Categories
વાચન સમૃદ્ધિ

જેસલમેર

રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો તેમજ તે જ નામ ધરાવતું જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : તે ૨૬° ૫૫´ ઉ. અ. અને ૭૦° ૫૪´ પૂ. રે.. આજુબાજુનો ૩૮,૪૦૧ ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર, વાયવ્ય અને પશ્ચિમ તરફ પાકિસ્તાનની સીમા, ઈશાન, પૂર્વ અને દક્ષિણ તરફ અનુક્રમે રાજ્યના બિકાનેર, જોધપુર અને બાડમેર જિલ્લા આવેલા છે. જિલ્લામથક જેસલમેર જિલ્લાની મધ્યમાં આવેલું છે.

ભૂપૃષ્ઠ-જળપરિવાહ : જિલ્લાનો ઘણોખરો વિસ્તાર રણથી છવાયેલો છે. રણવિસ્તાર રેતીવાળો, સૂકો અને પાણીની અછતવાળો છે. જેસલમેરની નજીકમાં અંદાજે ૬૦ કિમી.ની ત્રિજ્યામાં નાની-મોટી ડુંગરધારો તથા અસમતળ ખડકાળ મેદાનો આવેલાં છે. રણપ્રદેશમાં જુદા જુદા આકાર અને કદવાળા સ્થિર તેમજ અસ્થિર રેતીના ઢૂવા જોવા મળે છે. ક્યાંક ક્યાંક જોવા મળતી રેતીની ટેકરીઓ છે, જો ત્યાં થોડો પણ વરસાદ પડે તો તે હરિયાળી બની શકે અને ગોચરોમાં ફેરવાઈ શકે એવી શક્યતા છે. આ ટેકરીઓની ઊંચાઈ ૬૦થી ૧૦૦ મીટરની છે, તે બોરડી અને ખીજડાથી આચ્છાદિત છે. પોખરણની આજુબાજુ ગ્રેવલ-મરડિયાના થર પથરાયેલા છે. ઇંદિરા ગાંધી નહેર આ જિલ્લાના ઉત્તર અને પશ્ચિમ ભાગમાંથી પસાર થાય છે. ખેતીને તેનો લાભ મળે છે. અહીં કોઈ કાયમી નદી કે કુદરતી સરોવર નથી, રુપસી ગામ પાસે ભુજઝીલ નામનું એક તળાવ છે. ચોમાસામાં વરસાદ પડે તો નીચાણવાળા ખાડાઓ પાણીથી ભરાય છે, તેનાં પાણી જરૂરિયાત મુજબ ઉપયોગમાં લેવાય છે. અહીંની ભૂગર્ભજળસ્તરની સપાટી ૪૦થી ૪૫ મીટર જેટલી ઊંડી છે. ખનિજો : આ જિલ્લામાં મુલતાની માટી, મૃદ, ગેરુ, ચિરોડી, ફોસ્ફોરાઇટ (સુપર ફૉસ્ફેટ ખાતરો માટે) અને ચૂનાખડકો મળે છે. તેલ અને વાયુ પંચ તરફથી તેલખોજ માટે કસોટી શારકામો કરેલાં છે.

જંગલો : જિલ્લાનો માત્ર ૧.૫% જેટલો વિસ્તાર (અંદાજે ૬૦,૦૦૦ હેક્ટર ભૂમિ) જંગલ આચ્છાદિત છે. અહીંની શુષ્ક આબોહવાને કારણે જંગલો આવેલાં નથી, માત્ર જિલ્લાના ઈશાન ભાગમાં ૫૦ ચોકિમી. જેટલા વિસ્તારમાં નાનો પટ્ટો જંગલવાળો છે. અન્ય વનસ્પતિનું આચ્છાદન પણ નહિવત્ છે. અહીં અયનવૃત્તીય કાંટાળાં ઝાંખરાં જોવા મળે છે. અહીંનાં મુખ્ય વૃક્ષોમાં બાવળ, ગૂગળ, બડા પીલુ, છોટા પીલુ, રગતરોહિડો, બોરડી, ખીજડા અને થોડા પ્રમાણમાં લીમડા જોવા મળે છે.

જેસલમેરનો કિલ્લો

આબોહવા : અહીંના ઉનાળા-શિયાળાનાં તાપમાન વિષમ રહે છે. વરસાદનું પ્રમાણ તદ્દન ઓછું છે. ઉનાળા-શિયાળાના દિવસ-રાત્રિનાં તાપમાન અનુક્રમે ૪૦ સે. અને ૧૭ સે. તથા ૩૦ સે. અને ૭ સે. જેટલાં રહે છે. ખેતી-પશુપાલન : બાજરો, જુવાર, મગ, મઠ, ચણા અહીંના મુખ્ય પાક છે. થોડા પ્રમાણમાં ઘઉંનું વાવેતર પણ થાય છે. શાકભાજીમાં મૂળા, ડુંગળી, રીંગણ અને કાકડી થાય છે. વરસાદની અછતને કારણે અહીં ખાતરોનો ઉપયોગ થઈ શકતો નથી. ૧૯૬૦ પછી અહીં નળ-કૂવા (ટ્યૂબ-વેલ) બનાવ્યા છે, તેથી તે વિસ્તારોમાં ખાતરો ઉપયોગમાં લેવાતાં થયાં છે. ઉદ્યોગો-વેપાર : આ જિલ્લો ઉદ્યોગોની દૃષ્ટિએ પછાત છે, કુદરતી પરિસ્થિતિ અનુકૂળ નથી. માત્ર ગૃહઉદ્યોગ-કુટિર-ઉદ્યોગ વિકસ્યા છે. બરછટ સુતરાઉ કાપડ, ઊની શાલ, ઊની ધાબળા, ઊંટના વાળની ચટાઈઓ-ગાલીચા, બકરીના વાળની બૅગ વગેરે તૈયાર કરવામાં આવે છે. ગૃહઉદ્યોગો માટે રાજ્ય સરકાર તરફથી ધિરાણ મળી રહે છે. પરિવહન-

પ્રવાસન : આ જિલ્લો રેલમાર્ગો અને સડકમાર્ગોથી સારી રીતે સંકળાયેલો છે. જેસલમેર જોધપુર સાથે સંકળાયેલું રહે છે. જોધપુર ખાતે હવાઈ મથકની સુવિધા હોવાથી જેસલમેર મુંબઈ, દિલ્હી, જયપુર, ઉદયપુર અને અમદાવાદ જઈ શકાય છે. એ જ રીતે જેસલમેર, જોધપુર, બિકાનેર, જયપુર, ઉદયપુર, દિલ્હી સાથે રાજ્ય ધોરી માર્ગોથી જોડાયેલું છે. અહીંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૧૫ પસાર થાય છે. વસ્તી-લોકો : ૨૦૨૪ મુજબ જેસલમેરની વસ્તી ૮,૫૧,૦૦૦ (આશરે) જેટલી છે. જેસલમેર અને પોખરણ અહીંનાં મુખ્ય શહેરો છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૭, જેસલમેર, પૃ. ૯૧૩)

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

ગિરીશભાઈ પંડ્યા

Categories
વાચન સમૃદ્ધિ

સર્વોદય અને ભૂદાન

‘સર્વનો ઉદય, સર્વનું કલ્યાણ’ એવા ગાંધીમાર્ગી આચાર-વિચારની પ્રણાલી. ભારતીય સંસ્કૃતિમાં પહેલેથી ‘सर्वेत्र सुखिनः सन्तु ।’ (અહીંયાં સૌ સુખી થાઓ) અને ‘सर्वभूतहिते रताः ।’ (સૌ પ્રાણીઓનું કલ્યાણ થાઓ)ની ભાવના વણાયેલી છે. તે ઉપરાંત ‘वसुधैव कुटुम्बकम्’ – ધરતી પરની સકળ સૃષ્ટિ એક જ પરિવાર છે –એવી ભાવના પણ પ્રચલિત છે. ૧૯૦૮માં જ્યારે રસ્કિનના પુસ્તક ‘Unto This Last’નો ગાંધીજીએ કરેલો ગુજરાતી ભાવાનુવાદ પ્રગટ થયો ત્યારે તેના મથાળા માટે ગાંધીજીએ ‘સર્વોદય’ શબ્દ પ્રયોજ્યો. ‘સર્વોદય’ એટલે સર્વનો ઉદય, સૌનું કલ્યાણ. સર્વોદયની ભાવના નવી નથી. સર્વોદયની ભાવના આ દેશની સંસ્કૃતિના મૂળમાં જ છે. રસ્કિનના પુસ્તકમાંથી ગાંધીજીને જીવનનું એક નવું દર્શન લાધ્યું. આ પુસ્તકના સારરૂપ એમણે નીચેના સિદ્ધાંતો તારવી બતાવ્યા : (૧) સહુના ભલામાં આપણું ભલું છે. (૨) સહુના કામની કિંમત એકસરખી હોય, કેમ કે જીવનનિર્વાહનો અધિકાર સહુનો એકસરખો છે. (૩) સાદું, શ્રમનું, ખેડૂતનું જીવન એ જ સાચું જીવન છે.

વિનોબા દ્વારા શરૂ કરાયેલ ભૂદાનયજ્ઞ

આ રીતે ‘સર્વોદય’ એક નવી વિચારધારાનો દ્યોતક શબ્દ બન્યો. સર્વનો ઉદય, વધુનો કે માત્ર છેલ્લાનો નહિ. રસ્કિનનું વિચારબીજ ગાંધીજીની મનોભૂમિમાં, કર્મભૂમિમાં વિકસતું રહ્યું અને જ્યારે એ પરિપક્વ થયું ત્યારે ‘સર્વોદય’ના મંત્ર રૂપે પ્રગટ થયું. સર્વોદયી સમાજરચનાનું સ્વરૂપ કેવું હોય તેની રૂપરેખા સંક્ષેપમાં ‘હિંદ સ્વરાજ’માં મળે છે. ગાંધીજીએ નવા યુગમાં ‘સર્વોદય’નો વધારે ઉચિત અર્થ કરી બતાવ્યો. સમાજ અને શરીર સરખાં છે. હૃદય, મગજ, પાચનતંત્ર, શ્વસનતંત્ર, મૂત્રપિંડ વગેરે બધા જ શરીરના અવયવો અગત્યના છે. કોઈ પણ અવયવમાં ક્ષતિ આવે તો શરીરનું તંત્ર કથળે. તેવી જ રીતે ખેડૂત, શ્રમિક, સેવક, વેપારી, સૈનિક, શિક્ષક, શાસક– એ બધા સમાજના અવયવો છે. તે સર્વનું આરોગ્ય સચવાય તો જ સમાજ નીરોગી બને; તો જ તેનો બધી રીતે ઉદય– સર્વોદય થાય. સમાજના એક વર્ગના ભોગે બીજો વર્ગ તાગડધિન્ના કરી શકે નહિ. ગાંધીજી જીવનભર સર્વોદયની આ ફિલસૂફીને ચરિતાર્થ કરવા માટેનું ચિંતન, મનન  અને આચરણ કરતા રહ્યા. ગાંધીજી બાદ વિનોબા દ્વારા આ દિશાનું કાર્ય આગળ વધ્યું અને તેમાંથી ભૂદાનયજ્ઞનો જન્મ થયો. વિનોબા ભાવે પોતાની આગવી પ્રતિભાથી તેનો વિકાસ કરતા રહ્યા. ૧૯૫૧ની ગાંધીજયંતીને દિવસે વિનોબાએ ૧૯૫૭ સુધીમાં દેશની કુલ ખેડાણની જમીનનો છઠ્ઠો ભાગ, અર્થાત્, પાંચ કરોડ એકર જમીન દાનમાં મેળવવાનો નિર્ધાર કરી પદયાત્રા આરંભી.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સર્વોદય અને ભૂદાન, પૃ. ૪૬)

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

જેસલ-તોરલ

લોકપ્રિય ગુજરાતી ચલચિત્ર. તેનું નિર્માણ બે વાર થયું. ૧૯૪૮માં નિર્માતા પી. બી. ઝવેરીના ‘કીર્તિ પિક્ચર્સ’ દ્વારા શ્વેત-શ્યામ નિર્માણનું દિગ્દર્શન ચતુર્ભુજ દોશીએ કર્યું. વાર્તા-સંવાદ-ગીતો પ્રફુલ્લ દેસાઈએ લખ્યાં અને સંગીત અવિનાશ વ્યાસે આપ્યું. તેનાં દસ ગીતોમાં સ્વર ચંદ્રકલા, રતિકુમાર વ્યાસ, અમીરબાઈ કર્ણાટકી અને એ. આર. ઓઝાના હતા. મુખ્ય કલાકારોમાં રાણી પ્રેમલતા, છનાલાલ, ચિમનલાલ, અંજના, શ્યામ, ઝવેરભાઈ, ગંગારામ, દક્ષા, બકુલેશ પંડિત, પ્રમિલ, મૂળચંદ (ખીચડી) વગેરે હતાં. ૧૯૭૧માં નિર્મિત ‘જેસલ-તોરલ’માં નિર્માણ : કાંતિ દવે તથા ટી. જે. પટેલ, દિગ્દર્શન : રવીન્દ્ર દવે, પટકથા : હિંમત દવે, ગીત-સંગીત : અવિનાશ વ્યાસ, સ્વર : મહેન્દ્રકપૂર, આશા ભોસલે, રંગલાલ નાયક, સુલોચના વ્યાસ, સુમન કલ્યાણપુર, ઇસ્માઇલ વાલેરા, કૃષ્ણા કલ્લે તથા દિવાળીબહેન ભીલના હતા. પ્રમુખ કલાકારો : ઉપેન્દ્ર ત્રિવેદી, અનુપમા, અરવિંદ ત્રિવેદી, રમેશ મહેતા, જયંત ભટ્ટ, મૂળરાજ રાજડા, જયશ્રી ટી. વગેરે. ઈસ્ટમૅન કલરમાં તૈયાર થયેલું આ પ્રથમ ગુજરાતી ચલચિત્ર હતું.

પાપ-પુણ્યના સંઘર્ષને આલેખતી જેસલ-તોરલની કથા કચ્છની ધરતી પર સર્જાયેલી ઐતિહાસિક-લોકોક્તિ આધારિત ઘટના છે. અત્યાચારી જેસલ અને પુણ્યવંતી નારી તોરલના સંઘર્ષની આ કથા છે. જેસલ અને નારાયણજી બંને ભાઈઓ છે. પિતાના મૃત્યુ પછી મોટો ભાઈ નારાયણજી રાજધુરા સંભાળે છે. લાડકોડમાં ઉછેર પામેલો જેસલ સ્વચ્છંદી બને છે, ભાઈ-ભાભી નારાયણજી અને રાજબાનો શિરચ્છેદ કરે છે. મિત્રોની ચડવણીથી જેસલ એક દિવસ સાંસતિયા નામના ધાર્મિક પુરુષને ત્યાંથી તેની પાલકપુત્રી તોરલ, તેની પાણીપંથી વેગીલી ઘોડી અને દૈવી તલવારની ચોરી કરવા જાય છે. ચોરી કરવા છુપાયેલો જેસલ પ્રભુપ્રસાદ વહેંચવા નીકળેલી તોરલદેવીના હાથે પ્રગટ થઈ ગયો. સતી તોરલે આ પાપી જેસલનો ઉદ્ધાર કરવા મનોમન નિશ્ચય કર્યો અને પાપીનાં પાપ ધોવા તોરલ તેની સાથે વહાણમાં ચાલી નીકળી. જેસલનું વહાણ જેસલનાં પાપના ભારે મધદરિયે ડૂબવા લાગ્યું ત્યારે તોરલના બોધથી તેણે પસ્તાવો પ્રગટ કર્યો. જેસલનાં પાપ પ્રાયશ્ચિત્તથી ધોવાઈ ગયાં. સતી તોરલ અને જેસલે પ્રભુભક્તિમાં શેષ જીવન વ્યતીત કર્યું. કચ્છમાં જેસલ-તોરલની સમાધિ છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

હરીશ રઘુવંશી