ઇસ્તંબૂલ


તુર્કસ્તાનનું મોટામાં મોટું નગર, મુખ્ય બંદર તથા ઉદ્યોગ, વ્યાપાર અને પ્રાચીન સંસ્કૃતિનું કેન્દ્ર.

ભૌગોલિક સ્થાન : ૪૧° ૧૦´ ઉ. અ. અને ૨૮° ૪૫´ પૂ. રે.. તે ભૂમધ્ય સમુદ્ર અને કાળા સમુદ્રને જોડતી બૉસ્ફરસની સામુદ્રધુનીના બંને કાંઠાઓ પર વસેલું છે. યુરોપ અને એશિયાને સાંકળતો આ એકમાત્ર જળમાર્ગ છે. બૉસ્ફરસ સામુદ્રધુનીની ઉપનદી ગોલ્ડન હૉર્ન આ નગરને બે વિભાગમાં જુદું પાડે છે : યુરોપીય ઇસ્તંબૂલ અને એશિયાઈ ઇસ્તંબૂલ. આ બંને વિભાગો વચ્ચે હોડીઓ મારફતે અવરજવર થાય છે; પરંતુ ઈ. સ. ૧૯૭૩માં આ બંને વિભાગોને જોડતો ૧,૦૭૫ મીટર લાંબો પુલ બનાવવામાં આવ્યો છે. ટોપકાપી પ્રાસાદ (Topkapi Palace) જેવાં મોટા ભાગનાં ઐતિહાસિક સ્મારકો યુરોપિયન વિભાગમાં આવેલાં છે. આ ઉપરાંત નગરમાં ૪૦૦ મસ્જિદો, ૧૭૫ ગિરજાઘરો તથા ૪૦ જેટલાં યહૂદીઓનાં સિનેગૉગ (ધાર્મિક સ્થળો) આવેલાં છે. અહીં ભૂમધ્ય સમુદ્રની આબોહવા પ્રવર્તે છે.

તુર્કસ્તાનના ૩૦% જેટલા ઔદ્યોગિક એકમો ઇસ્તંબૂલ ખાતે આવેલા છે. ખાનગી માલિકીનાં સાહસો પૈકી ૭૫% આ નગરમાં કેન્દ્રિત થયેલાં છે. નાના પાયાના હસ્તકલા-એકમો પણ અહીં આવેલા છે. તુર્કસ્તાનનો ૮૦% આયાતી વેપાર અને ૩૫% નિકાસી વેપાર આ નગર મારફતે થાય છે. અહીં પ્રવાસનનો પણ સારો વિકાસ થયેલો છે. ઉપલબ્ધ માહિતી અનુસાર આ નગરની સ્થાપના ઈ. સ. પૂ. ૬૬૦માં થયેલી હોવાનું ગણાય છે; પરંતુ ઈ. સ. પૂ. ૫૫૦૦થી ૩૫૦૦ (તામ્રયુગ) દરમિયાનની હસ્તકારીગરીની ચીજો અહીંથી મળી આવેલી હોવાથી એમ કહી શકાય કે અહીં તે વખતે સર્વપ્રથમ માનવ-વસાહત રહી ચૂકી હશે ! ઈ. સ. ૧૯૩૦ સુધી તે ‘કૉન્સ્ટેન્ટિનોપલ’ નામથી ઓળખાતું હતું. આ શહેરનો જૂનામાં જૂનો ભાગ સાત ટેકરીઓ પર બાંધેલો હતો, તે પરથી તે ‘સાત ટેકરીઓ પરનું શહેર’ જેવા ઉપનામથી પણ ઓળખાય છે. ઈ. સ. ૨૦૨૫ મુજબ આ નગરની વસ્તી આશરે ૧.૩૦ કરોડ જેટલી છે.

(વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-1, ઇસ્તંબૂલ, પૃ. 171)