Categories
વાચન સમૃદ્ધિ

દશેરા

હિન્દુ સંસ્કૃતિનો નિદર્શક પ્રખ્યાત તહેવાર. દશમીનાં વ્રતોમાં દશેરા કે વિજયાદશમીનું વ્રત મહત્ત્વનું છે. વિજયાદશમી કે દશેરા આશ્વિન માસની શુક્લપક્ષની દશમ છે. શાસ્ત્રીય વિધિ અનુસાર નવમીના યોગવાળી દશમે હેમાદ્રિ અનુસાર મધ્યાહન પછી અપરાજિતા દિશા – ઈશાનમાં અપરાજિતા દેવીની સ્થાપના કરવામાં આવે છે. અપરાજિતાનાં પૂજન-અર્ચન થાય છે. એકાદશીએ તેની યાત્રા થાય છે. શ્રવણ નક્ષત્રનો યોગ ઉત્તમ મનાય છે. મદનરત્નમાં વિજય મુહૂર્તમાં સીમા ઓળંગવાનું વિહિત છે. ભવિષ્ય પુરાણના કથન અનુસાર ઈશાનમાં શમી એટલે કે ખીજડાના વૃક્ષનું ઈશાનાભિમુખ થઈ પૂજન-અર્ચન કરવાનું વિધાન છે. ગોપથબ્રાહ્મણ અનુસાર નવાં વસ્ત્રો ધારણ કરી અશ્વ-ગજને શણગારી વાદ્યો સાથે સવારી કાઢી પુરોહિત સાથે રાજાએ સીમા પર્યંત જઈ વાસ્તુ-દેવતા, દિકપાલ અને શમીનું વેદ-પુરાણોક્ત મંત્રોથી પૂજન કરીને શત્રુની પ્રતિમૂર્તિ વીંધી સીમા પાર કરી વિજયમંત્રો અને જય-મંગલઘોષ સાથે પાછા આવી વડીલોને વંદન કરવાનાં હોય છે. ચતુરંગ સૈન્યનાં કૌતુક દર્શાવવામાં આવે છે. આ દિવસે નીલકંઠ પક્ષીનું દર્શન શુભ મનાય છે.

દશેરા પ્રસંગે દિલ્હીના રામલીલા મેદાનમાં રાવણદહન

આ દિવસે રઘુએ કૌત્સને ચૌદ કોટિ સુવર્ણમુદ્રા કુબેર પાસેથી મેળવી આપી. રઘુએ વધેલું સોનું નાગરિકોને વહેંચ્યું હોવાથી આ દિવસે સોનું લૂંટવાની પણ પરંપરા છે. આ દિવસે રામે રાવણનો વધ કર્યો હતો. પાંડવોનો ગુપ્તવાસ આ દિવસે પૂરો થયો અને અર્જુને બૃહન્નલાના વેશે શમી વૃક્ષ ઉપરથી શસ્ત્રો મેળવ્યાં હતાં. આ દિવસે ચામુંડાએ મહિષાસુર માર્યો હતો. આ દિવસે ક્ષત્રિયો શસ્ત્રપૂજન કરે છે. રામલીલાની સ્મૃતિમાં રાવણદહન કરાય છે. મહારાષ્ટ્રમાં શમીપૂજા, શસ્ત્રપૂજા અને સીમોલ્લંઘનની પરંપરા છે. વિદ્વાનો-પંડિતો જૂની પોથીનું પૂજન કરે છે. યંત્રો અને વાહનોની પૂજા પણ કરાય છે. દુર્ગાની પૂજા મુશ્કેલ કાર્યને પાર પાડે છે. નવરાત્રીની સમાપ્તિનો દિવસ હોવાથી જવારા લાવી ગોખ કે કબાટમાં મૂકવાની પણ પરંપરા છે. કાયસ્થ લોકો પાંચ મંડળ બનાવી પંચ કળશ – ઘટની પૂજા, ગૃહદેવતાનું આરાધન આદિ કરે છે. ચર લગ્નમાં પૂજન-અર્ચન, સીમોલ્લંઘન વધુ શુભ ગણાય છે. બંગાળમાં મૂળ નક્ષત્રમાં દુર્ગા પધરાવી શ્રાવણમાં વિસર્જન થાય છે. ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન વગેરે પ્રદેશમાં આ પર્વનું ભારે મહત્ત્વ છે. ભારતમાં આ ઉત્સવ ઉલ્લાસભેર ઊજવાય છે. રાવણના પૂતળાનું દહન કરીને તથા ઘોડા દોડાવીને લોકો ઉત્સવ માણે છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-9 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

આગ

કાબૂમાં ન રહે એવો અગ્નિ.

અગ્નિ વડે માણસ ઘણાં કામો કરે છે. તેના વગર જીવન પણ અશક્ય જેવું બની જાય છે. કોઈ કોઈ વાર અગ્નિ ભડભડતો બેકાબૂ બની જાય ત્યારે તે માલમિલકતને નુકસાન પહોંચાડે છે ને ક્યારેક જાનહાનિ પણ કરે છે. અત્યારના સંજોગોમાં શહેરોની ગીચ વસ્તી, ગગનચુંબી ઇમારતો તથા બાંધકામમાં વપરાતા જલદીથી સળગી જાય તેવા દહનશીલ પદાર્થોને લીધે આગ લાગવાની શક્યતા વધી ગઈ છે. હાલમાં રાંધણગૅસનો ઉપયોગ, વીજળી વાપરતાં સાધનોનો ઉપયોગ પણ આગ લગાડવામાં કારણભૂત બને છે. તેલના કૂવાઓનું શારકામ, પેટ્રોલ જેવા જલદીથી સળગી ઊઠે તેવા પદાર્થોનો સંગ્રહ, ખનિજતેલનું શુદ્ધીકરણ વગેરેને કારણે કેટલીક વાર આગ લાગી જાય છે. ધૂમ્રપાન, દારૂખાનું, તેલના દીવા વગેરેથી પણ આગ લાગી શકે છે. વળી આવી બધી બાબતોમાં બેદરકારી રાખવાથી આગ લાગવાના બનાવો વધારે બને છે.

આગ લાગે ત્યારે અગ્નિશામક દળને બોલાવવું જરૂરી છે.

કેટલીક વાર કુદરતી ઘટનાથી પણ આગ લાગે છે; જેમ કે જંગલમાં લાકડાં ઘસાતાં તણખા ઝરે છે ને તે સૂકાં પાંદડાં પર પડતાં આગ લાગી જાય છે. ૨૦૨૫ના જાન્યુઆરી માસમાં અમેરિકાના કૅલિફૉર્નિયા રાજ્યમાં જંગલમાં લાગેલી આગને કારણે ૬૦% જંગલો બળી ગયાં હતાં. કેટલીક વાર જ્વાળામુખી ફાટે ત્યારે અંદરથી ધગધગતો લાવારસ બહાર ફેલાય છે અને તેના વડે પણ આગ લાગી શકે છે. વળી વીજળી ત્રાટકવાથી પણ આગ લાગવાના બનાવો બને છે. ગરમી, ઑક્સિજન તથા દહનશીલ પદાર્થો એકઠા થતાં આગનો ઉપદ્રવ વધી જાય છે. તેથી આગ કાબૂમાં લેવા આ પદાર્થો ભેગા ન થાય એવું કરવું પડે છે. આગ બુઝાવવા માટે પાણી અને રેતીનો, શુષ્ક પાઉડર ને ફીણનો છંટકાવ કે કાર્બન ડાયૉક્સાઇડ જેવા ગૅસનો ઉપયોગ કરવામાં આવે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, આગ, પૃ. 98)

Categories
વાચન સમૃદ્ધિ

દશાવતારી નાટક

મહારાષ્ટ્રના પારંપરિક નાટ્યસાહિત્યનો પ્રકાર. તેને દશાવતારી ખેળે કહે છે. આ પ્રકારનાં નાટકો દક્ષિણ કોંકણ અને ગોવામાં લોકપ્રિય છે. નવો પાક ઊતર્યા પછી હોળી સુધી વિવિધ ગામોમાં યોજાતી મંદિરોની યાત્રામાં દશાવતારી નાટકો દક્ષિણ કોંકણ અને ગોવામાં ભજવાતાં. આ પ્રકારનાં નાટકોમાં વિષ્ણુના દશ અવતારોની રજૂઆત થાય છે અને એ કારણે એનું ‘દશાવતારી’ નામ પડ્યું છે. આ નાટ્યપરંપરા સાતમી સદીથી ચાલતી આવી છે એવી એક માન્યતા છે. સત્તરમી સદીમાં સંત રામદાસ એમના ‘દાસબોધ’માં દશાવતારી રમતોનો નિર્દેશ કરે છે, પરંતુ એ વખતે પ્રચલિત સ્વરૂપ વિશે કશી માહિતી મળતી નથી. એક દૃષ્ટિએ આ નાટ્યપ્રકારનું મૂળ કર્ણાટકમાં છે. કર્ણાટકમાં યક્ષગાનની શૈલીમાં દશાવતારની કથાની રજૂઆત થતી અને હજીય થાય છે. મહારાષ્ટ્રમાં આ નાટ્યપરંપરા અઢારમી સદીથી શરૂ થઈ. દશ અવતારોમાં મત્સ્યાવતારથી કૃષ્ણાવતાર સુધીના અવતારોની રજૂઆત હોય છે. પણ કૂર્મ, વરાહ અને પરશુરામના અવતારોનો નિર્દેશ માત્ર ગીતો દ્વારા કરવામાં આવે છે. બુદ્ધ અને કલ્કિ અવતારો દર્શાવવામાં આવતા નથી. મત્સ્યાવતારમાં સંકાસુરવધની વાત આવે છે. પણ સંકાસુરનું પાત્ર ભયાનક દર્શાવવાને બદલે વિદૂષક જેવું રમૂજ ઉપજાવે એવું દર્શાવવામાં આવે છે. રામ અને કૃષ્ણના અવતારોની અનેક ઘટનાઓ નિરૂપિત થાય છે. કૃષ્ણાવતારની રજૂઆતમાં રાધાનું પાત્ર મહત્ત્વનું હોય છે. નાટકની શરૂઆત મધરાતે થાય છે અને સવાર સુધી એ ચાલ્યાં કરે છે.

દશાવતારમાં પૂજારી, દાસી, ગણપતિ અને સંકાસુરનાં પાત્રો

ઘણાં કોંકણી કુટુંબોમાં દશાવતારીનો પાઠ ભજવવાની પરંપરા ચાલતી આવી છે. અભિનેતાઓ તથા પ્રેક્ષકો બંને નાટક ભજવાતું હોય છે ત્યારે પોતપોતાની રીતે ભગવાનની આરાધના કરતા હોય છે. આ નાટકની પ્રારંભિક વિધિ મંદિરના પૂજારીના ઘરમાં થાય છે. ત્યાં ધાર્મિક વિધિ કરી, રંગભૂષા અને વેષભૂષા કરી, સરઘસ કાઢી મૃદંગમંજીરા વગાડતા, નાચતાગાતા, મંદિરના સભામંડપમાં તૈયાર કરેલા મંચ પર આવે છે. પ્રેક્ષકો ભેગા થાય ત્યાં સુધી મૃદંગની જુગલબંધી ચાલે છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9, દશાવતારી નાટક, પૃ. 268 અથવા જુઓ https://gujarativishwakosh.org/દશાવતારી નાટક/)