Categories
વાચન સમૃદ્ધિ

ઇસ્તંબૂલ

તુર્કસ્તાનનું મોટામાં મોટું નગર, મુખ્ય બંદર તથા ઉદ્યોગ, વ્યાપાર અને પ્રાચીન સંસ્કૃતિનું કેન્દ્ર.

ભૌગોલિક સ્થાન : ૪૧° ૧૦´ ઉ. અ. અને ૨૮° ૪૫´ પૂ. રે.. તે ભૂમધ્ય સમુદ્ર અને કાળા સમુદ્રને જોડતી બૉસ્ફરસની સામુદ્રધુનીના બંને કાંઠાઓ પર વસેલું છે. યુરોપ અને એશિયાને સાંકળતો આ એકમાત્ર જળમાર્ગ છે. બૉસ્ફરસ સામુદ્રધુનીની ઉપનદી ગોલ્ડન હૉર્ન આ નગરને બે વિભાગમાં જુદું પાડે છે : યુરોપીય ઇસ્તંબૂલ અને એશિયાઈ ઇસ્તંબૂલ. આ બંને વિભાગો વચ્ચે હોડીઓ મારફતે અવરજવર થાય છે; પરંતુ ઈ. સ. ૧૯૭૩માં આ બંને વિભાગોને જોડતો ૧,૦૭૫ મીટર લાંબો પુલ બનાવવામાં આવ્યો છે. ટોપકાપી પ્રાસાદ (Topkapi Palace) જેવાં મોટા ભાગનાં ઐતિહાસિક સ્મારકો યુરોપિયન વિભાગમાં આવેલાં છે. આ ઉપરાંત નગરમાં ૪૦૦ મસ્જિદો, ૧૭૫ ગિરજાઘરો તથા ૪૦ જેટલાં યહૂદીઓનાં સિનેગૉગ (ધાર્મિક સ્થળો) આવેલાં છે. અહીં ભૂમધ્ય સમુદ્રની આબોહવા પ્રવર્તે છે.

તુર્કસ્તાનના ૩૦% જેટલા ઔદ્યોગિક એકમો ઇસ્તંબૂલ ખાતે આવેલા છે. ખાનગી માલિકીનાં સાહસો પૈકી ૭૫% આ નગરમાં કેન્દ્રિત થયેલાં છે. નાના પાયાના હસ્તકલા-એકમો પણ અહીં આવેલા છે. તુર્કસ્તાનનો ૮૦% આયાતી વેપાર અને ૩૫% નિકાસી વેપાર આ નગર મારફતે થાય છે. અહીં પ્રવાસનનો પણ સારો વિકાસ થયેલો છે. ઉપલબ્ધ માહિતી અનુસાર આ નગરની સ્થાપના ઈ. સ. પૂ. ૬૬૦માં થયેલી હોવાનું ગણાય છે; પરંતુ ઈ. સ. પૂ. ૫૫૦૦થી ૩૫૦૦ (તામ્રયુગ) દરમિયાનની હસ્તકારીગરીની ચીજો અહીંથી મળી આવેલી હોવાથી એમ કહી શકાય કે અહીં તે વખતે સર્વપ્રથમ માનવ-વસાહત રહી ચૂકી હશે ! ઈ. સ. ૧૯૩૦ સુધી તે ‘કૉન્સ્ટેન્ટિનોપલ’ નામથી ઓળખાતું હતું. આ શહેરનો જૂનામાં જૂનો ભાગ સાત ટેકરીઓ પર બાંધેલો હતો, તે પરથી તે ‘સાત ટેકરીઓ પરનું શહેર’ જેવા ઉપનામથી પણ ઓળખાય છે. ઈ. સ. ૨૦૨૫ મુજબ આ નગરની વસ્તી આશરે ૧.૩૦ કરોડ જેટલી છે.

(વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-1, ઇસ્તંબૂલ, પૃ. 171)

Categories
વાચન સમૃદ્ધિ

દેવચકલી

ગાનપ્રિયતાને લીધે, ભારતીય રૉબિનનું બિરુદ પામનાર, પૅસેરિફૉર્મિસ શ્રેણી, મસ્સિકિપિડે કુળના ટર્ડિને ઉપકુળનું પક્ષી. દેખાવ ચકલીના જેવો. સામાન્યપણે ઝુંડમાં રહેનાર આ પક્ષી વસંત ઋતુની શરૂઆત થતાં માનવવસ્તીમાં પ્રવેશી, ઘરની કે ઝાડની ટોચે બેસી, કોમળ મીઠી સિસોટી જેવા અવાજથી માનવીનું ધ્યાન ખેંચે છે. ખાસ કરીને સંવનનકાળ દરમિયાન તેનું ગાન તરત જ પારખી શકાય છે. આ પક્ષીની લંબાઈ આશરે 16 સેમી. નરનો રંગ મુખ્યત્વે કાળો. માદા ઝાંખા ધુમાડિયા રંગની. ચાંચ અને પગ કાળાં. બંનેની પાંખમાં સફેદ પટી. દેવચકલીનો દેહ ઝાડની અંધારી ઘટામાં ભળી જવાથી તે જવલ્લે જ શિકારી પક્ષીની નજરે પડે છે. આમ પર્યાવરણના રંગમાં દેવચકલીનો રંગ ભળી જાય છે અને દુશ્મનોથી સુરક્ષિત રહે છે. આ પક્ષીની બીજી એક ખાસિયત તે પૂંછડી અક્કડ ઊભી રાખવાની ટેવ. પ્રજનનકાળ દરમિયાન નર અને માદા એકેક જોડીમાં સ્વતંત્ર ફર્યાં કરે છે. આવી ટેવને કારણે જ તેમને પિંજરામાં અલગ રાખવાં પડે છે કારણ કે અન્ય પક્ષીઓનો સહચાર તેઓ સહી શકતાં નથી.

દેવચકલી ખાસ કરીને ઉત્તર ભારત, ગુજરાત અને કચ્છમાં વિશેષ જોવા મળે છે. તે ડુંગરાઓમાં, બગીચાઓમાં અને વાડીઓમાં કાંટાળા છોડની આસપાસ ભ્રમણ કરે છે. તેનો ખોરાક જીવાતનો હોય છે અને તેને અનુરૂપ તેની ચાંચ પાતળી, સરળ, લાંબી, અને કોમળ હોય છે. સૂક્ષ્મ જીવાતની સાથે સાથે તીડ, ઇયળો, અને અળસિયાંનું પણ ભક્ષણ કરે છે. આ માંસાહારી પક્ષીનો પ્રિય ખોરાક, ઊધઈ છે, આથી જ તો વહેલી સવારે ઊધઈના રાફડા પર બેઠેલું, નાનું પક્ષી દેખાય તો સમજવું કે દેવચકલી જ હોવાની ! સંવનનકાળમાં જ સંગીતના સૂર રેલાવી નર ફેરફૂદડી ફરે છે. પૂંછડીનો પંખો રચી, તે માદાને રીઝવવા પ્રયત્ન કરે છે. તેનો આ પ્રણય-ઉન્માદ લાંબો સમય, 15થી 20 મિનિટ ટકી રહે છે. માર્ચ મહિનાની શરૂઆત થતાં જ દેવચકલી માળો બાંધવાનું કાર્ય શરૂ કરે છે. વૃક્ષોના પોલાણમાં, ખુલ્લા ઢાળિયામાં, જમીનની બખોલમાં, ઘરના ગોખલાઓમાં માળા માટેની સુરક્ષિત જગ્યા શોધી ઘાસનાં તણખલાં, લીમડાની સળીઓ, માથાના વાળ વગેરે ગોઠવી પડિયા જેવો છીછરો માળો રચે છે. ભારતીય પરંપરા મુજબ, દેવચકલીને શુકનિયાળ પક્ષી ગણવામાં આવે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ https://gujarativishwakosh.org/દેવચકલી/)

Categories
વાચન સમૃદ્ધિ

ઇલોરા

મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લામાં આવેલું પ્રવાસધામ.

તે ભારતનાં શિલ્પસ્થાપત્ય માટે વિશ્વવિખ્યાત છે. ભૌગોલિક સ્થાન : તે ઔરંગાબાદ(૧૯° ૫૦´ ઉ. અ. અને ૭૫° ૧૫´ પૂ. રે.)થી ઈશાનમાં ૨૯ કિમી.ને અંતરે આવેલું છે. આ સ્થળનું મૂળ નામ વેરુળ છે. અહીં આવેલા પશ્ચિમ ઘાટના પહાડોમાં ગુફાઓ છે. ગુફાઓની અંદર તેમ જ બહાર પથ્થરોને કોતરીને શિલ્પો કંડારવામાં આવેલાં છે. આ સ્થાપત્યરચના શિલાસ્થાપત્ય કે ગુફાસ્થાપત્ય તરીકે ઓળખાય છે. આ સ્થાપત્યો પાંચમી-છઠ્ઠીથી નવમી-દશમી સદી વચ્ચેના જુદા જુદા કાળમાં તૈયાર કરવામાં આવ્યાં છે. આ ગુફા ‘મ્હારવાડ’ના નામથી ઓળખાય છે. અહીંની ગુફાઓ બૌદ્ધ, હિંદુ અને જૈન ધર્મને લગતી છે. જેમાં દક્ષિણ છેડે ૧થી ૧૨ ગુફાઓમાં બૌદ્ધ ધર્મનાં, વચ્ચે ૧૩થી ૨૯ ગુફાઓમાં હિંદુ ધર્મનાં અને ઉત્તર છેડે ૩૦થી ૩૪ ગુફાઓમાં જૈન ધર્મનાં શિલ્પસ્થાપત્યો જોવા મળે છે. કેટલીક ગુફાઓમાં શિલાલેખો પણ છે.

બૌદ્ધ ગુફાઓ પૈકીની એકમાં બૌદ્ધવિહાર, બીજી એકમાં ભગવાન બુદ્ધને જ્ઞાનપ્રાપ્તિ થઈ તે પહેલાંની અને પછીની બુદ્ધની અવસ્થા દર્શાવતી પ્રતિમાઓ છે. આ ઉપરાંત બુદ્ધનાં ગુણગાન ગાતા ગાંધર્વો અને દેવગણોની, ધ્યાનસ્થ બુદ્ધની તેમ જ બોધિવૃક્ષ નીચે જ્ઞાનપ્રાપ્તિ માટે બેઠેલા બુદ્ધની પ્રતિમાઓ પણ છે. પ્રથમ પાંચ ગુફાઓ એક મજલાની, વિહાર આકારની છે. પાંચમી ગુફા સૌથી વિશાળ છે, તેમાં વિહાર અને ચૈત્યગૃહનું સંયોજન છે. આઠમી ગુફામાં ચૈત્યગૃહનું મહત્ત્વ દર્શાવાયું છે. ‘સુથારી ગુફા’ તરીકે ઓળખાતી દસમી ગુફા વધુ જાણીતી છે. બૌદ્ધ ગુફાઓની સરખામણીમાં હિંદુ ગુફાઓમાં હિંદુ દેવ-દેવીઓનાં શિલ્પો સાથે પ્રસંગોચિત દૃશ્યો છે. આ ગુફાઓનું નિર્માણ સાતમી સદીના પ્રારંભમાં થયેલું છે. ગુફા નં ૧૪માં રાવણને કૈલાસ પર્વત ઉપાડતો તથા ભગવાન શંકર પગના અંગૂઠાથી તેને દબાવી રાખે છે એવું દૃશ્ય આલેખાયું છે. પૌરાણિક કથાઓનાં દૃશ્યો પણ છે. પંદરમી ગુફા દશાવતારને નામે ઓળખાય છે. તે શિલ્પકલાનો અદ્ભુત નમૂનો પૂરો પાડે છે.

(વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, ઇલારો, પૃ. 167)