભારતની પૂર્વે પહાડી રાજ્ય નાગાલૅન્ડનો જિલ્લો તથા મુખ્ય શહેર. તે અગાઉના કાચાર રાજ્યનું પાટનગર હતું. તે એક મહત્વનું વ્યાપારી અને ઔદ્યોગિક કેન્દ્ર તથા પર્યટક સ્થળ છે. તે ધનસિરિ નદીના જમણા કાંઠા પર વસેલું છે. 25° 54´ ઉ. અ. અને 93° 44´ પૂ. રે. પર રાજ્યના પાટનગર કોહિમાથી વાયવ્યમાં આશરે 45 કિમી. દૂર તે આવેલું છે. તેનો વિસ્તાર 924 ચોકિમી. છે. તે નૈઋત્યથી ઈશાન ખૂણા તરફ લંબાયેલી ‘કોહિમાની ટેકરીઓ’થી પશ્ચિમમાં અને આસામ રાજ્યની સીમા પરનાં મેદાનોમાં આવેલું છે. આમ છતાં તેની પાર્શ્વભૂમાં લીલોતરી અને કુદરતી સૌન્દર્યથી ભરપૂર એવી લાંબી ઊંચી પહાડી ટેકરીઓ અને તેમની વચ્ચે વચ્ચે નદીની ખીણો આવેલી છે. દીમાપુરની આબોહવા ઉપોષ્ણકટિબંધીય (sub-tropical) છે. અહીં એપ્રિલથી ઑક્ટોબર એમ લગભગ સાત માસ સુધી વરસાદ પડે છે. વરસાદનું પ્રમાણ આશરે 1800 મિમી. જેટલું છે. અહીં ડાંગર, મકાઈ, બાજરી, બટાટા, કઠોળ, શાકભાજી અને ફળોની ખેતી થાય છે.

તેનાં જંગલોમાં વાઘ, હાથી, સૂવર અને બીજાં અનેક પ્રકારનાં પ્રાણીઓ વસે છે. અહીં અન્ગામી અને ચાખેસાન્ગા જેવી નાગા જાતિના લોકો વસે છે. દીમાપુરને રેલ, રાષ્ટ્રીય ધોરી માર્ગો અને હવાઈ માર્ગોની ઉત્તમ સેવાઓ મળેલી છે, જેનાથી તે પડોશી રાજ્યો અને દેશનાં અગત્યનાં નગરોથી સંકળાયેલું છે. ગોલાઘાટ–ઇમ્ફાલ રાષ્ટ્રીય ધોરી માર્ગ ત્યાંથી પસાર થાય છે. તેની આસપાસના પ્રદેશોમાંથી અહીંના બજારમાં ચોખા, નારંગી, બટાટા, કપાસ અને બીજી ખેતપેદાશો આવે છે, તેથી તે કૃષિપેદાશોનું વ્યાપારકેન્દ્ર બન્યું છે. અહીં મુખ્યત્વે ખાદ્ય ચીજવસ્તુઓના પ્રોસેસિંગ તથા વપરાશી ચીજવસ્તુઓના ઉત્પાદનને લગતા ઉદ્યોગો,  છૂટક ભાગો જોડીને ટી.વી. બનાવવાના એકમો, ઈંટો બનાવવાનો યાંત્રિક પ્લાન્ટ અને કુટિર-ઉદ્યોગો વિકસ્યા છે. ખાંડની વિશાળ મિલ અને તેને સંલગ્ન આલ્કોહૉલનું ઉત્પાદન કરતો ઔદ્યોગિક એકમ પણ આ નગરમાં છે. જૂના વખતના આવાસો અને મહાલયોનાં સુંદર, કળામય બેનમૂન બાંધકામો માટે તે જાણીતું છે. ત્યાં દુર્ગ, નગરની આજુબાજુ ફરતો કોટ, પથ્થરનાં દ્વાર તથા સ્તંભ વગેરેના અવશેષો છે. આ જિલ્લાની અને શહેરની વસ્તી અનુક્રમે 4.39 લાખ અને 1.82 લાખ જેટલી (2026, આશરે) છે.

ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

આંદામાન-નિકોબાર ટાપુઓ

બંગાળના ઉપસાગરની દક્ષિણ-પૂર્વમાં આવેલા ટાપુઓનો સમૂહ.

ભારતના આ કેન્દ્રશાસિત વિસ્તારનું ભૌગોલિક સ્થાન : ૬° થી ૧૪° ઉ. અ. અને ૯૨° ૦૦´થી ૯૪° ૦૦´ પૂ. રે.ની આજુબાજુ રહેલું છે. વિસ્તાર : ૮,૨૪૮ ચો.કિમી.. વસ્તી : ૪ લાખ ૧૫ હજાર (૨૦૨૬, આશરે). આ પ્રદેશ ૩ જિલ્લાઓમાં વહેંચાયેલો છે. તેમાં શહેરો અને ગામડાંની સંખ્યા અનુક્રમે ૩ અને ૫૪૮ જેટલી છે. તેના ૩,૦૦૦ જેટલા ટાપુઓમાં ૩૬૫ મુખ્ય છે. આ ટાપુસમૂહ ભારતના પૂર્વકિનારાથી ૧,૨૦૦ કિમી. એટલે કે ૬૪.૮૬ નૉટિકલ માઈલ (સમુદ્રનાં અંતર નૉટિકલ માઈલમાં ગણાય છે. ૧ નૉટિકલ માઈલ = ૧.૮૫ કિમી. થાય.) દૂર છે. પાંચ મોટા ટાપુઓનો સમૂહ બૃહત આંદામાન તથા દક્ષિણમાંના ૨૦૪ જેટલા નાના ટાપુઓનો સમૂહ લઘુ આંદામાન તરીકે ઓળખાય છે. આ ટાપુઓનો વહીવટ ભારત સરકાર હસ્તક છે. આંદામાનની રાજધાની તેમ જ મુખ્ય શહેર પૉર્ટ બ્લેર દક્ષિણ આંદામાનમાં આવેલું છે. આ ઉપરાંત અન્ય બે શહેરો પણ છે. નિકોબાર ટાપુઓ આંદામાનની દક્ષિણે ૧૨૧ કિમી. દૂર આવેલા છે. આ ટાપુઓ વિષુવવૃત્તીય આબોહવા ધરાવે છે. આંદામાન ટાપુઓ ઉપર ઉત્તર-દક્ષિણ સમાંતર રીતે નાની-મોટી પર્વતમાળાઓ આવેલી છે, જેમાંનું સૌથી ઊંચું શિખર માઉન્ટ સેડલ ૭૫૦ મીટર ઊંચાઈએ છે. આ ટાપુઓની કુલ જમીનના ૮૫ % ભાગમાં ગીચ જંગલો આવેલાં છે. અહીં અભયારણ્યો તેમ જ પ્રાણીસંગ્રહાલય પણ છે.

ઓંગે જાતિના આદિવાસી લોકો નાના આંદામાનમાં વસે છે. અન્ય નિગ્રો કુળની જાતિઓ પણ અહીં વસે છે; જેમ કે, સૅન્ટિનેલીસ, જારાવા અને આંદામાનીસ. મૉંગોલૉઇડ જાતિના શૉમપેન અને નિકોબારીસ નિકોબાર ટાપુમાં વસે છે. આંદામાનના મૂળ વતનીઓ ૧૯મી સદી સુધી તો આધુનિક વિશ્વની સંસ્કૃતિથી તદ્દન અજાણ હતા અને પથ્થરયુગની સંસ્કૃતિમાં જીવતા હતા. જંગલો સાફ કરીને થતી ખેતીમાં કઠોળ, સોપારી, નાળિયેર, ડાંગર વગેરેનો પાક લેવાય છે. અહીંના મુખ્ય ઉદ્યોગોમાં ઇમારતી લાકડાં અને રબરનો સમાવેશ થાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, આંદામાન-નિકોબાર ટાપુઓ, પૃ. 141)