Categories
વાચન સમૃદ્ધિ

આત્મગોપન (Camouflage)

પર્યાવરણ સાથે એકરૂપતા સાધી જાતબચાવ કરવાની પ્રાણીઓની તરકીબ.

પ્રાણીજગતમાં ભક્ષકથી બચવું અને ભક્ષ્યને પકડવું એ સૌથી મોટી પ્રવૃત્તિ છે. આ માટે પ્રાણીઓ જાતજાતની તરકીબો કરતાં હોય છે. જાતબચાવ માટે પ્રાણીઓ પોતાના પરિસરમાં રંગરૂપથી ભળી જઈને, ભક્ષકની નજરથી બચવાની યુક્તિ અજમાવે છે. ઘણાં પ્રાણીઓ તેમના આકારની મદદથી આત્મગોપન કરે છે. ઘણાં જીવડાં સૂકી ડાળી જેવાં લાગે છે અને ઝાડની ડાળીમાં ભળી જાય છે. ઘણાં જીવડાં પાંદડાં જેવાં લાગે છે ને પાંદડાંમાં ભળી જાય છે. પતંગિયાં પણ તેમની નાજુક રંગબેરંગી પાંખોને લીધે ફૂલોમાં ભળી જઈ તેમના ભક્ષકની નજરથી બચી જાય છે. ઘણાં પ્રાણીઓના શરીર પરના ચટાપટા તેમને આત્મગોપન કરવામાં મદદ કરે છે. ઊભા ઘાસમાં ઊભા ચટાપટાવાળો વાઘ સહેલાઈથી છુપાઈને રહી શકે છે અને હરણ જેવાં ઘાસ ચરતાં પ્રાણીઓ પર તે ત્રાટકી શકે છે.

તીડનું આત્મગોપન

હરણના શરીર પરની ટપકાં જેવી ભાત તેને પણ આત્મગોપન કરવામાં મદદ કરે છે. ઝાડનાં પાંદડાંમાંથી ચળાઈને આવતા તડકાની ટપકાં છાંયડાની ભાતમાં હરણના શરીરની ભાત ભળી જાય છે. વળી કેટલીક માછલીઓ તથા કાચિંડા જેવાં કેટલાંક પ્રાણીઓ તેમના પરિસર પ્રમાણે રંગો ધારણ કરી શકે છે. ઠંડા પ્રદેશમાં રહેતાં પ્રાણીઓને આસપાસના બરફમાં ભળી જવા માટે ધોળા વાળ મળેલા હોય છે. શિયાળો પૂરો થતાં સસલાં, રીંછ, શિયાળ પાછાં તેમના મૂળ કથ્થાઈ રંગનાં થઈ જાય છે. ચટાપટાવાળાં ઝિબ્રા ટોળામાં ઊભાં હોય ત્યારે સિંહ તેમાંથી કોઈ એક ચોક્કસ પ્રાણીને સ્પષ્ટ જોઈ શકતો નથી. ચટાપટાને લીધે આ પ્રાણીઓ જાણે એકબીજાંમાં ભળી જાય છે. આથી સિંહ કોઈ એક પ્રાણીનો પીછો કરી તેને પકડી શકતો નથી. ટિટોડી પોતાનાં ઈંડાં જમીન પર ખુલ્લામાં મૂકે છે એટલે ઈંડાં કાંકરા જેવા દેખાવનાં હોય છે. મરઘીનાં બચ્ચાં નાનાં હોય ત્યારે પીળાં હોય છે, જેથી જમીન પર રહેતાં બચ્ચાં તેમના પરિસરમાં ભળી જાય છે. મોટાં થતાં બચ્ચાં રંગબેરંગી પીંછાં ધારણ કરે છે. આ રીતે પ્રાણી પોતાના આકાર, રંગ, શરીરની ભાત વગેરેને લીધે પરિસરમાં ભળી જાય તેવી તરકીબ કરે છે. આને આત્મગોપન (છદ્માવરણ) કહે છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1

Categories
વાચન સમૃદ્ધિ

દાડમ

દ્વિદળી વર્ગમાં આવેલા કુળ પ્યુનિકેસીની ક્ષુપ કે નાનું વૃક્ષ સ્વરૂપ ધરાવતી વનસ્પતિ. વૈજ્ઞાનિક નામ Punica granatum Linn. (સં. દાડિમ; હિં. અનાર; બં. ડાલિમ; મ.ક. ડાલિંબ; ફા. અનારસીરી, અનારતુરશ; અં. pomegranate) છે. તેની મુખ્ય બે જાતો છે – એક પુષ્પવાળી, બગીચામાં રોપાતી અને બીજી ફળવાળી, વાડી કે કંપાઉન્ડમાં રોપાતી. ફૂલવાળી જાતોના મુખ્ય બે પ્રકાર છે : (1) P. granatum var. florepleno : આ જાતને બાલ્સમ જેવાં મોટાં લગભગ 5 થી 6 સેમી. કદનાં ડબલ પાંખડીનાં લાલ રંગનાં પુષ્પ આવે છે. ફળ બેસતાં નથી. (2) P. granatum var. albopleno : આ જાતને ઉપર પ્રમાણે જ સફેદ રંગનાં પુષ્પ આવે છે. આ જાત ભાગ્યે જ જોવા મળે છે. સામાન્ય રીતે લાલ જાત જ મળે છે. ચોમાસામાં વનસ્પતિ પુષ્પથી ઠીક ઠીક ભરાઈ જાય છે. ફળવાળી જાતનાં પુષ્પ નાનાં અને એકલ પાંખડીનાં હોય છે. ફળની વાડીઓમાં આ જાત રોપાય છે. તેની ઘણી જાતો આવે છે. બધી જાતોને ગોરાડુ જમીન અને સાધારણ ઓછો વરસાદ વધારે માફક આવે છે.

દાડમ : પર્ણ અને પુષ્પ સાથેનું ઝાડ, પુષ્પ, ફળ

ફળમાંથી સુગંધિત, મીઠો અને ઘેરા રંગનો રસ મેળવવામાં આવે છે. રસની ગુણવત્તા તેમાં રહેલા ઍસિડ અને શર્કરાના પ્રમાણ પરથી નક્કી થાય છે. ફળની છાલમાંથી ટૅનિન મળી આવે છે. પુષ્પમાંથી આછો લાલ રંગ મળી આવે છે. ભારતમાં તેનો કાપડ રંગવામાં ઉપયોગ કરવામાં આવે છે. વૈદ્યકમાં ફળ તૂરું, મધુર, ખાટું, તૃપ્તિકારક, સ્નિગ્ધ, દીપન, રુચિકર, ગ્રાહી, ભૂખવર્ધક, ઉષ્ણ, લઘુ, અગ્નિદીપક, ઝાડાને બાંધનાર, હૃદયને હિતકર, પચવામાં હળવું, પાચક, ત્રિદોષહર તથા કફ, ઉધરસ, શ્રમ, મુખરોગ, કંઠરોગ, તાવ, દાહ, હૃદયરોગ, સંગ્રહણી, નસકોરી ફૂટવી જેવા રોગો મટાડનારું છે. મીઠું દાડમ તૃપ્તિકારક, ધાતુવર્ધક, મેધાકર, બલપ્રદ અને સદા પથ્ય છે. વધુ ખાટાં દાડમ પિત્તકારક અને રક્તપિત્તકર્તા છે. તે વાયુનો નાશ કરે છે. ફળની છાલનો કે દાડમના રસનો ઉપયોગ બાળકની ઉધરસ પર, અતિસાર અને સંગ્રહણી ઉપર થાય છે. તેના પ્રકાંડ અને મૂળની છાલનો કાઢો કૃમિમાં ઉપયોગી છે. ઉષ્ણ પિત્ત પર દાડમનું શરબત આપવામાં આવે છે. તેના દાણાનો રસ આંખોની ગરમી પર અપાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9, દાડમ, પૃ. 289 અથવા જુઓ https://gujarativishwakosh.org/દાડમ/)

Categories
વાચન સમૃદ્ધિ

આગ્રા

મુઘલ શાસકોના સમયનું ભારતનું જાણીતું શહેર.

તે ઉત્તરપ્રદેશ રાજ્યમાં આવેલું છે. તેનું ભૌગોલિક સ્થાન ૨૭° ૧૧´ ઉ. અ. અને ૭૮°  ૦૧´ પૂ. રે. છે. આગ્રા જિલ્લાની વસ્તી ૫૫,૧૦,૦૦૦ લાખ (૨૦૨૫, આશરે) અને આગ્રા શહેરની વસ્તી ૨૩,૧૭,૦૦૦ (૨૦૨૫, આશરે) છે. જિલ્લાનો વિસ્તાર ૪,૦૨૭ ચોકિમી. છે. આ જિલ્લામાં યમુના નદીનાં ફળદ્રૂપ મેદાનો આવેલાં છે. જિલ્લામાં નૈઋત્યે નાની ટેકરીઓ આવેલી છે. ઘઉં, જવ અને કપાસ જિલ્લાના મુખ્ય પાકો છે. સોળમી સદીના આરંભમાં અફઘાન વંશના સિકંદર લોદીએ આગ્રા શહેરની સ્થાપના કરી હોવાનું મનાય છે. તે પહેલાં આજના સ્થળે ‘આગ્રી’ નામે એક ગામ વસેલું હોવાનો ઉલ્લેખ મળે છે. લાલ કિલ્લો દિલ્હીમાં બંધાયો તે પહેલાં ઈ. સ. ૧૫૬૫માં અકબરે અહીં બાંધ્યો હતો. એ લાલ કિલ્લા પહેલાં પણ એક અતિપ્રાચીન કિલ્લો આગ્રામાં હતો તેમ કહેવાય છે. મુઘલ સામ્રાજ્ય દરમિયાન કેટલાંક વર્ષો સુધી આગ્રા તેનું પાટનગર રહ્યું હતું.

આગ્રાનો કિલ્લો

આગ્રામાં લાલ કિલ્લા ઉપરાંત કલાકારીગરીની રીતે બેનમૂન એવી ‘ઇદમતદોલા’ કબર છે. અહીંની આધુનિક સમયમાં બંધાઈ રહેલી ‘દયાલબાગ’ની ઇમારત પણ જોવાલાયક છે. તે રાધાસ્વામી સંપ્રદાયના ગુરુની સમાધિ છે. આગ્રા શહેર દિલ્હીથી અગ્નિકોણમાં ૧૬૦ કિમી. અંતરે આવેલું છે. તે સૌથી વધુ તો તાજમહેલ માટે જાણીતું છે. તાજમહેલ સત્તરમી સદીમાં શાહજહાંએ બંધાવ્યો હતો. અહીંના લાલ કિલ્લામાંની મોતી મસ્જિદ પ્રખ્યાત છે. આગ્રા શહેરથી વાયવ્યે સિકંદરા ખાતે અકબરનો મકબરો તથા શહેરથી નૈઋત્યે ૩૭ કિમી. દૂર ફતેહપુર સિક્રી આવેલાં છે. આગ્રા માર્ગ અને રેલવ્યવહારથી દેશના અન્ય ભાગો સાથે જોડાયેલું છે. તે મોટું ઔદ્યોગિક અને વ્યાપારી કેન્દ્ર છે. હિંદુ ધર્મના રાધાસ્વામી સંપ્રદાયનું તે મોટું મથક છે. આગ્રા શહેરમાં ઈ. સ. ૧૯૨૭માં સ્થપાયેલી યુનિવર્સિટી છે. આગ્રાના ગાલીચાઓ, સોના તથા ચાંદી પરનું જડતરકામ અને સફેદ આરસપહાણ પરનું કોતરકામ વિશ્વવિખ્યાત છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1