Categories
વાચન સમૃદ્ધિ

સ્થળાંતર

૧. પશુપંખીઓનું સ્થળાંતર

વધુ સારી પર્યાવરણીય અનુકૂળતા પ્રાપ્ત કરવા, ખોરાકની અછત નિવારવા, પ્રજોત્પત્તિ કરવા તથા બચ્ચાંના ઉછેર માટે પ્રાણીઓની એક સ્થળેથી બીજા સ્થળે થતી અવરજવર. આ ઘટના કીટકો, પક્ષીઓ, માછલીઓ, કાચબા અને સસ્તન પ્રાણીઓની બાબતમાં ઘટતી હોય છે. સ્થળાંતરની ક્રિયા જમીન પર, જળપ્રવાહોમાં અને હવામાં થતી હોય છે. મોટા ભાગનાં પ્રાણીઓ સમૂહમાં સ્થળાંતર કરતાં હોય છે. જીવશાસ્ત્રીઓ તો બે સ્થળો વચ્ચેની લાંબા ગાળાની ૠતુને અનુલક્ષીને નિયમિત થતી અવરજવરને જ સ્થળાંતર ગણે છે. પક્ષીઓનું સ્થળાંતર અદભુત અને નૈસર્ગિક ઘટના છે. તે ચોક્કસ સમય અને હવામાનને આધીન હોય છે. પક્ષીઓ નાજુક દેહ ધરાવતાં હોવા છતાં કલાકો અને દિવસો સુધી લગાતાર, થોભ્યા વિના ઊડીને સ્થળાંતર કરે છે. આ માટે ધ્રુવીય ટર્ન નામના એક પક્ષીનું ઉદાહરણ તેની લાંબી ઉડાન માટે જાણીતું છે. આ પક્ષી શિયાળામાં ઉત્તર ધ્રુવથી ૧૮,૦૦૦ કિલોમીટરનું અંતર કાપી દક્ષિણ ધ્રુવના હૂંફાળા વાતાવરણમાં આવે છે. થોડા સમય બાદ જ્યારે દક્ષિણ ધ્રુવમાં શિયાળો બેસે છે ત્યારે તે એટલી લાંબી ઉડાન કરી ફરી મૂળ સ્થળે પાછું આવે છે. આમ દર વર્ષે તે ૩૬,૦૦૦ કિલોમીટરની લાંબી મજલનું સ્થળાંતર કરે છે.

આફ્રિકાનાં જંગલોમાં થતું પશુઓનું સ્થળાંતર

યુરોપિયન વાર્બલર (Warbler) નામનું પક્ષી શિયાળામાં ૪,૦૦૦ કિલોમીટર જેટલું ઉડાન કરી એશિયા કે આફ્રિકા પહોંચે છે. ભારતમાં પણ શિયાળામાં અનેક યાયાવર પક્ષીઓ ઠેરઠેર આવે છે. રાજસ્થાનમાં આવેલું ભરતપુર પક્ષી-અભયારણ્ય આ માટે જાણીતું છે. આ ઉપરાંત ગુજરાતમાં કચ્છ તથા નળસરોવર અને થોળ તળાવ પાસે પણ ઘણાં યાયાવર પક્ષીઓ આવે છે. તેમાં મુખ્યત્વે સુરખાબ (ફ્લૅમિંગો), ચોટીલી પેણ, ઢોંક, નીલકંઠી તથા વૈયું નામનાં પક્ષીઓનો સમાવેશ થાય છે. આ પક્ષીઓ કેવી રીતે રસ્તો શોધતાં હશે તે પ્રશ્ન વૈજ્ઞાનિકોને મૂંઝવે છે. તેઓ સૂર્ય, ચંદ્ર અને તારાના આધારે, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને આધારે કે રસ્તામાં આવતાં મુખ્ય સ્થાનોને આધારે સ્થળાંતર કરે છે તેવું અનુમાન કરવામાં આવે છે. આ માછલી ખંભાતના અખાતમાંથી નર્મદા નદીના ઉપરવાસમાં સરદાર સરોવર કે તેથી આગળ ઈંડાં મૂકવા જાય છે. અને બચ્ચાં ફરીથી ઊંધી દિશામાં પ્રસ્થાન કરી ખંભાતના અખાતમાં પ્રવેશે છે. દરિયાઈ કાચબીઓ ૨૦૦૦ કિલોમીટર દૂરથી સ્થળાંતર કરી દરિયાના બીચ પર ઈંડાં મૂકવા આવતી હોય છે. આફ્રિકાનાં જંગલોમાં ખોરાક મેળવવા માટે વાઇલ્ડ બીસ્ટ –જંગલી ભેંસો તથા ઝિબ્રા ટોળામાં સ્થળાંતર કરે છે. આ પ્રાણીઓ ખૂબ વેગથી, માર્ગમાં આવતા અવરોધોને ગણકાર્યા વિના ઊંધું ઘાલીને દોડતાં જ રહે છે. તેની અડફટમાં કોઈ બીજું પ્રાણી આવે તો તે કચડાઈ જાય.

અંજના ભગવતી

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૧૦, સ્થળાંતર, પૃ. ૭૧)

Categories
વાચન સમૃદ્ધિ

ડુન્ડાસ

ગુજરાતમાં ઐતિહાસિક મહત્વ ધરાવતું મૈત્રકકાલીન ગામ. તે ૨૧° ૫´ ઉ. અ. અને ૭૧° ૩૫´ પૂ. રે. ઉપર ભાવનગર જિલ્લામાં મહુવાથી વાયવ્ય ખૂણે ૧૩ કિમી. અને અમૃતવેલ રેલવેસ્ટેશનથી ૨ કિમી. દૂર આવેલું છે. ઇતિહાસ : આ ગામ ઘણું પ્રાચીન છે અને તેની સાથે ધ્રુવસેન ૧ની (ઈ. સ. ૫૨૫ – ૫૪૯) ભાણેજ પરમ ઉપાસિકા દુદ્દાનું નામ સંકળાયેલું છે. તેણે દુદ્દાવિહાર કે મહાવિહાર તરીકે ઓળખાતો વિહાર બંધાવ્યો હતો. આ વિહારને નિભાવવા માટે ધ્રુવસેને જમીનનું દાન કર્યું હતું. તે જ પ્રમાણે ધ્રુવસેન ૧ના અનુજ ધરપટ્ટના પુત્ર ગુહસેને (ઈ. સ. ૫૫૯ – ૫૬૭) અને ધરસેન બીજાએ (૫૭૧ – ૫૮૯) પણ આ વિહાર માટે ભૂમિદાન કર્યું હતું. શીલાદિત્ય બીજાના તામ્રપત્રમાં ડુન્ડાસ નામનો ઉલ્લેખ છે.

ડુન્ડાસ અને લુંસડીમાંનાં ખંડેરોમાંથી ક્ષત્રપ અને મૈત્રકકાલીન મોટી ઈંટો અને સિક્કાઓ મળેલ છે. ડુન્ડાસ નજીક પ્રાચીન ક્વા વાછરા (વત્સરાજ) સોલંકીનું થાનક છે. વત્સરાજ સોલંકી કતપર (કંકાવટી) પરણવા આવ્યા હતા. લગ્નવિધિ ચાલુ હતી અને બે મંગળફેરા બાકી હતા ત્યારે દુશ્મનો ગાયનું ધણ વાળી જાય છે એવી બૂમ સાંભળી. જરા પણ વિચાર કર્યા વિના તે વહારે ચડ્યા અને ધીંગાણામાં તેમનું મૃત્યુ થયું. લોકોક્તિ પ્રમાણે વત્સરાજનું મસ્તક ડુન્ડાસ આવીને પડ્યું. અહીં તેનું મસ્તક પૂજાય છે, જ્યારે મહુવા ખાતે ધડની પૂજા થાય છે.

શિવપ્રસાદ રાજગોર

ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ-8, અથવા જુઓ : https://gujarativishwakosh.org/ડુન્ડાસ/

Categories
વાચન સમૃદ્ધિ

સ્તૂપ

ભગવાન બુદ્ધ કે તેમના ધર્મોપદેશકોના શરીરના અવશેષ (જેમ કે, વાળ, દાંત, અસ્થિ અને ભસ્માવશેષ) પર રચવામાં આવતું વિશિષ્ટ આકારવાળું સ્થાપત્ય. પાલિ ભાષામાં ‘સ્તૂપ’ને ‘થૂપ’, મ્યાનમારમાં ‘પૅગોડા’ અને  શ્રીલંકામાં ‘દાભગા’ કહેવાય છે. અવશેષને ધાતુપાત્રમાં રાખી તેને પથ્થરના દાબડામાં મૂકી, લેખ સાથે દાટવામાં આવતો. તેની ઉપર અંડાકાર ઘાટનું ઈંટોનું કે પથ્થરનું ચણતર કરવામાં આવતું. સ્તૂપના મુખ્ય ભાગને અંડ કહેવાય છે. અંડના પેટાળમાં ધાતુપાત્રમાં પવિત્ર અવશેષની સાથે વિવિધ રત્નો; સોનું, ચાંદી કે હાથીદાંતનાં નાનાં ‘રત્નપદ્મ’ રાખવામાં આવતાં. ક્યારેક આ પવિત્ર અવશેષો સોનાના પાત્રમાં એ પાત્રને ચાંદીના પાત્રમાં, એ પાત્રને તાંબાના પાત્રમાં અને અંતે તેને પથ્થરના પાત્રમાં મૂકવામાં આવતા. ક્યારેક પથ્થરના દાબડા પર અવશેષોને લગતો કે સ્તૂપના નિર્માણને લગતો લેખ કોતરવામાં આવતો.

શાંતિ સ્તૂપ, લેહ

સ્થાપત્યનો આ અંડ ભાગ ચોરસ પીઠિકા પર રચવામાં આવતો. અંડનું મથાળું કાપીને તેને ઉપરથી સપાટ કરવામાં આવતું. ત્યાં પથ્થરનો કઠેડો બનાવવામાં આવતો. જેને ‘હર્મિકા’ કહેવામાં આવે છે. હર્મિકાની મધ્યમાં છત્રદંડ રોપવામાં આવતો. દંડને મથાળે ત્રણ છત્રો મૂકવામાં આવતાં. તે નીચેથી ઉપર જતાં મોટાં થતાં હોય છે. સ્તૂપની આસપાસ પ્રદક્ષિણા થાય તેવી વ્યવસ્થા કરાય છે. સ્તૂપનું નિર્માણ મોટા ભાગે રાજાઓ કરાવતા. આ માટે બુદ્ધનાં જીવન અને કાર્ય સાથે સંબંધ ધરાવતાં સ્થળોની પસંદગી કરાઈ છે. મધ્યપ્રદેશમાં સાંચી, ઉત્તરપ્રદેશમાં સારનાથ તથા તક્ષશિલાના સ્તૂપ જાણીતા છે. સ્તૂપ ગમે તેટલા જીર્ણ થાય તોપણ તેને કાઢી નખાતા નથી. તેનો જીર્ણોદ્ધાર કરાવાય છે. સ્તૂપની આસપાસ પથ્થરની વેદિકા (રેલિંગ) ચણી અને તેમાં પ્રવેશદ્વારો બનાવાય છે. આ પ્રવેશદ્વારને તોરણ કહે છે. સાંચીનો સ્તૂપ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. શ્રીલંકા, મ્યાનમાર, થાઇલૅન્ડ અને ઇન્ડોનેશિયામાં પણ સ્તૂપો જોવા મળે છે. જોકે વિવિધ સ્તૂપોના આકારમાં થોડા થોડા ફેરફારો પણ નજરે ચડે છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૧૦