Categories
વાચન સમૃદ્ધિ

જોડકાનો વિરોધાભાસ (twin’s paradox)

ઘડિયાળના વિરોધાભાસ (clock paradox) તરીકે ઓળખાતો સિદ્ધાંત. વિશિષ્ટ સાપેક્ષતાવાદ અનુસાર ગતિશીલ પ્રણાલીમાં કાલશનૈ:ગતિ(dilation of time)ની આગાહી કરવામાં આવે છે, તેમાંથી આ રસપ્રદ પરિસ્થિતિ પરિણમે છે. ધારો કે જય અને વિજય નામના બે જોડિયા ભાઈઓ પૈકીનો જય અંતરિક્ષયાનમાં બેસીને પ્રકાશના વેગ(મૂલ્ય c)ના ૯૯% વેગથી અંતરિક્ષયાત્રાએ ઊપડી જાય છે. પૃથ્વીપટ ઉપર સમય જે વેગથી વહે છે, તેના કરતાં, પ્રચંડ વેગથી ગતિ કરતા અંતરિક્ષયાનમાં સમય ઘણો ધીમેથી વહે છે. પૃથ્વી ઉપર રહેલા વિજયના કરતાં ૦.૯૯c વેગથી ઊડતા અંતરિક્ષયાનમાં રહેલા જયની ઉંમરવૃદ્ધિ એક-સપ્તાંશ વેગથી થાય છે. જય અંતરિક્ષયાનની ઘડિયાળ અનુસાર ત્રણ વર્ષની અંતરિક્ષયાત્રા પૂરી કરીને પૃથ્વી ઉપર પાછો ફરે છે, ત્યારે તેની ઉંમરમાં તેણે અંતરિક્ષયાત્રા શરૂ કરી તે દિવસથી ત્રણ વર્ષની વૃદ્ધિ થઈ છે. તે દરમિયાન પૃથ્વી ઉપર રહેતા તેના જોડિયા ભાઈ વિજયની ઉંમરમાં પ્રચલિત કાલગણના અનુસાર ૨૧ વર્ષનો વધારો, એટલે કે જયની હાલની ઉંમર કરતાં વિજયની ઉંમર ૧૮ વર્ષનો વધારો દર્શાવે છે.

બીજી તરફ જય એમ પણ કહી શકે કે આ સમગ્ર સમયગાળા દરમિયાન એનું અંતરિક્ષયાન સ્થિર રહ્યું અને પૃથ્વીની સાથે વિજય અંતરિક્ષયાનથી વિરુદ્ધ દિશામાં અંતરિક્ષયાત્રાએ ઊપડી ગયો; અને વિજયની ઘડિયાળ મુજબ ત્રણ વર્ષની અંતરિક્ષયાત્રા પછી જયના સ્થિર અંતરિક્ષયાન પાસે પાછો ફર્યો. એટલે વિજયની ઘડિયાળ ધીમી ચાલવી જોઈએ અને તે જયના કરતાં ૧૮ વર્ષ નાનો હોવો જોઈએ. આમ જયની સરખામણીમાં વિજયની ઉંમર ૧૮ વર્ષ વધારે થઈ અને બીજી તરફ ૧૮ વર્ષ ઓછી પણ થઈ ! આ વિરોધાભાસનું નિરાકરણ સહેલું છે; બંને જોડિયા ભાઈઓ છે એટલે એકબીજાની સાથે સરખામણી કરીને નક્કી કરી શકે છે કે કોની ઉંમર ૧૮ વર્ષ વધી છે ? આનો વિશિષ્ટ સાપેક્ષવાદ સાથે મેળ કેવી રીતે પડે ? આ દેખીતા વિરોધાભાસના ઉકેલ માટે એ હકીકતનો આધાર લેવો પડે છે કે જો આ બે જોડિયા ભાઈઓ એકબીજાની સાપેક્ષમાં એકધારી ગતિથી દૂર જતા હોય તો એમની વચ્ચેનું અંતર સતત વધતું રહે અને તેઓ એકબીજાને કદી પણ પાછા મળી શકે નહિ. એ બે પૈકીનો એક ભાઈ પોતાની ગતિ ઉલટાવીને પાછો ફર્યો છે, અને આમ કરવા જતાં પ્રવેગ અનુભવ્યો છે. આ અનુભવ અંતરિક્ષયાનમાં રહેલા જયને થયો છે, જેને અંતરિક્ષયાનના પ્રવેગનો ખ્યાલ આવે છે; તેમજ એ જાણે પણ છે કે વિજય નહિ પણ તે પોતે પહેલાં દૂર ગયો છે અને પછી પાછો ફર્યો છે.

પ્રમોદ અંગ્રેજી

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

સસ્તન પ્રાણીઓ

પૃષ્ઠવંશી પ્રાણીઓમાંનો સસ્તન કે આંચળ ધરાવતાં અને મોટા ભાગે બચ્ચાંને જન્મ આપતાં પ્રાણીઓનો વર્ગ.

નાના કદનો ઉંદર, મોટોમસ હાથી, ઊંચું જિરાફ અને નાનું અમથું સસલું, પાણીમાં રહેતી વહેલ અને ઝાડ પર રહેતો વાંદરો, ઊડી શકતું ચામાચીડિયું અને ઝડપથી દોડતો ચિત્તો — આવાં સસ્તન પ્રાણીઓના વિવિધ પ્રકારોની સંખ્યા ૪૦૦૦થી વધારેની છે. આમાં માનવજાતનો પણ સમાવેશ થઈ જાય છે. સસ્તન પ્રાણીઓ સર્વત્ર વસે છે. વાનર અને હાથી વિષુવવૃત્તનાં જંગલોમાં, ધ્રુવીય રીંછ બરફીલા ઉત્તર ધ્રુવ પાસે, ઊંટ રણમાં તો વહેલ તથા સીલ દરિયામાં વસે છે. ઉંદર, બિલાડી, કૂતરાં જેવાં કેટલાંક પ્રાણીઓ માનવ-વસવાટ પાસે તો ચિત્તા, વાઘ, મનુષ્યથી દૂર જંગલમાં વસે છે. બ્લૂ વહેલ નામનું જળચર પ્રાણી સૌથી મોટું સસ્તન પ્રાણી છે. વહેલ ૩૦ મીટર લંબાઈ અને ૨૦૦ ટન જેટલું વજન ધરાવે છે. નાનામાં નાનું સસ્તન પ્રાણી તે ૨ ગ્રામ વજન ધરાવતું ચામાચીડિયું છે.

સસ્તન પ્રાણીઓની ઘણી વિશિષ્ટતાઓ હોય છે; જેમ કે, સસ્તન પ્રાણીઓ કરોડસ્તંભ ધરાવે છે. તેઓને ફેફસાં હોય છે, જેમના વડે તેઓ શ્વાસોછવાસની ક્રિયા કરે છે. સસ્તન પ્રાણીઓ પોતાના શરીરનું તાપમાન નિયંત્રિત કરી શકે છે. તેમનાં શરીર પર રુવાંટી કે ફરનું આવરણ હોય છે. સસ્તન પ્રાણીઓની માદાઓ બચ્ચાંને જન્મ આપે છે અને પોતાના દૂધથી તેમને પોષે છે. સસ્તન પ્રાણીઓને બીજાં પ્રાણીઓની સરખામણીમાં મોટું મગજ હોય છે. ચિમ્પાન્ઝી, ડૉલ્ફિન તથા મનુષ્ય બુદ્ધિશાળી પ્રાણી ગણાય છે. ગાય, ભેંસ, બકરી, ઘોડો જેવાં સસ્તન પ્રાણીઓ ફક્ત વનસ્પતિ ખાય છે, જ્યારે બીજાં કેટલાંક સસ્તન પ્રાણીઓ અન્ય પ્રાણીઓ પર નભે છે; દા. ત., સિંહ, વાઘ, ચિત્તો. કેટલાંક સસ્તન પ્રાણીઓ ઉભયાહારી છે. તે વનસ્પતિ અને માંસ બંનેય ખાય છે. સસ્તન માદાના ગર્ભાશયમાં બચ્ચાંનો વિકાસ થયા પછી તેમનો પ્રસવ થાય છે. તે બચ્ચાં માદાનું દૂધ પીને પોષણ પામે છે. સસ્તન પ્રાણીઓ, ઉભયજીવી સરીસૃપ જેવાં પ્રાણીઓની સરખામણીમાં ઓછાં બચ્ચાંને જન્મ આપે છે. તેઓ બચ્ચાંની કાળજી કરે છે. તેઓ સ્વતંત્ર રીતે રહી શકે ત્યાં સુધી પોતાની સાથે રાખે છે. કાંગારું જેવાં સસ્તન પ્રાણીઓ ખૂબ નાના કદના બચ્ચાને જન્મ આપે છે. જન્મ બાદ બચ્ચું તેની માના પેટમાં આવેલ કોથળીમાં જતું રહે છે અને એ કોથળીમાં દૂધ પી તેનો પૂર્ણ વિકાસ થાય ત્યાં સુધી રહે છે. અમુક જાતનાં સસ્તન પ્રાણીઓ — પ્લૅટિપસ (બતક-ચાંચ) અને કાંટાળું કીટીખાઉ ઈંડાં મૂકે છે, તેમાંથી બચ્ચાંનો જન્મ થાય છે. સીલ, વહેલ, ડ્યુગોંગ, દરિયામાં રહેતાં સસ્તન પ્રાણીઓ છે. ૧૬.૪ કરોડ વર્ષો પહેલાં સસ્તન પ્રાણીઓ હયાત હતાં. તેઓ ડાયનોસૉર સાથે અસ્તિત્વ ધરાવતાં હતાં. ત્યારબાદ ડાયનોસૉરના સામૂહિક વિનાશ પછી તેઓનો વિકાસ થયો.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

જોગ ધોધ

કર્ણાટક રાજ્યના જોગ ગામની નજીક (શરાવતી નદી) આવેલો જગવિખ્યાત ધોધ. ભૌગોલિક સ્થાન : ૧૪° ૧૫´ ઉ. અ. ૪° ૪૫´ પૂ. રે.. શરાવતી નદીના કાંઠા પરના ગેરસપ્પા ગામથી ૧૯ કિમી.ને પર અંતરે તથા જોગ ગામથી ૨.૫ કિમી.ને અંતરે તેનું સ્થળ પર્યટનસ્થળ તરીકે વિકસેલું છે. ધોધના સ્થળે નદીનો પટ આશરે ૭૦ મીટર પહોળો છે. ધોધની ઊંચાઈ ૨૫૩ મીટર છે. તે રાજા, રાણી, રૉકેટ અને ગર્જક – એમ ચાર ભાગમાં વહેંચાયેલો છે. ધોધ સુધી પહોંચવા માટે સાગર અથવા તાલગુપ્પા રેલવેસ્ટેશન પર ઊતરી સડક માર્ગ લેવો પડે છે. શરાવતી નદી પર બાંધેલા બંધની જલવિદ્યુતક્ષમતા ૧,૨૦,૦૦૦ કિલોવૉટ જેટલી છે. આ બંધને મહાત્મા ગાંધી જલવિદ્યુત યોજના નામ આપવામાં આવ્યું છે. આ યોજનાની ધોધ પર વિપરીત અસર ન થાય તેની તકેદારી રાખવામાં આવેલી છે.

ભારતના આ સૌથી ઊંચા ધોધ નજીક ગેરસપ્પા ગામ હોવાથી તે ગેરસપ્પાના ધોધ તરીકે પણ ઓળખાય છે. જૂના વખતમાં આ ગામથી ધોધ તરફ જવાનો માર્ગ હતો.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

બાળકૃષ્ણ માધવરાવ મૂળે