Categories
વાચન સમૃદ્ધિ

દીમાપુર

ભારતની પૂર્વે પહાડી રાજ્ય નાગાલૅન્ડનો જિલ્લો તથા મુખ્ય શહેર. તે અગાઉના કાચાર રાજ્યનું પાટનગર હતું. તે એક મહત્વનું વ્યાપારી અને ઔદ્યોગિક કેન્દ્ર તથા પર્યટક સ્થળ છે. તે ધનસિરિ નદીના જમણા કાંઠા પર વસેલું છે. 25° 54´ ઉ. અ. અને 93° 44´ પૂ. રે. પર રાજ્યના પાટનગર કોહિમાથી વાયવ્યમાં આશરે 45 કિમી. દૂર તે આવેલું છે. તેનો વિસ્તાર 924 ચોકિમી. છે. તે નૈઋત્યથી ઈશાન ખૂણા તરફ લંબાયેલી ‘કોહિમાની ટેકરીઓ’થી પશ્ચિમમાં અને આસામ રાજ્યની સીમા પરનાં મેદાનોમાં આવેલું છે. આમ છતાં તેની પાર્શ્વભૂમાં લીલોતરી અને કુદરતી સૌન્દર્યથી ભરપૂર એવી લાંબી ઊંચી પહાડી ટેકરીઓ અને તેમની વચ્ચે વચ્ચે નદીની ખીણો આવેલી છે. દીમાપુરની આબોહવા ઉપોષ્ણકટિબંધીય (sub-tropical) છે. અહીં એપ્રિલથી ઑક્ટોબર એમ લગભગ સાત માસ સુધી વરસાદ પડે છે. વરસાદનું પ્રમાણ આશરે 1800 મિમી. જેટલું છે. અહીં ડાંગર, મકાઈ, બાજરી, બટાટા, કઠોળ, શાકભાજી અને ફળોની ખેતી થાય છે.

તેનાં જંગલોમાં વાઘ, હાથી, સૂવર અને બીજાં અનેક પ્રકારનાં પ્રાણીઓ વસે છે. અહીં અન્ગામી અને ચાખેસાન્ગા જેવી નાગા જાતિના લોકો વસે છે. દીમાપુરને રેલ, રાષ્ટ્રીય ધોરી માર્ગો અને હવાઈ માર્ગોની ઉત્તમ સેવાઓ મળેલી છે, જેનાથી તે પડોશી રાજ્યો અને દેશનાં અગત્યનાં નગરોથી સંકળાયેલું છે. ગોલાઘાટ–ઇમ્ફાલ રાષ્ટ્રીય ધોરી માર્ગ ત્યાંથી પસાર થાય છે. તેની આસપાસના પ્રદેશોમાંથી અહીંના બજારમાં ચોખા, નારંગી, બટાટા, કપાસ અને બીજી ખેતપેદાશો આવે છે, તેથી તે કૃષિપેદાશોનું વ્યાપારકેન્દ્ર બન્યું છે. અહીં મુખ્યત્વે ખાદ્ય ચીજવસ્તુઓના પ્રોસેસિંગ તથા વપરાશી ચીજવસ્તુઓના ઉત્પાદનને લગતા ઉદ્યોગો,  છૂટક ભાગો જોડીને ટી.વી. બનાવવાના એકમો, ઈંટો બનાવવાનો યાંત્રિક પ્લાન્ટ અને કુટિર-ઉદ્યોગો વિકસ્યા છે. ખાંડની વિશાળ મિલ અને તેને સંલગ્ન આલ્કોહૉલનું ઉત્પાદન કરતો ઔદ્યોગિક એકમ પણ આ નગરમાં છે. જૂના વખતના આવાસો અને મહાલયોનાં સુંદર, કળામય બેનમૂન બાંધકામો માટે તે જાણીતું છે. ત્યાં દુર્ગ, નગરની આજુબાજુ ફરતો કોટ, પથ્થરનાં દ્વાર તથા સ્તંભ વગેરેના અવશેષો છે. આ જિલ્લાની અને શહેરની વસ્તી અનુક્રમે 4.39 લાખ અને 1.82 લાખ જેટલી (2026, આશરે) છે.

ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

આંદામાન-નિકોબાર ટાપુઓ

બંગાળના ઉપસાગરની દક્ષિણ-પૂર્વમાં આવેલા ટાપુઓનો સમૂહ.

ભારતના આ કેન્દ્રશાસિત વિસ્તારનું ભૌગોલિક સ્થાન : ૬° થી ૧૪° ઉ. અ. અને ૯૨° ૦૦´થી ૯૪° ૦૦´ પૂ. રે.ની આજુબાજુ રહેલું છે. વિસ્તાર : ૮,૨૪૮ ચો.કિમી.. વસ્તી : ૪ લાખ ૧૫ હજાર (૨૦૨૬, આશરે). આ પ્રદેશ ૩ જિલ્લાઓમાં વહેંચાયેલો છે. તેમાં શહેરો અને ગામડાંની સંખ્યા અનુક્રમે ૩ અને ૫૪૮ જેટલી છે. તેના ૩,૦૦૦ જેટલા ટાપુઓમાં ૩૬૫ મુખ્ય છે. આ ટાપુસમૂહ ભારતના પૂર્વકિનારાથી ૧,૨૦૦ કિમી. એટલે કે ૬૪.૮૬ નૉટિકલ માઈલ (સમુદ્રનાં અંતર નૉટિકલ માઈલમાં ગણાય છે. ૧ નૉટિકલ માઈલ = ૧.૮૫ કિમી. થાય.) દૂર છે. પાંચ મોટા ટાપુઓનો સમૂહ બૃહત આંદામાન તથા દક્ષિણમાંના ૨૦૪ જેટલા નાના ટાપુઓનો સમૂહ લઘુ આંદામાન તરીકે ઓળખાય છે. આ ટાપુઓનો વહીવટ ભારત સરકાર હસ્તક છે. આંદામાનની રાજધાની તેમ જ મુખ્ય શહેર પૉર્ટ બ્લેર દક્ષિણ આંદામાનમાં આવેલું છે. આ ઉપરાંત અન્ય બે શહેરો પણ છે. નિકોબાર ટાપુઓ આંદામાનની દક્ષિણે ૧૨૧ કિમી. દૂર આવેલા છે. આ ટાપુઓ વિષુવવૃત્તીય આબોહવા ધરાવે છે. આંદામાન ટાપુઓ ઉપર ઉત્તર-દક્ષિણ સમાંતર રીતે નાની-મોટી પર્વતમાળાઓ આવેલી છે, જેમાંનું સૌથી ઊંચું શિખર માઉન્ટ સેડલ ૭૫૦ મીટર ઊંચાઈએ છે. આ ટાપુઓની કુલ જમીનના ૮૫ % ભાગમાં ગીચ જંગલો આવેલાં છે. અહીં અભયારણ્યો તેમ જ પ્રાણીસંગ્રહાલય પણ છે.

ઓંગે જાતિના આદિવાસી લોકો નાના આંદામાનમાં વસે છે. અન્ય નિગ્રો કુળની જાતિઓ પણ અહીં વસે છે; જેમ કે, સૅન્ટિનેલીસ, જારાવા અને આંદામાનીસ. મૉંગોલૉઇડ જાતિના શૉમપેન અને નિકોબારીસ નિકોબાર ટાપુમાં વસે છે. આંદામાનના મૂળ વતનીઓ ૧૯મી સદી સુધી તો આધુનિક વિશ્વની સંસ્કૃતિથી તદ્દન અજાણ હતા અને પથ્થરયુગની સંસ્કૃતિમાં જીવતા હતા. જંગલો સાફ કરીને થતી ખેતીમાં કઠોળ, સોપારી, નાળિયેર, ડાંગર વગેરેનો પાક લેવાય છે. અહીંના મુખ્ય ઉદ્યોગોમાં ઇમારતી લાકડાં અને રબરનો સમાવેશ થાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, આંદામાન-નિકોબાર ટાપુઓ, પૃ. 141)

Categories
વાચન સમૃદ્ધિ

દીપડો (panther)

સસ્તન વર્ગના બિલાડી (felidae) કુળનું એક મોટું, શક્તિશાળી અને ભયંકર પ્રાણી. શાસ્ત્રીય નામ Panthera pardus. જંગલમાં વસવાટ કરનારા લોકો, જેટલા સિંહ અને વાઘથી ડરતા નથી તેના કરતાં દીપડાથી વધુ ડરે છે. કૂદવાની બાબતમાં દીપડો, વાઘને પણ ટપી જાય તેવો છે. દીપડા અને ચિત્તા વચ્ચે ઘણા લોકોમાં ગેરસમજ પ્રવર્તે છે. વાસ્તવમાં આ બંને પ્રાણીઓ જુદાં છે. ચિત્તા લુપ્ત થવાની અણીએ પહોંચ્યા છે અને તે ભારતમાં જવલ્લે જ જોવા મળે છે. જંગલમાં જોવા મળતાં, આ પ્રકારનાં મોટા ભાગનાં પ્રાણીઓ દીપડા જ છે. દીપડા બે પ્રકારના હોય છે. નાના દીપડાની લંબાઈ 1.5 મી. થી માંડી 2 મી. જેટલી હોય છે. જ્યારે મોટા દીપડાની લંબાઈ 2 મી. થી 3 મી. જેટલી હોય છે. ઊંચાઈ 35 સેમી.થી 50 સેમી. જેટલી અને વજન 90 કિગ્રા.થી 100 કિગ્રા. હોય છે. માદા દીપડા કરતાં નર દીપડા કદમાં મોટા અને વધુ વજન ધરાવે છે. દીપડાનો રંગ પીળાશ પડતો, હળદર જેવો હોય છે, જેના પર કાળા રંગનાં ચકરડાં જોવા મળે છે, આફ્રિકા અને એશિયાના દીપડાઓની ત્વચા પર આવેલાં આવાં ચકરડાંમાં વૈવિધ્ય રહેલું છે. ભારતીય દીપડામાં ચકરડાં નજીક નજીક હોય છે જ્યારે આફ્રિકન દીપડામાં તે થોડાં છૂટાંછવાયાં હોય છે. વસવાટ અને આબોહવાને અનુલક્ષીને તેમની ચામડીનો રંગ પણ જુદો જુદો હોય છે. દીપડાની એક જાતિ, તદ્દન કાળા રંગની હોય છે, જેને ‘મેલેનિસ્ટિક’ પ્રકાર કહે છે. તિબેટ વિસ્તારમાં શ્વેત દીપડાની જાતિ પણ અસ્તિત્વ ધરાવે છે. ત્વચાનાં રંજકદ્રવ્યોની હાજરી કે ગેરહાજરીને અનુલક્ષીને દીપડામાં શ્યામવર્ણ કે રંગહીનતા જોવા મળે છે.

સામાન્ય રીતે દીપડો એકાકી જીવન ગુજારે છે. સમૂહજીવન તેને પસંદ નથી. દીપડો બુદ્ધિશાળી, વિચારશીલ, ચપળ અને સ્ફૂર્તિવાળું પ્રાણી છે. તેની શ્રવણશક્તિ અને ગંધગ્રહણશક્તિ તીવ્ર હોય છે. દીપડાઓ ખાસ કરીને લીલીછમ ઝાડીયુક્ત ગીચ જંગલમાં પોતાનો વસવાટ પસંદ કરે છે. કુદરતી ગુફા, નાળાં કે આસપાસ ઘાસ ઊગેલું હોય ત્યાં છીછરો ખાડો બનાવે છે. તેથી તે ગરમી સહેલાઈથી સહન કરી શકે છે. ખુલ્લા મેદાન કે પહાડી વિસ્તારમાં પણ તે રહી શકે છે. આથી દીપડો દિવસે પણ શિકારની શોધમાં નીકળી પડે છે. દીપડાની રાક્ષસી વૃત્તિનો જોટો નહીં મળે. વાઘ કે સિંહ કરતાં તેનામાં નૈસર્ગિક ક્રૂરતા અનેકગણી અધિક હોવાથી માત્ર આનંદ ખાતર 20થી 25 ઘેટાં-બકરાં સામટાં મારી નાખે છે. આવું સાહસિક પ્રાણી હોવા છતાં સ્વભાવથી તો દીપડો બીકણ જ ગણાય.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : https://gujarativishwakosh.org/દીપડો/)