મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લામાં આવેલું પ્રવાસધામ.
તે ભારતનાં શિલ્પસ્થાપત્ય માટે વિશ્વવિખ્યાત છે. ભૌગોલિક સ્થાન : તે ઔરંગાબાદ(૧૯° ૫૦´ ઉ. અ. અને ૭૫° ૧૫´ પૂ. રે.)થી ઈશાનમાં ૨૯ કિમી.ને અંતરે આવેલું છે. આ સ્થળનું મૂળ નામ વેરુળ છે. અહીં આવેલા પશ્ચિમ ઘાટના પહાડોમાં ગુફાઓ છે. ગુફાઓની અંદર તેમ જ બહાર પથ્થરોને કોતરીને શિલ્પો કંડારવામાં આવેલાં છે. આ સ્થાપત્યરચના શિલાસ્થાપત્ય કે ગુફાસ્થાપત્ય તરીકે ઓળખાય છે. આ સ્થાપત્યો પાંચમી-છઠ્ઠીથી નવમી-દશમી સદી વચ્ચેના જુદા જુદા કાળમાં તૈયાર કરવામાં આવ્યાં છે. આ ગુફા ‘મ્હારવાડ’ના નામથી ઓળખાય છે. અહીંની ગુફાઓ બૌદ્ધ, હિંદુ અને જૈન ધર્મને લગતી છે. જેમાં દક્ષિણ છેડે ૧થી ૧૨ ગુફાઓમાં બૌદ્ધ ધર્મનાં, વચ્ચે ૧૩થી ૨૯ ગુફાઓમાં હિંદુ ધર્મનાં અને ઉત્તર છેડે ૩૦થી ૩૪ ગુફાઓમાં જૈન ધર્મનાં શિલ્પસ્થાપત્યો જોવા મળે છે. કેટલીક ગુફાઓમાં શિલાલેખો પણ છે.

બૌદ્ધ ગુફાઓ પૈકીની એકમાં બૌદ્ધવિહાર, બીજી એકમાં ભગવાન બુદ્ધને જ્ઞાનપ્રાપ્તિ થઈ તે પહેલાંની અને પછીની બુદ્ધની અવસ્થા દર્શાવતી પ્રતિમાઓ છે. આ ઉપરાંત બુદ્ધનાં ગુણગાન ગાતા ગાંધર્વો અને દેવગણોની, ધ્યાનસ્થ બુદ્ધની તેમ જ બોધિવૃક્ષ નીચે જ્ઞાનપ્રાપ્તિ માટે બેઠેલા બુદ્ધની પ્રતિમાઓ પણ છે. પ્રથમ પાંચ ગુફાઓ એક મજલાની, વિહાર આકારની છે. પાંચમી ગુફા સૌથી વિશાળ છે, તેમાં વિહાર અને ચૈત્યગૃહનું સંયોજન છે. આઠમી ગુફામાં ચૈત્યગૃહનું મહત્ત્વ દર્શાવાયું છે. ‘સુથારી ગુફા’ તરીકે ઓળખાતી દસમી ગુફા વધુ જાણીતી છે. બૌદ્ધ ગુફાઓની સરખામણીમાં હિંદુ ગુફાઓમાં હિંદુ દેવ-દેવીઓનાં શિલ્પો સાથે પ્રસંગોચિત દૃશ્યો છે. આ ગુફાઓનું નિર્માણ સાતમી સદીના પ્રારંભમાં થયેલું છે. ગુફા નં ૧૪માં રાવણને કૈલાસ પર્વત ઉપાડતો તથા ભગવાન શંકર પગના અંગૂઠાથી તેને દબાવી રાખે છે એવું દૃશ્ય આલેખાયું છે. પૌરાણિક કથાઓનાં દૃશ્યો પણ છે. પંદરમી ગુફા દશાવતારને નામે ઓળખાય છે. તે શિલ્પકલાનો અદ્ભુત નમૂનો પૂરો પાડે છે.
અમલા પરીખ, થોમસ પરમાર
(વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, ઇલારો, પૃ. 167)
