Categories
વાચન સમૃદ્ધિ

જિબુટી (Djibouti)

જિબુટી (Djibouti) : પૂર્વ આફ્રિકાનો નાનો પ્રજાસત્તાક દેશ. ભૌગોલિક સ્થાન ૧૧° ૩૬´ ઉ. અ. અને ૪૩ ૦૯´ પૂ. રે. તે ‘હૉર્ન ઑવ્ આફ્રિકા’ના ઈશાન કિનારા પર આવેલો છે. સ્વતંત્રતા મળી (૧૯૭૭) તે પહેલાં તેના પર ફ્રેંચોનું આધિપત્ય હતું. ઉત્તરે, પશ્ચિમે તથા નૈર્ઋત્યમાં ઇથિયોપિયાની સીમા તથા દક્ષિણમાં સોમાલિયાની સીમા છે. વિસ્તાર 23,000 ચોકિમી. તથા વસ્તી 10,66,809 (૨૦24 અંદાજ) છે. વસ્તીમાં 60% સોમાલી મૂળના ઇસા, 35% ઇથિયોપિયાના મૂળના અફાર તથા 5 % અન્ય છે. ૯૪% લોકો ઇસ્લામ ધર્મ પાળે છે. વસ્તીના H લોકો નગર વિસ્તારમાં તથા 3 ગ્રામીણ વિસ્તારમાં રહે છે. વસ્તીની ગીચતા ૧૮ પ્રતિ ચોકિમી. છે. અત્યંત ગરમ હવામાન ધરાવતા આ દેશમાં જાન્યુઆરીમાં ૨૮.૭ સે. તથા જુલાઈમાં ૪૩.૪ સે. તાપમાન રહે છે. દરિયાકિનારાના પ્રદેશમાં વાર્ષિક સરેરાશ વરસાદ ૧૨૫ મિમી. તથા મેદાની વિસ્તારમાં ૫૦૦ મિમી. પડે છે. મુખ્ય ભાષા અરબી છે. થોડા પ્રમાણમાં ફ્રેંચ અને કુથિટિક ભાષાઓ બોલાય છે. દેશના કુલ વિસ્તારમાંથી ૬૦% વિસ્તારની જમીન સૂકી, નિર્જન, બિનઉપજાઉ અને ઉજ્જડ છે તથા ૮૯% વિસ્તાર રણથી છવાયેલો છે. ૯% ભૂમિ પર ઘાસ ઊગે છે. કુલ વસ્તીમાંથી ૫૦% લોકો વિચરતી જાતિના છે, જે ઘેટાં, બકરાં કે ઊંટ જેવાં પ્રાણીઓના ઉછેરમાં રોકાયેલા છે. રણપ્રદેશ અને સૂકી જમીનને લીધે ખેતી તથા ઉદ્યોગોના વિકાસની શક્યતાઓ નહિવત્ છે. દેશનું અર્થતંત્ર મોટા ભાગે વ્યાપાર અને વાણિજ્ય પર નભે છે. જિબુટી બંદર મારફત તથા વ્યાપારમાંથી પ્રાપ્ત થતી આવક એ જ દેશની આંતરિક આવકનો મુખ્ય સ્રોત છે. માથાદીઠ આવક ૨,૮૦૦ (વર્ષ ૨૦૧૦) અમેરિકન ડૉલર હતી. કાચી રાષ્ટ્રીય પેદાશમાં ખેતી અને ખેતીજન્ય વ્યવસાયોનો ફાળો માત્ર ૫% છે. કૉફી, મીઠું, ચામડું અને કઠોળ દેશની મુખ્ય નિકાસો તથા યંત્રો, કાપડ અને ખાદ્ય પદાર્થો એ મુખ્ય આયાતો છે. અંબુલી નદી પર પીવાના પાણીનો આધાર છે. આવકમાં ઉદ્યોગોનો ફાળો ૧૫% છે. બાકીના ૮૦% સેવા વ્યવસાયો પર આધાર રાખે છે.

જિબુટી બંદર

જિબુટી દેશનું પાટનગર છે. તે બંદર હોવા ઉપરાંત દેશનું મોટામાં મોટું શહેર છે. આફ્રિકાના ઈશાન કિનારા પર તાજુરા ઉપસાગરમાં એડનના અખાતના વાયવ્ય છેડા પર આવેલું છે. એડન શહેરથી ૨૪૦ કિમી. અંતરે છે. બાબ-અલ-માન્ડેબ સામુદ્રધુનીના મુખ પર વસેલું હોવાથી લશ્કરી દૃષ્ટિએ મહત્ત્વનું થાણું છે. ઇથિયોપિયાનો સમગ્ર વ્યાપાર આ બંદર મારફત થાય છે. પશ્ચિમ એશિયાના પ્રદેશો તથા પૂર્વ આફ્રિકામાંથી આવેલા લોકોની મિશ્ર વસ્તી ત્યાં વસે છે. નગરનું અર્થતંત્ર બંદરની આવક પર નભે છે. નગરની વસ્તી 7,76,966 (૨૦24 અંદાજ). ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ફ્રેંચોએ આ પ્રદેશ પર પોતાનું આધિપત્ય પ્રસ્થાપિત કર્યું. ૧૯૬૭માં લેવાયેલ સર્વમતસંગ્રહમાં બહુમતી મતદારોએ ફ્રેંચ શાસન હેઠળ ચાલુ રહેવાની સંમતિ આપી, પરંતુ ૧૯૭૭માં દેશને સ્વતંત્ર ઘોષિત કરાયો. ત્યારથી ત્યાં પ્રજાસત્તાક પ્રણાલીએ શાસન ચાલે છે. ૧૯૯૪માં રાષ્ટ્રીય સંયુક્ત જોડાણ ધરાવતી સરકાર સ્થપાઈ. રાષ્ટ્રીય લોકપૃચ્છા (રેફરન્ડમ) પછી ૪ સપ્ટેમ્બર, ૧૯૯૨માં નવું બંધારણ માન્ય રાખવામાં આવ્યું. પ્રમુખ છ વર્ષ માટે પ્રજા દ્વારા સીધી રીતે ચૂંટાય છે. સંસદ એકગૃહી છે, પાંચ વર્ષની મુદત ધરાવે છે જે (ઉપરના લખાણનું અનુસંધાન) ‘ચેમ્બર ઑવ્ ડૅપ્યુટીઝ’ નામથી ઓળખાય છે અને ૬૫ સભ્યોથી રચાય છે. દેશના બે મુખ્ય સમુદાયો – ઇસા અને અફાર વચ્ચે સતત સંઘર્ષ ચાલે છે, તેને કારણે દેશને રાજકીય સ્થિરતા પ્રાપ્ત થતી નથી. વીસમી સદીના નવમા દાયકામાં ઇથિયોપિયામાંથી આ દેશમાં દાખલ થયેલા હજારો શરણાર્થીઓએ દેશ માટે મોટી સમસ્યા ઊભી કરી છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

Categories
વાચન સમૃદ્ધિ

સજીવ-નિર્જીવ

ચૈતન્યવાળા, પ્રાણવંત અને ચૈતન્ય વગરના (જડ) પદાર્થો કે અવશેષો અથવા એવી વસ્તુઓ.

પૃથ્વી પર જાતભાતની સજીવ તથા નિર્જીવ વસ્તુઓ આવેલી છે. તેની બહુવિધ સૃષ્ટિ છે. તેમાં મનુષ્યથી માંડીને અમીબા જેવા સૂક્ષ્મજીવો, વિવિધ વનસ્પતિઓ તથા સાઇકલ, બૉલ, ખુરશી, ટેબલ, પહાડ, પથ્થર, નદી જેવી નિર્જીવ વસ્તુઓ આવેલી છે. ક્યારેક સજીવ અને નિર્જીવ વચ્ચે ભેદ પાડવો સહેલો હોય તો ક્યારેક અઘરો પણ હોય. અમુક ગુણધર્મો અને લાક્ષણિકતાઓ વડે તે વચ્ચેનો ભેદ પારખી શકાય છે.  સજીવ પદાર્થો તેના નામ પ્રમાણે ચૈતન્ય ધરાવતા – જીવંત હોય છે. તેઓ કોષના બનેલા હોય છે. તેઓ વૃદ્ધિ પામે, પ્રચલન કરી શકે, પ્રજોત્પત્તિ કરી શકે, સંવેદના અનુભવી શકે જેવા ગુણધર્મો ધરાવે છે. તેમની ઉત્ક્રાંતિ પણ થાય છે. રોજિંદાં કાર્યો કરવા માટે તેઓને શક્તિની જરૂર હોય છે. નિર્જીવ વસ્તુઓ બે પ્રકારની હોય છે : કુદરતી તથા માનવસર્જિત. જે નિર્જીવો છે તેઓની વૃદ્ધિ થતી નથી. તેઓ શ્વાસ નથી લેતા અને પ્રચલન નથી કરતા. તેઓ પોતાના જેવા બીજા પદાર્થ ઉત્પન્ન કરી શકતા નથી. તેમની ઉત્ક્રાંતિ પણ થતી નથી. નિર્જીવ વસ્તુઓ અણુના સૂક્ષ્મ કણોની બનેલી હોય છે.

(સજીવ) અમીબા      

  નિર્જીવ ખુરશી             

પૃથ્વી પર આશરે ૨૦ લાખથી વધારે વિવિધ જાતિઓનાં પ્રાણીઓ આવેલાં છે. વિવિધ જાતની આશરે ૨,૦૦,૦૦૦ વનસ્પતિઓ આવેલી છે. નરી આંખે ન દેખાય તેવા સૂક્ષ્મજીવોથી માંડી બ્લૂ વહેલ જેવાં વિશાળકાય પ્રાણીઓ આવેલાં છે. તેઓ પૃથ્વી પર આવેલાં જાતભાતનાં રહેઠાણોમાં વસે છે. વળી તેઓ વિવિધ પર્યાવરણ પ્રમાણે અનુકૂલન સાધે છે. તેઓની જીવન જીવવાની રીતમાં પણ ઘણી વિવિધતા જોવા મળે છે. પ્રાણીઓ પ્રાણવાયુનું શ્વસન કરીને ખોરાકમાંથી શક્તિ મેળવે છે. વનસ્પતિ પ્રકાશ-સંશ્લેષણ ક્રિયા વડે ખોરાકનું નિર્માણ કરે છે. સજીવોને વિવિધ પ્રવૃત્તિઓ કરવા માટે ખોરાકની જરૂર પડે છે. નિર્જીવને કોઈ પ્રવૃત્તિ હોતી નથી માટે તેને ખોરાકની જરૂર પડતી નથી. સજીવો વૃદ્ધિ પામે છે. પોતાના જેવા બીજા જીવો ઉત્પન્ન કરે છે. અમુક મર્યાદિત સમય પછી સજીવને મૃત્યુ નિશ્ચિત હોય છે. નિર્જીવ વસ્તુની વૃદ્ધિ થતી નથી, તેના જેવો બીજો પદાર્થ તે ઉત્પન્ન કરી શકતી નથી. તેને મૃત્યુ પણ આવતું નથી. સજીવો પ્રચલન કરે છે. નિર્જીવને પ્રચલન કરવાની જરૂર પડતી નથી. તે એક જ ઠેકાણે સ્થિર રહે છે. આમ સજીવ અને નિર્જીવ વચ્ચેનો ભેદ સામાન્ય રીતે સહેલાઈથી પાડી શકાય છે. આમ છતાં જીવશાસ્ત્રીઓ ‘જીવન એટલે શું ?’– તેની સંપૂર્ણ કહેવાય તેવી વ્યાખ્યા આપી શકતા નથી. પૃથ્વી  પર જીવન કેવી રીતે શરૂ થયું ? પૃથ્વી સિવાય બીજી કોઈ જગ્યાએ બ્રહ્માંડમાં જીવન હશે ? – આવા આવા પ્રશ્નોના જવાબ જીવશાસ્ત્રીઓને મૂંઝવે છે. ક્યારેક સજીવ અને નિર્જીવ વચ્ચેની ભેદરેખા પણ સૂક્ષ્મ થઈ જાય છે; દા.ત., વાઇરસ નિષ્ક્રિય હોય છે, પણ જ્યારે કોઈ જીવંત કોષની અંદર પ્રવેશે છે, ત્યારે જ તે સક્રિય થાય છે અને તેના જેવી અનેક પ્રતિકૃતિઓ સર્જે છે. આવાં ઘણાંબધાં રહસ્યો સજીવ-નિર્જીવ (ચરાચર) સૃષ્ટિમાં જોવા મળે છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

જિન્દ

આઝાદી પૂર્વેનું પંજાબમાં આવેલું દેશી રાજ્ય અને હાલ હરિયાણા રાજ્યનો એક જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : ૨૯ ૧૯´ ઉ. અ. ૭૬ ૧૯´ પૂ. રે.. તે દિલ્હીથી અગ્નિખૂણે ૧૧૦ કિમી. દૂર છે. જિલ્લાનું ક્ષેત્રફળ ૨૭૦૨ ચો.કિમી. છે. આ જિલ્લાની ઉત્તર દિશાએ કૈથલ, પૂર્વ તરફ પાણીપત અને સોનીપત જિલ્લો, ઉત્તર દિશાએ પંજાબ રાજ્ય, પશ્ચિમ દિશાએ હિસાર જિલ્લો અને દક્ષિણ તરફ રોહતક જિલ્લો આવેલા છે. આ જિલ્લો સમુદ્રથી ઘણા અંતરે આવેલો હોવાથી આબોહવા વિષમ છે. અહીં ગરમી અને ઠંડી બંને સખત પ્રમાણમાં પડે છે. જાન્યુઆરી માસ સૌથી ઠંડો છે, જ્યારે મે માસમાં ગરમી વધારે પડે છે. જૂનના છેલ્લા અઠવાડિયામાં કે જુલાઈના પ્રારંભમાં વરસાદ શરૂ થાય છે. સમગ્ર સીઝનનો ૫૦% વરસાદ જુલાઈમાં પડે છે. વરસાદનું પ્રમાણ ૪૫૦ મિમી. આસપાસ છે. જિન્દમાં સરહિંદ નહેરથી સિંચાઈ થાય છે. જિલ્લામાં ઘઉં, ચણા, શેરડી અને કપાસ મુખ્ય પાક છે. તેલીબિયાં, ડાંગર, મકાઈ વગેરે અન્ય પાકો છે. આઝાદી પછી સિંચાઈની સગવડ વધતાં ખેતીનું ઉત્પાદન વધ્યું છે. ઘઉં અને ચણા શિયાળુ પાક છે. લોકોનો મુખ્ય ધંધો ખેતી અને પશુપાલન છે. કપાસના પાકને લીધે જિન્દમાં કપાસ લોઢવાનાં કેટલાંક જિન છે. જિન્દના મોટા ભાગની વસ્તી હિંદુ છે. દેશી રાજ્યમાં આવેલ સંગરૂર તાલુકામાં શીખ વસ્તી છે. જિન્દના રાજવી શીખ હતા. 2025માં જિન્દની વસ્તી આશરે 15,10,000 છે. અહીં વૈદિક કાળમાં ભરત વંશનું રાજ્ય હતું. મહાભારત પ્રમાણે પાંડવોએ અહીં મંદિર બંધાવ્યું હતું. તેની આસપાસ જૈન્તપુરી શહેર દિલ્હી સાથે રેલવે અને પાકા રસ્તા દ્વારા જોડાયેલું છે. બીજી રેલવે પૂર્વમાં પાણીપત તરફ જાય છે. અહીં અનાજનું પીઠું છે. ગ્રામીણ વિસ્તારમાંથી ખેતીના પાકો વેચાવા આવે છે. કપાસ લોઢવાનાં જિન ઉપરાંત અનાજ ઉપર પ્રક્રિયા કરીને ખાદ્ય-ઉદ્યોગ વિકસાવાયો છે. હૅન્ડલૂમ ઉપર કાપડ થાય છે. જિન્દ શહેરમાં કુરુક્ષેત્ર સાથે જોડાયેલી ત્રણ કૉલેજો છે. જૂના વખતનો કિલ્લો જોવાલાયક છે.

જયન્તી દેવી મંદિર, જિંદ

ઇતિહાસ : ૧૭૫૫માં મુઘલો પાસેથી બે જિલ્લાઓ જીતી લઈને સુખચેને જિન્દના દેશી રાજ્યની સ્થાપના કરી હતી. તેના અનુગામી અને પરાક્રમી પુત્ર ગજપતસિંહે ૧૭૬૬માં જિન્દને તેના રાજ્યની રાજધાની બનાવી હતી. આ રાજ્ય મુઘલોનું ખંડિયું રાજ્ય હતું. મુઘલ શહેનશાહે જિન્દના શાસકને રાજાનો ઇલકાબ આપ્યો હતો. ૧૭૭૫માં જિન્દનો કિલ્લો બંધાયો હતો. મુઘલ સત્તા નબળી પડતાં જિન્દનું રાજ્ય સ્વતંત્ર થઈ ગયું હતું. ગજપતસિંહ પછી ભાગસિંહ ૧૭૮૧માં ગાદીએ બેઠો હતો. તેના શાસન દરમિયાન જિન્દ રાજ્યે અંગ્રેજો સાથે મૈત્રીસંબંધ બાંધ્યો હતો. ૧૮૩૭માં અંગ્રેજોએ જિન્દ રાજ્યનો થોડો પ્રદેશ પડાવી લીધો હતો. ૧૮૪૭માં સતી, ગુલામી અને ભ્રૂણહત્યા ઉપર રાજ્યે પ્રતિબંધ મૂક્યો હતો. રાજા રઘુવીરસિંહે (૧૮૬૪–૮૭) તેના રાજ્યમાં સુધારા દાખલ કર્યા હતા. તેણે સંગરૂરમાં તેની રાજધાની ફેરવી હતી. ૧૮૫૭ના સ્વાતંત્ર્યયુદ્ધ વખતે જિન્દ રાજ્યે અંગ્રેજોને મદદ કરી હતી. આ સિવાય અફઘાન વિગ્રહ અને ૧૯૧૪ના પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન પણ જર્મની વિરુદ્ધ ઇંગ્લૅન્ડને તેણે મદદ કરી હતી. છેલ્લા શાસક રાજવીરસિંહ ૧૯૪૮માં ગાદીએ આવ્યા અને આ જ વરસે આ રાજ્યનું પેપ્સુ (પતિયાળા ઍન્ડ ઈસ્ટ પંજાબ સ્ટેટ્સ યુનિયન – PEPSU) રાજ્ય સાથે, ૧ નવેમ્બર, ૧૯૫૬થી પંજાબ સાથે અને ૧૯૬૬માં હરિયાણા સાથે જોડાણ થયું છે. આઝાદી પૂર્વે આ રાજ્યમાં ૭ શહેરો અને ૪૩૯ ગામડાં હતાં. રાજા, દીવાન અને બે મંત્રીઓની સહાયથી રાજ્યનો વહીવટ ચાલતો હતો.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

શિવપ્રસાદ રાજગોર