Categories
વાચન સમૃદ્ધિ

આર્થર સી. ક્લાર્ક

જ. ૧૬ ડિસેમ્બર, ૧૯૧૭ અ. ૧૯ માર્ચ, ૨૦૦૮

સર આર્થર ચાર્લ્સ ક્લાર્ક એક બ્રિટિશ લેખક, દરિયાઈ જીવનના સંશોધક અને ટેલિવિઝન શ્રેણીના હોસ્ટ હતા. તેમનો જન્મ ઇંગ્લૅન્ડમાં થયો હતો. ખેતરમાં રખડવાની સાથે તેમને આકાશદર્શન, અશ્મિ એકત્ર કરવાનો અને અમેરિકન સાયન્સ ફિક્શન ‘પલ્પ’ મૅગેઝિન વાંચવાનો શોખ હતો. કિશોરાવસ્થામાં તેઓ જુનિયર ઍસ્ટ્રૉનોમિકલ ઍસોસિયેશનમાં જોડાયા અને યુરેનિયા સોસાયટીના જર્નલમાં સેવાઓ  આપી હતી. તેઓ ૧૯૩૬માં લંડન ગયા અને ત્યાંના શિક્ષણ બોર્ડમાં પેન્શન ઑડિટર તરીકે જોડાયા હતા. ક્લાર્ક આજીવન અવકાશયાત્રાના સમર્થક હતા. ૧૯૫૦માં તેમણે ‘ઇન્ટરપ્લેનેટરી ફ્લાઇટ’ નામનું અવકાશ ઉડાનની મૂળભૂત બાબતોની રૂપરેખા આપતું પુસ્તક લખ્યું હતું. ક્લાર્ક એક ઉત્સાહી સ્કૂબા ડાઇવર હતા અને અંડરવૉટર એક્સપ્લોરર્સ ક્લબના સભ્ય પણ હતા. તેમની પાસેથી ૨૬ નવલકથાઓ, ૧૭ વાર્તાસંગ્રહો અને ૧૮ જેટલાં અન્ય પુસ્તકો પ્રાપ્ત થયાં છે. ક્લાર્કે વિજ્ઞાનસાહિત્યનાં ખાસ પ્રકારનાં કાર્યો માટે ડઝનથી વધુ વાર્ષિક સાહિત્યિક પુરસ્કારો જીત્યા હતા. ફ્રેન્કલિન ઇન્સ્ટિટ્યૂટ તરફથી સેટેલાઇટ કૉમ્યુનિકેશન્સ અને  અન્ય સન્માનો માટે  ૧૯૬૩નો સ્ટુઅર્ટ બેલેન્ટાઈન મેડલ પ્રાપ્ત કર્યો હતો. ૧૯૫૬માં તેમની ટૂંકી વાર્તા ‘ધ સ્ટાર’ને હ્યુગો ઍવૉર્ડ મળ્યો હતો. ૧૯૬૧માં તેમણે વિજ્ઞાનની લોકપ્રિયતા માટે યુનેસ્કો-કલિંગ પુરસ્કાર જીત્યો હતો. ક્લાર્કને તેમની ‘અ મિટિંગ વિથ મેડુસા’, ‘રેન્ડેઝ્વસ વિથ રામા’ અને ‘ધ ફાઉન્ટેન્સ ઑફ પેરેડાઇઝ’ જેવી નવલકથાઓને નેબ્યુલા અને હ્યુગો જેવા ઍવૉર્ડથી નવાજવામાં આવી હતી. ૧૯૮૮માં તેમને યુનિવર્સિટી ઑફ બાથ દ્વારા ડૉક્ટર ઑફ લેટર્સની માનદ પદવીથી નવાજવામાં આવ્યા હતા. ૨૦૦૪માં તેમણે વિજ્ઞાનસાહિત્યમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ માટે હેનલેઇન ઍવૉર્ડ જીત્યો હતો. ૧૪ નવેમ્બર, ૨૦૦૫ના રોજ શ્રીલંકાએ ક્લાર્કને તેનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર શ્રીલંકાભિમાન્ય (શ્રીલંકાનું ગૌરવ) એનાયત કર્યો હતો. આજે યુનાઇટેડ કિંગ્ડમમાં વિજ્ઞાન સાહિત્યલેખન માટે આર્થર સી. ક્લાર્ક પુરસ્કાર વાર્ષિક ધોરણે એનાયત કરવામાં આવે છે.

અશ્વિન આણદાણી

Categories
વાચન સમૃદ્ધિ

વિદ્યુત ઠાકર

જ. ૧૫ ડિસેમ્બર, ૧૯૨૯ અ. ૬ જૂન, ૨૦૨૩

રાજકીય સમીક્ષક અને કાબેલ પત્રકાર વિદ્યુત ઠાકરનો જન્મ ઉમરેઠમાં થયો હતો. ગુજરાતના પત્રકારત્વમાં રાજકીય વિશ્લેષણવાળા લેખનમાં તેઓ મહત્ત્વનું સ્થાન ધરાવતા હતા. તેમના પિતાનું નામ કૃપાશંકર અને માતાનું નામ તારાબહેન હતું. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ઉમરેઠ અને ધરમપુરમાં તથા કૉલેજશિક્ષણ અમદાવાદમાં લીધું હતું. જાહેર જીવનમાં પહેલેથી જ રસ ધરાવતા હતા. કૉલેજમાં વિદ્યાર્થી ચળવળોમાં આગેવાની લઈ હડતાળ પડાવેલી. કારકિર્દીની શરૂઆતમાં બૅન્કની નોકરી કરી, ત્યારબાદ ‘સંદેશ’માં જોડાયા અને પત્રકારત્વક્ષેત્રે કાર્યરત થયા. ૧૯૫૬માં પ્રજાસમાજવાદી પક્ષ સંચાલિત ‘નવગુજરાત’ દૈનિકમાં ઉપસંપાદક તરીકે કામ કર્યું. ૧૯૫૬માં મહાગુજરાત આંદોલનમાં જોડાયા. આ આંદોલન દરમિયાન તેઓએ ઇન્દુલાલ યાજ્ઞિક, દેવેન્દ્ર ઓઝા, બ્રહ્મકુમાર ભટ્ટ વગેરેની સાથે જેલવાસ ભોગવ્યો. ૧૯૭૦-૭૧માં ઇન્દિરા ગાંધીના ‘ગરીબી હટાવ’ કાર્યક્રમ નિમિત્તે કૉંગ્રેસમાં પ્રવેશ કર્યો. બીજે વર્ષે અમદાવાદ શહેર કૉંગ્રેસના મંત્રી બન્યા. ૧૯૭૭માં ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટીના વિરોધમાં તેમણે કૉંગ્રેસનો ત્યાગ કર્યો. ૧૯૮૨થી ૧૯૮૯ સુધી રતુભાઈ અદાણીના રાષ્ટ્રીય કૉંગ્રેસ પક્ષમાં જોડાયા. ત્યારબાદ શ્રી ચીમનભાઈ પટેલના જનતા દળમાં સક્રિય બન્યા. ૧૯૯૧થી ૧૯૯૫ સુધી ‘ગુજરાત લઘુઉદ્યોગ નિગમ’ના અધ્યક્ષ તરીકે સેવાઓ આપી. અમદાવાદનાં જાણીતાં દૈનિકો અને સામયિકોમાં તેમણે નિયમિત રાજકીય કટારલેખન કર્યું. તેઓએ બાળપણથી ખૂબ વાંચન કર્યું હોવાથી તેમનાં લખાણો ઉત્તમ કક્ષાનાં બન્યાં. વિશ્વની રાજકીય ગતિવિધિના ઊંડા અભ્યાસી એવા વિદ્યુત ઠાકર ગુજરાતની સ્થાપના સમયથી કાર્યરત પત્રકારોમાંના એક હતા અને તેઓ લગભગ ૫૦ વર્ષ આ ક્ષેત્રે સક્રિય રહ્યા હતા. તેમણે ચાર પુસ્તકોનું સર્જન કર્યું છે. તેમને ‘રમણભાઈ શાહ સાધના પત્રકારિતા પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

ઉપેન્દ્રનાથ શર્મા ‘અશ્ક’

જ. ૧૪ ડિસેમ્બર, ૧૯૧૦ અ. ૧૯ જાન્યુઆરી, ૧૯૯૬

‘અશ્ક’ના તખલ્લુસથી જાણીતા ઉપેન્દ્રનાથ શર્માનો જન્મ જલંધર પંજાબમાં સારસ્વત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. જલંદરની ડી.એ.વી. કૉલેજમાં બી.એ. સુધીનું શિક્ષણ લીધું પછી બે વર્ષ અધ્યાપન કર્યું. પછી ત્રણ વર્ષ સુધી લાલા લજપતરાયના સમાચારપત્ર ‘વંદે માતરમ્’માં પત્રકાર તરીકે કામ કર્યું. ત્યારપછી અનુવાદક તરીકે બઢતી પામ્યા અને ‘ભૂચાલ’ નામના સામયિકનું એક વર્ષ તંત્રીપદ સંભાળ્યા પછી ૧૯૩૬માં એલએલ.બી.ની પરીક્ષા પસાર કરી. એ જ વર્ષે તેમનાં પત્નીનું અવસાન થવાથી તેઓ આઘાતમાં સરી પડ્યા અને સર્જન પ્રત્યે વળ્યા. એ પછી એમણે આકાશવાણીમાં નોકરી કરી. પરંતુ લેખનકાર્યને જ તેમણે વ્યવસાય તરીકે અપનાવ્યું. તેમણે ફિલ્મીસ્તાન પ્રોડક્શન કંપની માટે પટકથા તથા સંવાદ લખવાનું કાર્ય પણ કર્યું. શરૂઆતમાં તેઓ પંજાબી અને ઉર્દૂ ભાષામાં લેખનકાર્ય કરતા, પરંતુ મુનશી પ્રેમચંદના કહેવાથી તેમણે હિન્દીમાં લખવાનું શરૂ કર્યું. તેમની ગણના આધુનિક નાટ્યકાર, નવલકથાકાર તથા વાર્તાકારમાં થાય છે, પણ એમને સવિશેષ પ્રતિષ્ઠા તથા સિદ્ધિ નાટ્યકાર તરીકે મળી છે. ‘છટા બેટા’ (૧૯૪૦), ‘અંજોદીદી’ (૧૯૫૩-૫૪) અને ‘કૈદ’ એ એમની ઉત્તમ નાટ્યકૃતિઓ છે. ચોટદાર સંવાદો તેમનાં નાટકોની વિશિષ્ટતા હતી. એમણે એકાંકી પણ લખ્યાં છે. ‘તૂફાન સે પહલે’, ‘દેવતાઓં કી છાયા મેં’, ‘પર્દા ઉઠાઓ, પર્દા ગિરાઓ’ એ એમના એકાંકીસંગ્રહો છે. એમની નવલકથાઓમાં ‘ગીરતી દીવાર’ (૧૯૪૫), ‘ગર્મ રાખ’ (૧૯૫૨), ‘શહર મેં ઘૂમતા આઈના’ (૧૯૬૩), ‘એક નન્હી કિન્દીલ’નો સમાવેશ થાય છે. એમણે લગભગ બસ્સો જેટલી નવલિકાઓ પણ લખી છે. આ ઉપરાંત નિબંધ, રેખાચિત્ર, સમીક્ષા, સંસ્મરણો વગેરે ક્ષેત્રોમાં પણ એમણે વિપુલ લેખન કર્યું છે. પરિવર્તન પામતી સાહિત્યિક વિભાવનાઓ જોડે તેઓ કદમ મિલાવતા રહ્યા હતા. ૧૯૪૭માં ટીબી થવાથી તેમને બેલ ઍર સેનેટોરિયમ, પંચગનીમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેઓ બે વર્ષ રહ્યા હતા. ત્યારપછી તેઓ અલાહાબાદ સ્થાયી થયા હતા. હિન્દી સાહિત્યમાં યથાર્થવાદી પરંપરાને સમૃદ્ધ કરવાનો યશ ‘અશ્ક’ના ફાળે જાય છે. ૧૯૬૫માં લલિતકલા અકાદમીએ એમને શ્રેષ્ઠ નાટ્યકારનું પારિતોષિક આપીને સન્માન કર્યું હતું.

અમલા પરીખ