શ્રીલંકા


ભારતની દક્ષિણે આવેલો એક પડોશી દેશ.

શ્રીલંકા ભારતની દક્ષિણે હિન્દી મહાસાગરની એક જ છાજલી પર આશરે ૩૫ કિમી. દૂર આવેલો નાનો ટાપુરૂપ દેશ છે. તે લગભગ ૫ ૫૫´થી ૯ ૫૦´ ઉ. અ. તથા ૭૯ ૪૨´થી ૮૧ ૫૨´ પૂ. રે. વચ્ચે વિસ્તરેલો છે. તેની ચારે બાજુ સમુદ્ર છે. તેની પશ્ચિમમાં અરબી સમુદ્ર, પૂર્વમાં બંગાળનો ઉપસાગર, ઉત્તરમાં મનારનો અખાત તથા દક્ષિણમાં હિન્દી મહાસાગર આવેલા છે. તેનો આકાર મોતી અથવા નાળિયેર જેવો છે. તેનાથી થોડેક દૂર દક્ષિણમાં હિન્દી મહાસાગરમાં થઈને વિષુવવૃત્તની રેખા પસાર થાય છે. તેનું ક્ષેત્રફળ આશરે ૬૫,૬૧૦ ચોકિમી. જેટલું છે. તે ઉત્તર-દક્ષિણ વધુમાં વધુ ૪૩૫ કિમી. જેટલી લંબાઈ અને પૂર્વ-પશ્ચિમ આશરે ૨૪૦ કિમી. જેટલી પહોળાઈ ધરાવે છે. તે ૧૫૦૦ કિમી. લાંબો સમુદ્રતટ ધરાવે છે. તેની વસ્તી આશરે ૨,૦૮,૧૦,૮૧૬ (૨૦૧૭) જેટલી છે.

કોલંબો

શ્રીલંકા અને ભારત વચ્ચે સાંકડી અને છીછરી પાલ્કની સામુદ્રધુની આવેલી છે, જેમાં બંને દેશોને જુદા પાડતી સીમા આવેલી છે. ધનુષ્કોડી (ભારત) અને તલાઈમનાર (શ્રીલંકા) વચ્ચે હારબંધ ખડકાળ નાના નાના દ્વીપો અને રેતાળ પરવાળાના ખરાબાની એક શૃંખલા આવેલી છે જે ‘આદમના પુલ’ કે ‘રામના સેતુ’ તરીકે ઓળખાય છે. રામાયણ મહાગ્રંથમાં શ્રીરામ, લક્ષ્મણ તથા હનુમાનજીએ તેમની સેના સાથે આ પુલ પર થઈને લંકાના રાજા રાવણ પર આક્રમણ કર્યું હોવાનો ઉલ્લેખ છે. શ્રીલંકાની કુદરતી વનસ્પતિમાં અનેક પ્રકારનું વૈવિધ્ય જોવા મળે છે. ગિરિપ્રદેશના ઊંચા ભેજવાળા ભાગોમાં સદાહરિત જંગલો આવેલાં છે. કેટલીક જગ્યાએ પરરોહી (orchid) વનસ્પતિની જાતો પણ વૃક્ષો પર થતી જોવા મળે છે. નદીકિનારા પાસે વાંસનાં ઝુંડ અને તાડની વિવિધ જાતો થાય છે. દેશના પશ્ચિમ કિનારે ફણસનાં વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. શ્રીલંકામાં જોવા મળતાં પ્રાણીઓમાં સ્લોથ બૅર (રીંછ), હાથી, ચેવરોટાઇન, હરણ, વાંદરાં અને સ્લેન્ડર લૉરિસ મુખ્ય છે. સાબરાગામુવા પ્રદેશનાં જંગલોમાં વિશિષ્ટ પ્રકારના હાથી થાય છે. સિલોન સાબર અને સાપની કેટલીક જાતો પૈકીની પોલોન્ગા એ અહીંની વિશિષ્ટ જાત છે. અહીં ચામાચીડિયાની ૨૮ જાતો જોવા મળે છે. તે સિવાય અહીં કોયલ, મોર, કાગડા, ઘુવડ, બાજ, ગરુડ, સેવન સિસ્ટર્સ, હમિંગ બર્ડ વગેરે પક્ષીઓ મહત્ત્વનાં છે. નદીઓ તથા સમુદ્રમાં સંખ્યાબંધ મગર જોવા મળે છે. વળી બતક, બગલાં, સારસ, જળકૂકડી, હંસ વગેરે સામાન્ય છે. પાટનગર કોલંબો શ્રીલંકાનું સૌથી મોટું નગર તથા બંદર છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી

અમલા પરીખ

જાલોર


રાજસ્થાનના ૩૩ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન ૨૫ ૨૧´ ઉ. અ. ૭૨ ૩૭´ પૂ. રે.. આઝાદી પૂર્વે તે જોધપુર રાજ્યનો ભાગ હતો. આ જિલ્લામાં જાળનાં વૃક્ષો, અન્ય વૃક્ષો કરતાં વધારે હોવાથી શહેરનું નામ જાલોર પડ્યું છે. જિલ્લો ગુજરાતની ઉત્તર સરહદે આવેલો છે. તેની પશ્ચિમે બાડમેર જિલ્લો, પૂર્વ તરફ પાલી અને શિરોહી જિલ્લાઓ અને ઉત્તર તરફ જોધપુર જિલ્લો છે. જિલ્લાનું ક્ષેત્રફળ ૧૦,૬૪૦ ચોકિમી. અને વસ્તી ૧૮,૩૦,૧૫૧ (૨૦૧૧) છે. જાલોર જિલ્લાનો મોટો ભાગ શુષ્ક રણપ્રદેશ છે. વચ્ચે રેતીના ઢૂવા અને છૂટીછવાઈ ટેકરીઓ આવેલાં છે. આ ટેકરીઓ આશોર, દોરા, ભીનમાલ અને બકવાસ આસપાસ આવેલી છે. ઊંચાઈ આશરે ૭૩૬ મી. છે. આ પ્રદેશમાં થઈને જાવાઈ, ખારી, સાગી અને સુકલ નદીઓ વહે છે જે લૂણીને મળે છે. અહીં ઉનાળામાં મે માસમાં તાપમાન ૪૪ સે. અને શિયાળામાં જાન્યુઆરીમાં ૮ સે. રહે છે. સમુદ્રથી આ પ્રદેશ દૂર હોવાથી આબોહવા વિષમ છે. રાત્રિ અને દિવસના તાપમાનમાં ઘણો તફાવત રહે છે. પ્રદેશમાં ૨૫૦ મિમી.થી ૫૦૦ મિમી. વરસાદ પડે છે પણ તે અનિયમિત પડે છે. ઉનાળાની શરૂઆતમાં વાવાઝોડાને કારણે રેતી ખૂબ ઊડે છે. વરસમાં આવાં ૯થી ૧૫ જેટલાં વાવાઝોડાના પ્રસંગો બને છે.

જાલોરનો કિલ્લો

અહીં ઘાસનાં બીડ તથા કાંટાવાળાં, ઊંડાં મૂળવાળાં કુમતા, હિંગોર, આલર, રોહીડા, ગોલ, લીંબડો, જાળ, બાવળ વગેરે વૃક્ષો જોવા મળે છે. રીંછ, શિયાળ, જંગલી બિલાડી, લોંકડી, છીંકારાં, સસલાં, રોઝ વગેરે વન્ય પ્રાણીઓ જોવા મળે છે. ચકલી, બુલબુલ, બયા, પોપટ, કોયલ, ગીધ, કાબર, કાગડો વગેરે પક્ષીઓ જોવા મળે છે. ઉપરાંત, કાળોતરો નાગ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. મારવાડી ઘેટાં-બકરાં સારી ગુણવત્તાનું ઊન આપે છે. જાલોરી ગાય અને જાલોરી ઘોડા સારી ઓલાદનાં છે. અહીં ફીલાઇટ, શિસ્ટ, આરસ, ક્વાર્ટ્ઝાઇટ, ગ્રૅનાઇટ અને રહાયો- લાઇટ મુખ્ય ખડકો છે. ગુલાબી અને ભૂખરા ગ્રૅનાઇટ અને જાલાની રહાયોલાઇટ પથ્થરો જાણીતા છે. થોડા પ્રમાણમાં ફ્લોરાઇટ પણ મળે છે. જિલ્લામાં ૬,૦૭,૫૫૦ હેક્ટરમાં ખેતી થાય છે, જ્યારે ૧૭,૦૪૪ હેક્ટરમાં જંગલો છે. ૨,૫૧,૨૬૧ હેક્ટર જમીન ગૌચરની અને પડતર છે. જુવાર, બાજરી, ચણા, કઠોળ અને ઘઉં મુખ્ય પાક છે. પાણીની સગવડ હોય ત્યાં ડાંગર ને તમાકુ થાય છે. જિલ્લામાં જાવાઈ નદી ઉપર બંધ બાંધીને નહેરો વાટે ખેતી માટે પાણી અપાય છે. કૂવા દ્વારા મુખ્યત્વે સિંચાઈ થાય છે. આ જિલ્લામાં મુખ્યત્વે લઘુઉદ્યોગો આવેલા છે. આહોરમાં પાવરલૂમ ઉપર સુતરાઉ કાપડ વણાય છે. ભીનમાલમાં તેલની મિલ છે. જાલોરમાં પ્લાસ્ટિકની વસ્તુઓ બનાવવાનું કારખાનું છે, જ્યારે સાંચોરમાં લાકડાની વસ્તુઓ બને છે. ગુજરાતમાંથી અમદાવાદ-પાલનપુર અને આબુરોડથી જતી મીટર ગેજ રેલવે જાલોર થઈને પાકિસ્તાનની સરહદે બાડમેર સુધી જાય છે. બાડમેરથી બિશનગઢ, સંગેરાવ અને બરનેસરથી કેનિયા થઈને સાંચોર સુધી રાષ્ટ્રીય ધોરી માર્ગ જાય છે. જાલોર, ભીનમાલ, આહોર અને સાંચોર જિલ્લાનાં મુખ્ય શહેરો છે. વરાહ શ્યામ, ચંડીનાથ મહાદેવ, હનુમાનજી તથા ચામુંડાનાં મંદિરો ચૌહાણ રજપૂતોએ બંધાવ્યાં છે. ભીનમાલ કે ભિન્નમાલ ઉર્ફે શ્રીમાલ ગુર્જર પ્રતિહાર રાજાઓની રાજધાનીનું શહેર હતું અને અહીંથી શ્રીમાળી બ્રાહ્મણ, વણિકો, સોની તથા પોરવાડ વણિકો વગેરે સ્થળાંતર કરી ગુજરાતમાં વસ્યા હતા. સાંચોર અને જાલોરના બ્રાહ્મણો ગુજરાતમાં વસ્યા હતા. તે રેલવે દ્વારા તથા રસ્તા દ્વારા જોધપુર સાથે જોડાયેલું છે. ખેતીના પાકો માટેનું મુખ્ય બજાર કે વેપારી કેન્દ્ર છે. બારમી સદીમાં ચૌહાણ રાજપૂતોની રાજધાનીનું શહેર હતું. ૧૩૧૦માં અલ્લાઉદ્દીન ખલજીએ જીતી લીધું. શહેરના બહારના ભાગમાં અગિયારમી સદીનો કિલ્લો છે. તેનું પ્રાચીન નામ જાબાલિપુર છે અને તે જૈન ધર્મનું કેન્દ્ર હતું. જિલ્લાનું વેપારી અને શૈક્ષણિક કેન્દ્ર છે. રામદેવજી અને સુધામાતાના મેળા ભાદરવા સુદ તેરસથી પૂનમ દરમિયાન ભરાય છે. આ ઉપરાંત જાલોર, ચનોદર, મુન્થાલી અને સિળિમાં શીતળા માતાના મેળા ભરાય છે. સતી માતાનો મેળો પણ પ્રખ્યાત છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

શંકરલાલ ત્રિવેદી

શ્રીમદભગવદગીતા


મહાભારતનું યુદ્ધ શરૂ થતાં પૂર્વે શ્રીકૃષ્ણાર્જુનસંવાદ રૂપે શ્લોકબદ્ધ રીતે બ્રહ્મવિદ્યાનું સારતત્ત્વ રજૂ કરતો હિન્દુઓનો મુખ્ય ધર્મગ્રંથ. આમ ભવસાગરને તરી જવાની કળા –જીવનકળા શીખવતો સર્વ ઉપનિષદોના દોહનરૂપ આ આધ્યાત્મિક – ધાર્મિક ગ્રંથ છે. મહાભારતના તે અંગરૂપ છે. મહાભારતનું યુદ્ધ શરૂ થયું તે પહેલાં કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર જ્યારે પાંડવો અને કૌરવોનાં સૈન્યો સામસામે ગોઠવાઈ ગયાં અને યુદ્ધ શરૂ થવાની તૈયારીમાં હતું ત્યારે શ્રીકૃષ્ણ ભગવાન પાંડવપક્ષના સેનાની અર્જુનને તે જ્યારે સ્વજનોને હણવા માટેની અનિચ્છા વ્યક્ત કરીને વિષાદમાં ઊતરી ગયો ત્યારે મહાભારતનું ધર્મયુદ્ધ લડવા માટે ઉપદેશ આપે છે. આ ઉપદેશ અઢાર અધ્યાયના સાતસો શ્લોકો દ્વારા પ્રશ્નોત્તર સ્વરૂપે –શ્રીકૃષ્ણાર્જુનસંવાદ રૂપે રજૂઆત પામ્યો છે. એમાં વિશેષ વક્તવ્ય તો શ્રીકૃષ્ણનું જ છે. ગીતામાં જીવ, જગત અને બ્રહ્મના સંદર્ભમાં મનુષ્યના સ્વધર્મની ચર્ચા કરવામાં આવી છે. દેશ, કાળ કે સંપ્રદાયની મર્યાદાથી બંધાયા વિના એમાં વ્યાપક દૃષ્ટિથી અંતરાત્મા અને પરમાત્માના સંબંધ-સંવાદની, જીવ-શિવના આધ્યાત્મિક યોગસંબંધની વિચારણા કરવામાં આવી છે.

શ્રીકૃષ્ણ અર્જુનને ગીતાનો ઉપદેશ કરે છે

ૠષિમુનિઓએ જેટલું પણ તત્ત્વજ્ઞાન આપ્યું છે એ બધું જ વનોમાં, ડુંગરાઓની ગુફાઓ કે કંદરાઓમાં રહીને આપ્યું છે; પરંતુ ગીતાનું જ્ઞાન તો યુદ્ધના મેદાનમાં બંને સેનાઓ વચ્ચે ઊભા રહીને સાક્ષાત્ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા જ આપવામાં આવ્યું છે ! ગીતામાં મહાભારતના અઢાર પર્વની જેમ અઢાર અધ્યાયો છે. છ છ અધ્યાયના ત્રણ ખંડમાં તેને વહેંચી શકાય. આ ગ્રંથમાં યુગધર્મનું મહત્ત્વ સમજાવતા છ છ અધ્યાયોની એક એવી કર્મ, ભક્તિ અને જ્ઞાનની ત્રિ-વેણી ગૂંથાયેલી જોઈ શકાય છે. તેમાં જ્ઞાન, કર્મ અને ભક્તિનો સુંદર સમન્વય સધાયેલો છે. ગીતા ગાઈ શકાય તેવું સુંદર કાવ્ય છે. તેનું પઠન અને મનન જ્યારે જ્યારે કરવામાં આવે ત્યારે એક નવું સાર્થક જીવન જીવવાની ચાવી તેના પઠનકર્તાને મળી રહે છે. આ ગ્રંથમાંથી યોગેશ્વર શ્રીકૃષ્ણનો મહિમા પણ પામી શકાય છે. વિનોબાજી ગીતાને ‘ગીતા આઇ(મા)’ કહેતા હતા. ‘દરેક દુ:ખ, દરેક પીડા માટે ગીતા આઇના શરણમાં જાઓ’ તેવું તેઓ કહેતા હતા. ગાંધીજી પણ કહેતા હતા કે, ‘ગીતા મારી માતા સમાન છે. મને જ્યારે મુશ્કેલીઓ સતાવે ત્યારે હું મારી માતાના ખોળામાં ચાલ્યો જાઉં છું, મને મારા તમામ પ્રશ્નોના હલ મળી જાય છે.’ ગીતાને હિન્દુ ધર્મનો પ્રતિનિધિ ગ્રંથ માનવામાં આવે છે. જૂના વખતમાં તો ઉપનિષદ, બ્રહ્મસૂત્ર સાથે ગીતાનો આધાર લઈ જીવ, જગત અને બ્રહ્મના સ્વરૂપ-સંબંધ વિશે પોતાની આગવી તત્ત્વવિચારણા રજૂ કરવી એ આચાર્યપદની માન્યતા માટે જરૂરી લેખાતું હતું. તે ભારતીય અધ્યાત્મના આધારભૂત ગ્રંથોમાંનો એક છે. આ કારણે જ કોર્ટમાં ગીતાના સોગંદ લેવડાવવામાં આવે છે. લોકમાન્ય ટિળકની દૃષ્ટિએ ગીતામાં કર્મયોગની, ગાંધીજીની દૃષ્ટિએ અનાસક્તિયોગની અને વિનોબાની દૃષ્ટિએ સામ્યયોગની ભૂમિકા મહત્ત્વની છે. ભગવદગીતાનો વ્યાપક પ્રભાવ ભારતની સર્વ ભાષાઓના આધ્યાત્મિક સાહિત્ય પર પડેલો જોઈ શકાય છે. વળી તેના અનેક અનુવાદો તેમ જ ટીકાભાષ્યો વગેરે મળતાં રહ્યાં છે. ભગવદગીતાના આધારે ગુજરાતી તેમ જ અન્ય પ્રાદેશિક ભાષાઓમાં ગીતાસ્વરૂપનો એક કાવ્યપ્રકાર પ્રચલિત થયેલો છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી

શુભ્રા દેસાઈ